Skip to main content

જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?




          શોર્ટ ટેમ્પર લોકોના આ દેશમાં જ્યાં નાની અમથી ટ્વિટ કે કમેન્ટ થી મોટી મોટી રાજકીય હોનારતો સર્જાતી હોય ત્યાં લોકોનું માથું ના દુઃખે એવુ તો કેમ બને? એટલે લગભગ દરેક સામાન્ય માણસના ઘરમાંથી આપણી રાષ્ટ્રીય દવા પેરસીટામોલ ના નીકળે તો જ નવાઈ! પણ આ પેરસીટામોલ જુદા જુદા રંગવેશમાં જુદા જુદા લોકોના મનમાં ઘર કરીને બેઠી છે. જેમકે માથાના દુઃખાવામાં ડી'કોલ્ડ ટેબ્લેટ લેવા વાળાને જ્યારે સરકારી દવાખાનાની પેરસીટામોલ આપશો તો તરત જ મસ્જિદમાં ચાદરની જગ્યાએ માતાજીની ચુંદડી ભૂલથી ઓઢાડી દીધી હોય એવા ભાવથી ના પાડશે અને કદાચ એ દવા ખાઈ લેશે તો પણ એના માથામાં કંઈ ખાસ ફરક પડશે નહીં. અહીં ચુંદડી ઓઢાળો કે ચાદર એમાં ઈશ્વરને કશો ફરક પડવાનો નથી એવી જ રીતે પેરાસીટામોલ ને જેનેરીકમાં બેસાડીને મોકલો કે બ્રાન્ડેડ કારમાં બેસાડીને શરીરમાં મોકલો એમા કાઈ ફરક પડવાનો નથી. તો પછી અસરમાં ફરક ક્યાંથી આવ્યો?
          જેનેરીક દવા એ કોઈ બીજા ગ્રહનું એલિયન નથી પણ આપણી જ બ્રાન્ડેડ દવાનું પેટન્ટલેસ વર્ઝન છે એ આપણે પહેલાના આર્ટિકલમાં ઉડતું જોયું. (આર્ટિકલ લિંક માટે ક્લિક કરો ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી)પરંતુ એક જ API (active pharmaceutical ingredient) ની જુદી જુદી જેનેરીક તેમજ એ જ API ની બ્રાન્ડેડ દવાઓના પરિણામમાં થોડો ફરક જોવા મળે છે જેનું કારણ છે તેમાં રહેલા જુદા જુદા excipients (દવામાં રહેલા મુખ્ય દ્રવ્ય API ને શરીરમાં મનગમતા અને સગવડીયા રૂપરંગમાં તૈયાર કરી તેની સમયસર અસર માટે મદદરૂપ થતાં ૨સાયણો). કોઇ પણ ઉપલબ્ધ જેનેરીક દવાની નવી બ્રાન્ડ દવા તો જ બને જો એ હાલમાં ઉપલબ્ધ દવા કરતાં થોડી ચડીયાતી હોય, એટલે કે પેટન્ટ મેળવવા માટે આ દવાને નવા સ્વરૂપમાં રજુ કરીને તેનો ઉપલબ્ધ દવાની સરખામણીએ ફાયદો બતાવવો જરૂરી છે. બની શકે કે એકસરખાં જ API વાપરેલા હોવા છતાં તેમાં વાપરવામાં આવતાં અન્ય દ્રવ્યો (excipients) બ્રાન્ડેડ દવાને ચડીયાતી સાબિત કરતાં હોય. જેમ કે કદાચ જેનેરીક દવાઓ કરતાં અલગ excipients વાપરતી બ્રાન્ડેડ દવાઓનો ઓનસેટ એકશન ટાઈમ ઓછો હોય અને કદાચ 20 મીનીટ વહેલી અસર કરતી હોય. (આ 20 મીનીટ માટે જ કદાચ તેને 20 વર્ષની ઇજારાશાહી મળી હોય!) FDA પણ જેનેરીક દવા અને બ્રાન્ડેડ દવા વચ્ચેનો 20% થી 25% નો Bioequivalance ફેરફાર સ્વીકારે છે. (Bioequivalance પછી ક્યારેક....)
          પણ ફક્ત આ એક જ કારણ પૂરતું નથી હોતું દવાની અસર ના ફેરફાર માટે, આનાથી પણ મોટું એક પરિબળ છે જે ભાગ ભજવે છે. જેવી રીતે સંશોધન વખતે દવાની અસર ના યોગ્ય તારણ માટે પ્લેસીબો(જરૂરી API વગરની દવા) ટેસ્ટ કરવામાં આવે છે એ જ પ્લેસીબો દર્દીને સાજા કરવામાં પણ ક્યારેક ડોકટરને વાપરવો પડે છે. જેમકે સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનમાં આપવામાં આવતી વિટામિન્સની ગોળીઓ એ પોલીફાર્મસીનું પ્લેસીબો સ્વરૂપ છે એવું કહી શકાય. બસ આવી પ્લેસીબો માનસિકતા જ કોઈ એક બ્રાન્ડેડ દવાને અથવા જેનેરીક દવાને પકડીને બેસી જાય છે અને બીજી સ્વીકારતું નથી.  વળી બ્રાન્ડેડ દવાઓનું માર્કેટિંગ પણ મહદઅંશે (આમ તો બૃહદઅંશે) ભાગ ભજવી જાય છે.

         હવે ડોકટરની વાત કરીએ તો ડોકટર માટે સ્વાભાવિક છે કે દર્દીને સમયસર સાજું કરવું એ મોટી પ્રાથમિકતા બની જાય છે, ભલે ને ફક્ત 20 મિનિટ જ વહેલું સાજું થતું હોય. એટલા માટે બ્રાન્ડેડ દવાને વધુ પ્રાધાન્ય આપશે. મતલબ કે બધા ડોકટર એવા નથી હોતા કે જે ફક્ત કમિશન માટે જ બ્રાન્ડેડ દવાઓ લખતા હોય પણ સામે મળતા આઉટપુટ પર પણ તેનું ફોકસ રહેવાનુજ. વળી ધારોકે સરકારશ્રી ના આદેશ મુજબ સંપૂર્ણ જેનેરીક પ્રિસ્ક્રીપ્શન ડોકટર લખી નાખે તો પણ "ક્યા લીખતા હૈ વહી બીકતા હૈ?" નો પ્રશ્નાર્થ રહેવાનો જ. કેમ કે મેડિકલ સ્ટોર પર હાજર (ક્યારેક હોય પણ ખરો!) ફાર્મસીસ્ટ પાસે જો જેનેરીક સાથે એ જ દવાનો મોંઘો બ્રાન્ડેડ વિકલ્પ હશે તો દર્દીને એ પણ પધરાવી શકે છે, જેની દર્દીના શરીર પર કોઈ વિપરીત અસર નહીં થાય પણ હા પેલું દિલ પાસે રહેલું ખિસ્સું કદાચ તૂટી જાય. જોકે બધા ડોકટર જેમ કમિશનખોર નથી હોતા એવી જ રીતે બધા ફાર્મસીસ્ટ પણ આવા નથી હોવાના. ઉલ્ટાનો જો વિચાર કરીએ તો ખરેખર જેનેરીક દવાઓમાં મળતો નફો બ્રાન્ડેડ દવાઓ કરતા વધુ હોય છે. આમ જેનેરીક દવા દર્દી માટે સસ્તી, મેડિકલ સ્ટોર ના ફાર્મસીસ્ટ માટે વધુ નફાકારક અને એટલે જ સામે ફાર્માસ્યુટિકલ કંપની માટે પણ નફાકારક રહે છે. જોકે આ નફામાં પણ લાલચ જગાવીને અમુક કહેવાતી ફાર્મા કંપનીઓ નબળી ગુણવતાની જેનેરીક દવાઓ બનાવીને માર્કેટમાં મૂકે છે જેને કારણે આપણો સાચી જેનેરીક દવાઓ પરનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. ખાસ કરીને આવી જેનેરીક દવાઓએ જ સરકારી આરોગ્યતંત્ર ને બદનામ કર્યું છે. સરકારી દવાખાનાઓ માં આવતી જેનેરીક દવાઓની ગુણવત્તા ચકાસણીના રિપોર્ટ ક્યારેક તો દવા મોટા જનસમુદાય સુધી પહોંચી ગયા પછી આવે છે અને દર્દીના પેટ માં પડી ગયેલી દવાઓને સરકાર અપ્રમાણસર જાહેર કરે છે!
          આમ છતાં આજે વધતી મોંઘવારીમાં સારવારનું મોટાભાગનું ખર્ચ દવાઓ જ રોકી લે છે ત્યારે જેનેરીક દવા એ આજના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગને પરવળે એવો ઉત્તમ વિકલ્પ છે. છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં ખોલવામાં આવેલા જન ઔષધિ કેન્દ્રો ભારતીય અર્થતંત્ર અને આરોગ્ય માટે જીવાદોરી સાબિત થઈ શકે એમ છે. કમ સે કમ આપણે ત્યાં એક રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તો જોઈશું! હવે નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બ્રાન્ડેડ દવાઓ લઈને 20 મિનિટ વહેલું સાજું થવું છે કે ખિસ્સાનું આરોગ્ય પણ ધ્યાનમાં રાખીને આપણું આરોગ્ય સાચવવું છે? કોઈ એક વ્યક્તિ માટે પણ જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ પરિબળોનો વિચાર કરીને આ નિર્ણય જુદો જુદો હોઈ શકે.
(અહીં બ્રાન્ડેડ દવાઓ જેનેરીક દવા કરતા 20 મિનિટ વહેલી અસર આપે છે એ એક પ્રતીકાત્મક ઉદાહરણ માટે રજૂ કરાયું છે. આ સિવાય બીજા પણ કેટલાક ફાયદાઓ હોઈ શકે છે જે વ્યક્તિગત અલગ અલગ હો શકે.)


Comments

  1. Bioequivalance is not big deal here...
    Generics only become available after the patent expires on a brand name drug.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...