Skip to main content

ફિલ્મના પાત્રથી પ્રભાવિત થઈ શકાય, તે પાત્ર ભજવનારથી થવું જરૂરી નથી.


આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ હાઉસફુલ જઇ રહ્યા છે.(અહીં હાઉસફુલ કોરોના કાળ પહેલા લખેલ સમજવું.) મોટીવેશનલ સ્પીકર્સ એટલા હોશિયાર છે કે તેને એ પણ ખબર છે કે મારા સેમિનારમાં હજારની ટીકીટ લઈને બેસવાવાળા જ સૌથી વધુ ડિપ્રેસ હોય છે. જો કે ડિપ્રેશનને શ્રીમંતાઈ સાથે જ ઘરોબો છે એવું નથી પણ શ્રીમંતોનું ડિપ્રેશન લાખોનું હોય છે એ વાત મોટીવેશનલ સ્પીકર સૌથી વધુ જાણે છે. મોટિવેશન એ પ્રોફેશન ના હોઈ શકે, જો આ સ્પીકર પોતે એવું જીવન જીવીને દાખલો બેસાડે તો જરૂર પ્રભાવિત થઈ જવાય.


પણ વાત ડિપ્રેશન કે સ્યુસાઇડની નથી કરવી. વાત કરવી છે કોઈ પણ સેલિબ્રિટી તરફની આપણી માનસિકતાની. કોઈ પણ ફિલ્મી એકટર સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ કે એટલા બહોળા પ્રમાણમાં લોકો બીજા કોઈ ફિલ્ડના સેલિબ્રિટી સાથે બહુ જૂજ જોડાતા હશે. ખરેખર ભૂલ અહીં જ થઈ જાય છે. આપણે એ એક્ટર સાથે જોડાવાનું કારણ તેણે કોઈ એક કે વધુ ફિલ્મોમાં ભજવેલ અપ્રતિમ પાત્ર હોય છે. પણ આ પાત્ર સાથેનું આપણું જોડાણ એટલું ઊંડું ઉતરે છે કે આપણે એ પાત્ર ભજવનારની પર્સનલ લાઈફમાં ડોકિયું કરવા માંડીએ છીએ. રિયલ કેરેકટર ધોની કરતા તેનું રીલ કેરેકટર સુશાંતસિંહ રાજપૂત વધુ પ્રેરણાદાયી લાગવા માંડે, કારણ કે મનને ફિક્શન પસંદ છે. હવે તકલીફ ત્યાં થાય છે જ્યારે આપણે આ કેરેક્ટરની અપેક્ષા તે એકટરની રિયલ લાઈફમાં પણ રાખતા થઈ જઈએ છીએ. રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને શું તમે બીજા નેગેટિવ પાત્રમાં પચાવી શકશો? 

એકટર પોતાના કેરેક્ટરમાં જરૂર મશગૂલ હોય છે પણ તેનાથી વધુ મશગૂલ તેના પ્રેક્ષકો હોય છે. પછી આપણને  આમિર ખાનની દરેક વાતો રણછોડદાસ ચાંચડની વાતો જ લાગવા માંડે છે. સલમાનભાઈ નું બ્રેસલેટ આપણને તેના ફેન હોવાનું પ્રતિક લાગવા માંડે છે. પ્રિયંકા ચોપરાની કોઈ પણ વાતમાંથી આપણે જે પ્રેરણા લઈએ છીએ એટલી કદાચ મેરીકોમ પાસેથી પણ નથી લેતા. ધીમે ધીમે એકટર જ કેરેકટર લાગવા માંડે છે અને આપણી અપેક્ષાઓને બે પાંખો વધુ ફૂટે છે. તેમની પાસેથી આપણે એ બધુ અપેક્ષિત કરીએ છીએ જેટલું આપણે તેના 3 કલાક થી ઓછા સમયના કેરેકટર પાસેથી કર્યું હોય. ત્યારબાદ એક સમય એવો આવે છે કે આ એકટર કોઈ વાતમાં આપણી ધાર્મિક કે રાજનૈતિક ભાવનાઓ દુભાય એવી એકાદ હિલચાલ કરી દે છે અને પછી લાખો લોકોની અપેક્ષાઓને ધક્કો પહોંચે છે. રાતોરાત એ એકટર તેના માટે બોયકોટ કેટેગરીમાં આવી જાય છે. એક જ મિનિટમાં લોકોનું દિલ તૂટી જાય છે. કેવા નાદાન લોકો છે! આ એકટરને તમે મનથી માનેલા કેરેકટર સાથે કોઈ લેવા દેવા હોતું નથી અથવા તો આવું થવા પાછળ તેના કેરેક્ટરનો કોઈ વાંક નથી. તેમની પણ એક સ્વતંત્ર જિંદગી હોય છે જેમાં કદાચ શરૂઆતની વાહવાહી તેને ગમતી હોય પણ પછી પ્રશંસાના પ્રત્યુતર આપવા અને લાખો ફેનનું દિલ ના તૂટે તેનું ધ્યાન રાખવું એ પણ એક ચેલેન્જ બની જતી હોય છે. અપેક્ષાઓના ભાર નીચે તો ધોની અને સચિન પણ જીવી ગયા છે. બસ ફરક એ હતો કે એ લોકોને ફિલ્મી કલાકારોની જેમ કોઈ બીજુ કેરેકટર ભજવવાનું ન હતું. તેણે પોતાના કિરદારમાં જ કામ કરવાનું હતું. શાહરુખ ખાનની ફિલ્મ 'ફેન' આવેલી જેમાં તેના જબરા ફેનનું ગાંડપણ ચોખ્ખું બતાવાયુ છે અને તે ગાંડપણનો અંત પણ ખૂબ કરૂણ છે એ પણ આપે જોયુ હશે. આપણે આવા જ ફેન બની ગયા છીએ. મનોરંજનમાંથી, વોટ્સએપ મેસેજમાંથી કે કોઈપણ મોટીવેશનલ સ્પીકરના શબ્દો સાથે આપણું જીવન જોડવાની કોશિષ કરતા આપણે દરેક જગ્યાએ પ્રેરણા શોધીએ છીએ. નીતીશ ભારદ્વાજ પાસેથી પ્રેરણા શોધવાનો પ્રયત્ન કરતા આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ. યુદ્ધના મેદાનમાં ડિપ્રેશનમાં સરી પડેલા અર્જુનને ઉભો કરનાર કૃષ્ણને આપણે ગૌણ બનાવી દીધો છે. આપણે એટલા બધા પ્રભાવિત થઈ જઈએ છીએ ફિલ્મી કેરેક્ટર્સથી કે આ પ્રભાવને જ પ્રેરણા સમજવાની નાદાની કરી બેસીએ છીએ. ફિલ્મનું કેરેકટર ભજવનાર કરતા તેને કલમ દ્વારા જન્મ આપનાર લેખકની ભાવના અને વિચારો વધુ સશક્ત હોય છે. હું એમ નથી કહેતો કે ફિલ્મો પ્રેરણા ના આપી શકે, પણ ફિલ્મનું પ્રેરણાત્મક પાસું તેનું કેરેકટર છે, નહિ કે એકટર એ વાત મગજમાં ઉતરવી જોઈએ. તેને નાહકનું એક્ટરના જીવન સાથે જોડીને ગૂંચવણ ઉભી ના કરવી જોઈએ. હા, મારા પ્રોફાઈલ પિક્ચરમાં રહેલા આયરન મેન થી હું પ્રભાવિત છું પણ તેનો અર્થ એ નથી કે હું રોબર્ટ ડી. જુનિયરને મારો આદર્શ બનાવી લઉં.

સુપર ઓવર: જો એકટર લોકો જ તેના કેરેક્ટરને છાતીએ લગાવીને જીવતા હોત તો કદાચ આજે એક જીવ બચી ગયો હોત!

Comments

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...