Skip to main content

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?


21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ. 


યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી.


વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી.


તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે.


યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠે આઠ અંગોને આત્મસાત કરવા એ કદાચ આજના યુગ માટે અતિશયોક્તિ કહી શકાય. પરતું કોઈ એક કે બે અંગોને સાતત્યતા પૂર્વક દરરોજ જીવનચર્યા સાથે સાંકળી લેવા એ પણ યોગ જ છે. યોગ ને પ્રચલિત કરવા માટે છેલ્લા દસકાથી જે યોગ દિવસ શરૂ થયો છે તે આના માટે જ છે. આ દિવસે યોગના આઠ અંગો પૈકી કોઈ એકને આપણી રોજબરોજની જિંદગી સાથે આંટી વાળીએ એ જ આ વિશ્વ યોગ દિવસનો ઉદ્દેશ છે.


પરતું અહીં આંટી પગથી લઈને પેટ સુધી મારીને ફોટોજિકી કરવામાં જ આપણે યોગદિવસ ઉજવી લઈએ છીએ. જે લોકોને થોડા ઘણાં અંગ મરોડ આવડે છે એ લોકો આમ તેમ વાંકાચૂંકા થઈને ફોટો પાડશે. આવા ફોટો સેશનના ચક્કરમાં ઘણીવાર આ અંગ મરોડના પ્રશ્નો યોગ દિવસની માસિક એનીવર્શરી સુધી પણ સળગતા રહે એવું બની શકે. કારણ કે આ તો વર્ષે એક વાર કરવાનું થતું હોય છે ને!


સૌથી હાસ્યાસ્પદ યોગદિવસ સરકારી કર્મચારીઓ મનાવે છે. બળજબરીપૂર્વક આદેશો કરીને માણસો ભેગા કરવામાં આવે છે અને પછી...? પછી કસરતના દાવની જેમ બે હાથ ઊંચા અને બે હાથ સામે એવા જીમ્નાસ્ટીકના દાવ કરીને બધા હોંશે હોંશે છૂટા પડે છે. વળી આવા જીમ્નાસ્ટીકના ફોટા નીચે યોગ દિવસની ઉજવણીના કેપ્શન મારીને ફરતા પણ કરે છે. ધૂળ પડી જીવતરમાં હે મનખા!


આયુષ્યમાન ભારત યોજના હેઠળ શરૂ કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ જ યોગ હતો. પરતું આ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસ સિવાય ક્યારેય લોકોને યોગ કરાવવામાં આવતો નથી. લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને રોગથી દૂર રાખવાનું આ કેન્દ્રોનું કાર્ય મોટાભાગે રોગ થયા પછી તેને એલોપેથી દવાઓનો મુખવાસ આપીને જ કરવામાં આવે છે. જોકે આ કેન્દ્રોમાં દરરોજ કેટલા લોકો યોગ કરે છે તેનો આંકડો કદાચ સંયુક્ત રાષ્ટ્રની પરિષદ સુધી પહોચતો હશે!


સૂર્યનમસ્કાર કે મેડિટેશનથી શરૂઆત કરીને યોગના એક પછી એક અંગોને આવડત અને અનુકૂળતા મુજબ એક્સપ્લોર કરી શકાય છે. યોગના આઠ અંગોને વિસ્તાર પૂર્વક સમજવા માટે સ્વામી વિવેકાનંદનું પુસ્તક 'રાજયોગ' વાંચી શકો છો અથવા યુટ્યુબ પર ઓડિયોબુક સ્વરૂપે આખું પુસ્તક ફ્રીમાં ઉપલબ્ધ છે, સાંભળી શકો છો. 2000 સ્ટેપ્સ ચાલીને 200 કેલેરીની બળતરા ઉજવનારા લોકો યોગ દિવસની અનિવાર્યતાને સમજે એવી આશા રાખીએ.


સુપર ઓવર: એક ફિઝિયોથેરાપી ક્લિનિકની બહાર સિઝનલ બોર્ડ મારેલું હતું. "વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરેલા અંગ મરોડના કારણે થતા દુઃખાવાની સારવાર કરી આપશું."


Comments

Popular posts from this blog

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...