Skip to main content

પ્રિસ્ક્રીપ્શનનું ભૂલદર્શનશાસ્ત્ર

           પ્રમોદભાઈને પેટમાં દુખાવો થતો હતો એટલે ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન(prescription) લખાવી મેડિકલ સ્ટોરેથી દવા લીધી, પીધી અને સારું થઈ ગયું. દસ બાર મહિના પછી ફરીથી પેટમાં થોડી ગડબડ જેવું લાગ્યું એટલે આપણા સંગ્રહખોર પ્રમોદભાઈએ મોહેંજો દારો ના અવશેષ જેવું પેલું જૂનું પ્રિસ્ક્રીપ્શન શોધી કાઢ્યું અને લગાવી દોટ મેડિકલ સ્ટોર તરફ. મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ(Pharmacist) જેવા દેખાતા (☺️) એક ભલા માણસે તરત જ હોંશે હોંશે એ દવા કાઢી આપી. પ્રમોદભાઈએ ફરીથી દવા લીધી, પીધી પણ સારું ન થયું. પણ આ તો પ્રમોદભાઈ , હાર તો ના જ માને, પહોંચી ગયા પડોશી ઉધારમલ પાસે. ઉધારમલ ને પણ પહેલા કાંઈક પેટના દુખાવામાં અમુક દવા લીધી હતી એનાથી એ ભાઈ ને સારું થઈ ગયું હતું. એટલે આ સક્સેસ સ્ટોરીને ધ્યાને લેતા પ્રમોદભાઈએ ઉધારમલ પાસેથી તેની દવા ઉધાર લીધી, પીધી પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. છેલ્લી જાણકારી મુજબ પ્રમોદભાઈ હોસ્પિટલમાં દસ દિવસથી એડમિટ છે.
          આવા કેટલાય પ્રમાદિ પ્રમોદભાઈ વગર વિચાર્યે કેમિકલના ઝાડ પેટમાં વાવે છે અને પાછળથી પસ્તાય છે. તો સામે એવા ઉધારમલનો પણ તોટો ના મળે. ડોકટરે એક વખત લખી આપેલું પ્રિસ્ક્રીપ્શન એક જ વખતના અમલિકરણ માટે છે જ્યાં સુધી ડોકટર તેની આગળ પરવાનગી ના આપે. અમુક ગાંઠે બાંધેલા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં આ પ્રિસ્ક્રીપ્શન વેલીડ છે પણ કોઈપણ પ્રિસ્ક્રીપ્શન છ મહિનાથી વધુ વેલીડ તો ના જ ગણી શકાય. છ મહિને આ કાયમી દર્દીઓએ પણ ડોકટરના દર્શન કરવા હિતાવહ જ છે. પણ આ તો થઈ બધી શાસ્ત્રોક્ત વાતો, આપણે તો શાસ્ત્રોથી પર ખરા ને!
          પ્રિસ્ક્રીપ્શન પર લખેલી તારીખ ને વાંચવાની જવાબદારી ફાર્મસીસ્ટ ની પણ એટલી જ છે જેટલી લખવાની ડોકટરની. પણ આ હોંશે હોંશે દવા આપતો ભલો માણસ કદાચ ફાર્મસીસ્ટ જ ના હોય તો? તો પછી આ વાત એને તો ક્યાંથી લાગુ પડી શકે. ભારતમાં મેડિકલ સ્ટોર પર જોવા મળતા દિગ્ગજ મોટે ભાગે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ ના હોય એવું સામાન્ય છે. આમ પણ ગામના ચોરે એલોપેથી દવા લખતો ડોકટર પણ મુન્નાભાઈ જ નીકળે તો નવાઈ નહિ!
          જ્યારે આપણે કોઈ સિસ્ટમ કે પ્રણાલિકા તરફ આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની જે ચાર આંગળી આપણા તરફ આવે છે એ જ દર્શાવે છે કે આંગણું તો ઘરનું જ પહેલા સાફ કરવું પડશે, બહાર ઝાડું સાથે ફોટોશૂટ પછી ક્યારેક કરી લઈશુ. પહેલી નજરે જેમ પ્રમોદભાઈ વાંકે ચડે તો પ્રમોદભાઈની નજરે પેલો ફાર્મસીસ્ટ વાંકે ચડે કે તારીખ વેલીડ ના હોવા છતાં દવા કેમ આપી? તો સામે ફાર્મસીસ્ટ (જો ઓરીજીનલ હશે તો) પણ ડોકટરના પ્રિસ્ક્રીપ્શનમાં બે પાંચ ભૂલો બતાવીને પોતાની તરફ ચીંધાયેલી આંગળીની દિશા બદલશે. પરિણામ ગણિતના નિયમ મુજબ વત્તે ઓછે ઓછા થઈને શૂન્ય થઈ જશે.
          માત્ર ડોકટર કે ફાર્મસીસ્ટ જ નહીં પણ જ્યારે આરોગ્યના જવાબદાર તમામ કર્મીઓ આ મુહિમને નહિ અપનાવે ત્યાં સુધી લોકોને સમજાવીને જાગૃત કરવાનો નુસખો કારગત નીવડે એમ નથી. એક નાની ભૂલને મોટી ભૂલમાં પરિવર્તીત થતી રોકવી હશે તો સિસ્ટમના દરેક પાસામાં નવી અપડેટ જરૂરી છે નહીં તો સિસ્ટમને હેંગ થતા બહુ વાર લાગે એમ નથી.

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...