Skip to main content

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

 


વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો.

કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે.


SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને સરખી જ થાય એવું જરૂરી નથી. આવા વખતે પોતાની વિવેકબુદ્ધિને કામે લાગવીને પોતાના માટે ઉપયોગી સુચનોને ફિલ્ટર કરીને તેને શ્રધ્ધાપૂર્વક અપનાવવા એ જ ખરી હોશિયારી છે. કોરોનાની મોટાભાગની ટ્રીટમેન્ટ દવાખાનામાં તો ડોકટર જ હેન્ડલ કરતા હોય છે એટલે ત્યાં આ બાબતે મૂંઝવણ થવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જ્યારે ઘરે  સાજા થનાર કેસોની બાબતમાં સારવારની પ્રક્રિયામાં દર્દીનું કન્સેન્ટ જરૂરી બની જતું હોય છે.


આવા સમયે પોતાના શરીરની પૂરતી ઓળખ ધરાવતા વ્યક્તિ બાજી મારી જાય છે. અહીં એ વાત ગૌણ બની જાય છે કે દર્દી કેટલું ભણેલો છે કે પોતાની એનાટોમી ફિઝિયોલોજી જાણે છે કે નહીં. અહીં દર્દીનો પોતાના શરીર પરનો વિશ્વાસ અને તે વિશ્વાસને અનુરૂપ હિતેચ્છુ દ્વારા મળેલ સારવાર કે અનુભવનો ઉપયોગ મહત્વનો હોય છે. પસંદ કરેલ સલાહમાંથી પણ કેટલું ફિલ્ટર કરીને લેવું તે પણ છેલ્લે દર્દી પર જ નિર્ભર હોય છે. 


આ મહામારીમા કદાચ એ લોકો ઓછા હેરાન થયા છે જેણે દરેક પેથીનો પોતાના રોગની તીવ્રતાને આધારે ઉપયોગ કર્યો હોય, નહિ કે કોઈ એક વસ્તુ સાથે જિદ્દી થઈને વળગી રહ્યા હોય. સમયાંતરે રોગની તીવ્રતા મુજબ સારવાર પદ્ધતિમાં ફેરબદલ કરવાનું ટાઇમિંગ જ તમને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવે છે. મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બહારથી શરીરમાં દવાઓને રેડીને ઈશ્વરે આપેલા શરીરને સાજું કરીએ છીએ પણ આ અર્ધસત્ય છે. શરીરનું પોતાનું જ તંત્ર વાઇરસ કે કોઈપણ બીમારીના જંતુ સામે લડે છે જ્યારે બહારથી આપવામાં આવતી દવાઓ તેમાં મદદરૂપ થાય છે. કોવિડની પ્રથમ લહેરથી લાઈમલાઈટમાં આવેલા CRP ટેસ્ટના આંકડા જોઈએ તો ઘણાને તમ્મર ચડી જાય અને ક્યારેક 50 કે 100 ને પાર જતો આ આંકડો શારીરિક કરતા માનસિક તકલીફ વધુ ઉભી કરી દે છે. પરંતુ જો એવું વિચારવામાં આવે કે આ આંકડો એ જંતુઓનો નહિ પણ તેની સામે લડવા માટેની આર્મીનો છે તો મનમાં થોડી હળવાશ થશે. શરીરના આ ઈંફલામેટરી માર્કર્સ ઈંફલામેટારી રિઝોલ્વર પણ છે. 


નાની એવી માખી કે મચ્છર પણ તમારું અભિમાન તોડી શકતા હોય તો આ તો તેનાથી પણ અનેક ગણો સૂક્ષ્મ વાઇરસ છે. તમને પળવારમાં ભોંય ભેગા કરવા થોડી જ કલાકોમાં લાખો વાઇસરની ફૌઝ તૈયાર કરી શકે એમ છે. એટલે જિદ્દી થઈને સામનો કરવામાં બહાદુરી ઓછી અને મુર્ખામી વધુ છે. ડિપ્લોમેટિક થઈને થોડું વાયરસ જતું કરે થોડું તમે કાળજી રાખીને 'મને કાંઈ થાય નહિ'નો અહંમ મૂકીને જતું કરશો તો બન્ને વચ્ચેનો સુખદ માર્ગ જરૂર નીકળશે.


સુપર ઓવર: ભારત દેશમાં બે પેથીઓ વચ્ચે એટલુ વાંકુ છે કે જાણે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય.



Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...