Friday, April 18, 2025
Tuesday, April 15, 2025
પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ
નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ.
નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે
પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના પરિવારની સુરક્ષાની વાત આવે ત્યારે તે બિચારો લાગે અને પરિવારની સુરક્ષાના બદલામાં એટલો તો ખતરનાક બની જાય કે એ પોતાનું સામ્રાજ્યને પણ બરબાદ કરવા તૈયાર થઈ જાય. ગમે એમ તો પણ પાબ્લો એક સંસારી જીવડો એટલે પરિવાર તેની તાકાત તો હતી પણ સાથે સાથે તેની નબળાઈ પણ પરિવાર જ હતો. જ્યારે તેની પત્ની, બાળકો અને માં એમ કહે કે હું તારી સાથે છું ત્યારે ત્યારે તે વધુ ખતરનાક બની જાતો. પરંતુ કેટલાક સંજોગો એવા આવે જેમાં તેની પત્ની તેને પોતાના અપ્રોચને લઈને થોડી બાંધછોડ કરવાની તૈયારી કરે કે તરત જ તે પોતાના નિર્ણયમાં ગફલત ખાઈ જતો. તેની પત્નીને જયારે દુનિયાની બધી જ વસ્તુઓ (ખુશીઓ નહિ) મળી જાય ત્યારે તે ખુશ થતી પણ જ્યારે તેના માથા પર મોત નાચતું હોય ત્યારે તેને પાબ્લોના નિર્ણયો પર શંકા જાગે. જો કે અંતે જેમ તેમ પોતાના પતિ પર વિશ્વાસ રાખીને એ તમામ રિસ્ક લેવા તૈયાર થઈ જ જાય છે જેનું પરિણામ તો અંતે પાબ્લોને જ ભોગવવાનું આવે છે.
પાબ્લોના પરિવારમાં સૌથી ક્લિયરકટ માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિ હોય તો એ તેના પિતા છે. આખું કોલમ્બિયા અને અમેરિકા જેનાથી થરથરતું હતું એવા પાબ્લોને તેના પિતા જ એક મોં પર કહી શકતા કે તું ખોટો છો. બાકી બધા તો ખુશામતખોરોએ જી સર જી સર કરીને પાબ્લોની કબર ખોદી હતી.
આ સિરીઝની વાસ્તવિકતા સાથેની છણાવટ પાબ્લોને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. પાબ્લોનું વ્યક્તિત્વ ક્યારેક બળવાન, ક્યારેક ભીરુ અને મોટાભાગે અહંકારી લાગે. જ્યારે કત્લેઆમ મચાવે ત્યારે કોઈનો વિચાર કરતો નથી અને જ્યારે પોતાના પર કે પોતાના પરિવાર પર ખતરો આવે ત્યારે તે વિકટીમ બનીને હ્યુમન રાઇટ્સ લઈને ન્યાય માટે બળજબરી કરે છે. ખરેખર ક્રૂર લોકો કાશ્મીર થી લઈને કોલમ્બિયા સુધી બધા આવા જ હશે? પોતે કરે તો બધું ઉચિત પણ પોતાના પર આવે તો અન્યાય !
Monday, March 3, 2025
દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?
હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.
કેમ?
કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું.
આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે.
એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે.
અહીં વાત અસરકારકતાની નહિ પણ લોકપ્રિયતાની એટલા માટે કરવામાં આવે છે કે લોકોને જલ્દીથી સાજા થવામાં રસ છે નહીં કે ભવિષ્યમાં થવાની કોઈ પણ આડઅસરોમાં.
હોસ્પિટલમાં દવાઓ આપતી વખતે શરૂઆતમાં એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગ થી ભવિષ્યમાં થતા રજીસ્ટન્સ વિશે કે પછી કાયમી પેઇનકિલર ને ચાવી ચાવી ને તેને કિડની કિલર બનાવી દેતા કહેવાતા દર્દીઓને જોઈને ચીડ ચડતી. પછી ધીમે ધીમે મને ફરક પડતો જ બંધ થઈ ગયો. જો દર્દીઓ સમજવા જ તૈયાર ન હોય તો મારે શું પડી છે? એવું વિચારીને હું પણ મારી ફરજ મૂકીને નોકરી કરવા માંડ્યો.
એવું નથી કે લોકોને આ આડઅસરોની જાણ નથી કરવામાં આવતી. દરેકને થોડાઘણે અંશે તો ખબર પડે જ છે કે લાંબા ગાળે આ બધું સારું તો નથી જ. આમ છતાં બસ આજે હું હેમખેમ બેઠો થઈ જાવ, આજનું કામ પતાવી લઉં પછી જોયું જાય. એવી માનસિકતા લઈને આ ખતરો કે ખિલાડીઓ બેઠા હોય છે. દરરોજ દવાઓ ખાઈને વર્ષો પછી કિડનીના પ્રોબ્લેમ્સ લઈને આવતા દર્દીઓની આખી સાયકલ મેં જોઈ છે. દરરોજ ખાવાના કોઈ ધડા રાખવા હોતા નથી અને એન્ટાસિડના ટીકડીઓ દરરોજ પોતાની જઠરાગ્નિમાં પધરાવતા મહાનુભાવોની વિટામિન બી 12 ની ખામીઓ વાળી આખી સાયકલ પણ નજરોનજર જોઈ છે. દર્દીઓને સમજાવ્યું પણ છે. પણ પછી તો મોડું થઈ ગયું હોય છે.
જિંદગીના પછવાડે મોટા દવાખાનાના ચક્કરમાં ખિસ્સા પણ ખાલી કરી બેસતા આ લોકો નાની નાની બીમારીઓમાં શરીરને લડવાનો સમય આપવા તૈયાર નથી હોતા. સામાન્ય શરદીને પણ ટેકલ કરતા શરીરને ચાર થી પાંચ દિવસ લાગે છે પરતું દવાઓ ખાઈને એક દિવસમાં સાજા થઈ જતાં અધૂરીયા જીવવાળા દર્દીઓ શું જાણે ઇશ્વરે શરીરને આપેલી શક્તિઓ! દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ વરદાન જરૂર છે પણ દવાઓની શક્તિઓનો આડેધડ ઉપયોગ શરીરની શક્તિઓને ક્યારે ક્ષીણ કરી દેશે એ ખબર પણ નહીં પડે!
સુપર ઓવર:
સાહેબ મને પેટમાં દુઃખે છે. પેટ પર લગાડવાની ટ્યુબ આપોને, દવા તો ગરમ લાગે છે.
Thursday, May 30, 2024
વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.
એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.
પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જાય. આવું ઘણાં દિવસ ચાલ્યું.
એવામાં એક દિવસ સિંહને મોટી મિજબાની કરવાની ઈચ્છા થઈ તેણે ઝરખની ટીમને કહ્યું કે આજે મારે ઘરે મહેમાન આવે છે એટલે મિજાબની કરવાની છે. એક શિકારથી નહીં ચાલે આજે તો વિવિધ મિષ્ટાન્ન જોઇશે. ઝરખની ટીમ લાગી ગઈ કામે. જુદી જુદી દિશાઓમાંથી તેણે જુદા જુદા પ્રાણીઓને ગુફા હવાલે કરવાનું શરૂ કર્યું.
આ બાજુ જંગલમાં એક સાથે આટલા બધા પ્રાણીઓ ગુમ થવાથી સોંપો પડી ગયો. બધા પ્રાણીઓએ ભેગા થઈ મિટિંગ કરી. મિટિંગમાં તેણે રાજા સિંહને પણ બોલાવવાનું નક્કી કર્યું. સિંહે બધાની વાત સાંભળીને કહ્યું કે આ તો ખૂબ જ ગંભીર ઘટના છે. આમાં જે પણ સામેલ હશે તેને ચલાવી લેવામાં આવશે નહિ. ખૂબ જ ભારેમાં ભારે સજા થશે. આ માટે હું શિયાળભાઈને તપાસ સોપું છું. એક અઠવાડિયામાં મારે ખોવાયેલા પ્રાણીઓ અથવા તેના માટે જવાબદાર ગુનેગાર જોઈએ જ. શિયાળે છાતી ઊંચી કરીને સલામ ભરી.
અઠવાડિયા બાદ ફરી સભા ભરાઈ. કેટલાક પ્રાણીઓ ગુનેગારની સજા સાંભળવા માટે ઉત્સુકતા વશ તો કેટલાક પોતાના કુટુંબીજનોની ભાળ માટે કે ઉચિત ન્યાયની આશ માટે આંખોમાં પાણી ભરીને સભામાં ભેગા થયા હતા. શિયાળે રિપોર્ટ રજૂ કર્યો.
થોડા સમય પહેલા જે ઘટના બની તેનાથી રાજાજી ખૂબ દુઃખી છે. પરંતુ સમયસરની કાર્યવાહીથી આપણે આજે ગુનેગારો સુધી પહોંચી શક્યા છીએ. આ ગુનેગારો બીજા કોઈ નહિ પણ ઝરખ છે. ઝરખને અમારી ટીમના ઘણા શિયાળે જંગલના માસુમ પ્રાણીઓને બાજુના જંગલમાં લઇ જઇ ત્યાં ભેગા મળીને તેની મિજબાની કરતા જોયા છે. તેને પુરાવા તરીકે રાખીને રાજાજીએ ઝરખને જંગલથી બરતરફ કરવાની સજા નક્કી કરી છે. હવે એ આપણી હદમાં પ્રવેશી શકશે નહીં તેમજ તેની કોઈ વાત પણ માન્ય રાખવામાં આવશે નહિ. આજથી આપણું જંગલ ઝરખના આતંકથી મુક્ત થશે. સાથે સાથે ગુમાવેલા પ્રાણીઓના સ્વજનો માટે આ દુઃખની ઘડીમાં આગામી એક મહિના માટે રાજા દ્વારા ઘાસચારની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેને આ ભારે ક્ષણોમાં પોતાના ગુજરાનની ચિંતા ન રહે. કેટલાક પ્રાણીઓએ જયજયકાર બોલાવ્યો તો કેટલાક પ્રાણીઓએ આ ન્યાયપૂર્ણ કાર્યવાહીને સમગ્ર જંગલમાં રાજાજીના ગુણગાન સાથે હવા વેગે વહેતી કરી દીધી.
એક વર્ષ બાદ આજે શિયાળને સિંહ માટે શિકાર શોધવાનો ઓર્ડર મળી ગયો છે તેમજ ઝરખને પણ રાજાજીએ બાજુના જંગલના રાજા વાઘ સાથે વાત કરીને સેટ કરી દીધેલ છે. પ્રાણીઓ બધા જંગલમાં વાર તહેવારે એકાદ પ્રાણીઓ ખોવાતા વધુ ચિંતા કરતા નથી. કારણકે વાયુ વેગે અમુક પ્રાણીઓ વાતોને ફેલાવીને તેને ખાતરી કરાવે છે કે ભૂતકાળમાં એકસાથે કેટલા બધા પ્રાણીઓ લાપતા થતા હતા તેની સામે આજે એ રેશિયો ઘણો ઘટી ગયો છે એટલે ચિંતા કરવા જેવું કંઈ નથી.
સુપર ઓવર:
આ વાર્તાને હાલમાં તેમજ ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓ કે હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ સમાનતા નજરે પડતી હોય તો તેને માત્ર એક સંયોગ કહેવાશે.
Thursday, April 6, 2023
વર્લ્ડ ફાર્મસી ઇન્ડિયા : કહીં નજર ના લગ જાયે
હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ.
આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa નામક એક ખુબજ શક્તિશાળી એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો ગ્રોથ જોવામાં આવ્યો. જેને કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હતા.
પરંતુ આરોપી કંપનીનું કહેવું માનીએ તો તામિલનાડુની ડ્રગ ઓથોરિટીએ આ જ બેચના સેમ્પલ ટેસ્ટ કર્યા અને ઉપરાંતના અવેલેબલ બીજી પણ Ezricareની 24 બેચ તપાસી જોઈ તો તેમાં આવા કોઈ બેક્ટેરિયા જોવા મળેલ નથી તેવું જાહેર કર્યું. આવું જાહેર કરવા છતાં ગ્લોબલ ફાર્માએ પોતાની આ પ્રોડક્ટ USમાંથી પાછી ખેંચવાની શરૂ કરી દીધી અને જે લોકો ઉપયોગ કરતા હોય તેને પણ ઉપયોગ ન કરવાની વિનમ્ર ચેતવણી આપી! આ રિકોલ પણ જેવું તેવું નહિ પરંતુ કંપની દ્વારા ક્લાસ 1 કક્ષાનું રિકોલ શરૂ કરાયું.
[રિકોલને મુખ્યત્વે FDA મુજબ ત્રણ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે.
- જો માર્કેટમાં કોઈ ગંભીર બીમારી કે ઇજા પહોંચાડે એવી પ્રોડક્ટ હોય તો રિકોલ કલાસ 1.
- જો ગંભીર બીમારી કે આડઅસરની શકયતા લાગતી હોય પણ ચોક્કસ ન હોય ત્યારે રિકોલ કલાસ 2.
- કોઈ ગંભીર આડઅસર કે બીમારી ન ફેલાવે પણ તે તેના રેગ્યુલેશન પ્રમાણે તૈયાર થયેલ ન હોય ત્યારે રિકોલ કલાસ 3 અમલમાં મુકાય છે.]
આરોપી ગ્લોબલ ફાર્મા એકબાજુ પોતાને નિર્દોષ બતાવે છે અને બીજી બાજુ કલાસ 1 રિકોલ માટે ફેબ્રુઆરીના અંતમાં જ ઓર્ડર આપે છે. આ બાજુ આદુ ખાઈને પાછળ પડેલી CDC અને USFDA વારંવાર દુનિયાના પ્લેટફોર્મ પર આ જોખમી બેક્ટેરિયાની હેડલાઈન્સ મુકતું રહે છે. તો સમજવું શું? આખિર કાતિલ હૈ કૌન...? CDCના નામમાં જેમ પ્રિવેન્શનનો P સાયલન્ટ છે એમ ક્યાંક CDCના ઇરાદાઓ તો ક્યાંક સાયલન્ટ નથી ને..?
ચાલો તેનો તાગ મેળવવા માટે સિઝન 2 તરફ આગળ વધીએ.
2022 ના જુલાઈ-ઓગસ્ટમાં પણ આવી જ એક ન્યુઝ હેડલાઇને આખા વિશ્વમાં વર્લ્ડ ફાર્મસી ભારતની ફજેતી કરવાની તક ઝડપી હતી. આફ્રિકાના ગામ્બિયા દેશમાંથી ખબર આવી કે ભારતની મેઇડન ફાર્મા નામની કંપનીએ એક્સપોર્ટ કરેલ કફ સીરપ પીવાથી 66 જેટલા બાળકો મૃત્યુ પામ્યા. (આંકડા તરફ ન જતાં કારણ કે WHOએ આ આંકડો અત્યારે 300 બાળકો સુધી પહોંચાડી દીધો છે.)
ગામ્બિયા એક ગરીબ દેશ છે કે જેની પાસે પૂરતી ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેણે આ કેસમાં ઊંડું ઉતરવા માટે ટેસ્ટિંગનો સઘળો કારભાર CDCને સોંપી દીધો. જગત જમાદાર અમેરિકાની આ એજન્સી ફરી એકવાર ભારતના કેસમાં દાખલ થઈ અથવા કરવામાં આવી જે સંયોગ ગણો એ પણ તેણે ગામ્બિયાનો વિકટીમ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ફરી એકવાર ગ્લોબલ મીડિયામાં પોતે એક ગરીબ દેશની વ્હારે આવ્યું છે એવી છાપ ઉભી કરવાની સાથે મેઇડન ફાર્મા પર આરોપ પણ લગાવ્યા.
આરોપ સંગીન હોય તો તપાસ તો થવી જ રહી. ભારત સરકારે ફાર્માકોલોજીસ્ટ ડૉ.વાય. કે. ગુપ્તાના વડપણ હેઠળ એક તપાસ કમિટીની રચના કરી જેમાં નમુનાની તપાસ બાદ આ કફ સીરપ અને ગામ્બિયામાં થયેલા બાળકોના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી એવું સામે આવ્યું. (અથવા લાવવામાં આવ્યું એ ભગવાનને ખબર) પણ મેઇડન ફાર્માનો હરિયાણા પ્લાન્ટ કે જ્યાં આ સીરપ બન્યા તેને તરત જ તાળાં મારવામાં આવ્યા. હેલ્થ મિનિસ્ટ્રિના સૂત્રો જણાવે છે કે આ રિપોર્ટ જ્યારે WHO દ્વારા માંગવામાં આવ્યો ત્યારે આ WHOનો ડોમેઈન એરિયા નથી એવું કહીને ભારત દ્વારા તેને બધા જ રિપોર્ટ આપવામાં આવ્યા નહિ. બીજી બાજુ ગામ્બિયાની ઓથોરિટીએ જે સેમ્પલ્સને ડેન્જર જાહેર કરેલા એ કફ સિરપના સેમ્પલ ભારત સરકારે WHO પાસે માંગ્યા ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ જ વળતો જવાબ WHO એ આપ્યો નહિ .
આ બ્લેમ ગેમ વચ્ચે મૃત્યુ પામેલા બાળકોનું રહસ્ય દરેક પોતપોતાના સત્યના ચશ્માંથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. છતાં કોઈ એક અપરાધી પર વિશ્વાસથી કોઈ આંગળી મૂકી શકતું નથી. આવું કેમ?
ચાલો હજુ એક સિઝન 3 ફેંદી લઈએ...
ગત ડિસેમ્બરમાં ફરી એકવાર એક કફ સીરપે 18 બાળકોનો ભોગ લીધો. આ વખતે દેશ હતો ઉઝબેકિસ્તાન અને આ ભારતની કફ સીરપ બનાવનાર કંપની હતી મેરીઓન બાયોટેક. ઉઝબેકિસ્તાનની ઓથોરિટીએ ભારત સરકારને સીધી જ આ અંગે જાણ કરી જેમાં વચ્ચે કોઇ જગત જમાદારની જરૂર ના પડી. ભારત સરકારે તરત જ આ કફ સિરપના સેમ્પલ ચંદીગઢ લેબમાં તપાસ અર્થે મોકલ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારે પણ તેની રીતે આ સેમ્પલને ટેસ્ટ કર્યા અને આ વખતે ઉઝબેકિસ્તાન સાચું ઠર્યું. ઘણા સેમ્પલ તેની સ્ટાન્ડર્ડ ક્વોલિટીથી જોજનો દૂર નીકળ્યા તેમજ કેટલાક ભેળસેળવાળા બનાવટી કેમિકલ પણ મળ્યા. આ કંપનીના ત્રણ મોટા એમ્પ્લોયી અત્યારે સળિયા પાછળ છે.
પણ WHO ને ભાવતું'તું 'ને વૈધે કીધું જેવો તૈયાર લાડવો મળી ગયો અને આ કિસ્સાને પણ ગામ્બિયા સાથે જોડીને એક એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો ભારતને નોટિસ ઇસ્યુ કરી દીધી. WHO સંસ્થા કોરોના કાળ પછી તેના ગણ્યા ગાંઠ્યા દેશ તરફી ઝુકાવ માટે બદનામ તો હતી જ હવે એ વધુ શંકાશીલ બની છે.
ઉપરોક્ત કિસ્સાઓ દર્શાવે છે કે પૂરતા પુરાવાઓ હોય તો ભૂલ સ્વીકાવામાં ભારતે પાછી પાની નથી કરી પણ જ્યારે કોઈ શંકાશીલ ષડયંત્રની ગંધ આવે ત્યારે રાજકીય કાવાદાવા ખેલવામાં વર્લ્ડ ફાર્મસી પણ કાંઈ ઉણી ઉત્તરે એમ નથી.
પરંતુ તેનો મતલબ એવો જરાય નથી કે વર્લ્ડ ફાર્મસીના ટેગ ખાતર આપણે ક્વોન્ટીટી ઉપર એટલો બધો ભાર આપી દઈએ કે કવોલિટી ક્યાંક ખોવાઈ જાય. હાલમાં જ દેશની અઢાર જેટલી કંપનીઓમાં સરકારની એજન્સીઓ દ્વારા રેઇડ પાડીને નકલી દવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં સનફાર્માએ પણ પોતાની Diltiazem નામની હૃદયની દવાને અમેરિકાના માર્કેટમાંથી કન્ટેન્ટ યુનિફોરમિટી ટેસ્ટ ફેલ થવાના કારણે કલાસ 3 રિકોલ કરી હતી. આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય દ્વેષ અને ઈર્ષ્યાની માયાજાળમાં માસૂમ જિંદગીઓને પ્યાદા બનાવવાનું દુનિયાએ માંડી વાળવું જોઈએ.
સુપર ઓવર:
દવાની આડઅસર દર્દીની તાસીર પર આધાર રાખે છે પણ દવાની સારી અસર ફક્ત અમારા પર આધાર રાખે છે.
આપના ખભે બંદૂકવાળી ગલી,
કમિશનપુર ચાર રસ્તા,
અમથાવાદ
Tuesday, November 29, 2022
દર્દીનારાયણ સામે ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું?
ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ!
Saturday, September 24, 2022
વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે પર એક મુલાકાત પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે
25 સપ્ટેમ્બર એટલે દુનિયાભરના ફાર્માસિસ્ટને એક જ સ્ટેજ પર લાવતો દિવસ. World Pharmacists Day. એ ફાર્માસિસ્ટ પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે અધ્યાપક હોય, હોસ્પિટલ ફાર્માસિસ્ટ હોય કે રિટેઇલ ફાર્માસિસ્ટ હોય, સાયન્ટિસ્ટ હોય કે પોલિસી મેકિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય... આ તમામ માટે આ દિવસ એક સરખો છે. પરતું આ સિવાય પણ કેટલાક પ્રોફેશન્સ છે જેમાં આપણા ફાર્માસિસ્ટ મિત્રો ફાર્માસિસ્ટ તરીકે તો નહીં પણ ફાર્માસિસ્ટના હૃદયથી જરૂર કામ કરે છે. ફાર્માસિસ્ટમાં પોતાનું કેરિયર છોડીને પબ્લિક સર્વિસમાં અથવા કોઈ પણ બીજા કેરીયરમાં જોડાયેલા હોય, તેની વર્તમાન કેરિયરનો બેઝ તો હંમેશા ફાર્મસીની આસપાસ જ ઘુમતો હોય છે. આજે આવા જ એક પૂર્વ હોસ્પિટલ ફાર્માસિસ્ટ અને વર્તમાન પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે નાની એવી શાબ્દિક મુલાકાત તમારી સાથે શેર કરું છું. રાજકોટમાં ફરજ બજાવતા PI ભાર્ગવસિંહ પાસેથી આપણે ફાર્માસિસ્ટ માટેની છોટી છોટી મગર મોટી બાતેં જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જ શબ્દોમાં...
આપના પગરવ
Search This Blog
આપણી બીજી શાખા
Sandip Herma

- Sandip Herma
- ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.