Friday, April 18, 2025

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                     
  વેબસિરિઝ: એડોલ્શન્સ 
           કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ

ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો.

સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવાની છે. આ સિરીઝમાં આમ તો સ્ટોરી મુજબ પાત્રો ખૂબ ઓછા છે છતાં બે પિતાઓ તમારી નજર સામે જરૂર આવશે. મુખ્ય ટીનેજર પાત્ર જેમી મિલરના પિતા એડવર્ડ મિલર અને પોલીસ અધિકારીની ભૂમિકામાં રહેલ લ્યુક બેસકોમ્બ.

આ બંને પાત્રો મને કોઈના કોઈ વખતે બિચારા જેવા લાગ્યા છે. પોતાના સંતાનો સામે આ બંને પિતા કોઈ એક સમયે તો લાચાર જોવા મળે જ છે. આમ છતાં એડવર્ડ મિલર પાસે લાચારી દૂર કરવાનો મોકો જતો રહ્યો છે જ્યારે લ્યુક પોતાને તેના પુત્ર એડમ સાથે તેની સ્કૂલમાં જઈને કેસ સોલ્વ કરવાની સાથે સાથે મનમેળ કરવાનો મોકો પણ હાથવગો કરી લે છે.

જેમીના પિતા એડવર્ડ જ્યારે પહેલી વાર પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર જેમી સાથે બેસીને પોલીસની હાજરીમાં મર્ડર સમયનો વીડિયો જુએ છે ત્યારે તે જેમી(પુત્ર) સાથે બાથ ભીડીને રડે છે અને ભાંગી પડે છે. તેને ફક્ત ગુસ્સો નથી આવતો પણ પોતાના પાલનપોષણ પર ખૂબ જ પસ્તાવો થાય છે. તે છેલ્લા એપિસોડમાં પોતાની પત્ની પાસે આ પસ્તાવો રજૂ કરે છે. જરૂર મુજબની દરેક વસ્તુઓ જેમીને આપવા છતાં જે બન્યું એ તે માની શકતા ન હતા. આમ છતાં તેની મોટી પુત્રીના ભવિષ્ય ખાતર તે આ કડવો ઘૂંટડો પી ને પણ પોતાની આગળની લાઇફ જીવવા તૈયાર થાય છે. પડોશીઓ પણ આ મિલર ફેમિલીને ચોક્કસ પ્રકારના ચશ્માંથી જોવાનું શરૂ કરે છે, આવા કિસ્સામાં પોતાના ગુસ્સાને કારણે પોતાના પર કાબુ ગુમાવીને તો ક્યારેક ઘરના મુખ્ય વ્યક્તિ તરીકેની ફરજ યાદ આવતા પોતાના પર જે રીતે એડવર્ડ કંટ્રોલ કરે છે તે એકદમ નેચરલ લાગે છે.

પોતાના પરિવાર પર કોઈ પણ આંચ આવે તો કંઇ પણ કરી છૂટવા પિતા તૈયાર હોય છે પણ જ્યારે પરિવારનું કોઈ સભ્ય જ તેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે તો કેટલું મજબૂર લાગે છે આ પાત્ર!! એડવર્ડ આવી પરિસ્થિતિમાં પોતાના પુત્ર માટે તો કંઇ કરી શકે એમ નથી પણ હવે બાકીના પરિવાર માટે તે મક્કમ થઈને જિંદગી જીવવા પોતાને તૈયાર કરે છે.

લ્યુક પણ પોલીસ તરીકેની ફરજ બજાવતા પોતે પુત્રને સમય નથી આપી શકતો એ જાણે છે પણ સાથે સાથે જ્યારે તેને તેના પુત્ર(એડમ) પાસેથી સોશિયલ મિડિયા અંગેના ટીનેજર્સના કોડવર્ડ જાણવા મળે છે ત્યારે તેને ખૂબ જ હેરાની થાય છે. તે વિશ્વાસ નથી કરી શકતો કે આ બાળકો આ હદ સુધી પણ જઈ શકે. આ બધા વિચારોથી ડરીને તેને પોતાના પુત્ર પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. તે જાણે છે કે જે પરિસ્થિતિમાં અત્યારે જેમી છે એ પરીસ્થીતીમાં પોતાનો પુત્ર હોય તો? આ વિચાર માત્રથી જ તેના મનમાં એડમ પ્રત્યે પ્રેમ જાગે છે. એક પિતાને તેના પૂત્ર પ્રત્યે પ્રેમ હોય જ એમાં શું નવું? પણ આ પ્રેમ પિતા ક્યારેય પોતાના સંતાનો ટીનેજરની વય પર પહોંચ્યા બાદ કહી શકતા નથી અને કનેક્ટિવિટી ગુમાવી બેસે છે. આ વાતનો લ્યુકને ખૂબ પહેલા અહેસાસ થઈ જાય છે. માટે જ તે એડમ પાસે માફી માંગે છે અને કેસના ઇન્વેસ્ટિગેશનને પડતું મૂકી પહેલા એડમ સાથે લંચ કરવાના બહાને સમય પસાર કરવા નીકળી પડે છે. આ સમયે જ એડમના વર્તનમાં પણ ઘણો ફરક આવે છે અને શરૂઆતમાં જે અંતર્મુખી લાગતો હતો તે હવે તેના પિતા સાથે ખિલખિલાટ હસતો જોવા મળે છે.

લ્યુક અને એડવર્ડ બંને પેરેન્ટિંગના એક જ પરિમાણમાં હોવા છતાં ટીનેજર પર જે બાહ્ય પરિબળો લાગે છે તેમાંથી એકદમ અજાણ હોય છે. જો કે લ્યુક આ પરિબળોને જેમીના કેસને કારણે વહેલા પારખી લે છે જ્યારે એડવર્ડને આ બધું સમજાતા ખૂબ જ નુકશાન થઈ ગયું હોય છે.

આ બધું વાંચ્યા પછી કદાચ તમે આ બે પાત્રો સાથે વધુ કનેક્ટ કરી શકશો. ખાસ કરીને જો તમે એક પેરેન્ટ છો તો આ સ્લો, બોરિંગ અને નીરસ લાગતી સિરીઝ જોઈને એકવાર તો મંથન કરવું જ રહ્યું.

Tuesday, April 15, 2025

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ


વેબ સિરીઝ: નાર્કોસ 
કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર 

નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ.


નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે


પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના પરિવારની સુરક્ષાની વાત આવે ત્યારે તે બિચારો લાગે અને પરિવારની સુરક્ષાના બદલામાં એટલો તો ખતરનાક બની જાય કે એ પોતાનું સામ્રાજ્યને પણ બરબાદ કરવા તૈયાર થઈ જાય. ગમે એમ તો પણ પાબ્લો એક સંસારી જીવડો એટલે પરિવાર તેની તાકાત તો હતી પણ સાથે સાથે તેની નબળાઈ પણ પરિવાર જ હતો. જ્યારે તેની પત્ની, બાળકો અને માં એમ કહે કે હું તારી સાથે છું ત્યારે ત્યારે તે વધુ ખતરનાક બની જાતો. પરંતુ કેટલાક સંજોગો એવા આવે જેમાં તેની પત્ની તેને પોતાના અપ્રોચને લઈને થોડી બાંધછોડ કરવાની તૈયારી કરે કે તરત જ તે પોતાના નિર્ણયમાં ગફલત ખાઈ જતો. તેની પત્નીને જયારે દુનિયાની બધી જ વસ્તુઓ (ખુશીઓ નહિ) મળી જાય ત્યારે તે ખુશ થતી પણ જ્યારે તેના માથા પર મોત નાચતું હોય ત્યારે તેને પાબ્લોના નિર્ણયો પર શંકા જાગે. જો કે અંતે જેમ તેમ પોતાના પતિ પર વિશ્વાસ રાખીને એ તમામ રિસ્ક લેવા તૈયાર થઈ જ જાય છે જેનું પરિણામ તો અંતે પાબ્લોને જ ભોગવવાનું આવે છે.


પાબ્લોના પરિવારમાં સૌથી ક્લિયરકટ માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિ હોય તો એ તેના પિતા છે. આખું કોલમ્બિયા અને અમેરિકા જેનાથી થરથરતું હતું એવા પાબ્લોને તેના પિતા જ એક મોં પર કહી શકતા કે તું ખોટો છો. બાકી બધા તો ખુશામતખોરોએ જી સર જી સર કરીને પાબ્લોની કબર ખોદી હતી. 


આ સિરીઝની વાસ્તવિકતા સાથેની છણાવટ પાબ્લોને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. પાબ્લોનું વ્યક્તિત્વ ક્યારેક બળવાન, ક્યારેક ભીરુ અને મોટાભાગે અહંકારી લાગે. જ્યારે કત્લેઆમ મચાવે ત્યારે કોઈનો વિચાર કરતો નથી અને જ્યારે પોતાના પર કે પોતાના પરિવાર પર ખતરો આવે ત્યારે તે વિકટીમ બનીને હ્યુમન રાઇટ્સ લઈને ન્યાય માટે બળજબરી કરે છે. ખરેખર ક્રૂર લોકો કાશ્મીર થી લઈને કોલમ્બિયા સુધી બધા આવા જ હશે? પોતે કરે તો બધું ઉચિત પણ પોતાના પર આવે તો અન્યાય !

Monday, March 3, 2025

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?



હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું. 

કેમ?


કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું.


આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે.


એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે.


અહીં વાત અસરકારકતાની નહિ પણ લોકપ્રિયતાની એટલા માટે કરવામાં આવે છે કે લોકોને જલ્દીથી સાજા થવામાં રસ છે નહીં કે ભવિષ્યમાં થવાની કોઈ પણ આડઅસરોમાં.


હોસ્પિટલમાં દવાઓ આપતી વખતે શરૂઆતમાં એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગ થી ભવિષ્યમાં થતા રજીસ્ટન્સ વિશે કે પછી કાયમી પેઇનકિલર ને ચાવી ચાવી ને તેને કિડની કિલર બનાવી દેતા કહેવાતા દર્દીઓને જોઈને ચીડ ચડતી. પછી ધીમે ધીમે મને ફરક પડતો જ બંધ થઈ ગયો. જો દર્દીઓ સમજવા જ તૈયાર ન હોય તો મારે શું પડી છે? એવું વિચારીને હું પણ મારી ફરજ મૂકીને નોકરી કરવા માંડ્યો.


એવું નથી કે લોકોને આ આડઅસરોની જાણ નથી કરવામાં આવતી. દરેકને થોડાઘણે અંશે તો ખબર પડે જ છે કે લાંબા ગાળે આ બધું સારું તો નથી જ. આમ છતાં બસ આજે હું હેમખેમ બેઠો થઈ જાવ, આજનું કામ પતાવી લઉં પછી જોયું જાય. એવી માનસિકતા લઈને આ ખતરો કે ખિલાડીઓ બેઠા હોય છે. દરરોજ દવાઓ ખાઈને વર્ષો પછી કિડનીના પ્રોબ્લેમ્સ લઈને આવતા દર્દીઓની આખી સાયકલ મેં જોઈ છે. દરરોજ ખાવાના કોઈ ધડા રાખવા હોતા નથી અને એન્ટાસિડના ટીકડીઓ દરરોજ પોતાની જઠરાગ્નિમાં પધરાવતા મહાનુભાવોની વિટામિન બી 12 ની ખામીઓ વાળી આખી સાયકલ પણ નજરોનજર જોઈ છે. દર્દીઓને સમજાવ્યું પણ છે. પણ પછી તો મોડું થઈ ગયું હોય છે. 


જિંદગીના પછવાડે મોટા દવાખાનાના ચક્કરમાં ખિસ્સા પણ ખાલી કરી બેસતા આ લોકો નાની નાની બીમારીઓમાં શરીરને લડવાનો સમય આપવા તૈયાર નથી હોતા. સામાન્ય શરદીને પણ ટેકલ કરતા શરીરને ચાર થી પાંચ દિવસ લાગે છે પરતું દવાઓ ખાઈને એક દિવસમાં સાજા થઈ જતાં અધૂરીયા જીવવાળા દર્દીઓ શું જાણે ઇશ્વરે શરીરને આપેલી શક્તિઓ! દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ વરદાન જરૂર છે પણ દવાઓની શક્તિઓનો આડેધડ ઉપયોગ શરીરની શક્તિઓને ક્યારે ક્ષીણ કરી દેશે એ ખબર પણ નહીં પડે!



સુપર ઓવર: 

સાહેબ મને પેટમાં દુઃખે છે. પેટ પર લગાડવાની ટ્યુબ આપોને, દવા તો ગરમ લાગે છે.

Thursday, May 30, 2024

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

 


એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે. 


પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જાય. આવું ઘણાં દિવસ ચાલ્યું.



એવામાં એક દિવસ સિંહને મોટી મિજબાની કરવાની ઈચ્છા થઈ તેણે ઝરખની ટીમને કહ્યું કે આજે મારે ઘરે મહેમાન આવે છે એટલે મિજાબની કરવાની છે. એક શિકારથી નહીં ચાલે આજે તો વિવિધ મિષ્ટાન્ન જોઇશે. ઝરખની ટીમ લાગી ગઈ કામે. જુદી જુદી દિશાઓમાંથી તેણે જુદા જુદા પ્રાણીઓને ગુફા હવાલે કરવાનું શરૂ કર્યું. 



આ બાજુ જંગલમાં એક સાથે આટલા બધા પ્રાણીઓ ગુમ થવાથી સોંપો પડી ગયો. બધા પ્રાણીઓએ ભેગા થઈ મિટિંગ કરી. મિટિંગમાં તેણે રાજા સિંહને પણ બોલાવવાનું નક્કી કર્યું. સિંહે બધાની વાત સાંભળીને કહ્યું કે આ તો ખૂબ જ ગંભીર ઘટના છે. આમાં જે પણ સામેલ હશે તેને ચલાવી લેવામાં આવશે નહિ. ખૂબ જ ભારેમાં ભારે સજા થશે. આ માટે હું શિયાળભાઈને તપાસ સોપું છું. એક અઠવાડિયામાં મારે ખોવાયેલા પ્રાણીઓ અથવા તેના માટે જવાબદાર ગુનેગાર જોઈએ જ. શિયાળે છાતી ઊંચી કરીને સલામ ભરી.



અઠવાડિયા બાદ ફરી સભા ભરાઈ. કેટલાક પ્રાણીઓ ગુનેગારની સજા સાંભળવા માટે ઉત્સુકતા વશ તો કેટલાક પોતાના કુટુંબીજનોની ભાળ માટે કે ઉચિત ન્યાયની આશ માટે આંખોમાં પાણી ભરીને સભામાં ભેગા થયા હતા. શિયાળે રિપોર્ટ રજૂ કર્યો.



થોડા સમય પહેલા જે ઘટના બની તેનાથી રાજાજી ખૂબ દુઃખી છે. પરંતુ સમયસરની કાર્યવાહીથી આપણે આજે ગુનેગારો સુધી પહોંચી શક્યા છીએ. આ ગુનેગારો બીજા કોઈ નહિ પણ ઝરખ છે. ઝરખને અમારી ટીમના ઘણા શિયાળે જંગલના માસુમ પ્રાણીઓને બાજુના જંગલમાં લઇ જઇ ત્યાં ભેગા મળીને તેની મિજબાની કરતા જોયા છે. તેને પુરાવા તરીકે રાખીને રાજાજીએ ઝરખને જંગલથી બરતરફ કરવાની સજા નક્કી કરી છે. હવે એ આપણી હદમાં પ્રવેશી શકશે નહીં તેમજ તેની કોઈ વાત પણ માન્ય રાખવામાં આવશે નહિ. આજથી આપણું જંગલ ઝરખના આતંકથી મુક્ત થશે. સાથે સાથે ગુમાવેલા પ્રાણીઓના સ્વજનો માટે આ દુઃખની ઘડીમાં આગામી એક મહિના માટે રાજા દ્વારા ઘાસચારની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેને આ ભારે ક્ષણોમાં પોતાના ગુજરાનની ચિંતા ન રહે. કેટલાક પ્રાણીઓએ જયજયકાર  બોલાવ્યો તો કેટલાક પ્રાણીઓએ આ ન્યાયપૂર્ણ કાર્યવાહીને સમગ્ર જંગલમાં રાજાજીના ગુણગાન સાથે હવા વેગે વહેતી કરી દીધી.



એક વર્ષ બાદ આજે શિયાળને સિંહ માટે શિકાર શોધવાનો ઓર્ડર મળી ગયો છે તેમજ ઝરખને પણ રાજાજીએ બાજુના જંગલના રાજા વાઘ સાથે વાત કરીને સેટ કરી દીધેલ છે. પ્રાણીઓ બધા જંગલમાં વાર તહેવારે એકાદ પ્રાણીઓ ખોવાતા વધુ ચિંતા કરતા નથી. કારણકે વાયુ વેગે અમુક પ્રાણીઓ વાતોને ફેલાવીને તેને ખાતરી કરાવે છે કે ભૂતકાળમાં એકસાથે કેટલા બધા પ્રાણીઓ લાપતા થતા હતા તેની સામે આજે એ રેશિયો ઘણો ઘટી ગયો છે એટલે ચિંતા કરવા જેવું કંઈ નથી.



સુપર ઓવર:


આ વાર્તાને હાલમાં તેમજ ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓ કે હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ સમાનતા નજરે પડતી હોય તો તેને માત્ર એક સંયોગ કહેવાશે.


Thursday, April 6, 2023

વર્લ્ડ ફાર્મસી ઇન્ડિયા : કહીં નજર ના લગ જાયે



હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ.


આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa નામક એક ખુબજ શક્તિશાળી એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો ગ્રોથ જોવામાં આવ્યો. જેને કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હતા.


પરંતુ આરોપી કંપનીનું કહેવું માનીએ તો તામિલનાડુની ડ્રગ ઓથોરિટીએ આ જ બેચના સેમ્પલ ટેસ્ટ કર્યા અને ઉપરાંતના અવેલેબલ બીજી પણ Ezricareની 24 બેચ તપાસી જોઈ તો તેમાં આવા કોઈ બેક્ટેરિયા જોવા મળેલ નથી તેવું જાહેર કર્યું. આવું જાહેર કરવા છતાં ગ્લોબલ ફાર્માએ પોતાની આ પ્રોડક્ટ USમાંથી પાછી ખેંચવાની શરૂ કરી દીધી અને જે લોકો ઉપયોગ કરતા હોય તેને પણ ઉપયોગ ન કરવાની વિનમ્ર ચેતવણી આપી! આ રિકોલ પણ જેવું તેવું નહિ પરંતુ કંપની દ્વારા ક્લાસ 1 કક્ષાનું રિકોલ શરૂ કરાયું. 


[રિકોલને મુખ્યત્વે FDA મુજબ ત્રણ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે. 

  • જો માર્કેટમાં કોઈ ગંભીર બીમારી કે ઇજા પહોંચાડે એવી પ્રોડક્ટ હોય તો રિકોલ કલાસ 1. 
  • જો ગંભીર બીમારી કે આડઅસરની શકયતા લાગતી હોય પણ ચોક્કસ ન હોય ત્યારે રિકોલ કલાસ 2. 
  • કોઈ ગંભીર આડઅસર કે બીમારી ન ફેલાવે પણ તે તેના રેગ્યુલેશન પ્રમાણે તૈયાર થયેલ ન હોય ત્યારે રિકોલ કલાસ 3 અમલમાં મુકાય છે.]


આરોપી ગ્લોબલ ફાર્મા એકબાજુ પોતાને નિર્દોષ બતાવે છે અને બીજી બાજુ કલાસ 1 રિકોલ માટે ફેબ્રુઆરીના અંતમાં જ ઓર્ડર આપે છે. આ બાજુ આદુ ખાઈને પાછળ પડેલી CDC અને USFDA વારંવાર દુનિયાના પ્લેટફોર્મ પર આ જોખમી બેક્ટેરિયાની હેડલાઈન્સ મુકતું રહે છે. તો સમજવું શું? આખિર કાતિલ હૈ કૌન...? CDCના નામમાં જેમ પ્રિવેન્શનનો P સાયલન્ટ છે એમ ક્યાંક CDCના ઇરાદાઓ તો ક્યાંક સાયલન્ટ નથી ને..?


ચાલો તેનો તાગ મેળવવા માટે સિઝન 2 તરફ આગળ વધીએ.


2022 ના જુલાઈ-ઓગસ્ટમાં પણ આવી જ એક ન્યુઝ હેડલાઇને આખા વિશ્વમાં વર્લ્ડ ફાર્મસી ભારતની ફજેતી કરવાની તક ઝડપી હતી. આફ્રિકાના ગામ્બિયા દેશમાંથી ખબર આવી કે ભારતની મેઇડન ફાર્મા નામની કંપનીએ એક્સપોર્ટ કરેલ કફ સીરપ પીવાથી 66 જેટલા બાળકો મૃત્યુ પામ્યા. (આંકડા તરફ ન જતાં કારણ કે WHOએ આ આંકડો અત્યારે 300 બાળકો સુધી પહોંચાડી દીધો છે.) 


ગામ્બિયા એક ગરીબ દેશ છે કે જેની પાસે પૂરતી ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેણે આ કેસમાં ઊંડું ઉતરવા માટે ટેસ્ટિંગનો સઘળો કારભાર CDCને સોંપી દીધો. જગત જમાદાર અમેરિકાની આ એજન્સી ફરી એકવાર ભારતના કેસમાં દાખલ થઈ અથવા કરવામાં આવી જે સંયોગ ગણો એ પણ તેણે ગામ્બિયાનો વિકટીમ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ફરી એકવાર ગ્લોબલ મીડિયામાં પોતે એક ગરીબ દેશની વ્હારે આવ્યું છે એવી છાપ ઉભી કરવાની સાથે મેઇડન ફાર્મા પર આરોપ પણ લગાવ્યા.


આરોપ સંગીન હોય તો તપાસ તો થવી જ રહી. ભારત સરકારે ફાર્માકોલોજીસ્ટ ડૉ.વાય. કે. ગુપ્તાના વડપણ હેઠળ એક તપાસ કમિટીની રચના કરી જેમાં નમુનાની તપાસ બાદ આ કફ સીરપ અને ગામ્બિયામાં થયેલા બાળકોના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી એવું સામે આવ્યું. (અથવા લાવવામાં આવ્યું એ ભગવાનને ખબર) પણ મેઇડન ફાર્માનો હરિયાણા પ્લાન્ટ કે જ્યાં આ સીરપ બન્યા તેને તરત જ તાળાં મારવામાં આવ્યા. હેલ્થ મિનિસ્ટ્રિના સૂત્રો જણાવે છે કે આ રિપોર્ટ જ્યારે WHO દ્વારા માંગવામાં આવ્યો ત્યારે આ WHOનો ડોમેઈન એરિયા નથી એવું કહીને ભારત દ્વારા તેને બધા જ રિપોર્ટ આપવામાં આવ્યા નહિ. બીજી બાજુ ગામ્બિયાની ઓથોરિટીએ જે સેમ્પલ્સને ડેન્જર જાહેર કરેલા એ કફ સિરપના સેમ્પલ ભારત સરકારે WHO પાસે માંગ્યા ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ જ વળતો જવાબ WHO એ આપ્યો નહિ . 


આ બ્લેમ ગેમ વચ્ચે મૃત્યુ પામેલા બાળકોનું રહસ્ય દરેક પોતપોતાના સત્યના ચશ્માંથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. છતાં કોઈ એક અપરાધી પર વિશ્વાસથી કોઈ આંગળી મૂકી શકતું નથી. આવું કેમ? 


ચાલો હજુ એક સિઝન 3 ફેંદી લઈએ...


ગત ડિસેમ્બરમાં ફરી એકવાર એક કફ સીરપે 18 બાળકોનો ભોગ લીધો. આ વખતે દેશ હતો ઉઝબેકિસ્તાન અને આ ભારતની કફ સીરપ બનાવનાર કંપની હતી મેરીઓન બાયોટેક. ઉઝબેકિસ્તાનની ઓથોરિટીએ ભારત સરકારને સીધી જ આ અંગે જાણ કરી જેમાં વચ્ચે કોઇ જગત જમાદારની જરૂર ના પડી. ભારત સરકારે તરત જ આ કફ સિરપના સેમ્પલ ચંદીગઢ લેબમાં તપાસ અર્થે મોકલ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારે પણ તેની રીતે આ સેમ્પલને ટેસ્ટ કર્યા અને આ વખતે ઉઝબેકિસ્તાન સાચું ઠર્યું. ઘણા સેમ્પલ તેની સ્ટાન્ડર્ડ ક્વોલિટીથી જોજનો દૂર નીકળ્યા તેમજ કેટલાક ભેળસેળવાળા બનાવટી કેમિકલ પણ મળ્યા. આ કંપનીના ત્રણ મોટા એમ્પ્લોયી અત્યારે સળિયા પાછળ છે.


પણ WHO ને ભાવતું'તું 'ને વૈધે કીધું જેવો તૈયાર લાડવો મળી ગયો અને આ કિસ્સાને પણ ગામ્બિયા સાથે જોડીને એક એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો ભારતને નોટિસ ઇસ્યુ કરી દીધી. WHO સંસ્થા કોરોના કાળ પછી તેના ગણ્યા ગાંઠ્યા દેશ તરફી ઝુકાવ માટે બદનામ તો હતી જ હવે એ વધુ શંકાશીલ બની છે.


ઉપરોક્ત કિસ્સાઓ દર્શાવે છે કે પૂરતા પુરાવાઓ હોય તો ભૂલ સ્વીકાવામાં ભારતે પાછી પાની નથી કરી પણ જ્યારે કોઈ શંકાશીલ ષડયંત્રની ગંધ આવે ત્યારે રાજકીય કાવાદાવા ખેલવામાં વર્લ્ડ ફાર્મસી પણ કાંઈ ઉણી ઉત્તરે એમ નથી.


પરંતુ તેનો મતલબ એવો જરાય નથી કે વર્લ્ડ ફાર્મસીના ટેગ ખાતર આપણે ક્વોન્ટીટી ઉપર એટલો બધો ભાર આપી દઈએ કે કવોલિટી ક્યાંક ખોવાઈ જાય. હાલમાં જ દેશની અઢાર જેટલી કંપનીઓમાં સરકારની એજન્સીઓ દ્વારા રેઇડ પાડીને નકલી દવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં સનફાર્માએ પણ પોતાની Diltiazem નામની હૃદયની દવાને અમેરિકાના માર્કેટમાંથી કન્ટેન્ટ યુનિફોરમિટી ટેસ્ટ ફેલ થવાના કારણે કલાસ 3 રિકોલ કરી હતી. આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય દ્વેષ અને ઈર્ષ્યાની માયાજાળમાં માસૂમ જિંદગીઓને પ્યાદા બનાવવાનું દુનિયાએ માંડી વાળવું જોઈએ.


સુપર ઓવર: 

દવાની આડઅસર દર્દીની તાસીર પર આધાર રાખે છે પણ દવાની સારી અસર ફક્ત અમારા પર આધાર રાખે છે. 

લી. ડૉ. જશવાલા
આપના ખભે બંદૂકવાળી ગલી,
કમિશનપુર ચાર રસ્તા,
અમથાવાદ

Tuesday, November 29, 2022

દર્દીનારાયણ સામે ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું?



ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ!


ઘણીવખત એવું બને છે કે ગાંભીર્ય અને અટ્ટહાસ્ય એ બંને અંતિમો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જવાય છે. આ ભૂલનું પરિણામ દર્દી કે તેના સગાના માનસપટ પર કેવું આવે એ જાણવું હોય તો તેની જગ્યાએ તેની મનોસ્થિતિ મુજબ અને તેના આઈકયુ લેવલ સાથે વિચારવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે. 


આઈસીયુ જેવા વિભાગમાં કામ કરતા સ્ટાફને આ બાબતો વધુ સારી રીતે લાગુ પડે છે. આઇસીયુ કે ઇમરજન્સી વિભાગમાં કામ કરતા કરતા જુદા જુદા દર્દીઓની માનસિકતા સાથે પણ કામ કરવું પડે છે. ઘણીવાર કિસ્સાઓ હાસ્યાસ્પદ પણ થતા હોય છે અને ઘણીવાર કિસ્સામાં ઉમેરાતી કરુણતા દર્દીને પણ ઢીલો પાડી શકે છે. આ બંને વચ્ચેની ફ્રિકવન્સી મેચ કરીને કાર્ય કરી શકે એ જ મહારથી. આવા ગંભીર વોર્ડમાં કામ કરતા મેડિકલ કે પેરામેડીકલ સ્ટાફ પોતાના મોબાઈલ સાથે કે બીજા સ્ટાફ સાથે મજાકમશ્કરી કરતા હોય ત્યારે પોતાની બીમારી સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો દર્દી પર શું વિતતું હશે? એનાથી ઉલટું ગંભીર દર્દીને સ્ટાફની ચહેરાની રેખાઓમાં ચિંતા વંચાતી હોય તો તેની હિંમતમાં પણ નાની તિરાડ પડવાની સંભાવના વધી જતી હોય છે.


આમ તો આ વાત દરેક પ્રોફેશનમાં એટલી જ મહત્વપૂર્ણ છે કે તમે જે સેવા આપો છો કે બિઝનેસ કરો છો તેમાં સામેની વ્યક્તિને સંતોષ થાય. પણ આ પ્રોફેશનમાં માત્ર સંતોષ પૂરતો નથી હોતો પણ સાથે સાથે જિંદગી સામે ઝઝૂમવાની હિંમત પણ જરૂરી હોય છે. ગંભીર દર્દીઓને ખુશ રાખવામાં કે હાસ્ય ઉપજાવે તેવા દર્દીઓના કિસ્સામાં હાસ્ય અને ગંભીરતા સાથે સ્ટાફ એ દર્દી અને તેના સગાવહાલાંનું આત્મસન્માન પણ જાળવે એ મહત્વનું હોય છે.  હોસ્પિટલમાં થતી મેડિકલ સ્ટાફ સામેની હિંસાઓના કિસ્સાઓમાં ક્યારેક આવી હિંસાનું કારણ બસ આ લાગણીઓ પરનો કાબૂ જ હોય છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં મેડિકલ સ્ટાફનું આત્મસન્માન ઘવાતું હોય છે પણ આંશિક કિસ્સાઓમાં દર્દીઓના આત્મસન્માન સાથે પણ ખીલવાડ થાય, ક્યારેક ભલે અપમાન ન થાય પણ પૂરતા સન્માન સાથે જવાબ દેવામાં પણ સ્ટાફ પાછો પડે કે દર્દીઓની સગવડ સાચવવામાં અક્ષમ તંત્રની નિષ્ફળતાનો ગુસ્સો દર્દીઓ પર નીકળે તો પણ હિંસા પરિણમે એવી શક્યતાઓ છે.


આવા સંવેદનશીલ વાતાવરણમાં પોતાના મગજને ફ્રિજમાં રાખીને કઈ રીતે કામ કરતા શીખવવું એ પણ એક કળા છે. આવી કળાઓ ક્યાંય સિલેબસમાં શીખવા નથી મળતી પણ જીવનમાં જોવા મળતા જુદા જુદા લોકોની માનસિકતાના અભ્યાસના આધારે પાકી થાય છે. અનુભવનું ભાથું બંધાય કે નૈતિકતાનો કક્કો ઘૂંટાય એટલું જ મહત્વનું નથી હોતું, ઘણીવાર પોતાના અને દર્દીના બન્નેના આત્મસન્માન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે ખરું ધર્મયુદ્ધ જામે છે. આ યુદ્ધમાં બન્ને પક્ષને પોતાનું સત્ય જ જગત સત્ય લાગતું હોય છે. આવા ધર્મયુદ્ધના કિસ્સામાં જ મેડિકલ સ્ટાફને પોતાની કળા બતાવવાની હોય છે. જેમાં આત્મસન્માન અને પરસન્માન બન્નેની વચ્ચેનું બેલન્સ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવાનું હોય છે.


સુપર ઓવર: ઓપરેશનના બીજા દિવસે એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દીએ ડોકટરને પૂછ્યું, "ગઈકાલે ચાલુ ઓપરેશને તમે જે લક્ઝુરિયસ પ્લોટ બુક કરવાની કંઈક વાત કરતા હતા તેનો ભાવ શું છે?"

Saturday, September 24, 2022

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે પર એક મુલાકાત પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે



25 સપ્ટેમ્બર એટલે દુનિયાભરના ફાર્માસિસ્ટને એક જ સ્ટેજ પર લાવતો દિવસ. World Pharmacists Day. એ ફાર્માસિસ્ટ પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે અધ્યાપક હોય, હોસ્પિટલ ફાર્માસિસ્ટ હોય કે રિટેઇલ ફાર્માસિસ્ટ હોય, સાયન્ટિસ્ટ હોય કે પોલિસી મેકિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય... આ તમામ માટે આ દિવસ એક સરખો છે. પરતું આ સિવાય પણ કેટલાક પ્રોફેશન્સ છે જેમાં આપણા ફાર્માસિસ્ટ મિત્રો ફાર્માસિસ્ટ તરીકે તો નહીં પણ ફાર્માસિસ્ટના હૃદયથી જરૂર કામ કરે છે. ફાર્માસિસ્ટમાં પોતાનું કેરિયર છોડીને પબ્લિક સર્વિસમાં અથવા કોઈ પણ બીજા કેરીયરમાં જોડાયેલા હોય, તેની વર્તમાન કેરિયરનો બેઝ તો હંમેશા ફાર્મસીની આસપાસ જ ઘુમતો હોય છે. આજે આવા જ એક પૂર્વ હોસ્પિટલ ફાર્માસિસ્ટ અને વર્તમાન પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે નાની એવી શાબ્દિક મુલાકાત તમારી સાથે શેર કરું છું. રાજકોટમાં ફરજ બજાવતા PI ભાર્ગવસિંહ પાસેથી આપણે ફાર્માસિસ્ટ માટેની છોટી છોટી મગર મોટી બાતેં જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જ શબ્દોમાં...



🔴 ફાર્માસિસ્ટ બનવાનું પહેલા વિચારેલું કે PI અથવા કલાસ 1 કે 2 બનવાનું પહેલા વિચારેલું?

🟢 "સૌથી પહેલાં બેન્કમાં નોકરીનું વિચારેલું અને તેનાં માટે બરોડામાં IBPS ની પરીક્ષા માટેનાં ક્લાસ પણ કરેલાં.

પણ પછી GPSC -1&2 ની પરીક્ષા માટેની જાહેરાત આવી જતાં ફોકસ બદલાય ગયું.

GPSC Class-1&2 ની પ્રીલીમ પરીક્ષાની તૈયારીમાં ફાર્માસિસ્ટની પરીક્ષાની તૈયારી થઈ ગઈ  અને પરીક્ષા પાસ થઈ ગયેલી."





મતલબ કે હોસ્પિટલ ફાર્માસિસ્ટની ગવર્મેન્ટ જોબ એ તમારા માટે ખરેખર GPSC પરીક્ષાની તૈયારીની બાયપ્રોડકટ હતી.

🔴 ફાર્માસિસ્ટ દ્વારા થતા ક્રાઈમ ક્યા પ્રકારના હોય છે અને ક્યારેય ફાર્માસિસ્ટનો કેસ ડેસ્ક પર આવ્યો છે?

🟢 "Drugs without Prescription એ પ્રકારના સોફ્ટ ક્રાઈમ ફાર્માસિસ્ટ દ્વારા ઘણી વખત થતાં હોય છે જે ક્યારેય બહાર પડતાં નથી.જેમ કે 'Prescription વગર  ઉંઘની ગોળીઓ આપવી, એન્ટીબાયોટિક દવાઓ આપવી' જેની લોકાનાં શરીરમાં લાંબા ગાળે ગંભીર અસરો પડે છે.

ફાર્માસિસ્ટ ઘણી વખત પ્રાઈવેટ પ્રેકટીસ કરતાં હોય છે જે કાયદા મુજબ ગેરકાયદેસર છે. પરંતુ ફાર્માસિસ્ટને પ્રાઈવેટ પ્રેકટીસની મંજુરી આપવી જોઈએ અને CHO તરીકે પણ લેવા જોઈએ.

ફાર્માસિસ્ટ દ્વારા કોઈ ક્રાઈમ થયેલ હોય એવો કોઈ કેસ હજુ સુધી મારી પાસે આવ્યો નથી."


ચાલો સારું થયું કે હજુ સુધી તમારા ચોપડે ક્રિમિનલ ફાર્માસિસ્ટ નથી ચડ્યો.

🔴 આજનો દિવસ દરેક ફાર્માસિસ્ટ માટે ખાસ છે. આપે WPD મનાવેલ હોય એવી કોઈ મુખ્ય યાદો?

🟢 "WPD કોલેજ સમયમાં મનાવેલ હતો.
બરોડા સીટીમાં તે દિવસે રેલી કાઢી હતી.
WPD નાં આગલાં દિવસે બેનર બનાવવામાં બહું મહેનત કરી હતી."



WPDની તૈયારી જે આપે કહી એ ખરેખર આ વિવિધતા વાળા પ્રોફેશનના ટીમ વર્કનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે કારણ કે આ સેલિબ્રેશનની તૈયારીમાં ફાર્મસીના વિધાર્થીઓ થી લઈને ઉપર વાત કરી એમ દરેક ફિલ્ડના ફાર્માસિસ્ટ એક જ સ્ટેજ પર કામ કરે છે. તેમાં પણ આપના જેવા પૂર્વ ફાર્માસિસ્ટ અને પોલીસ ઇન્સ્પેકટર જ્યારે  આ દિવસ પર વાત કરે ત્યારે આ પ્રોફેશનની ડાયવર્સીટી વધુ વિશાળ થતી જાય છે.

🔴 આપની Ph થી PI ની સફર કેવી રહી? Class અને Salary સિવાય એવી કઈ બાબત હતી જેણે તમને ફાર્મસિસ્ટ માંથી પોલીસ બનાવ્યા?

🟢 "ફાર્માસિસ્ટમાંથી PI ની સફર ખુબ જ યાદગાર અને સંઘર્ષપૂર્ણ હતી.

ફાર્માસિસ્ટની વિશાળ કામગીરીમાંથી સમય કાઢવો અને તૈયારી કરવી એ ઘણું જ મુશ્કેલ હતું.

હું કલાસ-2 અને સેલેરી માટે પીઆઈ બન્યો જ નથી. પરંતુ હું GPSC ની કોઈ પણ સારી પરીક્ષામાં સિલેક્ટ થાવ એ મારા માતાં-પિતાંનું સપનું હતું જે હું કોઈપણ સંજોગોમાં પુર્ણ કરવાં માંગતો હતો."




તમારું down to earth કેરેકટર જ બતાવે છે કે તમે કલાસ 2 કે સેલેરી માટે PI બન્યા જ નથી. ફાર્મસી પરિવારને જો આપના સંઘર્ષ પર આટલું ગૌરવ હોય તો આપના માતાપિતાને આપ પર ચોક્કસ અનેક ગણું ગૌરવ હશે જ.

🔴 પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં તમને શું સામ્ય લાગે છે?

🟢 "પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ઘણી બાબતોમાં સામ્યતા છે જેમ કે 24 કલાક જોબ,નાઈટ ડયુટી, ડિઝાસ્ટર ડ્યુટી,ઈલેકશન ડ્યુટી,લોકો સાથે સંપર્ક વગેરે.

બંને ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓ એવાં છે જેમને કાંઈ કામ કરવું જ નથી. બહાર બંદોબસ્તમાં નામ આવે તો બહાનાં કાઢવાં. ઉપરી અધિકારીને ચાપલૂસી કરવી. સમયસર જોબ પર ના આવવું.

જેમની અંદર  Self-Discipline છે એવાં કર્મચારીઓ બંને ડીપાર્ટમેન્ટમાં છે જેમને કોઈ ના કહે તો પણ પોતાનું કામ કરી લે છે."



અપેક્ષા કરતા પણ વધુ ઊંડાણ વાળો અને કડવું સત્ય કહી શકાય એવો જવાબ આપની પાસેથી મળ્યો.

🔴 આ દિવસે કહેવું તો ન જોઈએ પણ ફાર્માસિસ્ટ પ્રોફેશનની કોઈ એવી ખરાબ બાબતો જે તમને ના ગમતી હોય..

🟢 "ફાર્માસિસ્ટ પ્રોફેશનલ પોતાનાં મેડીકલ સ્ટોરનાં લાયસન્સ ભાડે આપે છે તે નથી ગમતું. એનાં લીધે ફાર્માસિસ્ટની વેલ્યુ ડાઉન થાય છે અને ખોટાં લોકો પ્રોફેશન જમાવીને બેઠાં છે."



સો ટકા. આ ખૂબ જ પેધી ગયેલો સડો છે અને આવી બેદરકારી ખુદ ફાર્મસિસ્ટને પણ સામાન્ય લાગે છે એ તેનાથી પણ મોટું દુઃખ છે.

🔴 હેલ્થ ડિપાર્ટમેન્ટમાં તેમાં પણ ખાસ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટનું મહત્વ કેટલું લાગે છે? અને કેટલું મહત્વ આપવામાં આવે છે?

🟢 "અમુક પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટને સંપૂર્ણ સાઈડલાઈન કરવામાં આવે છે.

કોઈ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લઈને ઓછાં પગારમાં કોઈ એક કર્મચારીને મેડીકલ સ્ટોરમાં રાખી દેવામાં આવે છે. જયારે ઈન્સપેકશન આવે એટલે જેમનાં નામનું લાયસન્સ હોય એમને બોલાવી લેવામાં આવે છે.

સરકારી હોસ્પિટલમાં પણ District Hospital ને CHC માં ફાર્માસિસ્ટને જોઈએ તેવું મહત્વ આપવામાં આવતું નથી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટનું થોડું મહત્વ એટલાં માટે છે કારણ કે PHC માં બધું ફાર્માસીસ્ટ જ કરતાં હોય છે."



PHCમાં ફાર્મસિસ્ટને લોક સંપર્ક માટેનો સમય કદાચ બીજાની સાપેક્ષમાં વધુ મળે છે એટલે જ તે લોકોની નજરમાં વધુ મહત્વ ધરાવતો બની જાય છે.

🔴 મને યાદ છે કે જ્યારે આપણે કારકિર્દી પસંદ કરતાં ત્યારે ફાર્મસી એક ઉજ્જવળ કારકિર્દી તરીકે હંમેશા હરીફાઈમાં રહેતી, આજે શું સ્ટેટસ લાગે છે આ કેરિયરનું, નવા વિદ્યાર્થીઓ માટે?

🟢 "ફાર્મસીમાં એડમીશન માટે મેરીટ ઘણું ઉંચું રહેતું હતું. મારી સાથે ઘણા મિત્રો હતાં જેમને 12 સાયન્સમાં 80% થી ઉપર હતાં.

B.Pharm માં એડમીશન ના મળે તો D.Pharm માં એડમીશન વિદ્યાર્થીઓ લઈ લેતાં હતાં.  D.Pharm કરીને પછી B.Pharm કરતાં.

આજથી 15 વર્ષ પહેલાં ફાર્મસીની કોલેજો પણ ઓછી હતી.

એક સમય હતો કે બીજા રાજયમાં જેમ કે બેંગ્લોર B.Pharm કરવા માટે ગુજરાતનાં વિદ્યાર્થીઓ જતાં.

આજે ફાર્મસીની કોલેજો માંડ માંડ ભરાય છે અને અમુક કોલેજોમાં સીટો ભરાતી પણ નથી. એનું એક મુખ્ય કારણ વધુ કોલેજ ફી અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી શોધવામાં પડતી તકલીફ.

પરંતુ ભારતમાં ફાર્માસિસ્ટનું ભવિષ્ય ઉજળું છે અને વિદેશ જવા માટે ખુબ સ્કોપ છે."




વધતી જતી કોલેજોએ ફાર્મસી પ્રોફેશનના ટેલેન્ટ અને સ્કીલને પણ ડાયલ્યુટ કરી દીધું છે એ પણ એક હકીકત છે.

🔴 હેલ્થ અને ડિફેન્સ સરકારની આ બન્ને બાજુઓથી તમે હવે પુરેપુરા અવગત છો એવું કહી શકાય, તમને હજુ ક્યા વિભાગમાં વધુ સુધારાનો અવકાશ લાગે છે અને કેમ?

🟢 "હેલ્થ અને પોલીસ વિભાગ બંનેમાં એક સૌથી મોટી તકલીફ હોય તો એ પુરતો સ્ટાફ નથી.

બંને વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેવો થતો નથી.

જ્યાં સુધી પુરતો ટેકનીકલ સ્ટાફ નહીં હોય ત્યાં બંને વિભાગમાં તમામ રજીસ્ટરો તથા તમામ કામગીરી ઓનલાઇન શકય નથી.

ટેકનોલોજીનાં નિષ્ણાંતને બંને વિભાગમાં નિમણૂંક આપવી જોઈએ. જેમ કે સાયબર ક્રાઈમમાં જે Expert છે તેમની સાયબરનાં PI/PSI તરીકે નિમણૂક થાય તો તે બેસ્ટ કામગીરી કરી શકે. આરોગ્ય વિભાગમાં પણ બ્લોક ઓફિસમાં એક Computer Expert હોવો જોઈએ જે તમામ સ્ટાફને ગાઈડ કરી શકે."



ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ સરકારી ક્ષેત્રે ચોક્કસ વધ્યો છે પણ હજુ પ્રાઇવેટ સેકટરની સાપેક્ષે આપણે ઘણા પાછળ છીએ નવી ટેકનોલોજીને અપનાવવામાં.


🔴 ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ફાર્માસિસ્ટની ઓળખ ક્યાંક બીજા નોન ફાર્માસિસ્ટ પ્રોફેશનલ વચ્ચે ડાઇલ્યુટ થતી હોય એવું લાગે છે કે નહીં?

🟢 "ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં ફાર્માસિસ્ટની ઓળખ હવે અન્ય પ્રોફેશન સાથે dilute થતી હોય એવું લાગે છે.

ઈન્ડસ્ટ્રીમાં ફાર્માસિસ્ટ કરતાં ઓછી સેલેરીમાં અન્ય સ્ટાફ જોઈએ તેટલો મળી જાય છે એટલે જે જગ્યાએ ખાસ ફાર્માસિસ્ટની જરુર હોય ત્યાં જ B.Pharm કે M.Pharm વાળાની ભરતી કરે છે. બાકી અન્ય સ્ટાફથી કામ ચલાવી લેવામાં આવે છે."




વળી તેમની ઓળખ અને ડેજીગ્નેશનમાં પણ ફાર્માસિસ્ટ શબ્દ નહિવત આવતો હોવાથી ફક્ત એક ઓફિસ મેનની છબી લોકો પર ઉપસે છે.

🔴 એવું કંઈ જે મારે પૂછવાનું રહી જતું હોય અને તમારે કહેવાનું રહી જતું હોય...

🟢 "ફાર્માસિસ્ટની એક પોતાની ઓળખ હોવી જોઈએ.

Pharmacy is World's best profession.

The primary mission of the pharmacy profession is to have a positive impact on the provision of public health service by ensuring the safe and effective use of medications.

ફાર્માસિસ્ટ દવા બનાવશે પછી જ લોકોની સારવાર થશે ને!

આરોગ્ય વિભાગે ફાર્માસિસ્ટનું મહત્વ સમજવું જોઈએ. અત્યારે ફાર્માસિસ્ટને  ખાસ મહત્વ મળતું નથી.

Primary Health Center માં જ્યાં MBBS ડોકટર નથી ત્યાં BAMS/BHMS દ્વારા ઓપીડી જોવામાં આવે છે જે બંને બ્રાન્ચની એક પોતાની ઓળખ છે પણ એલોપેથી દવા એમનાં દ્વારા Prescribe થાય એ લોકોનાં હિતમાં નથી.

ફાર્માસિસ્ટ મિત્રોએ એલોપેથી ડૉક્ટર્સના official Prescription વગર દવા આપવી જ ના જોઈએ."



એકદમ વ્યસ્ત સિડ્યુલમાં પણ ફાર્મસી પ્રોફેશનની ખાટીમીઠી વાતો કરવા સમય આપવા બદલ ફાર્માસિસ્ટ કમ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટનો ખુબ ખુબ આભાર. આપ તેમનું નીચે આપેલ ટ્વીટર એકાઉન્ટ ફોલો કરીને તેમની રોજિંદી કામગીરી અને પ્રેરણાત્મક વિચારો સાથે જોડાઈ શકો છો.   

આપના પગરવ

Search This Blog

Sandip Herma

My photo
ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.

Contact Form

Name

Email *

Message *

Followers