Skip to main content

દર્દીનારાયણ સામે ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું?



ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ!


ઘણીવખત એવું બને છે કે ગાંભીર્ય અને અટ્ટહાસ્ય એ બંને અંતિમો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જવાય છે. આ ભૂલનું પરિણામ દર્દી કે તેના સગાના માનસપટ પર કેવું આવે એ જાણવું હોય તો તેની જગ્યાએ તેની મનોસ્થિતિ મુજબ અને તેના આઈકયુ લેવલ સાથે વિચારવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે. 


આઈસીયુ જેવા વિભાગમાં કામ કરતા સ્ટાફને આ બાબતો વધુ સારી રીતે લાગુ પડે છે. આઇસીયુ કે ઇમરજન્સી વિભાગમાં કામ કરતા કરતા જુદા જુદા દર્દીઓની માનસિકતા સાથે પણ કામ કરવું પડે છે. ઘણીવાર કિસ્સાઓ હાસ્યાસ્પદ પણ થતા હોય છે અને ઘણીવાર કિસ્સામાં ઉમેરાતી કરુણતા દર્દીને પણ ઢીલો પાડી શકે છે. આ બંને વચ્ચેની ફ્રિકવન્સી મેચ કરીને કાર્ય કરી શકે એ જ મહારથી. આવા ગંભીર વોર્ડમાં કામ કરતા મેડિકલ કે પેરામેડીકલ સ્ટાફ પોતાના મોબાઈલ સાથે કે બીજા સ્ટાફ સાથે મજાકમશ્કરી કરતા હોય ત્યારે પોતાની બીમારી સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો દર્દી પર શું વિતતું હશે? એનાથી ઉલટું ગંભીર દર્દીને સ્ટાફની ચહેરાની રેખાઓમાં ચિંતા વંચાતી હોય તો તેની હિંમતમાં પણ નાની તિરાડ પડવાની સંભાવના વધી જતી હોય છે.


આમ તો આ વાત દરેક પ્રોફેશનમાં એટલી જ મહત્વપૂર્ણ છે કે તમે જે સેવા આપો છો કે બિઝનેસ કરો છો તેમાં સામેની વ્યક્તિને સંતોષ થાય. પણ આ પ્રોફેશનમાં માત્ર સંતોષ પૂરતો નથી હોતો પણ સાથે સાથે જિંદગી સામે ઝઝૂમવાની હિંમત પણ જરૂરી હોય છે. ગંભીર દર્દીઓને ખુશ રાખવામાં કે હાસ્ય ઉપજાવે તેવા દર્દીઓના કિસ્સામાં હાસ્ય અને ગંભીરતા સાથે સ્ટાફ એ દર્દી અને તેના સગાવહાલાંનું આત્મસન્માન પણ જાળવે એ મહત્વનું હોય છે.  હોસ્પિટલમાં થતી મેડિકલ સ્ટાફ સામેની હિંસાઓના કિસ્સાઓમાં ક્યારેક આવી હિંસાનું કારણ બસ આ લાગણીઓ પરનો કાબૂ જ હોય છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં મેડિકલ સ્ટાફનું આત્મસન્માન ઘવાતું હોય છે પણ આંશિક કિસ્સાઓમાં દર્દીઓના આત્મસન્માન સાથે પણ ખીલવાડ થાય, ક્યારેક ભલે અપમાન ન થાય પણ પૂરતા સન્માન સાથે જવાબ દેવામાં પણ સ્ટાફ પાછો પડે કે દર્દીઓની સગવડ સાચવવામાં અક્ષમ તંત્રની નિષ્ફળતાનો ગુસ્સો દર્દીઓ પર નીકળે તો પણ હિંસા પરિણમે એવી શક્યતાઓ છે.


આવા સંવેદનશીલ વાતાવરણમાં પોતાના મગજને ફ્રિજમાં રાખીને કઈ રીતે કામ કરતા શીખવવું એ પણ એક કળા છે. આવી કળાઓ ક્યાંય સિલેબસમાં શીખવા નથી મળતી પણ જીવનમાં જોવા મળતા જુદા જુદા લોકોની માનસિકતાના અભ્યાસના આધારે પાકી થાય છે. અનુભવનું ભાથું બંધાય કે નૈતિકતાનો કક્કો ઘૂંટાય એટલું જ મહત્વનું નથી હોતું, ઘણીવાર પોતાના અને દર્દીના બન્નેના આત્મસન્માન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે ખરું ધર્મયુદ્ધ જામે છે. આ યુદ્ધમાં બન્ને પક્ષને પોતાનું સત્ય જ જગત સત્ય લાગતું હોય છે. આવા ધર્મયુદ્ધના કિસ્સામાં જ મેડિકલ સ્ટાફને પોતાની કળા બતાવવાની હોય છે. જેમાં આત્મસન્માન અને પરસન્માન બન્નેની વચ્ચેનું બેલન્સ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવાનું હોય છે.


સુપર ઓવર: ઓપરેશનના બીજા દિવસે એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દીએ ડોકટરને પૂછ્યું, "ગઈકાલે ચાલુ ઓપરેશને તમે જે લક્ઝુરિયસ પ્લોટ બુક કરવાની કંઈક વાત કરતા હતા તેનો ભાવ શું છે?"

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...