Skip to main content

સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ વચ્ચેનો મોટો ફરક: સ્વચ્છતા

સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે.



સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે.


આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા.


થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા. પંજાબના હેલ્થ મિનિસ્ટર દ્વારા બધાની હાજરીમાં આ અનુભવી ડૉકટરનું એવું અપમાન કરવામાં આવ્યું કે બીજા દિવસે આ સર્જને પોતાનું રાજીનામું ધરી દીધું. નેતાઓ દ્વારા લોકોમાં ધાક જમાવવા અને વટ પાડવા આવા પેંતરા થતા હોય છે પણ નેતાઓ આવી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની તસ્દી લેતા હોતા નથી. આ કિસ્સામાં એ સર્જનની ભૂલ એટલી જ હતી કે તેના સફાઈ કાર્યકરો પર તે સરખું સુપરવિઝન રાખી ન શક્યા. આ માટે જવાબદાર સફાઈ કર્મીઓને બદલે સળગતો ડામ આ ડોકટરને સહન કરવો પડ્યો.
 

આ કિસ્સામાં કોણ સાચું કે કોણ ખોટું તેના રાજકારણમાં ઉતર્યા વગર એક વાત તો તારવી જ શકીએ કે બેડશીટ ગંદી તો ન જ હોવી જોઈએ. કોરોનાકાળમાં પણ આપણે આવા અનેક વાઇરલ વિડિઓ જોયા છે. કોરોનાના શરૂઆતના દિવસોમાં ક્યારેય સરકારી દવાખાનામાં પગ ન મુક્યો હોય એવા લોકોને આઠ થી દસ દિવસ સુધી ગંધાતા બેડશીટ, તૂટેલી છત, ઝૂમતા ભયજનક સિલિંગ ફેન કે વાસ મારતા ટોયલેટ વાળા સરકારી દવાખાનામાં વિતાવવા પડ્યા. હંમેશા પ્રાઇવેટના ચક્કર મારતા આ વીઆઇપી બંધુઓને ત્યારે છેક આરોગ્ય વિભાગની બેદરકારીઓ દેખાઈ અને દરરોજ નવરા પડ્યા પડ્યા વિડિઓ બનાવીને આરોગ્યમાં કામ કરતા લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરેલો. શું આ ખોટું હતું? શું તંત્રની બેદરકારી લોકો સામે લાવવી એ ખોટી બાબત છે? ના. લાવવી જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે આવી જાગૃતિ જ્યારે પોતાના પર આવે ત્યારે જ શા માટે? વર્ષોથી જે ગરીબ પ્રજા આ તૂટેલી સિસ્ટમમાં સેવાઓ મેળવી રહી છે ત્યારે તે લોકોની અપેક્ષાઓ કદાચ આટલી નથી પણ શું તેની સુવિધાઓમાં ગુણવતા ઉમેરાય તેના માટે પ્રયત્ન ન કરવો જોઈએ?

Image Source: Deccan Chronicle



સરકારી તંત્ર અને સરકાર ખુદ પણ જાણે છે કે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મોટો ફરક સ્વચ્છતાનો જ છે. જો સરકારી સંસ્થાનો સ્ટાફ પુરેપુરો ભરેલો હોય તો સ્વચ્છતા જાળવીને અને લોકો સાથે સુઘડ વર્તન કરીને પણ તે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર આપી શકે છે. બંને સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા સ્ટાફની કવોલીફિકેશન હમેશા સરખી જ હોય છે. ઉલટાનું સરકારી સ્ટાફ પ્રાઇવેટ સ્ટફા કરતા ક્યારેક વધુ કવોલિફાઇડ હોય છે જેમાં ક્યારેક પ્રાઇવેટ સંસ્થાઓ પોતાના આર્થિક લાભ ખાતર બાંધછોડ કરતી હોય છે. પરંતુ અફસોસ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેસી જાય છે. લોકોનો ઘસારો અને સંખ્યા સરકારી હોસ્પિટલમાં વધુ હોવાથી સ્વચ્છતા જાળવવી એક ચેલેન્જ બની જતી હોય છે. પરંતુ ક્યાંકથી તો શરૂઆત શક્ય છે જ.


અહીં ફક્ત બધું સ્વચ્છ કરવાની જવાબદારી જેમ સફાઈ કર્મીઓની છે તેમ બધું સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સામે કાંઠે લોકોની હોય છે જે એ ક્યારેય યાદ રાખતા નથી. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલા બે થૂંકદાનીઓ રાખવામાં આવી. આમ તો સરકારી સંસ્થાનોમાં તમાકુ ગુટકા પર પ્રતિબંધ જ હોય છે આમ છતાં કોઈના મોંમાં ભરેલ હોય અને દવાખાનમાં પ્રવેશતા તેની અંદર માંહ્યલો રામ જાગે અને તેને એ 'રક્તવર્ણીરસ' થૂંકવાની ઈચ્છા થાય તો સ્ટેન્ડ પર છાતીની હાઈટ પર ગોઠવીને ગેટ પાસે રાખેલી આ થૂંકદાનીમાં થૂંકી શકે. પણ અફસોસ કે આ થૂંકદાની કરતા તેના સ્ટેન્ડ પાસે કલર કામ વધુ જોવા મળ્યું અને થૂંકદાનીનો ઉપયોગ કચરાપેટી તરીકે થવા માંડ્યો. ફરી એકવાર પ્રાઇવેટ દવાખાનાની સરખામણીએ ચડતું અમારું દવાખાનું આ તમાકુવીરોની પિચકારીઓ સાથે બે ડગલાં પાછળ ખસી ગયું. 


સુપર ઓવર: લોકો પાસેનો હક્ક અને ફરજની બે બાજુ વાળો સિક્કો શોલે ફિલ્મના અમિતાભ પાસે જે સિક્કો હતો તેના જેવો છે જેને તમે ગમે તેટલો ઉછાળો ફક્ત હક્કની બાજુ જ દેખાશે.

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...