ઇ.સ.2009 થી ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા 25 સપ્ટેમ્બરને વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી લઈને દર વર્ષે ધીમે ધીમે આ દિવસની ઉજવણીમાં ઉત્સાહ વધી રહ્યો છે. સોશિઅલ મીડિયા થી લઈને વર્ચ્યુઅલ મીડિયા દ્વારા આ વર્ષે પણ 'ફાર્મસીસ્ટ: એક મેડિસિન એક્સપર્ટ' ની થીમ પર જોરશોરથી પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ફાર્મસીસ્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વપૂર્ણ પ્રયાસો થઈ રહયા છે, જો કે ભારતે હજુ આ પ્રયાસમાં માત્ર તલભારનો જ રસ દાખવ્યો છે. કારણ કે અહીં ફાર્મસીસ્ટ પોતે જાગૃત થવાની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે.
આવા દિવસ નિમિત્તે એક મહાનુભાવ સાથે વાતચીત કરવાની તક મળી. અમદાવાદની ખ્યાતનામ એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી પોતાના જ્ઞાનનું રિચાર્જ કરાવીને બહાર આવેલા અને હાલ વર્ષોથી Intas Pharma જેવી દિગ્ગજ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઇન ક્વોલિટી અસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પોતાની આવડત અને જ્ઞાનનો અભિષેક કરી રહયા છે એવા શ્રી હાર્દિક શિહોરા સાથે ફાર્મસીસ્ટના મહત્વ વિશે થોડી વાતચીત કરીએ.
1. સૌથી પહેલા આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો, આપણો ફાર્મસીનો અભ્યાસક્રમ કેટલો સક્ષમ લાગે છે?
જવાબ: છેલ્લા 4 થી 5 વર્ષમાં મને લાગે છે થોડું ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું છે છતાં પણ તેમાં હજુ બદલાવને ઘણો અવકાશ છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીને ધ્યાને લઈને તેના ઇકિવપમેન્ટ અને તેના મોડ્યુલને લેબોરેટરીમાં નાના સ્કેલ પર સમજાવવાની જરૂર દેખાય છે. જો કે હવે ઘણી કોલેજમાં આ સુવિધામાં વધારો થયેલો દેખાય છે, જે સારી વાત છે. ખાસ કરીને અભ્યાસક્રમનો પહેલો હેતુ વિદ્યાર્થીને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે તૈયાર કરે એવો હોવો જોઈએ, બીજી બધી સ્કિલ તો સાઈડપ્રોડકટ તરીકે પાછળ પાછળ આવવાની જ છે. આ અંતર્ગત વિદ્યાર્થી માટે સેમિનાર, નાના મોટા પ્રોજેક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર હોવું જરૂરી છે.
2. ભારતમાં ફાર્મસીસ્ટનો રોલ ક્યાં નબળો પડતો દેખાય છે: રિસર્ચમાં, કોમ્યુનિટીમાં, ઇન્ડસ્ટ્રીમાં કે એજ્યુકેશનમાં?
જવાબ: મારા અંગત અભિપ્રાય મુજબ કોમ્યુનિટી અને એજ્યુકેશન હજુ ભારતને બેકફૂટ પર રાખે છે. એજ્યુકેશનની વાત તો હમણાં મેં આગળ કરી જ છે. કોમ્યુનિટીમાં આજકાલ આપણે ન્યૂઝપેપર વાંચીએ જ છીએ કે કેટલી જગ્યાએ રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ દવાઓ ડિસ્પેન્સ કરે છે અને કેટલી જગ્યાએ પ્રભુ ભરોસે ચાલે છે. આ મોર્ડન યુગમાં ઘણા લોકો ગૂગલ મેનિઆક બની ગયા છે જે સીધા જ નેટ પર સર્ચ કરીને મેડિકલ સ્ટોર પર Schedule H જેવી દવાઓની ખરીદી કરી રહયા છે અને કહેવાતા વેપારી (ફેક) ફાર્મસીસ્ટ ભરપૂર વેચાણ કરી રહ્યા છે જે દવાઓના રજીસ્ટન્સ અને ભયાનક ઇન્ટરેક્શન જેવી તકલીફો ઉભી કરે છે. આ માટે આપણા જે કાયદા અને ગાઈડલાઈન છે તેને સખત રીતે અમલમાં મૂકવા જોઈએ અને આ માટે મહત્તમ જાગૃતિ આવે તે માટે મારા ફાર્મસીસ્ટ મિત્રોને હું વિનંતી કરું છું.
3. આજ પ્રશ્નનો વિરુદ્ધ પ્રશ્ન પૂછવામાં આવે કે ફાર્મસીસ્ટનો રોલ ક્યાં મજબૂત થઈ રહ્યો છે તો...?
જવાબ: છેલ્લા 5 વર્ષના ગાળામાં મેં ફાર્મા ઇન્ડસ્ટ્રીને વધુ મેચ્યોર બનતા જોઈ છે. સ્ટ્રીકટ બનતી જતી ક્વોલિટી માટેની ગાઈડલાઇન્સ અને આધુનિક ટેકનોલોજી સાથે ચાલવા માટે ઇન્ડસ્ટ્રીએ ઘણા ફેરફાર કર્યા છે. ઉદાહરણ તરીકે Data Integrity. ઘણી મહત્વની ઓડિટ્સમાં Data Integrity ના પોઇન્ટ્સ આવતા હોવાથી ઇન્ડસ્ટ્રીએ ટ્રાન્સપરન્સી માટે સોફ્ટવેર વસાવ્યા છે અને Data Integrity અવેરનેસ વધારી છે.
4. થોડો અંગત સવાલ, તમે તમારા કે તમારા પરિવાર માટે જેનેરીક કે બ્રાન્ડેડ માંથી કઈ દવા પસંદ કરશો?
જવાબ: (હસતાં હસતાં) આપના બ્લોગ પર
જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ? તથા
ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી વાંચ્યું. એકદમ સચોટ અને ગળે ઉતરે તેવી તટસ્થ માહિતી લાગી. જેનેરીક અને બ્રાન્ડેડ દવાની પસંદગી ખરેખર પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઇ શકે. જેમ કે તમારી આર્થિક પરિસ્થિતિ, રોગ નો પ્રકાર, દર્દી માટે જે તે દવાનું પ્રાપ્ય યોગ્ય ફોર્મ્યુલેશન આ દરેક બાબતને ધ્યાને રાખવી જરૂરી છે. મારી અંગત વાત કરું તો ક્રિટિકલ કન્ડિશન અને સ્પેશિયલ ઇન્જરીના કેશમાં નોવેલ ડ્રગ સિસ્ટમ અને ફોર્મ્યુલેશનને હું વધુ મહત્વ આપીશ કે જે માત્ર બ્રાન્ડેડ મેડિસિન તરીકે જ ઉપલબ્ધ હશે. પણ જ્યારે રોજબરોજના સામાન્ય રોગો અને તેમાં પરંપરાગત સારવારની વાત આવે તો હું મારા પરિવાર તેમજ મારા માટે જેનેરીક દવા જ વાપરું છું અને વાપરતો રહીશ. હું આપના બ્લોગના માધ્યમથી જણાવવા માંગુ છું કે જેનેરીક દવા એ એક ઉત્તમ વિકલ્પ છે અને આજકાલ વધી રહેલા જેનેરીક દવાના સ્ટોરથી પણ હું ખાસો પ્રભાવિત થયો છું.
5. આપણે આગળ એજ્યુકેશન થી લઈને કોમ્યુનિટી સુધી ફાર્મસીસ્ટની વાત કરી, તેમાં માર્કેટિંગ ફિલ્ડને તમે ક્યા દ્રષ્ટિકોણથી જુઓ છો?
જવાબ: મારી દ્રષ્ટિએ માર્કેટીંગ એ બીજા ફિલ્ડની સાપેક્ષે નાનું પણ અગત્યનું છે. માર્કેટિંગમાં પણ ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે. આજના કટ થ્રોટ કોમ્પિટિશનના જમાનામાં આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ટાર્ગેટ અચિવમેન્ટમાં ક્યાંક પેશન્ટ સેફટી અને અફોર્ડબિલિટી ભૂલી રહયા છીએ. બેશક આપણે નોકરી માટે હાયર ઓથોરિટીના આદેશોનું પાલન કરવું જ પડે છે જેમાં હું કે તમે કોઈ આ પ્રોસેસમાંથી બાકાત નથી. પણ સાથે સાથે જ્યાં શક્ય હોય ત્યાં પેશન્ટ સેફટી અને ઇફેક્ટિવનેશ ઓફ મેડિસિનના એજન્ડા પર માર્કેટિંગ કરીએ તેવા પ્રયત્નો થવા જોઈએ.
6. ઇન્ડસ્ટ્રી અને કોમ્યુનિટીમાં કામ કરતા ફાર્મસીસ્ટ વચ્ચે શુ કોઈ કોમ્યુનિકેશન ગેપ જેવું લાગે છે?
જવાબ: હું માનું છું કે આ બંને વચ્ચે ખાસ કોઈ કોમ્યુનિકેશન ની જરૂર નથી. બંને ની કાર્યકુશળતા અલગ છે. પણ હા, ડોમેસ્ટિક માર્કેટમાં આવતી પ્રોડક્ટનો સાચો રીવ્યુ પેશન્ટ થી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવામાં કોમ્યુનિટી ફાર્મસીસ્ટનો રોલ ઘણો અગત્યનો છે. કોઈ પેશન્ટ જો કોઈ દવાની ફરિયાદ લઈને આવે તો તેની ફરિયાદોને ગંભીરતાથી લઈને માર્કેટ કમ્પ્લેઇન તરીકે આગળ ઉપર ફોરવર્ડ કરવી જોઈએ. ક્યારેક પેશન્ટ પહેલા દવા ડિસ્પેન્સ કરતા ફાર્મસીસ્ટ પણ ફિઝિકલ અપિરિયન્સ પરથી દવાઓની ગુણવતા પારખી શકે છે. પણ ફક્ત પોતાએ જ જાણવું જરૂરી નથી. જો કોઈ દવાની ગુણવતા સાથે બાંધછોડ માલુમ પડે તો તેની જાણકારી ઉપર સુધી રવાના કરવાની જવાબદારી દવા ડિસ્પેન્સ કરતા ફાર્મસીસ્ટની આવી જાય છે, જેમાં તે ખાસ રસ લેતા નથી. તો આ મારા મતે એક કોમ્યુનિકેશન ગેપ કહી શકાય.
7. શું કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટને કોઈ પણ ફાર્મા ફિલ્ડના ફાર્મસીસ્ટ સાથે રિપ્લેશ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે?
જવાબ: હકીકતમાં આપણી એજ્યુકેશન સિસ્ટમ આપણને પુરેપુરા ફાર્મસીસ્ટ નથી બનાવી શકતી, પરંતુ જે તે ફાર્મા ફિલ્ડમાં અમુક વર્ષો સુધી પરસેવો રેડીને સાચા ફાર્મસીસ્ટ બનાય છે પછી તે ભલે નોનફાર્મા એજ્યુકેશન હોય કે કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએશન હોય. આથી સાચું જ્ઞાન મેદાનમાં ઉતર્યા પછી જ પ્રાપ્ત થાય છે. વળી, કોઈ પણ વ્યક્તિ ફાર્મા કમ્પનીમાં કામ કરે, બધા માટે ક્વોલિટી ગાઈડલાઈન તેમજ તે મુજબ પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક સમાન જ હોવાની. વળી એક કરતાં વધારે ચેકપોઇન્ટ ઉપર દવાની ક્વોલિટી પુરવાર કરવાની થતી હોવાથી કોઈને કોઈ ચેકપોઇન્ટ ઉપર ફાર્મસીસ્ટ ભૂલનો અવકાશ રહેવા દેશે નહીં એટલે લોકોના સ્વાસ્થ્ય પર કોઈ જ પ્રકારે અસર પડવાની નથી. નિશ્ચિંત રહો. પરંતું હા, પેશન્ટ સાથે સીધા સંપર્કમાં આવતા ફાર્મસીસ્ટની બાબતમાં આ ન ચલાવી શકાય. કારણ કે તે આ ચેઇનની અંતિમ કડી છે જેના પછી કોઈ સુપરવિઝન હોતું નથી માટે એ તો રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ જ હોવા જોઈએ. કારણકે અહીં થોડી ઘણી બાંધછોડ પણ લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
8. આજથી 10 વર્ષ પછી ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીને તમે ક્યાં જુઓ છો?
જવાબ: આજે ભારતમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી દવાઓની ક્વોલિટી તથા પ્રોડક્શન કવોન્ટીટી આ બન્નેમાં અત્યાર સુધીના ડેવલપમેન્ટના ટોચના સ્થાને છે. જોકે હજુ ઘણો અવકાશ છે અને આવતા 10 વર્ષોમાં ભારત ક્વોલિટી ફાર્મા પ્રોડક્ટ માટે વિશ્વભરમાં નામ કમાશે. આ ઉપરાંત સરકારની નીતિઓ પણ આ 10 વર્ષમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીનું માપ કાઢવા માટે મહત્વનો ભાગ ભજવશે. આવનારો સમય ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં નોવેલ ડ્રગ ડીલીવરી અને પેટન્ટના શિખરો સર કરશે એવું મારુ માનવું છે.
9. ડ્રગ ડિસ્પેન્સિંગ તથા પબ્લિક હેલ્થમાં કામ કરતા ફાર્મસીસ્ટ માટે તમે શું કહેશો?
જવાબ: ફાર્મા ફિલ્ડની ચેઇન પ્રોસેસમાં (રિસર્ચ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, ડિસ્પેન્સિંગ) સૌથી મહત્વનો અને ક્રિટિકલ રોલ ડ્રગ ડિસ્પેન્સરનો છે. કારણ કે તે પ્રોડક્ટના અંતિમ ચરણના સીધા સંપર્કમાં છે. દવાની યોગ્ય અને સાચી માહિતી પેશન્ટને પુરી પાડવા માટે ક્યારેય સમયનો લોભ કરવો નહીં. પોતાની પાસે રહેલી માહિતી પેશન્ટના ગળે ઉતારવી ખૂબ જ અગત્યની છે. જો પેશન્ટ દવાનો યોગ્ય ઉપયોગ નહીં કરે તો વર્ષોના રિસર્ચ અને ક્વોલિટી માટે કરેલા પ્રયત્નોનો કોઈ જ અર્થ રહેશે નહીં. ખાસ કરીને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દવાને ક્યારે અને કેટલી માત્રામાં લેવી તે લેબલ કરી આપવાની શરૂઆત કરવી જોઈએ. કોઈ એન્ટિબાયોટિક દવા કે અગત્યની દવાઓ પર ભાર મૂકીને તેના યોગ્ય સમયગાળા સુધી તેનો કોર્સ પૂરો કરવા સમજાવવું ખૂબ જ જરૂરી છે. આ નાની નાની લાગતી વાતો પર જ દવાના રિસર્ચ થી લઈને ઉપયોગ સુધીની સફળતાનો આધાર રહેલો છે.
10. વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે નું સેલિબ્રેશન કઈ રીતે થવું જોઈએ?
જવાબ: સોશિઅલ મીડિયાનો ભરપૂર ઉપયોગ, પોસ્ટર, રેલી, કેમ્પઇન, કોલેજોમાં સેમિનાર આવું બધું તો કરવું જ જોઈએ પણ સાથે આ દિવસે ફાર્મા જગતમાં થતી નવી હલચલ સાથે અપ ટૂ ડેટ રહેવા લોકોના સ્વાસ્થ્ય હિતાર્થે નિઃસ્વાર્થ ભાવે બધા અલગ અલગ ફિલ્ડના ફાર્મસીસ્ટ મિત્રોએ રૂબરૂ મળવું જોઈએ અને ચર્ચા-વિચારણા કરવી જોઈએ.
11. છેલ્લો અંગત સવાલ, ફાર્મા ફિલ્ડમાં કોઈ સારામાં સારો અનુભવ કહેશો?
જવાબ: (હસતાં હસતાં) એક ફાર્મસીસ્ટનું કોઈ બ્લોગ માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યું છે, તેને એક સારો અનુભવ જ કહી શકાય! બાય ધ વે જોક્સ અપાર્ટ. મારો આ કડવો અનુભવ પણ કહી શકો કે સારો પણ કહી શકો. થોડા સમય પહેલા મારી ક્વોલિટી પ્રત્યેની ચુસ્ત નીતિ અને ચલાવી ન લેવાની ભાવનાને કારણે કેટલાક લોકોને હું ખૂંચવા માંડ્યો અને મારો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરવાની ફરિયાદો થઈ. આખરે બોસની ઓફિસમાંથી આમંત્રણ આવી ગયું. મારી ટ્રાન્સફર પણ થઈ. પણ બોસનું એક વાક્ય મને તેની આ ફિલ્ડમાં મેચ્યોરિટીના દર્શન કરાવી ગયું. એ વાક્ય હતું "અકસર ઈમાનદાર લોગોકા તબાદલા હોતા રહતા હૈ". આખરે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ મને ફરીથી એ જ ડિપાર્ટમેન્ટમાં પ્રમોશન મળ્યું. આ પ્રમોશન એ પેલા લોકો માટે જબરદસ્ત જવાબ હતો.
...તો શ્રી હાર્દિક શિહોરા સાથેની મજેદાર વાતોમાંથી તમને કઈ વાત સૌથી વધુ ગમી ગઈ તેનો જરૂરથી પ્રતિભાવ આપશો તથા ઉપરના પ્રશ્નો સિવાય પણ કંઈ આપના મનમાં પ્રશ્નો મૂંઝવતા હોય તો નીચે કમેન્ટબોક્સમાં આપના વિચારોને રજૂ કરતા ખચકશો નહીં.