Skip to main content

મેનિપ્યુલેશન: તોડજોડનું સગવડીયું શાસ્ત્ર



હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી.


પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અસર થાય તેને જ શાસ્ત્રોમાં 'મેનિપ્યુલેશન' (Manipulation) કહ્યું છે.


મેનિપ્યુલેશન શબ્દનો જો ગુજરાતી અર્થ કરવા બેસીએ તો એ વધુ ગૂંચવણ ઉભી કરે છે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે તેના અર્થ બદલાતા રહે છે જેમ કે ચાલાકી, તોડજોડ, હેરફેર, છલ વગેરે વગેરે. ચાલાકી શબ્દ સારો લાગે તો સામે છલ શબ્દ છેતરામણો લાગે. ટૂંકમાં આપણા મનમાં મેનિપ્યુલેશન શબ્દ જ વધુ સ્થિર અર્થ ઉપસાવે છે એવું પહેલી વાર સાંભળતા લાગે. મેનિપ્યુલેશન એ લેટિન શબ્દ મેનિપ્યુલશ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ હેન્ડી અથવા તો આસાનીથી સમજી કે વાપરી શકાય એવો થતો. હવે આ શબ્દ જેટલો બોલવામાં વપરાય છે તેનાથી વધુ તેનો પ્રેક્ટિકલ વપરાશ અનેક ગણો વધ્યો છે. 


મેનિપ્યુલેશન મુખ્યત્વે બે રીતે વપરાય છે:

1.  સાયકોલોજીકલ મેનિપ્યુલેશન

    (Psychological Manipulation)

2. ડેટા મેનિપ્યુલેશન 

   (Data Manipulation)


બીજાના વિચારોને પ્રભાવિત કરીને તેની પાસેથી ધાર્યું કામ કરાવવું તેને સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કહેવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ ડેટા કે નંબર્સને ફેરવી તોડીને મનગમતા રિઝલ્ટમાં રૂપાંતર કરવાની કળા એટલે ડેટા મેનિપ્યુલેશન. એક રીતે જોઈએ તો ડેટા મેનિપ્યુલેશન દ્વારા પણ સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કરી શકાય છે. મોટેભાગે આવા ડેટા મેનિપ્યુલેશન વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરતા ફેક ન્યુઝ જેવા જ હોય છે જે તમારા મનમાં દ્રઢ રીતે બેસી જાય છે અને તમને સાયકોલોજીકલી મેનિપ્યુલેટ કરી નાખે છે. મોટા રમખાણો, આતંકવાદ, ઇલેક્શન કેમ્પઈન વગેરે સાયકોલોજીકલ મેનિપ્યુલેશનના ભવ્ય ઉદાહરણો છે.


મેનિપ્યુલેશન ખરા અર્થમાં લઈએ તો ફાયદાકારક પણ છે. વ્યસનમુક્તિ કેન્દ્રો પર કરવામાં આવતું કાઉન્સેલિંગ પણ વ્યસનીને મેનિપ્યુલેટ કરવાની જ એક કળા છે જે કોઈના ભલા માટે કરવામાં આવે છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવેલ મેનિપ્યુલેશન ક્યાં ઓછા છે! યુધિષ્ઠિર પાસે નરોવકુંજરોવા કહેવડાવીને દ્રોણાચાર્યનો વધ કરવામાં આવ્યો, સૂર્યાસ્તનો સ્વાંગ રચીને જયદ્રથને મારવામાં આવ્યો કે દુર્યોધનની જાંઘને નબળી રાખવા તેને વસ્ત્ર પહેરીને માતા ગાંધારી પાસે જવા કહેવામાં આવ્યું, આ બધું શ્રીકૃષ્ણનું મેનિપ્યુલેશન જ કહી શકાય. પરંતુ તેણે આ મેનિપ્યુલેશન પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પણ 'બહુજન હિતાય બહુજન સુખાય' માટે કરેલું. આજકાલનો માણસ પોતાના છલકપટને જો શ્રીકૃષ્ણની ચાલાકી વડે જસ્ટિફાય કરીને ઢાંકતો હોય તો એ તેની ભૂલ છે. કારણકે આજના કાળમાં મેનિપ્યુલેશન એ ફક્ત અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટેનું એક હથિયાર બનતું જાય છે.


કોરોના કાળમાં કેટલીયે નનામીઓ ખભા વગર જ સ્મશાને પહોંચીને સળગી એ સહુ કોઈ જાણે છે અને વિશ્વફલક પર આ નામશેષ થયેલ જીવનો આંકડો પણ ન ઉમેરાય એવું ડેટા મેનિપ્યુલેશન કોનું કલ્યાણ કરવા માટે? લોકોની હાલાકીના આંકડાઓ હોય કે સુખાકારીના આંકડાઓ હોય દરેક જગ્યાએ ઉતાર ચડાવ કરીને રજૂ કરવાની દાયકાઓથી ચાલી આવતી આ પદ્ધતિ કયાં જઈને અટકશે? આવા ડેટા મેનિપ્યુલેશન વડે આસાનીથી અભિભૂત થતા માનવીઓએ હવે ચાલાકીથી ગુડ મેનિપ્યુલેશન અને બેડ મેનિપ્યુલેશન વચ્ચેનો ભેદ સમજવો પડશે. 


સુપર ઓવર: સો કરોડ વેક્સિનેશનનો આંકડો પાર કર્યા બાદ એક સમારોહમાં નેતાજી અને ઉચ્ચ અધિકારીઓ આરોગ્યકર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી રહ્યા હતા. સન્માનપત્ર એનાયત કરતી વખતે સ્ટેજ પર હાજર સન્માનપત્ર લેનાર તથા સન્માનપત્ર આપનાર બન્નેના મોં પર સ્મિત પાછળ છુપાયેલું એક અનૈતિક લુચ્ચું હાસ્ય હતું. પ્રેક્ષકોને આ હાસ્ય પારખવા કરતા જોરજોરથી તાળીઓ પાડવામાં વધુ રસ હતો.

Comments

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...