Skip to main content

ફાર્માસિસ્ટ -અ ફરગોટન હીરો



“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...”
“પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી એટલી મેં આપી દીધી.”
“તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે”
આખરે કંટાળીને સરકારી દવાખાનાનો ફાર્માસિસ્ટ બે વધુ ગોળી કાપીને આપે છે એ દર્દીને અને લાઈનમાં તેના પછી ઉભેલો બીજો દર્દી- એ જ સંવાદ અને એજ માંગણી સાથે.

આ સંવાદ કોઈ કરીયાણા ની દુકાન નો હોય એવું લાગે પહેલા તો, પણ લગભગ બધાજ સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ (ઓહ સોરી, તમે ના ઓળખ્યા? પેલો દવાવાળો)ની હાલત આવી જ છે, આખા ભારતભરમાં. ક્યારેક ફાર્માસિસ્ટ શબ્દ સાંભળીને અજુગતું લાગે કે આ વ્યક્તિ નક્કી કોઈ ખેતીના બિઝનેશ સાથે સંકળાયેલો હશે, ખાસ કરીને અધુરો ઘડો માથા પર રાખીને ચાલતા કહેવાતા અંગ્રેજી વિવેચકોને આવું વધુ લાગશે. આમ પણ આપણા દેશમાં ફાર્માસિસ્ટના કાર્યને અને તેની કાબેલીયતને સમજનારા એટલા જ છે જેટલા અમાસની રાત્રે આકાશમાં ચંદ્રદર્શન કરનારા. લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારા બે જ ફાર્માસિસ્ટ છે, એક સરકારી દવાખાનાની દવાની બારીએ જોવા મળતા નાશપ્રાય: જીવો અને બીજા પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ખુબ જ ઓછા અને ભાગ્યે જ જોવા મળતા દુર્લભ જીવો. જેવી રીતે કેટલાક ડોકટરો ફક્ત ખીસ્સો ખાલી કરવામાં જ હોશિયાર હોય છે, તો આ જ ખિસ્સામાં ભાગ પડાવનારા મેડીકલ સ્ટોર હવે સ્વાસ્થ્ય જેવી ગંભીર બાબતોમાં પણ નૈતિક મુલ્યોને નેવે મુકીને લોકોને લુંટવામાં ભાગીદાર બની રહ્યા છે. મેડીકલ સ્ટોરનો આ ટ્રેન્ડ તેના વ્યવસાયિક વલણ ને કારણેજ સામે આવ્યો છે અને તેનું પરિણામ આજે એ આવ્યું છે કે મેડીકલ સ્ટોર માટે જવાબદાર ફાર્માસિસ્ટ, કે જેના ખભા ઉપર જ દવાની જવાબદારી હોય છે એ જ ગાયબ થઇ ગયો છે. મેડીકલ સ્ટોરમા આજે જવલ્લે જ ફાર્માસિસ્ટ જોવા મળે છે, બાકી તો ‘કે’ થી કેમેસ્ટ્રી નો સ્પેલીંગ શરુ કરનારા કેમિસ્ટ જ મળશે. આ કહેવાતા ‘કે’ ફોર કેમિસ્ટ લોકોએ જ આજે ક્વોલીફાઈડ અને રજીસ્ટ્રેશન ધરાવતા ફાર્માસિસ્ટની જરૂરીયાતને ઓલવી નાખીને તેને દુર્લભ બનાવી દીધા છે.

હજુ દવાના સંશોધન થી માંડીને દવાની બનાવટ અને ટેસ્ટીંગ કરતો વ્યક્તિ પોતાની જાતને ફાર્માસિસ્ટ માની શકે છે, પરંતુ એ જ દવાને લોકો સુધી પ્રત્યક્ષ રીતે પહોચાડતા વ્યક્તિની ઓળખ હવે ફક્ત દવા દેવાવાળા તરીકે જ સીમિત થઇ ગઈ છે. સરકારી દવાખાનામા ફાર્માસિસ્ટની હાલત માટે હવે આપણે કોને ગુનેગાર ઠેરવશું? આપણી હેલ્થ સીસ્ટમને; લોકોની મફત મનોવૃતીને; ગર્વનો ઘડો છલકાવી દે એવી ભારતની વસ્તીને કે ફાર્માસિસ્ટની પોતાની નિષ્ક્રિયતાને?

દેવોના વૈધ ધન્વન્તરીને કેટલાક લોકો પ્રથમ ડોક્ટર માને છે તો કેટલાક (ખરેખર તો બહુ ઓછા) ફાર્માસિસ્ટ માને છે. બંને સાચા છે. ધન્વન્તરી પોતે જ ઔષધિની શોધખોળ કરતા, તૈયાર કરતા અને નક્કી પણ પોતે જ કરતા કે ક્યારે કઈ ઔષધિનો ઉપયોગ કરવો. સમય જતા આજના આ  કાળમાં ધન્વન્તરીની એ જવાબદારીઓના બીજ  બે જુદી જુદી જમીનમાં રોપવામાં આવ્યા. એક બીજમાંથી અંકુર ફૂટ્યું અને સમય જતા એક મોટું વટવૃક્ષ બની ગયું. તો બીજા બીજમાંથી વૃક્ષ થવાને બદલે એક વેલનો જન્મ થયો, જેને વૃક્ષના સહારે જ ઉપર ચડવું શક્ય હતું. જોકે વેલના ફળ એટલા જ મીઠા હતા, જેટલા પેલા વૃક્ષના. કંઇક અંશે બંને ફળના ગુણ પણ લગભગ સરખા જ હતા. આ કરોડરજ્જુ વગરની વેલ એ જ ફાર્માસિસ્ટ.

થોડા સમય પહેલાજ એક ફાર્માસિસ્ટ વિશે સોશિઅલ મીડિયામાં સમાચાર વાંચેલા. સમાચાર કોઈ એક હિન્દી ન્યૂઝપેપરના જ હતા પણ સોશિઅલ મીડિયા પર સવાર થઈને મારા સુધી પહોંચ્યા હતા. કોઈ અંતરિયાળ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ્ટે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના પાડતા દર્દીએ ફાર્મસીસ્ટના હાથપગ તોડી નાખ્યા. ફાર્માસિસ્ટ તો તેના નિયમ મુજબ સાચો હતો કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન અપાય, પણ સામે પક્ષે દર્દી પોતે જ પોતાની દવા નક્કી કરીને ફાર્માસિસ્ટ પાસે માંગવા આવ્યો હતો. આખરે એ 'નિર્દોષ' દર્દીએ લાગણીમાં તણાઈને માંગણી મૂકી દીધી અને માંગણીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પછી શું થયું એ બધું વાંચવાની જરૂર નથી કારણકે એ ન્યૂઝપેપરમાં એ ફાર્માસિસ્ટ ભાઈનો પ્લાસ્ટરથી મઢેલો ફોટો જોઈને બધો અંદાજ આવી જશે.

આ વાંચીને આપણને થશે કે આમાં વળી નવું શું છે? ડોકટરોને પણ તાજેતરમાં આવીજ હિંસાઓ નો ભોગ બનવું પડ્યું છે અને છતાં 'પડ્યા પર પાટું મારે' તેમ કોર્ટે ડોકટરોને લપડાક લગાવી કે આવા બનાવોથી તમે હડતાળ પર ના ઉતરી શકો. તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો નથી પણ તમારો વ્યવસાય લોકોની જિંદગી અને માનવતા સાથે સંકળાયેલો છે.

ફરી આપણે આપણા ભુલાયેલા નાયક તરફ પાછા ફરીએ. કદાચ આપણો નાયક પણ આમાંજ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. કદાચ આપણા દેશની વ્યવસ્થા જ આ ફાર્માસિસ્ટ નામના ફોરેન બોડીને સ્વીકારવા તૈયાર ન હોય એમ તેને દેશની ઇમ્યુન સિસ્ટમ માંથી બહાર કાઢી નાખે છે અને એટલે જ આ સ્વાસ્થ્યનો સેનાની આજે ચીમડાયેલા ફૂલ જેવો થઈ ગયો છે. એવા તો કેટકેટલાય મુદ્દાઓ ને આપણે જવાબદાર ઠેરવી શકીયે પણ પહેલા કેટલાંક ઉડીને આંખે વળગે એવા મુદ્દાઓ જોઈએ.

1. ભારતની વસ્તી

ગર્વથી છાતી ફુલાઈ જાય એવી વસ્તી ધરાવતો આપનો ભારત દેશ. આ વિશાળ વસ્તીને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટેનું મેનેજમેન્ટ પણ હજુ ભારતની જેમ જ વિકાસશીલ છે અને વિકસિત થવાની રાહમાં છે. WHO ના 2016 ના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર એક લાખે 80 ડોકટરો છે અને 50 ફાર્માસિસ્ટ છે. હવે આ 80 ડૉક્ટરોમાં એલોપથી રજીસ્ટર્ડ ડોકટરોની સંખ્યા માત્ર 36 જ છે. બાકીના 44 ડૉક્ટરોમાં  'અડધી કેપસ્યુલ સવારે અને અડધી કેપસ્યુલ સાંજે' લખતા નોન એલોપેથી ડૉક્ટરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામેગામ જનધનને સ્વાસ્થ્ય દુવિધાઓ પુરી પાડતા નોનમેટ્રિક પાસ ડેક્ષાપેથી ડોકટરો તો ખરાં જ. હવે વાત કરીએ પેલા 50 ફાર્મસીસ્ટની તો આ 50 રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ માંથી કેટલાક ઇન્ડસ્ટ્રીયલ તો કેટલાક રિસર્ચ સાથે સંકળાયેલા છે. લોકોના સીધા સંપર્કમાં આવતા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ ની સંખ્યા ખૂબ જ ઓછી છે.

એ તો માનવું જ રહ્યું કે ભારતભરમાં સરકારી દવાખાના કરતા પ્રાઇવેટ દવાખાનાની સંખ્યા અને બોલબાલા વધુ છે. પણ હકીકતમાં ભારતની મોટાભાગની વસ્તી આ સરકારી દવાખાનાઓના સંપર્કમાં જ આવે છે અથવા બીજી રીતે કહીએ તો તેને સરકારી જ પરવડે એમ છે. અમેરિકાની ખોબા જેટલી (ભવ્ય ભારતની સાપેક્ષે) વસ્તીને સાચવવા પણ નિદાન કરતો ડોકટર અલગ અને દવા લખતો ફાર્માસિસ્ટ અલગ હોય છે તો તેની સામે આપણા દેશ માં એક હાથેથી વેકસીનની કોલ્ડ ચેઇન ને ખેંચતો અને બીજા હાથે દર્દીને દવા પુરી પડતો અને વધેલા હાથે સરકારને આંકડા પુરા પાડતા ફાર્માસિસ્ટ પાસે શુ અપેક્ષા રાખી શકાય? ધારોકે આ સરકારી દવાખાના નો ફાર્માસિસ્ટ બાંયો ચડાવીને દર્દીને દવાની આડઅસરો કે દવા લેવાની પદ્ધતિને વિગતવાર સમજાવી પણ દે તો એટલા સમયમાં લાંબી કતારમાં ઉભેલા પાછળના દર્દી ધીરજ ગુમાવીને પોતાની બાંયો ના ચડાવે તેની શું ખાતરી?

2. શિક્ષણ પ્રણાલી

ભવ્ય ભારતની ભવ્ય વસ્તીને ભવ્ય રોજગાર (હકીકતમાં તો બેરોજગાર) પૂરો પાડવા માટે આપણા ભવ્ય નેતાઓએ ભવ્ય સંખ્યામાં કોલેજોની રિબન કાપી નાખી અને આ ભવ્ય કોલેજોમાંથી બહાર નીકળતી ભવ્ય યુવાની આ જ કેરિયર માં આગળ પેટનો ખાડો પૂરવા માટે વલખાં મારે છે. ફાર્મસીની કોલેજોનો રાફળો પણ છેલ્લા અમુક વર્ષોમાં એવી રીતે ફાટ્યો કે કદાચ બધા જ યુવાનો પ્રવેશ મેળવી લે તો પણ જગ્યાઓ ખાલી પડે અને પછી એ ખાલી પડેલી જગ્યાની 'હરાજી' થાય એ તો નક્કી છે. ક્વોન્ટીટી ની ભીડમાં એટલે જ શિક્ષણની અને શિક્ષણ મેળવતા ફાર્માસિસ્ટ ની ક્વોલિટી સાથે ચેડાં શરૂ થયા. વાત કરીએ આ શિક્ષણ સંસ્થામાં ભણાવાતા અભ્યાસક્રમની તો એ અભ્યાસક્રમ જોયા પછી એમ જ લાગે કે દરેક વિદ્યાર્થી કોઈને કોઈ દવાનું સંશોધન તો જરૂર કરશે. પણ દવાના સંશોધન અને તેના ઔદ્યોગિકરણ ને સમજાવતો અભ્યાસક્રમ કોમ્યુનીટી માં ફાર્માસિસ્ટ ની ફરજો શીખવવામાં નિષ્ફળ રહ્યો છે. વળી, દવાના જન્મથી મરણ સુધીની બાયોગ્રાફી જાણતો ફાર્માસિસ્ટ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માં પણ કોઈક બીજી જ પ્રજાતિ ( કદાચ તમે ઓળખતા હશો)ના માણસો સાથે સીધો હરીફાઈ માં આવે છે. શું ખબર એ પ્રજાતિ ને પણ આવો જ કોઈ અભ્યાસક્રમ બીજું કોઈ લેબલ મારીને ભણાવી દેવાયો હશે. કદાચ એટલે જ ભારતની વિવિધતામાં એકતા જગ જાહેર છે.

ભૂલવા માટે પહેલા યાદ હોવું જરૂરી છે. પણ જો ભુલાયેલું યાદ ન આવતું હોય તો સમજી લેવું કે આ યાદ પહેલા જ આપણા માનસપટ પર ક્યારેય છાપ પાડી શકી નથી. આવું જ કંઈક આપણા નાયકનું છે. ભારતની વસ્તી અને શિક્ષણ પ્રણાલી ઉપરાંત જે મુદ્દા આજે ફાર્માસિસ્ટને આરોગ્ય સેનામાંથી નાત બહાર મુકવા માટે કારણભૂત છે એ છે:

3. ફાર્માસિસ્ટની ઉપેક્ષા
      
ભારતદેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર આ ફાર્માસિસ્ટ નામક નાયક ખરેખર પોતાની કામગીરીનો યશ લેવામાં ઉણો ઉતર્યો છે. આજે પોલિયો જેવો અસાધ્ય રોગ નાબૂદ થયો એમાં સરકારથી લઈને છેવાડાના આશા બહેનો અને હેલ્થવર્કરો સુધીના  આરોગ્યકર્મીઓની પીઠ થપથપાવામાં આવી. પણ આ પોલીયો રસીને બનાવટથી બાળકના મુખ સુધી લઇ જતા પહેલા ફિક્સ ડિપોઝીટ તરીકે સાચવી રાખનાર ફાર્માસિસ્ટ ને વ્યાજના નામે શૂન્ય મળ્યું. આરોગ્યકર્મી સિવાયના આ અભિયાનના સિપાહીઓ એવા શિક્ષકો પણ આ અભિયાનની સફળતાનો યશ લેવામાં ચુકતા નથી, પણ પેલો 'દો બુંદ' ને સાચવવા વાળો જ અદ્રશ્ય થઈ ગયો. 

ટીબી જેવી મહામારીમાં સફળતાપૂર્વક યોગ્ય કાઉન્સેલિંગ કરી જાણતો ફાર્માસિસ્ટ આજે ફક્ત આંકડાકીય વિગતો માટે જ મર્યાદિત થઈ ગયો છે. ફાર્માસિસ્ટ કદાચ આ વાત વર્ષોથી જાણતો હતો (તો કીધું કેમ નહીં?) કે ટીબીની એકાંતરે મળતી દવાની સારવાર કરતા ડેઇલી ફિક્સ ડોઝ સારવારની પોલિસિ દર્દીની સરળતા વધારી શકે અને ડ્રગ રજીસ્ટન્સ ના કિસ્સાઓ ઓછા કરી શકે છે. પણ આ વાત આપણી ભવ્ય ભારતની સરકારના કાને ત્યારે જ ગઈ જ્યારે સુપ્રીમ કોર્ટે તેનો કાન મરોડયો. આજે ભારતના અર્થતંત્ર નો એક નોંધપાત્ર ભાગ ફાર્માસ્યુટિકલ સેકટર પર આધારિત છે. પણ આ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કામ કરનારો જીવ ફાર્માસિસ્ટ કહેવાય અને તેની ક્વોલિફિકેશન શુ છે તેની બહુ ઓછાને ખબર છે!

4. ફાર્માસિસ્ટની નિષ્ક્રિયતા

આજે શુ ફાર્માસિસ્ટ પોતે એવુ માને છે કે પોતે એક નાયક છે કે હતો? પોતાની જાતને નાયક માનવું એ થોડું અતિશયોક્તિ ભર્યું લાગે પણ આ અતિશયોક્તિથી જ બે પગથિયાં નીચે ઉતારતાં સ્વમાનનો વિસ્તાર શરૂ થાય છે જેમાં  ફાર્માસિસ્ટ પોતે પણ પગ નથી મૂકી શક્યો. અભિમાન અને સ્વમાન વચ્ચે એક નાનકડી ભેદરેખા હોય છે. વળી બીજા પાસેથી તમે માનની અપેક્ષા પણ તો જ રાખી શકો જો તમારી પાસે તમારું પોતાનું સ્વમાન હોય. શુ ફાર્માસિસ્ટ પોતે એવું માને છે કે એ આરોગ્યવિભાગની એક મહત્વની કડી છે? જો ફાર્માસિસ્ટ આવું વિચારે તો તરત જ મનમાં હસી કાઢશે, અરે ભાઈ દવાખાનામાં હું નહીં તો ડોકટર છે નર્સ છે એ લોકો આવડત કેળવી લેશે અને દવા આપશે. મારી શુ જરૂર છે! હું તો બસ ઉપરવાળાએ 60-70 વર્ષનું પેકેજ આપ્યું છે એ પૂરું કરવા આવ્યો છું. ફાર્માસિસ્ટે ક્યારેય પોતાની જરૂરિયાત ઉભી થવા જ નથી દીધી, ઉલટાનું ફાર્મસીસ્ટના વિકલ્પો મળી રહે એવા ઘણાં મૂર્ખ પગલાંઓ ભરી બેઠો છે.
આજે કોઈ પણ સરકારી દવાખાનામાં જશો તો બિચારો ફાર્માસિસ્ટ એક બારીના ઝરૂખે નિસ્તેજ ચહેરે દેખાશે. હા, તમે બારી પરના બોર્ડને વાંચીને જરૂર ઓળખી શકશો કે આ ફાર્માસિસ્ટ છે પણ ભૂલથી જો તમે તેને કોઈ દવાનું 'પોસ્ટમોર્ટમ' કરવાનું કહેશો તો તરત જ અચકાઇ જશે. કારણ તેની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે અને આ બુઠ્ઠી ધારને કારણે જ તેના ચહેરા પરની તેજસ્વીતા ઓલવાઈ ગઈ છે. આજે કયો ફાર્માસિસ્ટ પોતાના પહેરવેશ પરથી અલગ પડે છે? કેટલા ફાર્માસિસ્ટ ડ્રગ ડીસ્પેનસિંગ વખતે પોતાની ઓળખ બતાવતો એપ્રોન પહેરે છે? ક્યા ફાર્માસિસ્ટની ભાષા અભિવ્યક્તિ કે કાઉન્સેલિંગ પાવર તમને દવા નિયમિત અને યોગ્ય પ્રમાણમાં લેવા પ્રેરે છે? લગભગ નહિવત. ચાર રસ્તા પર ઉભેલો ટ્રાફિક કંટ્રોલર પણ પોતાના ડ્રેસકોડ ના જોરે ધાક જમાવે છે, તો ફાર્માસિસ્ટ કેમ ડોકટર અને નર્સ સ્ટાફથી અલાયદો લાગીને પોતાની ઓળખ ગુમાવે છે?  કારણ ફાર્માસિસ્ટ આજે પોતે જ પોતાની જાતને ભૂલી ચુક્યો છે.  પોતે જ ભૂલી ગયો છે કે આ સિસ્ટમમાં તે નાયક હતો કે હજુ પણ બની શકે એમ છે. આજે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ફાર્મસીસ્ટ પોતાનાથી ઓછા ક્વોલિફાય લોકોની જીહુજુરી કરતો જોવા મળે છે તો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખાતો માર્કેટિંગ એક્સપર્ટ ફાર્માસિસ્ટ પણ જેવા તેવા ડોક્ટરોના અપમાનનો ભોગ બનીને ઝેરના પ્યાલા હસતા મોઢે ગળે ઉતારે છે. હરખ તો હવે બસ એ જ વાતનો છે કે આટઆટલા સંઘર્ષો છતાં ફાર્માસિસ્ટ નિષ્ક્રિય તો નિષ્ક્રિય પણ અસ્તિત્વ ધરાવે છે. આ નાયક ક્યારે પોતાની સુષુપ્ત શક્તિઓને ઓળખશે અને ક્યારે નાયક બનીને ગર્વભેર આગળ આવશે એ તો આવનારો સમય જ કહેશે.




Comments

Popular posts from this blog

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

કાન અને ખભા વચ્ચે દબાયેલા મોબાઈલ ફોનની આપવીતી

  ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?  સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!  આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ

દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.  ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.  કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે. 1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા! આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું ...

એક જિદ્દી છોકરી Wednesday

                              સિરીઝ : Wednesday     પાત્ર : Wednesday   એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday. સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો. જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard . એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે. આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ...