Skip to main content

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ


દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું. 


ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી. 


કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે.


1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા!


આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું પણ તમારી દવાથી મને એક ઓડકાર પણ ન આવવો જોઈએ. 


2. કાલે દવા લઈ ગયો 'તો પણ હજુ કંઇ ફેર પડ્યો નથી. બીજી કોઈ દવા હોય તો આપો.


આ પ્રકારના દર્દીઓ જનરલી પ્રીમેચ્યોર ડિલિવરીથી જન્મેલા હોય છે. ઉતાવળે કાર્બનની પડીકીઓ નાંખીને પકવેલી કેરીઓ જેવા આવા દર્દીઓ મોટાભાગે ડોક્ટરના સ્ટીરોઈડ અસ્ત્રનો ભોગ બનતા હોય છે. ધીરજના ફળ મીઠાં હોય એમ અધીરાઈના ફળ જનરલ પ્રેક્ટિસમાં સ્ટીરોઈડ તરીકે ઓળખાય છે.


3. રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે આ ધાધર કેમ થાય છે. એમનેમ દવા લેવી નથી કે ખોટી ખાવી નથી.


ના. સાચી વાત છે. રિપોર્ટ્સથી નિદાન બરાબર થાય. પણ કયા નિદાન માટે કયા રિપોર્ટની જરૂર પડે એ તો તમે ડોક્ટરને નક્કી કરવા દો. ઘણા પેશાબનું સેમ્પલ આપીને હીમોગ્લોબિન કેટલું આવ્યું એ પૂછી લે છે, બોલો!


4. દવા ખાઈએ એટલી ઘડીક જ સારું રહે છે. જેવી દવા મૂકી દઉં એટલે ડાયાબિટીસ અને બીપી બંને વધી જાય છે. તમે તો દવાનું બંધાણ કરાવી દીધું.


દરેક દવા ખાસ કરીને એલોપથી લાંબા ગાળાની બીમારીઓને કંટ્રોલ કરી રાખે છે, સંપૂર્ણ રીતે મટાડી શકતી નથી. દવાનો રોલ ફક્ત પચાસ ટકા જ છે બાકીનું પચાસ ટકા તો લાઇફસ્ટાઇલ ઉપર જ આવા રોગોને કાબુ કરી શકાય છે. પણ આ દર્દી નારાયણ તો દવાને મનફાવે તે ખોરાક ખાવાનું લાયસન્સ માની લે છે. પ્રભુ! દવા નિયમિત ખાતા રહો અને પોતાના પર થોડી દયા પણ ખાતા રહો, જો સાજા નરવા જિંદગી જીવવી હોય તો.


5. "ગળામાં ખૂબ બળતરા થાય છે. પાણી પણ ગળેથી ઊતરતું નથી." એટલે ડોક્ટર બોલે "ક્યાં? મોં ખોલો."  અને જેવી મોઢાંમાં ટોર્ચ કરવામાં આવે કે તરત જ પાન મસાલાથી ભરપૂર લાલચોળ મોઢું અને ચૂનો મારેલ ગાલના ગલોફાં દેખાય.


આવા દર્દીઓનું મોં ખોલીને દર્શન કરીએ ત્યારે જાણે યશોદાને કૃષ્ણના મોંઢામાં આખું બ્રહ્માંડ દેખાયું હતું એમ આવા માવાભક્ષક દર્દીઓના મોઢામાં આખા ઉકરડાનું દર્શન થતું હોય એવું લાગે. દાંત પર જાણે છાણા થાપેલાં હોય એવા કાળા ડાઘ આ મોં રૂપી બ્રહ્માંડમાં બ્લેક હોલ જેવા લાગતા હોય છે. વળી આવા દર્દીઓને ભૂલથી પણ પાન મસાલા ન ખાવાની સલાહ અપાઈ જાય તો માવા ખાવાથી લોહીના ટકા વધે અને લોહી પાતળું થાય એવુંં જ્ઞાન પાછું દર્દી ડોક્ટરને સામે ચોંટાડે એ અલગ. માન્યામાં ન આવતું હોય તો નીચેની લિંક પરની બ્લોગપોસ્ટ પર પણ આંટો મારતાં આવો. 

👇

શું સોપારી ખાવાથી લોહી પાતળું થાય?

👆

6. લેબોરેટરી રિપોર્ટ તો બધા કરાવ્યા પણ કાંઈ આવ્યું નહીં. પૈસાનું પાણી કરી નાખ્યું.


આટલું લોહી, પેશાબ કે ગળફાં આપ્યા છતાં રિપોર્ટમાં કાંઈ ન આવવાનું દુઃખ જાણે પોતે મફતમાં અંગદાન કરી દીધું હોય એવી રીતે વ્યક્ત કરતા હોય છે. એમાં પણ જો ક્યાંય પૈસા દઈને રિપોર્ટ કરાવ્યા હોય તો પૈસા ગુમાવવાનો વસવસો પોતાની બીમારી કરતા પણ વધુ હોય છે. ઘણાંના તો અંતરાત્મા એવું ઇચ્છતા હોય છે કે આટલા પૈસા આપ્યા કંઈક તો પોઝિટિવ આવવું જોઈએ ને!


7. જ્યારે કોઈ પેશન્ટ બોલે કે ઝાડો સાફ નથી આવતો.


આ તો એકદમ કોન્ટ્રોવર્સી વાળો ટોપિક છે. આવા કિસ્સામાં દર્દીને ઝાડા થયા છે કે દર્દીને કબજિયાત થયું છે એ વાતનો ક્યાસ કઢાવવામાં જ બે મિનિટ નીકળી જાય છે. ઘણીવાર તો ચોખવટ કરવા માટે દર્દીના ઝાડાની વિસ્કોસિટી સુધીના સવાલો કરવા પડે છે. હવે જેને ખબર નથી એ એમ ન પૂછતા કે વિસ્કોસિટી એટલે શું? જો વિસ્કોસિટીને 'ચિકાસ' લખીશ તો તમને આગળનો બ્લોગ વાંચવો નહીં ગમે.


8. ખાલી ઉધરસની બોટલ લેવી છે. કેસ કઢાવો પડશે? દવા લેવાની છે પણ પેશન્ટ સાથે નથી. કેસ કઢાવો પડશે?


ના રે ના.. કેસ શેનો કઢાવવો પડે એમાં. તમે તો અમારી જાનમાં આવ્યા છો. સરકારી દવાખાને દર્દી પહેલેથી જ દવાનું ફોર્મ્યુલેશન નક્કી કરીને આવે છે ત્યારે અડધું કામ તો ડોક્ટરનું ત્યાં જ પતી જાય છે. આ ભોળા દિલના દર્દીઓ એમ સમજે છે કે બોટલ કે દવા માંગેલી મળી ગઈ પરતું એ નથી જાણતા કે હવેથી લાઇફટાઇમ આવા દર્દીઓના નિદાનમાંથી ડોક્ટર હંમેશને માટે હાથ ઊંચો કરી દેતા હોય છે. લાંબા ગાળાનું નુકશાન ન સમજતા આવા ક્વિક એકશન દર્દીઓ ભલે મનમાં મલકાતાં પણ છેલ્લો ઘા તો રાણાનો જ હોય છે! 


9. ભાઈ સા'બ થાકી ગયા હવે તો એવા પગ દુઃખે છે. મરવાની કોઈ ગોળી હોય તો આપો એટલે જીવ છૂટે.


આવી ડંફાસ મારતા બહાદુરો કીડી કરડે તો પણ દવા લેવા માટે દોડી આવતા હોય છે. અસાધ્ય રોગોથી કંટાળીને કોઈ એવું બોલે તો સમજ્યા પણ નાના મોટાં શરદી ઉધરસમાં પણ આ દર્દીઓ યમને નોતરી દેતાં હોય છે. જો કે યમરાજા પણ એટલા કહ્યાગરા નથી હોતા કે પડકારો કરો એટલે હાજર થઈ જાય. એ પણ કર્મોના પ્રિસ્ક્રિપ્શન પર જ આદેશનું અનુસરણ કરતા હોય છે.


ઉપરોક્ત તમામ કેટેગરીમાં આવતા દર્દીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ અને દયા પહોંચે એવી પ્રભુને પ્રાર્થના.


તમને ક્યા નંબરના રત્ન પ્રત્યે વધુ દયા આવી? એ કમેન્ટ કરીને કહેજો.

Comments

  1. "દુનિયામાં લખનારા તો લાખો મળી જશે,
    પણ સત્ય લખનારા તમારા જેવા થોડા જ મળશે!
    તમારા વિચારોમાં જે આ સામાજિક તેજ છે,
    એ જ તમારી કલમની સૌથી મોટી ઓળખ છે."
    Well done 👍👏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...

કાન અને ખભા વચ્ચે દબાયેલા મોબાઈલ ફોનની આપવીતી

  ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?  સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!  આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

એક જિદ્દી છોકરી Wednesday

                              સિરીઝ : Wednesday     પાત્ર : Wednesday   એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday. સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો. જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard . એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે. આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ...