Thursday, April 6, 2023

વર્લ્ડ ફાર્મસી ઇન્ડિયા : કહીં નજર ના લગ જાયે



હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ.


આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa નામક એક ખુબજ શક્તિશાળી એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો ગ્રોથ જોવામાં આવ્યો. જેને કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હતા.


પરંતુ આરોપી કંપનીનું કહેવું માનીએ તો તામિલનાડુની ડ્રગ ઓથોરિટીએ આ જ બેચના સેમ્પલ ટેસ્ટ કર્યા અને ઉપરાંતના અવેલેબલ બીજી પણ Ezricareની 24 બેચ તપાસી જોઈ તો તેમાં આવા કોઈ બેક્ટેરિયા જોવા મળેલ નથી તેવું જાહેર કર્યું. આવું જાહેર કરવા છતાં ગ્લોબલ ફાર્માએ પોતાની આ પ્રોડક્ટ USમાંથી પાછી ખેંચવાની શરૂ કરી દીધી અને જે લોકો ઉપયોગ કરતા હોય તેને પણ ઉપયોગ ન કરવાની વિનમ્ર ચેતવણી આપી! આ રિકોલ પણ જેવું તેવું નહિ પરંતુ કંપની દ્વારા ક્લાસ 1 કક્ષાનું રિકોલ શરૂ કરાયું. 


[રિકોલને મુખ્યત્વે FDA મુજબ ત્રણ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે. 

  • જો માર્કેટમાં કોઈ ગંભીર બીમારી કે ઇજા પહોંચાડે એવી પ્રોડક્ટ હોય તો રિકોલ કલાસ 1. 
  • જો ગંભીર બીમારી કે આડઅસરની શકયતા લાગતી હોય પણ ચોક્કસ ન હોય ત્યારે રિકોલ કલાસ 2. 
  • કોઈ ગંભીર આડઅસર કે બીમારી ન ફેલાવે પણ તે તેના રેગ્યુલેશન પ્રમાણે તૈયાર થયેલ ન હોય ત્યારે રિકોલ કલાસ 3 અમલમાં મુકાય છે.]


આરોપી ગ્લોબલ ફાર્મા એકબાજુ પોતાને નિર્દોષ બતાવે છે અને બીજી બાજુ કલાસ 1 રિકોલ માટે ફેબ્રુઆરીના અંતમાં જ ઓર્ડર આપે છે. આ બાજુ આદુ ખાઈને પાછળ પડેલી CDC અને USFDA વારંવાર દુનિયાના પ્લેટફોર્મ પર આ જોખમી બેક્ટેરિયાની હેડલાઈન્સ મુકતું રહે છે. તો સમજવું શું? આખિર કાતિલ હૈ કૌન...? CDCના નામમાં જેમ પ્રિવેન્શનનો P સાયલન્ટ છે એમ ક્યાંક CDCના ઇરાદાઓ તો ક્યાંક સાયલન્ટ નથી ને..?


ચાલો તેનો તાગ મેળવવા માટે સિઝન 2 તરફ આગળ વધીએ.


2022 ના જુલાઈ-ઓગસ્ટમાં પણ આવી જ એક ન્યુઝ હેડલાઇને આખા વિશ્વમાં વર્લ્ડ ફાર્મસી ભારતની ફજેતી કરવાની તક ઝડપી હતી. આફ્રિકાના ગામ્બિયા દેશમાંથી ખબર આવી કે ભારતની મેઇડન ફાર્મા નામની કંપનીએ એક્સપોર્ટ કરેલ કફ સીરપ પીવાથી 66 જેટલા બાળકો મૃત્યુ પામ્યા. (આંકડા તરફ ન જતાં કારણ કે WHOએ આ આંકડો અત્યારે 300 બાળકો સુધી પહોંચાડી દીધો છે.) 


ગામ્બિયા એક ગરીબ દેશ છે કે જેની પાસે પૂરતી ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેણે આ કેસમાં ઊંડું ઉતરવા માટે ટેસ્ટિંગનો સઘળો કારભાર CDCને સોંપી દીધો. જગત જમાદાર અમેરિકાની આ એજન્સી ફરી એકવાર ભારતના કેસમાં દાખલ થઈ અથવા કરવામાં આવી જે સંયોગ ગણો એ પણ તેણે ગામ્બિયાનો વિકટીમ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ફરી એકવાર ગ્લોબલ મીડિયામાં પોતે એક ગરીબ દેશની વ્હારે આવ્યું છે એવી છાપ ઉભી કરવાની સાથે મેઇડન ફાર્મા પર આરોપ પણ લગાવ્યા.


આરોપ સંગીન હોય તો તપાસ તો થવી જ રહી. ભારત સરકારે ફાર્માકોલોજીસ્ટ ડૉ.વાય. કે. ગુપ્તાના વડપણ હેઠળ એક તપાસ કમિટીની રચના કરી જેમાં નમુનાની તપાસ બાદ આ કફ સીરપ અને ગામ્બિયામાં થયેલા બાળકોના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી એવું સામે આવ્યું. (અથવા લાવવામાં આવ્યું એ ભગવાનને ખબર) પણ મેઇડન ફાર્માનો હરિયાણા પ્લાન્ટ કે જ્યાં આ સીરપ બન્યા તેને તરત જ તાળાં મારવામાં આવ્યા. હેલ્થ મિનિસ્ટ્રિના સૂત્રો જણાવે છે કે આ રિપોર્ટ જ્યારે WHO દ્વારા માંગવામાં આવ્યો ત્યારે આ WHOનો ડોમેઈન એરિયા નથી એવું કહીને ભારત દ્વારા તેને બધા જ રિપોર્ટ આપવામાં આવ્યા નહિ. બીજી બાજુ ગામ્બિયાની ઓથોરિટીએ જે સેમ્પલ્સને ડેન્જર જાહેર કરેલા એ કફ સિરપના સેમ્પલ ભારત સરકારે WHO પાસે માંગ્યા ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ જ વળતો જવાબ WHO એ આપ્યો નહિ . 


આ બ્લેમ ગેમ વચ્ચે મૃત્યુ પામેલા બાળકોનું રહસ્ય દરેક પોતપોતાના સત્યના ચશ્માંથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. છતાં કોઈ એક અપરાધી પર વિશ્વાસથી કોઈ આંગળી મૂકી શકતું નથી. આવું કેમ? 


ચાલો હજુ એક સિઝન 3 ફેંદી લઈએ...


ગત ડિસેમ્બરમાં ફરી એકવાર એક કફ સીરપે 18 બાળકોનો ભોગ લીધો. આ વખતે દેશ હતો ઉઝબેકિસ્તાન અને આ ભારતની કફ સીરપ બનાવનાર કંપની હતી મેરીઓન બાયોટેક. ઉઝબેકિસ્તાનની ઓથોરિટીએ ભારત સરકારને સીધી જ આ અંગે જાણ કરી જેમાં વચ્ચે કોઇ જગત જમાદારની જરૂર ના પડી. ભારત સરકારે તરત જ આ કફ સિરપના સેમ્પલ ચંદીગઢ લેબમાં તપાસ અર્થે મોકલ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારે પણ તેની રીતે આ સેમ્પલને ટેસ્ટ કર્યા અને આ વખતે ઉઝબેકિસ્તાન સાચું ઠર્યું. ઘણા સેમ્પલ તેની સ્ટાન્ડર્ડ ક્વોલિટીથી જોજનો દૂર નીકળ્યા તેમજ કેટલાક ભેળસેળવાળા બનાવટી કેમિકલ પણ મળ્યા. આ કંપનીના ત્રણ મોટા એમ્પ્લોયી અત્યારે સળિયા પાછળ છે.


પણ WHO ને ભાવતું'તું 'ને વૈધે કીધું જેવો તૈયાર લાડવો મળી ગયો અને આ કિસ્સાને પણ ગામ્બિયા સાથે જોડીને એક એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો ભારતને નોટિસ ઇસ્યુ કરી દીધી. WHO સંસ્થા કોરોના કાળ પછી તેના ગણ્યા ગાંઠ્યા દેશ તરફી ઝુકાવ માટે બદનામ તો હતી જ હવે એ વધુ શંકાશીલ બની છે.


ઉપરોક્ત કિસ્સાઓ દર્શાવે છે કે પૂરતા પુરાવાઓ હોય તો ભૂલ સ્વીકાવામાં ભારતે પાછી પાની નથી કરી પણ જ્યારે કોઈ શંકાશીલ ષડયંત્રની ગંધ આવે ત્યારે રાજકીય કાવાદાવા ખેલવામાં વર્લ્ડ ફાર્મસી પણ કાંઈ ઉણી ઉત્તરે એમ નથી.


પરંતુ તેનો મતલબ એવો જરાય નથી કે વર્લ્ડ ફાર્મસીના ટેગ ખાતર આપણે ક્વોન્ટીટી ઉપર એટલો બધો ભાર આપી દઈએ કે કવોલિટી ક્યાંક ખોવાઈ જાય. હાલમાં જ દેશની અઢાર જેટલી કંપનીઓમાં સરકારની એજન્સીઓ દ્વારા રેઇડ પાડીને નકલી દવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં સનફાર્માએ પણ પોતાની Diltiazem નામની હૃદયની દવાને અમેરિકાના માર્કેટમાંથી કન્ટેન્ટ યુનિફોરમિટી ટેસ્ટ ફેલ થવાના કારણે કલાસ 3 રિકોલ કરી હતી. આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય દ્વેષ અને ઈર્ષ્યાની માયાજાળમાં માસૂમ જિંદગીઓને પ્યાદા બનાવવાનું દુનિયાએ માંડી વાળવું જોઈએ.


સુપર ઓવર: 

દવાની આડઅસર દર્દીની તાસીર પર આધાર રાખે છે પણ દવાની સારી અસર ફક્ત અમારા પર આધાર રાખે છે. 

લી. ડૉ. જશવાલા
આપના ખભે બંદૂકવાળી ગલી,
કમિશનપુર ચાર રસ્તા,
અમથાવાદ

Tuesday, November 29, 2022

દર્દીનારાયણ સામે ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું?



ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ!


ઘણીવખત એવું બને છે કે ગાંભીર્ય અને અટ્ટહાસ્ય એ બંને અંતિમો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જવાય છે. આ ભૂલનું પરિણામ દર્દી કે તેના સગાના માનસપટ પર કેવું આવે એ જાણવું હોય તો તેની જગ્યાએ તેની મનોસ્થિતિ મુજબ અને તેના આઈકયુ લેવલ સાથે વિચારવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે. 


આઈસીયુ જેવા વિભાગમાં કામ કરતા સ્ટાફને આ બાબતો વધુ સારી રીતે લાગુ પડે છે. આઇસીયુ કે ઇમરજન્સી વિભાગમાં કામ કરતા કરતા જુદા જુદા દર્દીઓની માનસિકતા સાથે પણ કામ કરવું પડે છે. ઘણીવાર કિસ્સાઓ હાસ્યાસ્પદ પણ થતા હોય છે અને ઘણીવાર કિસ્સામાં ઉમેરાતી કરુણતા દર્દીને પણ ઢીલો પાડી શકે છે. આ બંને વચ્ચેની ફ્રિકવન્સી મેચ કરીને કાર્ય કરી શકે એ જ મહારથી. આવા ગંભીર વોર્ડમાં કામ કરતા મેડિકલ કે પેરામેડીકલ સ્ટાફ પોતાના મોબાઈલ સાથે કે બીજા સ્ટાફ સાથે મજાકમશ્કરી કરતા હોય ત્યારે પોતાની બીમારી સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો દર્દી પર શું વિતતું હશે? એનાથી ઉલટું ગંભીર દર્દીને સ્ટાફની ચહેરાની રેખાઓમાં ચિંતા વંચાતી હોય તો તેની હિંમતમાં પણ નાની તિરાડ પડવાની સંભાવના વધી જતી હોય છે.


આમ તો આ વાત દરેક પ્રોફેશનમાં એટલી જ મહત્વપૂર્ણ છે કે તમે જે સેવા આપો છો કે બિઝનેસ કરો છો તેમાં સામેની વ્યક્તિને સંતોષ થાય. પણ આ પ્રોફેશનમાં માત્ર સંતોષ પૂરતો નથી હોતો પણ સાથે સાથે જિંદગી સામે ઝઝૂમવાની હિંમત પણ જરૂરી હોય છે. ગંભીર દર્દીઓને ખુશ રાખવામાં કે હાસ્ય ઉપજાવે તેવા દર્દીઓના કિસ્સામાં હાસ્ય અને ગંભીરતા સાથે સ્ટાફ એ દર્દી અને તેના સગાવહાલાંનું આત્મસન્માન પણ જાળવે એ મહત્વનું હોય છે.  હોસ્પિટલમાં થતી મેડિકલ સ્ટાફ સામેની હિંસાઓના કિસ્સાઓમાં ક્યારેક આવી હિંસાનું કારણ બસ આ લાગણીઓ પરનો કાબૂ જ હોય છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં મેડિકલ સ્ટાફનું આત્મસન્માન ઘવાતું હોય છે પણ આંશિક કિસ્સાઓમાં દર્દીઓના આત્મસન્માન સાથે પણ ખીલવાડ થાય, ક્યારેક ભલે અપમાન ન થાય પણ પૂરતા સન્માન સાથે જવાબ દેવામાં પણ સ્ટાફ પાછો પડે કે દર્દીઓની સગવડ સાચવવામાં અક્ષમ તંત્રની નિષ્ફળતાનો ગુસ્સો દર્દીઓ પર નીકળે તો પણ હિંસા પરિણમે એવી શક્યતાઓ છે.


આવા સંવેદનશીલ વાતાવરણમાં પોતાના મગજને ફ્રિજમાં રાખીને કઈ રીતે કામ કરતા શીખવવું એ પણ એક કળા છે. આવી કળાઓ ક્યાંય સિલેબસમાં શીખવા નથી મળતી પણ જીવનમાં જોવા મળતા જુદા જુદા લોકોની માનસિકતાના અભ્યાસના આધારે પાકી થાય છે. અનુભવનું ભાથું બંધાય કે નૈતિકતાનો કક્કો ઘૂંટાય એટલું જ મહત્વનું નથી હોતું, ઘણીવાર પોતાના અને દર્દીના બન્નેના આત્મસન્માન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે ખરું ધર્મયુદ્ધ જામે છે. આ યુદ્ધમાં બન્ને પક્ષને પોતાનું સત્ય જ જગત સત્ય લાગતું હોય છે. આવા ધર્મયુદ્ધના કિસ્સામાં જ મેડિકલ સ્ટાફને પોતાની કળા બતાવવાની હોય છે. જેમાં આત્મસન્માન અને પરસન્માન બન્નેની વચ્ચેનું બેલન્સ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવાનું હોય છે.


સુપર ઓવર: ઓપરેશનના બીજા દિવસે એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દીએ ડોકટરને પૂછ્યું, "ગઈકાલે ચાલુ ઓપરેશને તમે જે લક્ઝુરિયસ પ્લોટ બુક કરવાની કંઈક વાત કરતા હતા તેનો ભાવ શું છે?"

Saturday, September 24, 2022

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે પર એક મુલાકાત પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે



25 સપ્ટેમ્બર એટલે દુનિયાભરના ફાર્માસિસ્ટને એક જ સ્ટેજ પર લાવતો દિવસ. World Pharmacists Day. એ ફાર્માસિસ્ટ પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે અધ્યાપક હોય, હોસ્પિટલ ફાર્માસિસ્ટ હોય કે રિટેઇલ ફાર્માસિસ્ટ હોય, સાયન્ટિસ્ટ હોય કે પોલિસી મેકિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય... આ તમામ માટે આ દિવસ એક સરખો છે. પરતું આ સિવાય પણ કેટલાક પ્રોફેશન્સ છે જેમાં આપણા ફાર્માસિસ્ટ મિત્રો ફાર્માસિસ્ટ તરીકે તો નહીં પણ ફાર્માસિસ્ટના હૃદયથી જરૂર કામ કરે છે. ફાર્માસિસ્ટમાં પોતાનું કેરિયર છોડીને પબ્લિક સર્વિસમાં અથવા કોઈ પણ બીજા કેરીયરમાં જોડાયેલા હોય, તેની વર્તમાન કેરિયરનો બેઝ તો હંમેશા ફાર્મસીની આસપાસ જ ઘુમતો હોય છે. આજે આવા જ એક પૂર્વ હોસ્પિટલ ફાર્માસિસ્ટ અને વર્તમાન પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે નાની એવી શાબ્દિક મુલાકાત તમારી સાથે શેર કરું છું. રાજકોટમાં ફરજ બજાવતા PI ભાર્ગવસિંહ પાસેથી આપણે ફાર્માસિસ્ટ માટેની છોટી છોટી મગર મોટી બાતેં જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જ શબ્દોમાં...



🔴 ફાર્માસિસ્ટ બનવાનું પહેલા વિચારેલું કે PI અથવા કલાસ 1 કે 2 બનવાનું પહેલા વિચારેલું?

🟢 "સૌથી પહેલાં બેન્કમાં નોકરીનું વિચારેલું અને તેનાં માટે બરોડામાં IBPS ની પરીક્ષા માટેનાં ક્લાસ પણ કરેલાં.

પણ પછી GPSC -1&2 ની પરીક્ષા માટેની જાહેરાત આવી જતાં ફોકસ બદલાય ગયું.

GPSC Class-1&2 ની પ્રીલીમ પરીક્ષાની તૈયારીમાં ફાર્માસિસ્ટની પરીક્ષાની તૈયારી થઈ ગઈ  અને પરીક્ષા પાસ થઈ ગયેલી."





મતલબ કે હોસ્પિટલ ફાર્માસિસ્ટની ગવર્મેન્ટ જોબ એ તમારા માટે ખરેખર GPSC પરીક્ષાની તૈયારીની બાયપ્રોડકટ હતી.

🔴 ફાર્માસિસ્ટ દ્વારા થતા ક્રાઈમ ક્યા પ્રકારના હોય છે અને ક્યારેય ફાર્માસિસ્ટનો કેસ ડેસ્ક પર આવ્યો છે?

🟢 "Drugs without Prescription એ પ્રકારના સોફ્ટ ક્રાઈમ ફાર્માસિસ્ટ દ્વારા ઘણી વખત થતાં હોય છે જે ક્યારેય બહાર પડતાં નથી.જેમ કે 'Prescription વગર  ઉંઘની ગોળીઓ આપવી, એન્ટીબાયોટિક દવાઓ આપવી' જેની લોકાનાં શરીરમાં લાંબા ગાળે ગંભીર અસરો પડે છે.

ફાર્માસિસ્ટ ઘણી વખત પ્રાઈવેટ પ્રેકટીસ કરતાં હોય છે જે કાયદા મુજબ ગેરકાયદેસર છે. પરંતુ ફાર્માસિસ્ટને પ્રાઈવેટ પ્રેકટીસની મંજુરી આપવી જોઈએ અને CHO તરીકે પણ લેવા જોઈએ.

ફાર્માસિસ્ટ દ્વારા કોઈ ક્રાઈમ થયેલ હોય એવો કોઈ કેસ હજુ સુધી મારી પાસે આવ્યો નથી."


ચાલો સારું થયું કે હજુ સુધી તમારા ચોપડે ક્રિમિનલ ફાર્માસિસ્ટ નથી ચડ્યો.

🔴 આજનો દિવસ દરેક ફાર્માસિસ્ટ માટે ખાસ છે. આપે WPD મનાવેલ હોય એવી કોઈ મુખ્ય યાદો?

🟢 "WPD કોલેજ સમયમાં મનાવેલ હતો.
બરોડા સીટીમાં તે દિવસે રેલી કાઢી હતી.
WPD નાં આગલાં દિવસે બેનર બનાવવામાં બહું મહેનત કરી હતી."



WPDની તૈયારી જે આપે કહી એ ખરેખર આ વિવિધતા વાળા પ્રોફેશનના ટીમ વર્કનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે કારણ કે આ સેલિબ્રેશનની તૈયારીમાં ફાર્મસીના વિધાર્થીઓ થી લઈને ઉપર વાત કરી એમ દરેક ફિલ્ડના ફાર્માસિસ્ટ એક જ સ્ટેજ પર કામ કરે છે. તેમાં પણ આપના જેવા પૂર્વ ફાર્માસિસ્ટ અને પોલીસ ઇન્સ્પેકટર જ્યારે  આ દિવસ પર વાત કરે ત્યારે આ પ્રોફેશનની ડાયવર્સીટી વધુ વિશાળ થતી જાય છે.

🔴 આપની Ph થી PI ની સફર કેવી રહી? Class અને Salary સિવાય એવી કઈ બાબત હતી જેણે તમને ફાર્મસિસ્ટ માંથી પોલીસ બનાવ્યા?

🟢 "ફાર્માસિસ્ટમાંથી PI ની સફર ખુબ જ યાદગાર અને સંઘર્ષપૂર્ણ હતી.

ફાર્માસિસ્ટની વિશાળ કામગીરીમાંથી સમય કાઢવો અને તૈયારી કરવી એ ઘણું જ મુશ્કેલ હતું.

હું કલાસ-2 અને સેલેરી માટે પીઆઈ બન્યો જ નથી. પરંતુ હું GPSC ની કોઈ પણ સારી પરીક્ષામાં સિલેક્ટ થાવ એ મારા માતાં-પિતાંનું સપનું હતું જે હું કોઈપણ સંજોગોમાં પુર્ણ કરવાં માંગતો હતો."




તમારું down to earth કેરેકટર જ બતાવે છે કે તમે કલાસ 2 કે સેલેરી માટે PI બન્યા જ નથી. ફાર્મસી પરિવારને જો આપના સંઘર્ષ પર આટલું ગૌરવ હોય તો આપના માતાપિતાને આપ પર ચોક્કસ અનેક ગણું ગૌરવ હશે જ.

🔴 પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં તમને શું સામ્ય લાગે છે?

🟢 "પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ઘણી બાબતોમાં સામ્યતા છે જેમ કે 24 કલાક જોબ,નાઈટ ડયુટી, ડિઝાસ્ટર ડ્યુટી,ઈલેકશન ડ્યુટી,લોકો સાથે સંપર્ક વગેરે.

બંને ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓ એવાં છે જેમને કાંઈ કામ કરવું જ નથી. બહાર બંદોબસ્તમાં નામ આવે તો બહાનાં કાઢવાં. ઉપરી અધિકારીને ચાપલૂસી કરવી. સમયસર જોબ પર ના આવવું.

જેમની અંદર  Self-Discipline છે એવાં કર્મચારીઓ બંને ડીપાર્ટમેન્ટમાં છે જેમને કોઈ ના કહે તો પણ પોતાનું કામ કરી લે છે."



અપેક્ષા કરતા પણ વધુ ઊંડાણ વાળો અને કડવું સત્ય કહી શકાય એવો જવાબ આપની પાસેથી મળ્યો.

🔴 આ દિવસે કહેવું તો ન જોઈએ પણ ફાર્માસિસ્ટ પ્રોફેશનની કોઈ એવી ખરાબ બાબતો જે તમને ના ગમતી હોય..

🟢 "ફાર્માસિસ્ટ પ્રોફેશનલ પોતાનાં મેડીકલ સ્ટોરનાં લાયસન્સ ભાડે આપે છે તે નથી ગમતું. એનાં લીધે ફાર્માસિસ્ટની વેલ્યુ ડાઉન થાય છે અને ખોટાં લોકો પ્રોફેશન જમાવીને બેઠાં છે."



સો ટકા. આ ખૂબ જ પેધી ગયેલો સડો છે અને આવી બેદરકારી ખુદ ફાર્મસિસ્ટને પણ સામાન્ય લાગે છે એ તેનાથી પણ મોટું દુઃખ છે.

🔴 હેલ્થ ડિપાર્ટમેન્ટમાં તેમાં પણ ખાસ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટનું મહત્વ કેટલું લાગે છે? અને કેટલું મહત્વ આપવામાં આવે છે?

🟢 "અમુક પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટને સંપૂર્ણ સાઈડલાઈન કરવામાં આવે છે.

કોઈ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લઈને ઓછાં પગારમાં કોઈ એક કર્મચારીને મેડીકલ સ્ટોરમાં રાખી દેવામાં આવે છે. જયારે ઈન્સપેકશન આવે એટલે જેમનાં નામનું લાયસન્સ હોય એમને બોલાવી લેવામાં આવે છે.

સરકારી હોસ્પિટલમાં પણ District Hospital ને CHC માં ફાર્માસિસ્ટને જોઈએ તેવું મહત્વ આપવામાં આવતું નથી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટનું થોડું મહત્વ એટલાં માટે છે કારણ કે PHC માં બધું ફાર્માસીસ્ટ જ કરતાં હોય છે."



PHCમાં ફાર્મસિસ્ટને લોક સંપર્ક માટેનો સમય કદાચ બીજાની સાપેક્ષમાં વધુ મળે છે એટલે જ તે લોકોની નજરમાં વધુ મહત્વ ધરાવતો બની જાય છે.

🔴 મને યાદ છે કે જ્યારે આપણે કારકિર્દી પસંદ કરતાં ત્યારે ફાર્મસી એક ઉજ્જવળ કારકિર્દી તરીકે હંમેશા હરીફાઈમાં રહેતી, આજે શું સ્ટેટસ લાગે છે આ કેરિયરનું, નવા વિદ્યાર્થીઓ માટે?

🟢 "ફાર્મસીમાં એડમીશન માટે મેરીટ ઘણું ઉંચું રહેતું હતું. મારી સાથે ઘણા મિત્રો હતાં જેમને 12 સાયન્સમાં 80% થી ઉપર હતાં.

B.Pharm માં એડમીશન ના મળે તો D.Pharm માં એડમીશન વિદ્યાર્થીઓ લઈ લેતાં હતાં.  D.Pharm કરીને પછી B.Pharm કરતાં.

આજથી 15 વર્ષ પહેલાં ફાર્મસીની કોલેજો પણ ઓછી હતી.

એક સમય હતો કે બીજા રાજયમાં જેમ કે બેંગ્લોર B.Pharm કરવા માટે ગુજરાતનાં વિદ્યાર્થીઓ જતાં.

આજે ફાર્મસીની કોલેજો માંડ માંડ ભરાય છે અને અમુક કોલેજોમાં સીટો ભરાતી પણ નથી. એનું એક મુખ્ય કારણ વધુ કોલેજ ફી અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી શોધવામાં પડતી તકલીફ.

પરંતુ ભારતમાં ફાર્માસિસ્ટનું ભવિષ્ય ઉજળું છે અને વિદેશ જવા માટે ખુબ સ્કોપ છે."




વધતી જતી કોલેજોએ ફાર્મસી પ્રોફેશનના ટેલેન્ટ અને સ્કીલને પણ ડાયલ્યુટ કરી દીધું છે એ પણ એક હકીકત છે.

🔴 હેલ્થ અને ડિફેન્સ સરકારની આ બન્ને બાજુઓથી તમે હવે પુરેપુરા અવગત છો એવું કહી શકાય, તમને હજુ ક્યા વિભાગમાં વધુ સુધારાનો અવકાશ લાગે છે અને કેમ?

🟢 "હેલ્થ અને પોલીસ વિભાગ બંનેમાં એક સૌથી મોટી તકલીફ હોય તો એ પુરતો સ્ટાફ નથી.

બંને વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેવો થતો નથી.

જ્યાં સુધી પુરતો ટેકનીકલ સ્ટાફ નહીં હોય ત્યાં બંને વિભાગમાં તમામ રજીસ્ટરો તથા તમામ કામગીરી ઓનલાઇન શકય નથી.

ટેકનોલોજીનાં નિષ્ણાંતને બંને વિભાગમાં નિમણૂંક આપવી જોઈએ. જેમ કે સાયબર ક્રાઈમમાં જે Expert છે તેમની સાયબરનાં PI/PSI તરીકે નિમણૂક થાય તો તે બેસ્ટ કામગીરી કરી શકે. આરોગ્ય વિભાગમાં પણ બ્લોક ઓફિસમાં એક Computer Expert હોવો જોઈએ જે તમામ સ્ટાફને ગાઈડ કરી શકે."



ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ સરકારી ક્ષેત્રે ચોક્કસ વધ્યો છે પણ હજુ પ્રાઇવેટ સેકટરની સાપેક્ષે આપણે ઘણા પાછળ છીએ નવી ટેકનોલોજીને અપનાવવામાં.


🔴 ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ફાર્માસિસ્ટની ઓળખ ક્યાંક બીજા નોન ફાર્માસિસ્ટ પ્રોફેશનલ વચ્ચે ડાઇલ્યુટ થતી હોય એવું લાગે છે કે નહીં?

🟢 "ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં ફાર્માસિસ્ટની ઓળખ હવે અન્ય પ્રોફેશન સાથે dilute થતી હોય એવું લાગે છે.

ઈન્ડસ્ટ્રીમાં ફાર્માસિસ્ટ કરતાં ઓછી સેલેરીમાં અન્ય સ્ટાફ જોઈએ તેટલો મળી જાય છે એટલે જે જગ્યાએ ખાસ ફાર્માસિસ્ટની જરુર હોય ત્યાં જ B.Pharm કે M.Pharm વાળાની ભરતી કરે છે. બાકી અન્ય સ્ટાફથી કામ ચલાવી લેવામાં આવે છે."




વળી તેમની ઓળખ અને ડેજીગ્નેશનમાં પણ ફાર્માસિસ્ટ શબ્દ નહિવત આવતો હોવાથી ફક્ત એક ઓફિસ મેનની છબી લોકો પર ઉપસે છે.

🔴 એવું કંઈ જે મારે પૂછવાનું રહી જતું હોય અને તમારે કહેવાનું રહી જતું હોય...

🟢 "ફાર્માસિસ્ટની એક પોતાની ઓળખ હોવી જોઈએ.

Pharmacy is World's best profession.

The primary mission of the pharmacy profession is to have a positive impact on the provision of public health service by ensuring the safe and effective use of medications.

ફાર્માસિસ્ટ દવા બનાવશે પછી જ લોકોની સારવાર થશે ને!

આરોગ્ય વિભાગે ફાર્માસિસ્ટનું મહત્વ સમજવું જોઈએ. અત્યારે ફાર્માસિસ્ટને  ખાસ મહત્વ મળતું નથી.

Primary Health Center માં જ્યાં MBBS ડોકટર નથી ત્યાં BAMS/BHMS દ્વારા ઓપીડી જોવામાં આવે છે જે બંને બ્રાન્ચની એક પોતાની ઓળખ છે પણ એલોપેથી દવા એમનાં દ્વારા Prescribe થાય એ લોકોનાં હિતમાં નથી.

ફાર્માસિસ્ટ મિત્રોએ એલોપેથી ડૉક્ટર્સના official Prescription વગર દવા આપવી જ ના જોઈએ."



એકદમ વ્યસ્ત સિડ્યુલમાં પણ ફાર્મસી પ્રોફેશનની ખાટીમીઠી વાતો કરવા સમય આપવા બદલ ફાર્માસિસ્ટ કમ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટનો ખુબ ખુબ આભાર. આપ તેમનું નીચે આપેલ ટ્વીટર એકાઉન્ટ ફોલો કરીને તેમની રોજિંદી કામગીરી અને પ્રેરણાત્મક વિચારો સાથે જોડાઈ શકો છો.   

Thursday, August 11, 2022

સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ વચ્ચેનો મોટો ફરક: સ્વચ્છતા

સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે.



સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે.


આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા.


થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા. પંજાબના હેલ્થ મિનિસ્ટર દ્વારા બધાની હાજરીમાં આ અનુભવી ડૉકટરનું એવું અપમાન કરવામાં આવ્યું કે બીજા દિવસે આ સર્જને પોતાનું રાજીનામું ધરી દીધું. નેતાઓ દ્વારા લોકોમાં ધાક જમાવવા અને વટ પાડવા આવા પેંતરા થતા હોય છે પણ નેતાઓ આવી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની તસ્દી લેતા હોતા નથી. આ કિસ્સામાં એ સર્જનની ભૂલ એટલી જ હતી કે તેના સફાઈ કાર્યકરો પર તે સરખું સુપરવિઝન રાખી ન શક્યા. આ માટે જવાબદાર સફાઈ કર્મીઓને બદલે સળગતો ડામ આ ડોકટરને સહન કરવો પડ્યો.
 

આ કિસ્સામાં કોણ સાચું કે કોણ ખોટું તેના રાજકારણમાં ઉતર્યા વગર એક વાત તો તારવી જ શકીએ કે બેડશીટ ગંદી તો ન જ હોવી જોઈએ. કોરોનાકાળમાં પણ આપણે આવા અનેક વાઇરલ વિડિઓ જોયા છે. કોરોનાના શરૂઆતના દિવસોમાં ક્યારેય સરકારી દવાખાનામાં પગ ન મુક્યો હોય એવા લોકોને આઠ થી દસ દિવસ સુધી ગંધાતા બેડશીટ, તૂટેલી છત, ઝૂમતા ભયજનક સિલિંગ ફેન કે વાસ મારતા ટોયલેટ વાળા સરકારી દવાખાનામાં વિતાવવા પડ્યા. હંમેશા પ્રાઇવેટના ચક્કર મારતા આ વીઆઇપી બંધુઓને ત્યારે છેક આરોગ્ય વિભાગની બેદરકારીઓ દેખાઈ અને દરરોજ નવરા પડ્યા પડ્યા વિડિઓ બનાવીને આરોગ્યમાં કામ કરતા લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરેલો. શું આ ખોટું હતું? શું તંત્રની બેદરકારી લોકો સામે લાવવી એ ખોટી બાબત છે? ના. લાવવી જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે આવી જાગૃતિ જ્યારે પોતાના પર આવે ત્યારે જ શા માટે? વર્ષોથી જે ગરીબ પ્રજા આ તૂટેલી સિસ્ટમમાં સેવાઓ મેળવી રહી છે ત્યારે તે લોકોની અપેક્ષાઓ કદાચ આટલી નથી પણ શું તેની સુવિધાઓમાં ગુણવતા ઉમેરાય તેના માટે પ્રયત્ન ન કરવો જોઈએ?

Image Source: Deccan Chronicle



સરકારી તંત્ર અને સરકાર ખુદ પણ જાણે છે કે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મોટો ફરક સ્વચ્છતાનો જ છે. જો સરકારી સંસ્થાનો સ્ટાફ પુરેપુરો ભરેલો હોય તો સ્વચ્છતા જાળવીને અને લોકો સાથે સુઘડ વર્તન કરીને પણ તે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર આપી શકે છે. બંને સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા સ્ટાફની કવોલીફિકેશન હમેશા સરખી જ હોય છે. ઉલટાનું સરકારી સ્ટાફ પ્રાઇવેટ સ્ટફા કરતા ક્યારેક વધુ કવોલિફાઇડ હોય છે જેમાં ક્યારેક પ્રાઇવેટ સંસ્થાઓ પોતાના આર્થિક લાભ ખાતર બાંધછોડ કરતી હોય છે. પરંતુ અફસોસ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેસી જાય છે. લોકોનો ઘસારો અને સંખ્યા સરકારી હોસ્પિટલમાં વધુ હોવાથી સ્વચ્છતા જાળવવી એક ચેલેન્જ બની જતી હોય છે. પરંતુ ક્યાંકથી તો શરૂઆત શક્ય છે જ.


અહીં ફક્ત બધું સ્વચ્છ કરવાની જવાબદારી જેમ સફાઈ કર્મીઓની છે તેમ બધું સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સામે કાંઠે લોકોની હોય છે જે એ ક્યારેય યાદ રાખતા નથી. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલા બે થૂંકદાનીઓ રાખવામાં આવી. આમ તો સરકારી સંસ્થાનોમાં તમાકુ ગુટકા પર પ્રતિબંધ જ હોય છે આમ છતાં કોઈના મોંમાં ભરેલ હોય અને દવાખાનમાં પ્રવેશતા તેની અંદર માંહ્યલો રામ જાગે અને તેને એ 'રક્તવર્ણીરસ' થૂંકવાની ઈચ્છા થાય તો સ્ટેન્ડ પર છાતીની હાઈટ પર ગોઠવીને ગેટ પાસે રાખેલી આ થૂંકદાનીમાં થૂંકી શકે. પણ અફસોસ કે આ થૂંકદાની કરતા તેના સ્ટેન્ડ પાસે કલર કામ વધુ જોવા મળ્યું અને થૂંકદાનીનો ઉપયોગ કચરાપેટી તરીકે થવા માંડ્યો. ફરી એકવાર પ્રાઇવેટ દવાખાનાની સરખામણીએ ચડતું અમારું દવાખાનું આ તમાકુવીરોની પિચકારીઓ સાથે બે ડગલાં પાછળ ખસી ગયું. 


સુપર ઓવર: લોકો પાસેનો હક્ક અને ફરજની બે બાજુ વાળો સિક્કો શોલે ફિલ્મના અમિતાભ પાસે જે સિક્કો હતો તેના જેવો છે જેને તમે ગમે તેટલો ઉછાળો ફક્ત હક્કની બાજુ જ દેખાશે.

Monday, April 4, 2022

હોસ્પિલમાં હિંસા: આમ હૈ જનાબ!


એકાદ મહિના પહેલાંની જ વાત છે જ્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરેપૂરો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેઠેલો હતો. વાત ફકત એટલી જ હતી કે એક દર્દી દ્વારા નર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી તમામ મર્યાદાઓ ચૂકીને ડૉકટરથી માંડીને તમામ સ્ટાફ સાથે કરવામાં આવી. દર્દીને એટેન્ડ કરવામાં ફ્કત પાંચ મિનિટનો સમય લાગતા એ દર્દીની ધીરજ ખૂટી ગઈ હતી, બસ વાત ફ્કત એટલી જ હતી. દર્દીને કોઈ ઇમરજન્સી ન હોવા છતાં પોતાના નંબરની રાહ જોવા તૈયાર ન હતો. આવી સામન્ય ધીરજના આભાવને કારણે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. કોઈ જ પ્રકારની મારામારી થઈ ન હતી, થોડી ઘણી પાયાવિહોણી ધાકધમકીઓ હતી. આમછતાં તમામ સ્ટાફ દ્વારા તરત જ આ વાત સામે બાંયો ચડાવીને ફરિયાદ દાખલ કરી જેને કારણે થોડા ઘણા અંશે પણ લોકોમાં એક ઉદાહરણ બેસાડી શકાય. ખરાબ માનસિકતા અને દાદાગીરીના પવનમાં ભાન ભૂલી ગયેલા એ 'કહેવાતા' દર્દીએ એ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી.


આ વાત આજે યાદ કરવાનું કારણ રાજસ્થાનમાં થયેલ એક દુર્ઘટના છે. અહીં લોકોની નજરમાં જે દુર્ઘટના છે તેના કરતાં અલગ દુર્ઘટના દેશના ડૉકટર અને મેડિકલ સ્ટાફની નજરમાં છે. આ બંને દુર્ઘટનામાં જીવ ગયા જેમાં એક દર્દીની સાથે એક ડૉકટર પણ જીંદગી હારી ગઇ. ગાયનેકોલોજિસ્ટ ડૉકટર અર્ચના શર્માની પ્રાઇવેટ કલીનિકમાં એક દર્દીનું પ્રસૂતિ બાદ પોસ્ટ પાર્ટમ હેમેરેજને કારણે લોહી વહી જવાથી મૃત્યુ થયું પણ બાળકને બચાવી લેવાયું. આ મૃત્ય બાદ મૃતદેહને ઘરે લઈ જવાયો પણ ત્યારબાદ કેટલાક રાજનૈતિક અને ગુંડાગીરી ધરાવતા આગેવાનો આગળ આવ્યા અને મૃતદેહને પાછો હોસ્પિટલ લાવીને હંગામો ઊભો કર્યો, કેસ કર્યો અને એટલી માનસિક સતામણી કરવામાં આવી કે બે બાળકોની માતા કે જેનો પતિ એક મનોચિકત્સક હોય તેણે પોતાના સ્વમાન ખાતર આત્મહત્યા કરવી પડી. અહીં કેટલાકના મતે દર્દીનું મૃત્યુ મર્ડર હશે તો કેટલાક માટે ડૉકટરની આત્મહત્યા પણ મર્ડર જ ગણાશે.


હોસ્પિટલમાં થતી ભાંગફોડ કે હિંસા એ કોઈ નવી વાત નથી. આમ છતાં આ હિંસાને કોઈ કોમી હિંસા જેવું કે આંદોલન જેવું માઇલેજ મીડિયામાં ભાગ્યે જ મળે છે. હકીકતે મોટાભાગના કિસ્સામાં મીડિયાનુ નેરેટિવ સેટ કરીને જ લેભાગુ તત્વો તેના આશરે હોસ્પિટલમાં ખેપાની ખેલ ખેલતા હોય છે. હવે તો દરેકના ખિસ્સામાં રહેલો મોબાઈલ જ જાણે રિપોર્ટિંગ નું સાધન બની ગયું હોય એમ કોઈ પણ પ્રકારની પ્રાઈવસી કે કોઈના સ્વમાનની પરવા કર્યા વગર જ દરેક અર્ધસત્ય કે અસત્ય વાઇરલ કરીને જનહિતમાં જારી કરી દેવામાં આવે છે. દરેક ઘટનાઓની બે બાજુઓ હોય છે પણ સામાન્ય અભિપ્રાયને જ વાયરલ કરીને તેનો ગેરલાભ ઉઠાવતા લોકોને જ આજે 'જાગૃત' નાગરિકનું બિરુદ મળે છે. 


આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે તેનું કારણ આવી ઘટનાઓને હજુ આપણા ન્યાયક્ષેત્રમાં પ્રાયોરીટીની નજરથી જોવાતી નથી. જ્યાં ગંભીર બોમ્બ વિસ્ફોટ જેવા મુદ્દાઓમાં પણ સાચો છતાં દસ કે પંદર વર્ષે ન્યાય મળતો હોય તો પછી આવી બાબતોને પ્રાધાન્ય થોડું મળે! ન્યાયમાં વિલંબ એ લગભગ અન્યાય બરાબર જ માનવામાં આવે છે. 

🔗આ પણ વાંચો: હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?

એક્સિડન્ટના કેસમાં દાખલ થયેલ દર્દીનું મૃત્યુ થાય એટલે ડૉકટર જવાબદાર, વીસ બાળકોના વેક્સિનેશન બાદ તેમાંથી જો એક બાળકને પણ આડઅસર થાય એટલે નર્સ જવાબદાર, મેડીકો લીગલ કેસમાં પોલીસની મદદ માટે આગળ આવતા ડૉકટરની ગુંડાઓ દ્વારા સતામણી, સરકારી હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચર કે પૂરતા સ્ટાફની સુવિધાઓના અભાવે દર્દીઓને પડતી હાલાકીઓ માટે પણ જવાબદાર ડૉકટર... આમ આવી દરેક બાબતોમાં આપણે ડૉકટર જવાબદાર કે મેડિકલ સ્ટાફને શૂળીએ ચડાવીને છીએ અને તેની જ ટેવ પડતી જાય છે. મૂળ અસુવિધાનું કારણ કે તેનું સોલ્યુશન શોધવાની તસ્દી કોઈ લેવા તૈયાર નથી.


એવું નથી હોતું કે દર વખતે ડૉકટર નિર્દોષ જ હોય, પણ જાણીજોઈને કોઈ ડૉકટર બેદરકારી દ્વારા જીવ લેવા તો તૈયાર હોતો નથી. કેટલીકવાર બેદરકારી તો કેટલીકવાર દર્દીઓની લાગણી સભર નાજુક ક્ષણો પણ આવી હિંસા માટે ટ્રિગરનું કામ કરે છે. આવી સ્થિતિમાં ડોકટર પણ દર્દીઓ અને તેના સગાવહાલાઓની લાગણીઓને ધ્યાને લઇને વિવેકપૂર્ણ વર્તન અને વ્યવહાર કરે એ જરૂરી છે, કારણ કે આ સમયે એક પણ જડ શબ્દ દર્દીઓના સ્વજનોને તીર જેવો ખૂંપી જતો હોય છે. દરેક મેડિકલ સ્ટાફે આ વાત ગળે બાંધી જ લેવી જોઈએ કે સામેનો વ્યક્તિ લાગણીના તાણમાં હોય છે પણ પોતે હમેશાં સ્થિતપ્રજ્ઞ રહેવો જોઈએ. મોટાભાગના કેસોમાં હિંસા અથવા ધાકધમકી એ લાભ ખાટવાનું સાધન હોય એવું બને છે પરંતુ જેટલા કિસ્સાઓમાં ફક્ત લાગણીઓને કારણે આવું બનતું હોય ત્યારે મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલની જવાબદારી પણ દર્દીઓ પ્રત્યે એટલી જ હોય છે. 


હોસ્પિટલ અને દર્દી વચ્ચે વિશ્વાસનું વાતવરણ ઉભુ થાય એ જરૂરી છે જેની જવાબદારી બંને પક્ષે સરખી રહે છે. આ વિશ્વાસના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે યોગ્ય પગલા ભરાય અને ન્યાય મળે એ જવાબદારી પણ સામે સરકારની તેમજ ન્યાયતંત્રની બને છે.


સુપર ઓવર: "એ'લા ગાડી ઉભી તો રાખ. આ હોસ્પિટલ પાસે આટલી ભીડ કેમ છે?"

"કોઈક એક્સિડન્ટનો કેસ હશે અથવા બધા ડૉક્ટરને લમધારવા આવ્યા હશે. તું સીધી ગાડી જવા દે ને, ભાઈ."

Sunday, January 30, 2022

બહુજન હિતાય બહુજન સુખાય, નિયમોને કદીએ નેવે ન મુકાય?


એક બગીચાની બેન્ચ પાસે દરરોજ રાત દિવસ એક પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે ઉભો રહે. કોઈએ તેને પુછયું કે તેને અહીં કેમ ઉભો રાખ્યો તો જવાબમાં બસ એટલું જ કહે કે અમારા સરનો ઓર્ડર છે ,તેને ખબર. જ્યારે તેના સરને પૂછવામાં આવ્યું કે અહીં પોલીસ સિક્યુરિટી કેમ?  તો જવાબ ફરી પાછો એ જ કે મારી બદલી થઈને હું અહી આવ્યો એ પહેલાની અહીં ડયુટી શરૂ છે. તેની પહેલાના નિવૃત અધિકારીઓ સુધી આ સવાલ લંબાતો ગયો પણ જવાબ એક જ મળ્યો કે પહેલાથી જ ત્યાં પોલીસનો પોઇન્ટ છે. હકીકત જાણવા ઈચ્છુક એક વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલાના તે સ્થળ પર ફરજ બજાવતા એક અધિકારી સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે તે સમયે એક નેતાએ લગાવેલા તે નવા બાંકડાને પોતાની ગ્રાન્ટમાંથી તાજો રંગ કરેલ હોવાથી લીલા બાંકડા પર કોઈ બેસે નહિ એ માટે ત્યાં એક માણસ ચોકીદાર તરીકે લગાવાનો નેતાશ્રીએ પોલીસ કચેરીને કહેલું અને કચેરીમાંથી તેના માટે એક માણસનો ઓર્ડર છૂટી ગયો. બાંકડાનો રંગ સુકાય એ પહેલાં પોલીસ ઇન્ચાર્જની બદલી થઈ ગઈ અને આજે પણ બદલી પછી આવેલ દરેક  ઓફિસર તે ઓર્ડરનું આંધળું પાલન કરાવે છે. આજે પણ તે કારણે એક પોલીસ સ્ટાફ બેન્ચ પાસે વેડફાય છે.


મુંબઈમાં બહુમાળી એક ઇમારતમાં આગ લાગ્યા બાદ દાઝેલા ઝખમી લોકોને બાજુની એક હોસ્પિટલમાં દાખલ કરવા લઈ જવાયા. પરંતુ દાખલ કરતા પહેલા દરેક પીડિતના કોરોના રિપોર્ટ માંગવામાં આવ્યા. જેને લીધે સારવારમાં વિલંબ થયો.


ગત કોરોના લહેરમાં એક પેરેલાઈઝડ વૃદ્ધાને તેનો પુત્ર રિક્ષામાં લઈને ગામડાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યો. હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં એક પ્રાઇવેટ હોસ્પિટલે તેનું નિદાન કર્યું પણ કોરોનાના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી. એ સમયે રિપોર્ટ માટે પણ સાંજ સુધી ક્યાંય વારો આવતો ન હોવાથી પોતાની માંને લઈને મોટા શહેરમાંથી ગામડા તરફ લાંબો થયો. દુર્ભાગ્યવશ તેનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પણ સારવારમાં વિલંબને કારણે તેની જિંદગીનો રિપોર્ટ પણ થોડા જ દિવસોમાં નેગેટિવ થઈ ગયો.


હોસ્ટેલમાં રેક્ટર અને સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે કે હોસ્ટેલમાં આવતા પહેલા RTPCR રિપોર્ટ ફરજિયાત કર્યા. હાલમાં જ્યાં ખરેખર લક્ષણો વાળા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટનો લોડ એટલો છે કે 4 દિવસ બાદ રિઝલ્ટ આવે છે ત્યારે આવી રીતે વધારાના કોઈપણ લક્ષણો વગર આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના રિપોર્ટ શું ખરેખર જરૂરતમંદ દર્દીઓ માટે આપણી અછતગ્રસ્ત સિસ્ટમમાં અવરોધરૂપ નહિ બને?


આ ઉદાહરણો ફક્ત કોરોના ટેસ્ટની બાબતમાં જ છે પણ ખરેખર દરેક બાબતમાં લાગુ પડે છે. તાલુકાની કચેરીએ હાથના અંગુઠાની ઘસાઈ ગયેલી રેખાઓને કારણે બાયોમેટ્રિકમાં થતી તકલીફોને લીધે ધક્કાઓ ખાતા વૃદ્ધ લોકો પણ આ જ પ્રકારની હેરાનગતિનો ભોગ બને છે. થોડા સમય પહેલા પંકજ ત્રિપાઠી અભિનીત 'કાગઝ' ફિલ્મમાં આ જ કાયદાકીય મહામારીનો ભોગ બનેલ વ્યક્તિની સત્યઘટના બતાવાઈ છે જેમાં વ્યક્તિ જીવિત હોવા છતાં તેની પાસે પોતે જીવિત હોવાનો કોઈ પુરાવો ન હોવાથી રોજિંદા જીવનમાં તકલીફોમાં મુકાઈ જાય છે.


આ કોઈ સરકારી તંત્ર કે પ્રાઇવેટ સેક્ટરનો પર્સનલ પ્રોબ્લેમ નહિ પણ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. સરકારી કચેરીઓથી લઈને કોર્પોરેટ દુનિયા પણ આવા જડ નિયમોથી ખદબદે છે. ઘણીવાર નિયમો લાગુ કર્યા બાદ તેની વેલીડિટી અને નેસેસિટી પણ નક્કી કરવી પડતી હોય છે. માત્ર 'આગે સે ચલી આતી હૈ' સમજીને અનંત કાળ સુધી જીવનમૂલ્યો અચળ રહે, કાયદાઓ ન ચાલે. 


કાયદાઓની ગૂંચવણ કેટલાય લોકોને ન્યાય માટે કોર્ટનું પગથિયું ચડતા અટકાવે છે તો કેટલાક માટે સમયનો વેડફાટ બની રહે છે. જેવી રીતે મોંઘવારી દર વધી રહ્યો છે તેવી જ રીતે 'સત્યમેવ જયતે' પ્રત્યે લોકોનો શંકાનો દર વધી રહ્યો છે. અહીં સત્ય પોલિસી મેકર માટે પણ જુદું છે અને પોલિસી કન્ઝ્યુમર માટે પણ જુદું છે. એટલે દરેક પોતાના સત્યના જય માટે આંધળા દોડી રહ્યા છે. પોલિસીમાં ફ્લેકસીબીલીટી લાવીને લોકોને મદદ કરવાની કળા બ્યુરોક્રેસીમાં ક્યાંય જોવા મળતી નથી તો સામે પક્ષે ડેમોક્રેસી પણ આ માટે લાયકાત ગુમાવી રહી છે. પોલીસીને વળગી રહીને બુદ્ધિને અલગ કરી નાંખવી એ બંધારણ કદી ના હોઈ શકે, કેટલીકવાર વિવેકબુદ્ધિ વડે કાયદાઓ અને નિયમો કરતા લોકસેવાને વધુ પ્રાધાન્ય આપવું પડે છે. શું કાયદાઓની બહાર જઈને કોઈને સેવા આપવી એ ગુનો છે? ના, પણ બીજી રીતે જોઈએ તો આ એક લુપહોલ પણ બની રહે છે. જ્યારે કોઈ સરકારી કે કોર્પોરેટ અધિકારી નિયમોને ન વળગીને પોતાની વિવેકબુદ્ધિ કામે લગાવે અને લોકહિત માટે નિર્ણયો લે તો તરત જ તેની કેટેગરી લાગવગ કે ભ્રષ્ટાચારમાં આવી શકે છે.


ઘણીવાર નિર્ણયો તમારી પદ અને પાવરની ઉપર થઈને લેવા પડતા હોય છે. ઉપરોક્ત નોંધેલા કિસ્સાઓની જેમ જો જડ રીતે વળગી રહેવામાં આવે તો પણ ઘણા નુકશાન થતા રહે છે જેનું મુખ્ય કારણ પોલિસી મેકર અને બ્યુરોક્રેટ્સનો લોકોની હાલાકી સાથેનો ઘટી રહેલો સીધો સંબંધ છે. વાતાનુકુલીત ચેમ્બરમાં બેઠેલા બાબુઓ જમીની વાસ્તવિકતાથી અળગા હોય છે એટલું જ નહીં પણ સાથે સાથે પોતાની જડ પોલિસીઓને અભણ નેતાઓના બેકઅપ વડે લોકો પર થોપતા હોય છે જેનો હકીકતે લાભ લેનાર જનસમુદાય પણ બહોળો હોય છે પરંતુ અપવાદરૂપ લોકો માટે ફ્લેકસીબલ થવું ગુનો બની જતું હોય છે.


આ ફ્લેકસીબીલીટીને ગુનો માનવા માટે ફક્ત પોલિસી મેકર્સ જવાબદાર નથી પણ આગળ કહ્યું એમ ડેમોક્રેસી પણ એટલી જ જવાબદાર છે. જ્યારે કોઈ એકને વિવેકબુદ્ધિ વડે છૂટછાટ અપાય ત્યારે કેટલાક લોકો માટે તે ખટકો બની જાય છે અને લોકશાહીના નામે તેના પગ ખેંચવાના શરૂ થાય છે. કોઈ પ્રાઇવેટ ફર્મમાં કામ કરતા બે એમ્પ્લોયિમાં એક વધુ ચડિયાતો હોય અને તેને જો બીજા એમ્પ્લોયિની સાપેક્ષે ઓફીસ અવર્સ અને રજાઓમાં વધુ છૂટછાટ મળતી હોય તો તરત જ બીજા એમ્પ્લોયિને સમાનતાના બોધપાઠ યાદ આવશે અને ઈર્ષ્યા થશે. બસ આ પડોજણમાંથી બચવા બુદ્ધિને નેવે મૂકીને કોઈપણ કાયદાઓ કે સ્થાનિક સંસ્થાઓના નિયમોનું આંધળું ચુસ્ત પાલન કરવાનો જિદ્દી આગ્રહ રાખવામાં આવે છે.


બ્યુરોકરેટ્સ, કોર્પોરેટના મોટા અધિકારીઓ કે નેતાઓ જે કોઈ નેશનલ કે સ્થાનિક કાયદાઓ, નિયમો, શિસ્ત અથવા પોલિસી બનાવે છે તેના માટે આ એક મોટો પડકાર છે કે પોલિસીને લાગુ કરવામાં કોઈને અન્યાય ન થઈ જાય અને સામે આ પોલિસીના લુપહોલનો ઉપયોગ કરીને કોઈ સિસ્ટમને ઉલ્લુ ના બનાવી જાય. ભારતમાં આ કામ કરવું કે કરાવવું એ કોઈ નવી વેક્સિનના સંશોધન કરતા પણ વધુ પડકારરૂપ છે, કારણકે નિયમોનું પાલન કરવું અને નૈતિકતાનું પાલન કરવું એ બન્ને વચ્ચે બહુ મોટો તફાવત છે.


સુપર ઓવર: એક કાલ્પનિક ચૂંટણી ઢંઢેરો- ખેડૂતને શિયાળામાં પિયત કરતી વખતે ઠંડી ના લાગે તે હેતુસર દરેક બોરવેલ કે કુવા માટે અમારી સરકાર મફત ગીઝર આપશે જેથી પાણી ગરમ કરીને ખેતરમાં પિયત કરી શકાય. આ માટે દરેક ખેડૂતે પોતાના કુવા કે બોરવેલમાં કેટલા લીટર પાણી છે તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.*

*કન્ડિશન એપ્લાય



Sunday, January 16, 2022

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

 


વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો.

કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે.


SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને સરખી જ થાય એવું જરૂરી નથી. આવા વખતે પોતાની વિવેકબુદ્ધિને કામે લાગવીને પોતાના માટે ઉપયોગી સુચનોને ફિલ્ટર કરીને તેને શ્રધ્ધાપૂર્વક અપનાવવા એ જ ખરી હોશિયારી છે. કોરોનાની મોટાભાગની ટ્રીટમેન્ટ દવાખાનામાં તો ડોકટર જ હેન્ડલ કરતા હોય છે એટલે ત્યાં આ બાબતે મૂંઝવણ થવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જ્યારે ઘરે  સાજા થનાર કેસોની બાબતમાં સારવારની પ્રક્રિયામાં દર્દીનું કન્સેન્ટ જરૂરી બની જતું હોય છે.


આવા સમયે પોતાના શરીરની પૂરતી ઓળખ ધરાવતા વ્યક્તિ બાજી મારી જાય છે. અહીં એ વાત ગૌણ બની જાય છે કે દર્દી કેટલું ભણેલો છે કે પોતાની એનાટોમી ફિઝિયોલોજી જાણે છે કે નહીં. અહીં દર્દીનો પોતાના શરીર પરનો વિશ્વાસ અને તે વિશ્વાસને અનુરૂપ હિતેચ્છુ દ્વારા મળેલ સારવાર કે અનુભવનો ઉપયોગ મહત્વનો હોય છે. પસંદ કરેલ સલાહમાંથી પણ કેટલું ફિલ્ટર કરીને લેવું તે પણ છેલ્લે દર્દી પર જ નિર્ભર હોય છે. 


આ મહામારીમા કદાચ એ લોકો ઓછા હેરાન થયા છે જેણે દરેક પેથીનો પોતાના રોગની તીવ્રતાને આધારે ઉપયોગ કર્યો હોય, નહિ કે કોઈ એક વસ્તુ સાથે જિદ્દી થઈને વળગી રહ્યા હોય. સમયાંતરે રોગની તીવ્રતા મુજબ સારવાર પદ્ધતિમાં ફેરબદલ કરવાનું ટાઇમિંગ જ તમને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવે છે. મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બહારથી શરીરમાં દવાઓને રેડીને ઈશ્વરે આપેલા શરીરને સાજું કરીએ છીએ પણ આ અર્ધસત્ય છે. શરીરનું પોતાનું જ તંત્ર વાઇરસ કે કોઈપણ બીમારીના જંતુ સામે લડે છે જ્યારે બહારથી આપવામાં આવતી દવાઓ તેમાં મદદરૂપ થાય છે. કોવિડની પ્રથમ લહેરથી લાઈમલાઈટમાં આવેલા CRP ટેસ્ટના આંકડા જોઈએ તો ઘણાને તમ્મર ચડી જાય અને ક્યારેક 50 કે 100 ને પાર જતો આ આંકડો શારીરિક કરતા માનસિક તકલીફ વધુ ઉભી કરી દે છે. પરંતુ જો એવું વિચારવામાં આવે કે આ આંકડો એ જંતુઓનો નહિ પણ તેની સામે લડવા માટેની આર્મીનો છે તો મનમાં થોડી હળવાશ થશે. શરીરના આ ઈંફલામેટરી માર્કર્સ ઈંફલામેટારી રિઝોલ્વર પણ છે. 


નાની એવી માખી કે મચ્છર પણ તમારું અભિમાન તોડી શકતા હોય તો આ તો તેનાથી પણ અનેક ગણો સૂક્ષ્મ વાઇરસ છે. તમને પળવારમાં ભોંય ભેગા કરવા થોડી જ કલાકોમાં લાખો વાઇસરની ફૌઝ તૈયાર કરી શકે એમ છે. એટલે જિદ્દી થઈને સામનો કરવામાં બહાદુરી ઓછી અને મુર્ખામી વધુ છે. ડિપ્લોમેટિક થઈને થોડું વાયરસ જતું કરે થોડું તમે કાળજી રાખીને 'મને કાંઈ થાય નહિ'નો અહંમ મૂકીને જતું કરશો તો બન્ને વચ્ચેનો સુખદ માર્ગ જરૂર નીકળશે.


સુપર ઓવર: ભારત દેશમાં બે પેથીઓ વચ્ચે એટલુ વાંકુ છે કે જાણે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય.



આપના પગરવ

Search This Blog

Sandip Herma

My photo
ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.

Contact Form

Name

Email *

Message *

Followers