Saturday, November 17, 2018

ઠગ્સ ઓફ એન્ટિબાયોટિક્સ: સુપરબગ્સ



          વિસ્મયભાઈને સામાન્ય શરદી થવાથી દસ દિવસનો બેડ રેસ્ટ ડોકટર સજેસ્ટ કરે છે. કિનલબહેને એક વર્ષ પહેલા ગર્ભાશય નું ઓપરેશન કરાવ્યું પણ હજુ સુધી તે હોસ્પિટલના બીછાને છે. રિતેશદાદાને બે વર્ષથી ટીબીની દવા શરૂ છે પણ છતાં કંઈ ખાસ ફરક લાગતો નથી. વળી તેનો પૌત્ર નેવીલ પણ બે અઠવાડિયાથી ખાંસતો દેખાય છે. ડેનિશાદાદીને છ મહિના પહેલા આંગળીમાં નખનાં ભાગે કઈક વાગ્યું હતું પણ હજુ તેમાંથી રસી નીકળવાના શરૂ છે, હવે તો જોકે એ આંગળીના બે જ વેઢા બચ્યા છે !!!

          આ બધી વાતો ઇ.સ. 2040 માં જ સાંભળવા મળે તો નવાઈ નહીં.(દાદા દાદીના નામ પણ આવાં જ હશે!) એ સમય દૂર નથી જ્યારે અત્યારની યુવા પેઢી વૃદ્ધાવસ્થામાં ડગ ભરતી હશે અને આવનારી પેઢીની મહામારીઓ લાચાર થઈને જોઈ રહી હશે. અહીં દિલ્હીના 400 ઉપર પહોંચેલા એર ક્વોલીટી ઈન્ડેક્સની વાત નથી ચાલતી પણ ઝોમ્બીની જેમ આગળ વધી રહેલા 'સુપરબગ્સ'ની વાત છે.

          સુપરબગ્સ એટલે એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક દવાઓ કોઈ ખાસ અસર નથી કરી શકતી. આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ સામે રજીસ્ટન્સ કેળવીને સર્વશક્તિમાન બની ગયા હોય છે. બસ આવા સુપરબગ્સને પોતાની આગળની પેઢી વધારવા પછી તો ફક્ત એક અનુકૂળ વાતાવરણના બહાનાની જરૂર છે . ડોકટરના સંતાન ડોકટર ના પણ બની શકે પરંતુ સુપરબગ્સના ઈંડા ચીતરવા ના પડે, એ તો સુપરબગ્સ જ થવાના!! આ સુપરબગ્સ (એન્ટિબાયોટિક રજીસ્ટન્ટ બેક્ટેરિયા) તમારી નાની બીમારીને મોટી બનાવવા તનતોડ મહેનત કરે છે. આખરે તમારી બીમારી જ તમારા માટે તન, મન અને ધનતોડ બની જાય છે.

          એક ગોળી ખાઈને ચલતી કા નામ ગાડીમાં પુરપાટ વેગે જિંદગી જીવતા આપણે કદી વિચાર્યું નથી કે જ્યારે આ ગોળી કામ નહીં કરે ત્યારે આપણી ગાડીને બ્રેક લાગી જશે. એક સમયે ખેતરમાં જે પાણી ઉભો પાક પી લેતો એ જ પાણી પીનારા આપણે આજે ફિલ્ટરના પાણી પીવા છતાં થતી પથરી જેવા રોગમાં પણ બીજા સેકન્ડરી ઇન્ફેક્શન ભેળવીને બીમારીને કોમ્પ્લિકેટ કરી રહ્યા છીએ. આખરે એવી કઈ શક્તિ આ સુપરબગ્સ માં છે જે હોમો સેપિયન્સને ટક્કર આપી રહી છે? હકીકતમાં સામાન્ય બેકટરિયાને સુપરબગ્સ બનાવવામાં મોટો હાથ તો માનવજાતનો જ છે. જેવી રીતે આપણે આપણા બાળકોને વેકસીન રૂપે બેક્ટેરિયા કે વાઇરસના એન્ટીજન પુરા પાડીને તેના શરીરમાં એ બેક્ટેરિયા કે વાયરસ સામે લડવા એન્ટીબોડી ઉત્પન્ન કરીયે છીએ બસ એવી જ રીતે અપ્રમાણસર માત્રામાં મનફાવે તેમ લેવાતી એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયા માટે વેકસીનનું કામ કરે છે અને તેને સુપરબગ્સ બનાવી દે છે.

          સુપરબગ્સનો ફેલાવો કરવામાં આપણે કોઈ પ્રણાલી બાકી નથી રાખી. પ્રાણી અને પક્ષીઓમાં વધુ પડતા એન્ટિબાયોટિક્સના ઉપયોગથી ઉભા થતા રજીસ્ટન્ટ સુપરબગ્સ તેના દૂધ અને માંસ દ્વારા બીજી પ્રણાલીમાં પ્રવેશે છે. વળી હવા અને પાણી તો આ સરખામણીએ સામાન્ય વાહક ગણી શકાય.  આપણા ખોરાકમાં લેવાતા મામુલી માત્રાના પેસ્ટીસાઈડ્સ પણ એક પ્રકારના વનસ્પતિ માટેના એન્ટીમાઇક્રોબીઅલ કેમિકલ એજન્ટ્સ જ છે જે આડકતરી રીતે સુપરબગ્સની શક્તિમાં વધારો કરે છે. આપણી આજુબાજુ દરેક સિસ્ટમમાં આ દાનવ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે જેની સામે લડવાની આ છેલ્લી તક છે. જો આ સમય હાથમાંથી જતો રહ્યો તો કદાચ બહુ મોડું થઈ જશે.
          WHO દ્વારા આ વર્ષે 12નવેમ્બર થી 18નવેમ્બર સુધી ઉજવવામાં આવતું 'વર્લ્ડ એન્ટિબાયોટિક અવેરનેસ વીક' આ ઝુંબેશનો જ એક ભાગ છે, જેમાં લોકોને એન્ટિબાયોટિક રજીસ્ટન્સથી માહિતગાર કરવામાં આવે છે. જો મહાભારતના કે રામાયણના યુદ્ધની શરૂઆત જ બ્રહ્માસ્ત્રથી થઈ હોત તો? તો કદાચ એ દરેક યુદ્ધ એક જ દિવસમાં પુરું થઈ જાત પણ બ્રહ્માસ્ત્રનું મહત્વ ઘટી જાત. એવી જ રીતે જો ઇઝરાયેલ ગાઝાપટ્ટી પર દારૂગોળાની મિસાઈલને બદલે સીધો પરમાણુ બૉમ્બ જ ફેંકી દે તો? તો ઇઝરાયેલ પણ તેના માઠાં પરીણામો ભોગવે. સોયની જગ્યાએ તલવારથી કામ લેનાર હોમો સેપિયન્સ એટલી વિવેકબુદ્ધિ દાખવી શકશે? દાખવવી પડશે જ, નહિ તો બે દિવસની તાવ કે શરદી સહન ન કરી શકનારા આપણે એક મહિનો હોસ્પિટલની પથારી પર વિતાવવો પડે તો નવાઈ નહીં અને એ પણ તાજા-માજા-સાજા થવાની કોઈ પણ ગેરન્ટી વગર!!!

Monday, September 24, 2018

વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે સ્પેશિયલ : એક મુલાકાત હાર્દિક શિહોરા સાથે


          ઇ.સ.2009 થી ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા 25 સપ્ટેમ્બરને વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી લઈને દર વર્ષે ધીમે ધીમે આ દિવસની ઉજવણીમાં ઉત્સાહ વધી રહ્યો છે. સોશિઅલ મીડિયા થી લઈને વર્ચ્યુઅલ મીડિયા દ્વારા આ વર્ષે પણ 'ફાર્મસીસ્ટ: એક મેડિસિન એક્સપર્ટ' ની થીમ પર જોરશોરથી પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ફાર્મસીસ્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વપૂર્ણ પ્રયાસો થઈ રહયા છે, જો કે ભારતે હજુ આ પ્રયાસમાં માત્ર તલભારનો જ રસ દાખવ્યો છે. કારણ કે અહીં ફાર્મસીસ્ટ પોતે જાગૃત થવાની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે.

          આવા દિવસ નિમિત્તે એક મહાનુભાવ સાથે વાતચીત કરવાની તક મળી. અમદાવાદની ખ્યાતનામ એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી પોતાના જ્ઞાનનું રિચાર્જ કરાવીને બહાર આવેલા અને હાલ વર્ષોથી Intas Pharma જેવી દિગ્ગજ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઇન ક્વોલિટી અસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પોતાની આવડત અને જ્ઞાનનો અભિષેક કરી રહયા છે એવા શ્રી હાર્દિક શિહોરા સાથે ફાર્મસીસ્ટના મહત્વ વિશે થોડી વાતચીત કરીએ.

1. સૌથી પહેલા આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો, આપણો ફાર્મસીનો અભ્યાસક્રમ કેટલો સક્ષમ લાગે છે?
જવાબ: છેલ્લા 4 થી 5 વર્ષમાં મને લાગે છે થોડું ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું છે છતાં પણ તેમાં હજુ બદલાવને ઘણો અવકાશ છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીને ધ્યાને લઈને તેના ઇકિવપમેન્ટ અને તેના મોડ્યુલને લેબોરેટરીમાં નાના સ્કેલ પર સમજાવવાની જરૂર દેખાય છે. જો કે હવે ઘણી કોલેજમાં આ સુવિધામાં વધારો થયેલો દેખાય છે, જે સારી વાત છે. ખાસ કરીને અભ્યાસક્રમનો પહેલો હેતુ વિદ્યાર્થીને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે તૈયાર કરે એવો હોવો જોઈએ, બીજી બધી સ્કિલ તો સાઈડપ્રોડકટ તરીકે પાછળ પાછળ આવવાની જ છે. આ અંતર્ગત વિદ્યાર્થી માટે સેમિનાર, નાના મોટા પ્રોજેક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર હોવું જરૂરી છે.

2. ભારતમાં ફાર્મસીસ્ટનો રોલ ક્યાં નબળો પડતો દેખાય છે: રિસર્ચમાં, કોમ્યુનિટીમાં, ઇન્ડસ્ટ્રીમાં કે એજ્યુકેશનમાં?
જવાબ: મારા અંગત અભિપ્રાય મુજબ કોમ્યુનિટી અને એજ્યુકેશન હજુ ભારતને બેકફૂટ પર રાખે છે. એજ્યુકેશનની વાત તો હમણાં મેં આગળ કરી જ છે. કોમ્યુનિટીમાં આજકાલ આપણે ન્યૂઝપેપર વાંચીએ જ છીએ કે કેટલી જગ્યાએ રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ દવાઓ ડિસ્પેન્સ કરે છે અને કેટલી જગ્યાએ પ્રભુ ભરોસે ચાલે છે. આ મોર્ડન યુગમાં ઘણા લોકો ગૂગલ મેનિઆક બની ગયા છે જે સીધા જ નેટ પર સર્ચ કરીને મેડિકલ સ્ટોર પર Schedule H જેવી દવાઓની ખરીદી કરી રહયા છે અને કહેવાતા વેપારી (ફેક) ફાર્મસીસ્ટ ભરપૂર વેચાણ કરી રહ્યા છે જે દવાઓના રજીસ્ટન્સ અને ભયાનક ઇન્ટરેક્શન જેવી તકલીફો ઉભી કરે છે. આ માટે આપણા જે કાયદા અને ગાઈડલાઈન છે તેને સખત રીતે અમલમાં મૂકવા જોઈએ અને આ માટે મહત્તમ જાગૃતિ આવે તે માટે મારા ફાર્મસીસ્ટ મિત્રોને હું વિનંતી કરું છું.

3. આજ પ્રશ્નનો વિરુદ્ધ પ્રશ્ન પૂછવામાં આવે કે ફાર્મસીસ્ટનો રોલ ક્યાં મજબૂત થઈ રહ્યો છે તો...?
જવાબ: છેલ્લા 5 વર્ષના ગાળામાં મેં ફાર્મા ઇન્ડસ્ટ્રીને વધુ મેચ્યોર બનતા જોઈ છે. સ્ટ્રીકટ બનતી જતી ક્વોલિટી માટેની ગાઈડલાઇન્સ અને આધુનિક ટેકનોલોજી સાથે ચાલવા માટે ઇન્ડસ્ટ્રીએ ઘણા ફેરફાર કર્યા છે. ઉદાહરણ તરીકે Data Integrity. ઘણી મહત્વની ઓડિટ્સમાં Data Integrity ના પોઇન્ટ્સ આવતા હોવાથી ઇન્ડસ્ટ્રીએ ટ્રાન્સપરન્સી માટે સોફ્ટવેર વસાવ્યા છે અને Data Integrity અવેરનેસ વધારી છે.

4. થોડો અંગત સવાલ, તમે તમારા કે તમારા પરિવાર માટે જેનેરીક કે બ્રાન્ડેડ માંથી કઈ દવા પસંદ કરશો?
જવાબ: (હસતાં હસતાં) આપના બ્લોગ પર જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ? તથા ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી વાંચ્યું. એકદમ સચોટ અને ગળે ઉતરે તેવી તટસ્થ માહિતી લાગી. જેનેરીક અને બ્રાન્ડેડ દવાની પસંદગી ખરેખર પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઇ શકે. જેમ કે તમારી આર્થિક પરિસ્થિતિ, રોગ નો પ્રકાર, દર્દી માટે જે તે દવાનું પ્રાપ્ય યોગ્ય ફોર્મ્યુલેશન આ દરેક બાબતને ધ્યાને રાખવી જરૂરી છે. મારી અંગત વાત કરું તો ક્રિટિકલ કન્ડિશન અને સ્પેશિયલ ઇન્જરીના કેશમાં નોવેલ ડ્રગ સિસ્ટમ અને ફોર્મ્યુલેશનને હું વધુ મહત્વ આપીશ કે જે માત્ર બ્રાન્ડેડ મેડિસિન તરીકે જ ઉપલબ્ધ હશે. પણ જ્યારે રોજબરોજના સામાન્ય રોગો અને તેમાં પરંપરાગત સારવારની વાત આવે તો હું મારા પરિવાર તેમજ મારા માટે જેનેરીક દવા જ વાપરું છું અને વાપરતો રહીશ. હું આપના બ્લોગના માધ્યમથી જણાવવા માંગુ છું કે જેનેરીક દવા એ એક ઉત્તમ વિકલ્પ છે અને આજકાલ વધી રહેલા જેનેરીક દવાના સ્ટોરથી પણ હું ખાસો પ્રભાવિત થયો છું.

5. આપણે આગળ એજ્યુકેશન થી લઈને કોમ્યુનિટી સુધી ફાર્મસીસ્ટની વાત કરી, તેમાં માર્કેટિંગ ફિલ્ડને તમે ક્યા દ્રષ્ટિકોણથી જુઓ છો?
જવાબ: મારી દ્રષ્ટિએ માર્કેટીંગ એ બીજા ફિલ્ડની સાપેક્ષે નાનું પણ અગત્યનું છે. માર્કેટિંગમાં પણ ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે. આજના કટ થ્રોટ કોમ્પિટિશનના જમાનામાં આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ટાર્ગેટ અચિવમેન્ટમાં ક્યાંક પેશન્ટ સેફટી અને અફોર્ડબિલિટી ભૂલી રહયા છીએ. બેશક આપણે નોકરી માટે હાયર ઓથોરિટીના આદેશોનું પાલન કરવું જ પડે છે જેમાં હું કે તમે કોઈ આ પ્રોસેસમાંથી બાકાત નથી. પણ સાથે સાથે જ્યાં શક્ય હોય ત્યાં પેશન્ટ સેફટી અને ઇફેક્ટિવનેશ ઓફ મેડિસિનના એજન્ડા પર માર્કેટિંગ કરીએ તેવા પ્રયત્નો થવા જોઈએ.

6. ઇન્ડસ્ટ્રી અને કોમ્યુનિટીમાં કામ કરતા ફાર્મસીસ્ટ વચ્ચે શુ કોઈ કોમ્યુનિકેશન ગેપ જેવું લાગે છે?
જવાબ: હું માનું છું કે આ બંને વચ્ચે ખાસ કોઈ કોમ્યુનિકેશન ની જરૂર નથી. બંને ની કાર્યકુશળતા અલગ છે. પણ હા, ડોમેસ્ટિક માર્કેટમાં આવતી પ્રોડક્ટનો સાચો રીવ્યુ પેશન્ટ થી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવામાં કોમ્યુનિટી ફાર્મસીસ્ટનો રોલ ઘણો અગત્યનો છે. કોઈ પેશન્ટ જો કોઈ દવાની ફરિયાદ લઈને આવે તો તેની ફરિયાદોને  ગંભીરતાથી લઈને માર્કેટ કમ્પ્લેઇન તરીકે આગળ ઉપર ફોરવર્ડ કરવી જોઈએ. ક્યારેક પેશન્ટ પહેલા દવા ડિસ્પેન્સ કરતા ફાર્મસીસ્ટ પણ ફિઝિકલ અપિરિયન્સ પરથી દવાઓની ગુણવતા પારખી શકે છે. પણ ફક્ત પોતાએ જ જાણવું જરૂરી નથી. જો કોઈ દવાની ગુણવતા સાથે બાંધછોડ માલુમ પડે તો તેની જાણકારી ઉપર સુધી રવાના કરવાની જવાબદારી દવા ડિસ્પેન્સ કરતા ફાર્મસીસ્ટની આવી જાય છે, જેમાં તે ખાસ રસ લેતા નથી. તો આ મારા મતે એક કોમ્યુનિકેશન ગેપ કહી શકાય.

7. શું કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટને કોઈ પણ ફાર્મા ફિલ્ડના ફાર્મસીસ્ટ સાથે રિપ્લેશ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે?
જવાબ: હકીકતમાં આપણી એજ્યુકેશન સિસ્ટમ આપણને પુરેપુરા ફાર્મસીસ્ટ નથી બનાવી શકતી, પરંતુ જે તે ફાર્મા ફિલ્ડમાં અમુક વર્ષો સુધી પરસેવો રેડીને સાચા ફાર્મસીસ્ટ બનાય છે પછી તે ભલે નોનફાર્મા એજ્યુકેશન હોય કે કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએશન હોય. આથી સાચું જ્ઞાન મેદાનમાં ઉતર્યા પછી જ પ્રાપ્ત થાય છે. વળી, કોઈ પણ વ્યક્તિ ફાર્મા કમ્પનીમાં કામ કરે, બધા માટે ક્વોલિટી ગાઈડલાઈન તેમજ તે મુજબ પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક સમાન જ હોવાની. વળી એક કરતાં વધારે ચેકપોઇન્ટ ઉપર દવાની ક્વોલિટી પુરવાર કરવાની થતી હોવાથી કોઈને કોઈ ચેકપોઇન્ટ ઉપર ફાર્મસીસ્ટ ભૂલનો અવકાશ રહેવા દેશે નહીં એટલે લોકોના સ્વાસ્થ્ય પર કોઈ જ પ્રકારે અસર પડવાની નથી. નિશ્ચિંત રહો. પરંતું હા, પેશન્ટ સાથે સીધા સંપર્કમાં આવતા ફાર્મસીસ્ટની બાબતમાં આ ન ચલાવી શકાય. કારણ કે તે આ ચેઇનની અંતિમ કડી છે જેના પછી કોઈ સુપરવિઝન હોતું નથી માટે એ તો રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ જ હોવા જોઈએ. કારણકે અહીં થોડી ઘણી બાંધછોડ પણ લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

8. આજથી 10 વર્ષ પછી ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીને તમે ક્યાં જુઓ છો?
જવાબ: આજે ભારતમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી દવાઓની ક્વોલિટી તથા પ્રોડક્શન કવોન્ટીટી આ બન્નેમાં અત્યાર સુધીના ડેવલપમેન્ટના ટોચના સ્થાને છે. જોકે હજુ ઘણો અવકાશ છે અને આવતા 10 વર્ષોમાં ભારત ક્વોલિટી ફાર્મા પ્રોડક્ટ માટે વિશ્વભરમાં નામ કમાશે. આ ઉપરાંત સરકારની નીતિઓ પણ આ 10 વર્ષમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીનું માપ કાઢવા માટે મહત્વનો ભાગ ભજવશે. આવનારો સમય ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં નોવેલ ડ્રગ ડીલીવરી અને પેટન્ટના શિખરો સર કરશે એવું મારુ માનવું છે.

9. ડ્રગ ડિસ્પેન્સિંગ તથા પબ્લિક હેલ્થમાં કામ કરતા ફાર્મસીસ્ટ માટે તમે શું કહેશો?
જવાબ: ફાર્મા ફિલ્ડની ચેઇન પ્રોસેસમાં (રિસર્ચ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, ડિસ્પેન્સિંગ) સૌથી મહત્વનો અને ક્રિટિકલ રોલ ડ્રગ ડિસ્પેન્સરનો છે. કારણ કે તે પ્રોડક્ટના અંતિમ ચરણના સીધા સંપર્કમાં છે. દવાની યોગ્ય અને સાચી માહિતી પેશન્ટને પુરી પાડવા માટે ક્યારેય સમયનો લોભ કરવો નહીં. પોતાની પાસે રહેલી માહિતી પેશન્ટના ગળે ઉતારવી ખૂબ જ અગત્યની છે. જો પેશન્ટ દવાનો યોગ્ય ઉપયોગ નહીં કરે તો વર્ષોના રિસર્ચ અને ક્વોલિટી માટે કરેલા પ્રયત્નોનો કોઈ જ અર્થ રહેશે નહીં. ખાસ કરીને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દવાને ક્યારે અને કેટલી માત્રામાં લેવી તે લેબલ કરી આપવાની શરૂઆત કરવી જોઈએ. કોઈ એન્ટિબાયોટિક દવા કે અગત્યની દવાઓ પર ભાર મૂકીને તેના યોગ્ય સમયગાળા સુધી તેનો કોર્સ પૂરો કરવા સમજાવવું ખૂબ જ જરૂરી છે. આ નાની નાની લાગતી વાતો પર જ દવાના રિસર્ચ થી લઈને ઉપયોગ સુધીની સફળતાનો આધાર રહેલો છે.

10. વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે નું સેલિબ્રેશન કઈ રીતે થવું જોઈએ?
જવાબ: સોશિઅલ મીડિયાનો ભરપૂર ઉપયોગ, પોસ્ટર, રેલી, કેમ્પઇન, કોલેજોમાં સેમિનાર આવું બધું તો કરવું જ જોઈએ પણ સાથે આ દિવસે ફાર્મા જગતમાં થતી નવી હલચલ સાથે અપ ટૂ ડેટ રહેવા લોકોના સ્વાસ્થ્ય હિતાર્થે નિઃસ્વાર્થ ભાવે બધા અલગ અલગ ફિલ્ડના ફાર્મસીસ્ટ મિત્રોએ રૂબરૂ મળવું જોઈએ અને ચર્ચા-વિચારણા કરવી જોઈએ.

11. છેલ્લો અંગત સવાલ, ફાર્મા ફિલ્ડમાં કોઈ સારામાં સારો અનુભવ કહેશો?
જવાબ: (હસતાં હસતાં) એક ફાર્મસીસ્ટનું કોઈ બ્લોગ માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યું છે, તેને એક સારો અનુભવ જ કહી શકાય! બાય ધ વે જોક્સ અપાર્ટ. મારો આ કડવો અનુભવ પણ કહી શકો કે સારો પણ કહી શકો. થોડા સમય પહેલા મારી ક્વોલિટી પ્રત્યેની ચુસ્ત નીતિ અને ચલાવી ન લેવાની ભાવનાને કારણે કેટલાક લોકોને હું ખૂંચવા માંડ્યો અને મારો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરવાની ફરિયાદો થઈ. આખરે બોસની ઓફિસમાંથી આમંત્રણ આવી ગયું. મારી ટ્રાન્સફર પણ થઈ. પણ બોસનું એક વાક્ય મને તેની આ ફિલ્ડમાં મેચ્યોરિટીના દર્શન કરાવી ગયું. એ વાક્ય હતું "અકસર ઈમાનદાર લોગોકા તબાદલા હોતા રહતા હૈ". આખરે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ મને ફરીથી એ જ ડિપાર્ટમેન્ટમાં પ્રમોશન મળ્યું. આ પ્રમોશન એ પેલા લોકો માટે જબરદસ્ત જવાબ હતો.

          ...તો શ્રી હાર્દિક શિહોરા સાથેની મજેદાર વાતોમાંથી તમને કઈ વાત સૌથી વધુ ગમી ગઈ તેનો જરૂરથી પ્રતિભાવ આપશો તથા ઉપરના પ્રશ્નો સિવાય પણ કંઈ આપના મનમાં પ્રશ્નો મૂંઝવતા હોય તો નીચે કમેન્ટબોક્સમાં આપના વિચારોને રજૂ કરતા ખચકશો નહીં.

Sunday, July 22, 2018

મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર


          બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે.
          આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કોણ? બહુ સરળ જવાબ છે, આપણું બેજવાબદાર મીડિયા અને બેજવાબદાર લોકોથી છલકાતું સોશિઅલ મીડિયા. છેલ્લા 40 વર્ષોથી દુનિયામાં આ MR ની રસી વપરાઈ રહી છે. WHO ના લક્ષ્ય પ્રમાણે ભારત સિવાયના એશિયાના બીજા 10 દેશો ઓરી અને રુબેલા ને 2020 પહેલા નાબૂદ કરવા આ અભિયાનમાં જોડાયેલા છે. અરે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તો આ રસી રોજબરોજના રસીકરણમાં વાપરવાની શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતના આશરે 20 જેટલા રાજ્યોમાં પણ આ રસીકરણ અભિયાન થઇ ગયા બાદ તેને રોજબરોજના રસીકરણપત્રક માં સામેલ કરી દીધી છે. આ રાજ્યોમાં ક્યાંય કોઈ ગંભીર આડઅસરો જોવા મળી નથી. હા, કેટલીક સામાન્ય અસરો જોવા મળી શકે જેમકે એકાદ દિવસ તાવ આવવો, ઉલટી થવી, ઇન્જેક્શન આપ્યાની જગ્યાએ લાલાશ આવી જવી વગેરે. પરંતુ આ બધી સામાન્ય અસરો છે જે બીજા કોઈ પણ વેકસીનથી કે કોઈ દવા થી પણ આવી શકે છે. આ અસરોને આડઅસરો કહેવાને બદલે આપણે સાઈડ ઇફેક્ટ કહીએ તો વધુ સારું કેમકે આવી ક્ષણિક અવગણી શકાય તેવી અસરોની સામે મળતો ઓરી અને રુબેલા સામે લડવાનો આજીવન ફાયદો વધુ મહત્વનો છે. પણ આવું બધું આપણને કોણ સમજાવે? 
          બ્રેકીંગ ન્યુઝ માટે વલખાં મારતા આપણાં PhD પત્રકારો પોતાના મનનાં માનેલા સૂત્રો પાસેથી ખબર લઈને પહોંચી જાય છે કે MR રસીને કારણે આડઅસરો નો દોર ચાલુ થતા સરકાર સામે પ્રશ્નો ઉઠયા છે. અરે મારા માઈકવાળા ભાઈ ! આ રસી વર્ષોથી પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાઈ રહી છે તેની સામે કોઈ પ્રશ્ન ના ઉઠ્યો પણ જયારે વિનામૂલ્યે સરકારશ્રી તરફથી સામાન્ય લોકોની સ્વાસ્થ્યની કાળજી રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે તો શા માટે તમે તમારા હરખપદુડા સુત્રોને લઈને શોરબકોર કરો છો. તમે ગઈકાલે દહીં વડા ખાધા હતા તો તેનું પણ તમને રિએક્શન આવી શકે છે અને ક્યારેક પ્રદુષિત હવા શ્વાસમાં જશે તો તેનું પણ રિએક્શન આવી શકે છે તો શું તમે શ્વાસ લેવાનું પણ બંધ કરી દેશો? 
         
MR વેકસીન એ એક Live Attenuated વેકસીન છે એટલે કે તેમાં MR ના જ નિષ્ક્રિય કરેલા જીવંત વાયરસ છે જે નવી રોગપ્રતિકારક શક્તિ પેદા કરી શકે પણ રોગ પેદા ન કરી શકે. પરંતુ આપણને આ કોઈ તથ્યોમાં રસ નથી. આપણે તો આ વાયરસ શાકાહારી છે કે માંસાહારી, હિન્દુને અપાય કે મુસ્લિમને, નપુંસક બનાવે કે નહીં... આવી બધી પળોજણમાં અને તેને ફેલાવવામાં જ રસ છે.
          જમાલપુરાના કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના કોંગ્રેસના MLA ગ્યાસુદીન શેખ આ બંનેએ પોતાના વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવા લોકોને આ રસી અપાવવા ભલામણ કરી અને સમજાવ્યું કે આ રસીથી કોઈજ નપુંશકતા આવતી નથી. ધન્ય છે આ નેતાઓને જે આવા સમયે રાજકારણની દુશ્મનાવટ ભૂલીને અભિયાનની વહારે આવ્યા. જોકે આવું ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આ જ વર્ષના મે મહિનામાં લુધિયાનામાં થયેલા રસીકરણ અભિયાનમાં પણ MR રસીની આડઅસરો બતાવતો ફોટોશોપ કરેલો ફેક વીડિયો વાઇરલ થયો હતો જેને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા હતા. આપણી નબળી માનસિકતા જ એવી છે કે આપણે મોટા પીડિયાટ્રિક ડોકટરો, આરોગ્ય કર્મીઓ અને આ ઝુંબેશને વેગવાન બનાવતા અમિતાભ બચ્ચન અને બીજા લોકલ સેલિબ્રિટી જેવા મહાનુભાવોનું નહીં માનીએ પણ પાનના ગલ્લે બીડી ફૂંકતો નથ્થુ જો એમ કહે કે આ રસી જીવલેણ છે એટલે માની જશું અને કરી દેશું વાયરલ. વાહ રે આપણા બુદ્ધિજીવીઓ!
          ફાર્મસીસ્ટ દ્વારા રાતદિવસ એક કરીને આવડી મોટી વસ્તીને પૂરું પાડવા માટે મોટા પ્રમાણમાં આ
વેકસીનનું ઉત્પાદન કરવામાં આવે છે અને છેક અંતરિયાળ ગામડાઓ સુધી આ જ ફાર્મસીસ્ટ તે રસીની ગુણવત્તા જાળવણી ની મહામૂલી જવાબદારી સંભાળીને તમને ખાતરી આપે છે કે આપનું બાળક સુરક્ષિત છે. પણ અહીં કોઈ અમિતાભ બચ્ચનનું માનવા તૈયાર નથી તો ફાર્મસીસ્ટ નું તો શું માનવાના?
          ગુજરાતમાં NHMના મિશન ડાયરેકટર ડો.ગૌરવ દહીયાએ લોકોમાં જાગૃતિ લાવવા અને ખોટી ગેરસમજો ન ફેલાવવા ભલામણ કરી છે. આજે બાળકો અને વાલીઓ MR વેકસીનની આડઅસરનો નહીં પણ vaso vagal reflex નો ભોગ બની રહ્યા છે જેનું નિયંત્રણ આપણે જ કરવું પડશે. નહીં તો પાકિસ્તાનમાં પોલિયો રસી પીવડાવવા નીકળતા આરોગ્ય કર્મીઓ પર આતંકવાદીઓ દ્વારા થતા ગોળીબારમાં અને કંઈ જાણ્યા વગર જ ખોટા મેસેજ પાસ કરતા સોશિઅલ મીડિયાના આઈન્સ્ટાઈન મિત્રો, પેપર મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા માં કોઈ ખાસ ફરક રહેશે નહીં!!! પ્રભુને પ્રાર્થના કે ગુજરાતની શાણી પ્રજા થોડું શાણપણ વાપરે!

Saturday, May 26, 2018

જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?




          શોર્ટ ટેમ્પર લોકોના આ દેશમાં જ્યાં નાની અમથી ટ્વિટ કે કમેન્ટ થી મોટી મોટી રાજકીય હોનારતો સર્જાતી હોય ત્યાં લોકોનું માથું ના દુઃખે એવુ તો કેમ બને? એટલે લગભગ દરેક સામાન્ય માણસના ઘરમાંથી આપણી રાષ્ટ્રીય દવા પેરસીટામોલ ના નીકળે તો જ નવાઈ! પણ આ પેરસીટામોલ જુદા જુદા રંગવેશમાં જુદા જુદા લોકોના મનમાં ઘર કરીને બેઠી છે. જેમકે માથાના દુઃખાવામાં ડી'કોલ્ડ ટેબ્લેટ લેવા વાળાને જ્યારે સરકારી દવાખાનાની પેરસીટામોલ આપશો તો તરત જ મસ્જિદમાં ચાદરની જગ્યાએ માતાજીની ચુંદડી ભૂલથી ઓઢાડી દીધી હોય એવા ભાવથી ના પાડશે અને કદાચ એ દવા ખાઈ લેશે તો પણ એના માથામાં કંઈ ખાસ ફરક પડશે નહીં. અહીં ચુંદડી ઓઢાળો કે ચાદર એમાં ઈશ્વરને કશો ફરક પડવાનો નથી એવી જ રીતે પેરાસીટામોલ ને જેનેરીકમાં બેસાડીને મોકલો કે બ્રાન્ડેડ કારમાં બેસાડીને શરીરમાં મોકલો એમા કાઈ ફરક પડવાનો નથી. તો પછી અસરમાં ફરક ક્યાંથી આવ્યો?
          જેનેરીક દવા એ કોઈ બીજા ગ્રહનું એલિયન નથી પણ આપણી જ બ્રાન્ડેડ દવાનું પેટન્ટલેસ વર્ઝન છે એ આપણે પહેલાના આર્ટિકલમાં ઉડતું જોયું. (આર્ટિકલ લિંક માટે ક્લિક કરો ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી)પરંતુ એક જ API (active pharmaceutical ingredient) ની જુદી જુદી જેનેરીક તેમજ એ જ API ની બ્રાન્ડેડ દવાઓના પરિણામમાં થોડો ફરક જોવા મળે છે જેનું કારણ છે તેમાં રહેલા જુદા જુદા excipients (દવામાં રહેલા મુખ્ય દ્રવ્ય API ને શરીરમાં મનગમતા અને સગવડીયા રૂપરંગમાં તૈયાર કરી તેની સમયસર અસર માટે મદદરૂપ થતાં ૨સાયણો). કોઇ પણ ઉપલબ્ધ જેનેરીક દવાની નવી બ્રાન્ડ દવા તો જ બને જો એ હાલમાં ઉપલબ્ધ દવા કરતાં થોડી ચડીયાતી હોય, એટલે કે પેટન્ટ મેળવવા માટે આ દવાને નવા સ્વરૂપમાં રજુ કરીને તેનો ઉપલબ્ધ દવાની સરખામણીએ ફાયદો બતાવવો જરૂરી છે. બની શકે કે એકસરખાં જ API વાપરેલા હોવા છતાં તેમાં વાપરવામાં આવતાં અન્ય દ્રવ્યો (excipients) બ્રાન્ડેડ દવાને ચડીયાતી સાબિત કરતાં હોય. જેમ કે કદાચ જેનેરીક દવાઓ કરતાં અલગ excipients વાપરતી બ્રાન્ડેડ દવાઓનો ઓનસેટ એકશન ટાઈમ ઓછો હોય અને કદાચ 20 મીનીટ વહેલી અસર કરતી હોય. (આ 20 મીનીટ માટે જ કદાચ તેને 20 વર્ષની ઇજારાશાહી મળી હોય!) FDA પણ જેનેરીક દવા અને બ્રાન્ડેડ દવા વચ્ચેનો 20% થી 25% નો Bioequivalance ફેરફાર સ્વીકારે છે. (Bioequivalance પછી ક્યારેક....)
          પણ ફક્ત આ એક જ કારણ પૂરતું નથી હોતું દવાની અસર ના ફેરફાર માટે, આનાથી પણ મોટું એક પરિબળ છે જે ભાગ ભજવે છે. જેવી રીતે સંશોધન વખતે દવાની અસર ના યોગ્ય તારણ માટે પ્લેસીબો(જરૂરી API વગરની દવા) ટેસ્ટ કરવામાં આવે છે એ જ પ્લેસીબો દર્દીને સાજા કરવામાં પણ ક્યારેક ડોકટરને વાપરવો પડે છે. જેમકે સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનમાં આપવામાં આવતી વિટામિન્સની ગોળીઓ એ પોલીફાર્મસીનું પ્લેસીબો સ્વરૂપ છે એવું કહી શકાય. બસ આવી પ્લેસીબો માનસિકતા જ કોઈ એક બ્રાન્ડેડ દવાને અથવા જેનેરીક દવાને પકડીને બેસી જાય છે અને બીજી સ્વીકારતું નથી.  વળી બ્રાન્ડેડ દવાઓનું માર્કેટિંગ પણ મહદઅંશે (આમ તો બૃહદઅંશે) ભાગ ભજવી જાય છે.

         હવે ડોકટરની વાત કરીએ તો ડોકટર માટે સ્વાભાવિક છે કે દર્દીને સમયસર સાજું કરવું એ મોટી પ્રાથમિકતા બની જાય છે, ભલે ને ફક્ત 20 મિનિટ જ વહેલું સાજું થતું હોય. એટલા માટે બ્રાન્ડેડ દવાને વધુ પ્રાધાન્ય આપશે. મતલબ કે બધા ડોકટર એવા નથી હોતા કે જે ફક્ત કમિશન માટે જ બ્રાન્ડેડ દવાઓ લખતા હોય પણ સામે મળતા આઉટપુટ પર પણ તેનું ફોકસ રહેવાનુજ. વળી ધારોકે સરકારશ્રી ના આદેશ મુજબ સંપૂર્ણ જેનેરીક પ્રિસ્ક્રીપ્શન ડોકટર લખી નાખે તો પણ "ક્યા લીખતા હૈ વહી બીકતા હૈ?" નો પ્રશ્નાર્થ રહેવાનો જ. કેમ કે મેડિકલ સ્ટોર પર હાજર (ક્યારેક હોય પણ ખરો!) ફાર્મસીસ્ટ પાસે જો જેનેરીક સાથે એ જ દવાનો મોંઘો બ્રાન્ડેડ વિકલ્પ હશે તો દર્દીને એ પણ પધરાવી શકે છે, જેની દર્દીના શરીર પર કોઈ વિપરીત અસર નહીં થાય પણ હા પેલું દિલ પાસે રહેલું ખિસ્સું કદાચ તૂટી જાય. જોકે બધા ડોકટર જેમ કમિશનખોર નથી હોતા એવી જ રીતે બધા ફાર્મસીસ્ટ પણ આવા નથી હોવાના. ઉલ્ટાનો જો વિચાર કરીએ તો ખરેખર જેનેરીક દવાઓમાં મળતો નફો બ્રાન્ડેડ દવાઓ કરતા વધુ હોય છે. આમ જેનેરીક દવા દર્દી માટે સસ્તી, મેડિકલ સ્ટોર ના ફાર્મસીસ્ટ માટે વધુ નફાકારક અને એટલે જ સામે ફાર્માસ્યુટિકલ કંપની માટે પણ નફાકારક રહે છે. જોકે આ નફામાં પણ લાલચ જગાવીને અમુક કહેવાતી ફાર્મા કંપનીઓ નબળી ગુણવતાની જેનેરીક દવાઓ બનાવીને માર્કેટમાં મૂકે છે જેને કારણે આપણો સાચી જેનેરીક દવાઓ પરનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. ખાસ કરીને આવી જેનેરીક દવાઓએ જ સરકારી આરોગ્યતંત્ર ને બદનામ કર્યું છે. સરકારી દવાખાનાઓ માં આવતી જેનેરીક દવાઓની ગુણવત્તા ચકાસણીના રિપોર્ટ ક્યારેક તો દવા મોટા જનસમુદાય સુધી પહોંચી ગયા પછી આવે છે અને દર્દીના પેટ માં પડી ગયેલી દવાઓને સરકાર અપ્રમાણસર જાહેર કરે છે!
          આમ છતાં આજે વધતી મોંઘવારીમાં સારવારનું મોટાભાગનું ખર્ચ દવાઓ જ રોકી લે છે ત્યારે જેનેરીક દવા એ આજના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગને પરવળે એવો ઉત્તમ વિકલ્પ છે. છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં ખોલવામાં આવેલા જન ઔષધિ કેન્દ્રો ભારતીય અર્થતંત્ર અને આરોગ્ય માટે જીવાદોરી સાબિત થઈ શકે એમ છે. કમ સે કમ આપણે ત્યાં એક રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તો જોઈશું! હવે નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બ્રાન્ડેડ દવાઓ લઈને 20 મિનિટ વહેલું સાજું થવું છે કે ખિસ્સાનું આરોગ્ય પણ ધ્યાનમાં રાખીને આપણું આરોગ્ય સાચવવું છે? કોઈ એક વ્યક્તિ માટે પણ જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ પરિબળોનો વિચાર કરીને આ નિર્ણય જુદો જુદો હોઈ શકે.
(અહીં બ્રાન્ડેડ દવાઓ જેનેરીક દવા કરતા 20 મિનિટ વહેલી અસર આપે છે એ એક પ્રતીકાત્મક ઉદાહરણ માટે રજૂ કરાયું છે. આ સિવાય બીજા પણ કેટલાક ફાયદાઓ હોઈ શકે છે જે વ્યક્તિગત અલગ અલગ હો શકે.)


Monday, May 21, 2018

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી



          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.
          આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડીને જ બેસી જાય છે.


          જેનરીક દવા અને બ્રાન્ડેડ દવાઓનો સવાલ 'પેલા મરઘી કે પેલા ઈંડુ!?' એ સવાલ જેટલો જ જટિલ છે. આજની તારીખમાં જોવા મળતી દરેક જેનેરીક દવાઓ ક્યારેક બ્રાન્ડેડ તરીકે જ ઓળખાતી હતી. આ જેનેરીક દવા એ જ બ્રાન્ડેડ દવા છે જે વીસ વર્ષ પહેલાં પોતાની ભરજુવાની માં પેટન્ટ નો મેકઅપ કરીને કેટલાય ના દિલ પાસે રહેલા ખિસ્સા તોડી નાખ્યા હતા. હવે જ્યારે જુવાની પુરી થઈ અને પોતાના સૌંદર્યની હરીફાઈ વધી ગઈ એટલે ડાહી ડમરી થઈને લોકોના ખિસ્સામાં સમાવા સામેથી તૈયાર થઈ ગઈ. તો પછી ભરજુવાનીમાં આ દવાઓ કેમ મોંઘી હતી?
          નવી નવી દવાઓના સંશોધન પાછળ આજે અબજો રૂપિયા ખર્ચાઈ રહયા છે અને આ અબજો રૂપિયાના પરિણામને અંતે સફળતા મળશે જ એની કોઈ ગેરેન્ટી હોતી નથી. જ્યારે આ દવાઓના સંશોધનકર્તા (મોટા ભાગે ફાર્મસીસ્ટ) સફળતાનો સ્વાદ ચાખે છે ત્યારે સૌથી પહેલાં  માનવહીતાર્થે કરેલા ખર્ચને પહોંચી વળવું જરૂરી બની રહે છે. આ ખર્ચ વસુલવા પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે જે સામાન્ય રીતે વીસ વર્ષ સુધીની હોય છે. આ પેટેન્ટ જે-તે સંશોધનકર્તા કંપનીને વીસ વર્ષનો ઈજારો આપે છે, પોતાની કિંમત વસુલવા માટે. આથી આ નવી આવેલી દવા આપણા ખીસ્સાને ના છૂટકે રડાવી જાય છે. અહીં જરૂરી નથી કે દવા જ નવી શોધાયેલી હોવી જોઇએ. એ દવાની બનાવટમાં કે તેની પધ્ધતિમાં કરાયેલો નજીવો (આપણા માટે) ફેરફાર પણ પેટન્ટના હક હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે મોંધીદાટ કિંમતો વસુલતી ફાર્મા કંપનીઓ આપણને લુંટી રહી છે એવું કહેવાને બદલે પોતાના હકનો મનોવાંછીત નફો વસુલી રહી છે એમ કહી શકાય. આ નફો વસુલવા માટે ફાર્મા કંપનીનું પહેલું અમોઘ બ્રહ્માસ્ત્ર છે ડોક્ટરો !
          આજે સરકારે જ્યારે ડોક્ટરોને જેનેરીક દવાઓ લખવા આગ્રહ કર્યો છે ત્યારે કમિશન મેળવતાં ડોક્ટરો કરતાં ફાર્મા કંપનીઓ ને વધુ ધકકો લાગી રહ્યો છે. દુનિયાની 20 % જેનેરીક દવાઓનું ઉત્પાદન કરતા ભારત દેશમાં જ મોટા ભાગની જેનેરીક દવાઓ નિકાસ પામે છે અને આપણા માટે મોંધીદાટ બ્રાન્ડનો રાફળો ખુલ્લો મુકી દેવામાં આવે છે. આપણે ગળથુથી થી જ બ્રાન્ડેડ દવાઓ થી ટેવાયેલા છીએ અને ઘણી ગેરમાન્યતાઓ નું ઘર ભરીને બેઠા છીએ. જેમ કે જેનેરીક દવાઓની અસરકારકતા બ્રાન્ડેડ દવાઓ જેટલી નથી હોતી, સસ્તું હોય એ હંમેશા સારું નથી હોતું, ડોકટર હંમેશા પોતાના કમિશન નો વિચાર કરીને જ દવા લખે છે, મેડિકલ સ્ટોરને જેનેરીક વેચવામાં રસ નથી... વગેરે વગેરે.
          જો જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવા સમાન જ હોય તો પરિણામ માં ફરક શા માટે જોવા મળે છે!? શા માટે ડોકટર બ્રાન્ડેડ ને વધુ મહત્વ આપે છે? મેડિકલ સ્ટોર અને ફાર્મા કંપનીઓ ને નફો જેનેરીક રળી આપે છે કે બ્રાન્ડેડ? આવાં કેટલાય સવાલો બધાના મન માં ઘૂમે છે જેના ઉપર નિષ્પક્ષ ચર્ચા કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. હવે પછીના લેખમાં આ સવાલોનો કોઈ પર આરોપ પ્રત્યારોપ કર્યા વગર જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીશું. જેની ડાયરેકટ લિંક અહીં ઉપલબ્ધ છે. 👉 જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?

(માહિતી સંકલન માટે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ અંકિત કરકર-સુરત અને ભરત વઢવાણા- ચોરવાડ નો આભાર)

Monday, May 7, 2018

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ



આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે.

આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે.

1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર
દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દુકાને પણ દવાઓ મળી રહે છે તો વળી કેટલાક કહેવાતા મેડિકલ સ્ટોર પણ નાનું મોટું કરિયાણુ રાખતા થઈ ગયા છે!

2. ભણતરની જરૂર નથી
બે દિવસ પહેલા નજીકના એક વડીલ પાસેથી જાણવા મળ્યું કે તેણે પોતાના છોકરાને દસમા ધોરણ ના વેકેશનનો સદઉપયોગ કરવા માટે એક મેડિકલ સ્ટોરમાં શીખવા માટે મોકલવાનું શરૂ કર્યું છે. વડીલના દુરંદેશી આયોજન પ્રમાણે તેણે જણાવ્યું કે કદાચ દસમા ધોરણમાં સારા ટકા ન આવે તો મેડિકલ સ્ટોર ખોલવા થાય ને!!! આવા વડીલો આપણી આજુબાજુ ડગલેને પગલે જોવા મળશે જે માને છે કે દવા વેચવા માટે ફક્ત અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ.
આનાથી વિશેષ કંઈ જરૂર હોતી નથી. વળી કેટલાક ભણેલાગણેલા મહારથીઓ મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ એવી રીતે માંગે છે જાણે પોતે દવાઓ પર પીએચડી કરેલું હોય. આવા ડૉક્ટરેટ મહાનુભાવો રેન્ટેક (Rantac) ને બદલે રાનીટીડીન (Ranitidine) પણ સ્વીકારતા નથી અને મેડિકલ સ્ટોર (દુકાન) બદલી નાખે છે. આવા લોકો એ વાતથી તદ્દન અજાણ હોય છે કે ફાર્મસીસ્ટ પણ એવા જ વિષયોમાં કટીસ્નાન કરીને આવ્યો છે જેમાં ડોકટર ડૂબકી લગાવતા હોય છે.

3. માત્ર દવા ગણી આપે છે
ફાર્મસીસ્ટ તો માત્ર પ્રિસ્ક્રીપ્શન માં લખેલી ટેબ્લેટની સંખ્યા ગણે છે બાકી દવાની સાચી સમજણ તો 'દાગતર' ને જ હોય એવી ગેરસમજ ધરાવતા ભાઈઓ બહેનો પણ દેશમાં વસે છે. આ લોકોના મતે માત્ર દવા મેળવવી જ મહત્વની હોય છે, તે દવાનો શરીરમાં પ્રવેશ કેમ ક્યારે અને કેવી રીતે કરાવવો એ તો પોતે જ નક્કી કરે છે અથવા તો દવા લઈને 'દાગતર' પાસે જશે તો જ આવા દોઢ ડાહ્યાને વાત ગળે ઉતરશે.

4. સરકારી દવાખાના માં કમ્પાઉન્ડર હોય છે.
સરકારી દવાખાનામાં તો ફાર્મસીસ્ટ ની સ્થિતિ વધુ દયનિય છે. જેવી રીતે બાહુબલી 1 ની અભિનેત્રી નો રોલ બાહુબલી 2 માં જેટલો અવગણીને ઓછો કરવામાં આવે છે એવી જ રીતે ફાર્મસીસ્ટ ડોકટર અને બીજા પેરામેડીકલ સ્ટાફ વચ્ચે એટલો દબાઈ જાય છે કે દર્દી માટે તેનો રોલ ખૂબ જ નાનો કરી દેવામાં આવે છે. આથી દર્દીને ફાર્મસીસ્ટનું ખાસુ એક્સપોઝર મળતું નથી. એટલે દર્દી માટે ફાર્મસીસ્ટ એ કમ્પાઉન્ડર જેવો જ ગણાય છે, કહો કે ગણે જ છે. કમ્પાઉન્ડર તરીકે ગણાતા દવાખાનાના આ સેકન્ડ હાઈએસ્ટ ક્વોલિફાઇડ પેરામેડીકલ ફાર્મસીસ્ટ એક નાનકડી બારીએ સંકોચાઈને રહી જાય છે.

5. મારા રોગ વિશે કંઈ જાણતો નથી.
દવા લેતી વખતે દર્દી એવું જ સમજે છે કે દવા ગણવા વાળા આ ભલા માણસને શું ખબર કે મને શું વીતી રહ્યું છે? મારુ દર્દ તો ડોકટર જ જાણે. આવા દયાળુ દિલના ભોળા લોકો એ નથી જાણતા હોતા કે જેવી રીતે ડોકટર રોગના નિદાન પરથી દવા નક્કી કરે છે એવી જ રીતે લખેલી દવા પરથી ફાર્મસીસ્ટ પણ એ નિદાનનું ખૂબ સારી રીતે અનુમાન કરી શકે છે. ફાર્મસીસ્ટ પણ એ જ હોમો સેપિયન્સ ની એનાટોમી અને ફિઝિયોલોજી ભણીને આવ્યા છે જેની ડોકટરોને ભણાવામાં આવી છે. 

આવી ગેરમાન્યતાઓને લીધે જ આજે ફાર્મસીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયો છે, જે ફરીથી હાંસિયાની બહાર આવવા મથે છે. લોકોની સમજણ શક્તિમાં પોતાનું કર્તવ્ય અને આવડત બેસાડવી એ રાતોરાત થઈ જાય એવી નાનીસૂની વાત નથી. પણ જવાબદારી લોકોની નહીં પણ ફાર્મસીસ્ટની છે કે પોતાની છબીનું નવેસરથી લેમીનેશન કરાવે.

Wednesday, April 25, 2018

પ્રિસ્ક્રીપ્શનનું ભૂલદર્શનશાસ્ત્ર

           પ્રમોદભાઈને પેટમાં દુખાવો થતો હતો એટલે ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન(prescription) લખાવી મેડિકલ સ્ટોરેથી દવા લીધી, પીધી અને સારું થઈ ગયું. દસ બાર મહિના પછી ફરીથી પેટમાં થોડી ગડબડ જેવું લાગ્યું એટલે આપણા સંગ્રહખોર પ્રમોદભાઈએ મોહેંજો દારો ના અવશેષ જેવું પેલું જૂનું પ્રિસ્ક્રીપ્શન શોધી કાઢ્યું અને લગાવી દોટ મેડિકલ સ્ટોર તરફ. મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ(Pharmacist) જેવા દેખાતા (☺️) એક ભલા માણસે તરત જ હોંશે હોંશે એ દવા કાઢી આપી. પ્રમોદભાઈએ ફરીથી દવા લીધી, પીધી પણ સારું ન થયું. પણ આ તો પ્રમોદભાઈ , હાર તો ના જ માને, પહોંચી ગયા પડોશી ઉધારમલ પાસે. ઉધારમલ ને પણ પહેલા કાંઈક પેટના દુખાવામાં અમુક દવા લીધી હતી એનાથી એ ભાઈ ને સારું થઈ ગયું હતું. એટલે આ સક્સેસ સ્ટોરીને ધ્યાને લેતા પ્રમોદભાઈએ ઉધારમલ પાસેથી તેની દવા ઉધાર લીધી, પીધી પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. છેલ્લી જાણકારી મુજબ પ્રમોદભાઈ હોસ્પિટલમાં દસ દિવસથી એડમિટ છે.
          આવા કેટલાય પ્રમાદિ પ્રમોદભાઈ વગર વિચાર્યે કેમિકલના ઝાડ પેટમાં વાવે છે અને પાછળથી પસ્તાય છે. તો સામે એવા ઉધારમલનો પણ તોટો ના મળે. ડોકટરે એક વખત લખી આપેલું પ્રિસ્ક્રીપ્શન એક જ વખતના અમલિકરણ માટે છે જ્યાં સુધી ડોકટર તેની આગળ પરવાનગી ના આપે. અમુક ગાંઠે બાંધેલા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં આ પ્રિસ્ક્રીપ્શન વેલીડ છે પણ કોઈપણ પ્રિસ્ક્રીપ્શન છ મહિનાથી વધુ વેલીડ તો ના જ ગણી શકાય. છ મહિને આ કાયમી દર્દીઓએ પણ ડોકટરના દર્શન કરવા હિતાવહ જ છે. પણ આ તો થઈ બધી શાસ્ત્રોક્ત વાતો, આપણે તો શાસ્ત્રોથી પર ખરા ને!
          પ્રિસ્ક્રીપ્શન પર લખેલી તારીખ ને વાંચવાની જવાબદારી ફાર્મસીસ્ટ ની પણ એટલી જ છે જેટલી લખવાની ડોકટરની. પણ આ હોંશે હોંશે દવા આપતો ભલો માણસ કદાચ ફાર્મસીસ્ટ જ ના હોય તો? તો પછી આ વાત એને તો ક્યાંથી લાગુ પડી શકે. ભારતમાં મેડિકલ સ્ટોર પર જોવા મળતા દિગ્ગજ મોટે ભાગે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ ના હોય એવું સામાન્ય છે. આમ પણ ગામના ચોરે એલોપેથી દવા લખતો ડોકટર પણ મુન્નાભાઈ જ નીકળે તો નવાઈ નહિ!
          જ્યારે આપણે કોઈ સિસ્ટમ કે પ્રણાલિકા તરફ આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની જે ચાર આંગળી આપણા તરફ આવે છે એ જ દર્શાવે છે કે આંગણું તો ઘરનું જ પહેલા સાફ કરવું પડશે, બહાર ઝાડું સાથે ફોટોશૂટ પછી ક્યારેક કરી લઈશુ. પહેલી નજરે જેમ પ્રમોદભાઈ વાંકે ચડે તો પ્રમોદભાઈની નજરે પેલો ફાર્મસીસ્ટ વાંકે ચડે કે તારીખ વેલીડ ના હોવા છતાં દવા કેમ આપી? તો સામે ફાર્મસીસ્ટ (જો ઓરીજીનલ હશે તો) પણ ડોકટરના પ્રિસ્ક્રીપ્શનમાં બે પાંચ ભૂલો બતાવીને પોતાની તરફ ચીંધાયેલી આંગળીની દિશા બદલશે. પરિણામ ગણિતના નિયમ મુજબ વત્તે ઓછે ઓછા થઈને શૂન્ય થઈ જશે.
          માત્ર ડોકટર કે ફાર્મસીસ્ટ જ નહીં પણ જ્યારે આરોગ્યના જવાબદાર તમામ કર્મીઓ આ મુહિમને નહિ અપનાવે ત્યાં સુધી લોકોને સમજાવીને જાગૃત કરવાનો નુસખો કારગત નીવડે એમ નથી. એક નાની ભૂલને મોટી ભૂલમાં પરિવર્તીત થતી રોકવી હશે તો સિસ્ટમના દરેક પાસામાં નવી અપડેટ જરૂરી છે નહીં તો સિસ્ટમને હેંગ થતા બહુ વાર લાગે એમ નથી.

આપના પગરવ

Search This Blog

Powered by Blogger.

Sandip Herma

My photo
ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત...

Contact Form

Name

Email *

Message *

Followers