21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.
યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી.
વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી.
તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે.
યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠે આઠ અંગોને આત્મસાત કરવા એ કદાચ આજના યુગ માટે અતિશયોક્તિ કહી શકાય. પરતું કોઈ એક કે બે અંગોને સાતત્યતા પૂર્વક દરરોજ જીવનચર્યા સાથે સાંકળી લેવા એ પણ યોગ જ છે. યોગ ને પ્રચલિત કરવા માટે છેલ્લા દસકાથી જે યોગ દિવસ શરૂ થયો છે તે આના માટે જ છે. આ દિવસે યોગના આઠ અંગો પૈકી કોઈ એકને આપણી રોજબરોજની જિંદગી સાથે આંટી વાળીએ એ જ આ વિશ્વ યોગ દિવસનો ઉદ્દેશ છે.
પરતું અહીં આંટી પગથી લઈને પેટ સુધી મારીને ફોટોજિકી કરવામાં જ આપણે યોગદિવસ ઉજવી લઈએ છીએ. જે લોકોને થોડા ઘણાં અંગ મરોડ આવડે છે એ લોકો આમ તેમ વાંકાચૂંકા થઈને ફોટો પાડશે. આવા ફોટો સેશનના ચક્કરમાં ઘણીવાર આ અંગ મરોડના પ્રશ્નો યોગ દિવસની માસિક એનીવર્શરી સુધી પણ સળગતા રહે એવું બની શકે. કારણ કે આ તો વર્ષે એક વાર કરવાનું થતું હોય છે ને!
સૌથી હાસ્યાસ્પદ યોગદિવસ સરકારી કર્મચારીઓ મનાવે છે. બળજબરીપૂર્વક આદેશો કરીને માણસો ભેગા કરવામાં આવે છે અને પછી...? પછી કસરતના દાવની જેમ બે હાથ ઊંચા અને બે હાથ સામે એવા જીમ્નાસ્ટીકના દાવ કરીને બધા હોંશે હોંશે છૂટા પડે છે. વળી આવા જીમ્નાસ્ટીકના ફોટા નીચે યોગ દિવસની ઉજવણીના કેપ્શન મારીને ફરતા પણ કરે છે. ધૂળ પડી જીવતરમાં હે મનખા!
આયુષ્યમાન ભારત યોજના હેઠળ શરૂ કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ જ યોગ હતો. પરતું આ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસ સિવાય ક્યારેય લોકોને યોગ કરાવવામાં આવતો નથી. લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને રોગથી દૂર રાખવાનું આ કેન્દ્રોનું કાર્ય મોટાભાગે રોગ થયા પછી તેને એલોપેથી દવાઓનો મુખવાસ આપીને જ કરવામાં આવે છે. જોકે આ કેન્દ્રોમાં દરરોજ કેટલા લોકો યોગ કરે છે તેનો આંકડો કદાચ સંયુક્ત રાષ્ટ્રની પરિષદ સુધી પહોચતો હશે!
સૂર્યનમસ્કાર કે મેડિટેશનથી શરૂઆત કરીને યોગના એક પછી એક અંગોને આવડત અને અનુકૂળતા મુજબ એક્સપ્લોર કરી શકાય છે. યોગના આઠ અંગોને વિસ્તાર પૂર્વક સમજવા માટે સ્વામી વિવેકાનંદનું પુસ્તક 'રાજયોગ' વાંચી શકો છો અથવા યુટ્યુબ પર ઓડિયોબુક સ્વરૂપે આખું પુસ્તક ફ્રીમાં ઉપલબ્ધ છે, સાંભળી શકો છો. 2000 સ્ટેપ્સ ચાલીને 200 કેલેરીની બળતરા ઉજવનારા લોકો યોગ દિવસની અનિવાર્યતાને સમજે એવી આશા રાખીએ.
સુપર ઓવર: એક ફિઝિયોથેરાપી ક્લિનિકની બહાર સિઝનલ બોર્ડ મારેલું હતું. "વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરેલા અંગ મરોડના કારણે થતા દુઃખાવાની સારવાર કરી આપશું."
Comments
Post a Comment