માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.
આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડીને જ બેસી જાય છે.
જેનરીક દવા અને બ્રાન્ડેડ દવાઓનો સવાલ 'પેલા મરઘી કે પેલા ઈંડુ!?' એ સવાલ જેટલો જ જટિલ છે. આજની તારીખમાં જોવા મળતી દરેક જેનેરીક દવાઓ ક્યારેક બ્રાન્ડેડ તરીકે જ ઓળખાતી હતી. આ જેનેરીક દવા એ જ બ્રાન્ડેડ દવા છે જે વીસ વર્ષ પહેલાં પોતાની ભરજુવાની માં પેટન્ટ નો મેકઅપ કરીને કેટલાય ના દિલ પાસે રહેલા ખિસ્સા તોડી નાખ્યા હતા. હવે જ્યારે જુવાની પુરી થઈ અને પોતાના સૌંદર્યની હરીફાઈ વધી ગઈ એટલે ડાહી ડમરી થઈને લોકોના ખિસ્સામાં સમાવા સામેથી તૈયાર થઈ ગઈ. તો પછી ભરજુવાનીમાં આ દવાઓ કેમ મોંઘી હતી?
નવી નવી દવાઓના સંશોધન પાછળ આજે અબજો રૂપિયા ખર્ચાઈ રહયા છે અને આ અબજો રૂપિયાના પરિણામને અંતે સફળતા મળશે જ એની કોઈ ગેરેન્ટી હોતી નથી. જ્યારે આ દવાઓના સંશોધનકર્તા (મોટા ભાગે ફાર્મસીસ્ટ) સફળતાનો સ્વાદ ચાખે છે ત્યારે સૌથી પહેલાં માનવહીતાર્થે કરેલા ખર્ચને પહોંચી વળવું જરૂરી બની રહે છે. આ ખર્ચ વસુલવા પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે જે સામાન્ય રીતે વીસ વર્ષ સુધીની હોય છે. આ પેટેન્ટ જે-તે સંશોધનકર્તા કંપનીને વીસ વર્ષનો ઈજારો આપે છે, પોતાની કિંમત વસુલવા માટે. આથી આ નવી આવેલી દવા આપણા ખીસ્સાને ના છૂટકે રડાવી જાય છે. અહીં જરૂરી નથી કે દવા જ નવી શોધાયેલી હોવી જોઇએ. એ દવાની બનાવટમાં કે તેની પધ્ધતિમાં કરાયેલો નજીવો (આપણા માટે) ફેરફાર પણ પેટન્ટના હક હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે મોંધીદાટ કિંમતો વસુલતી ફાર્મા કંપનીઓ આપણને લુંટી રહી છે એવું કહેવાને બદલે પોતાના હકનો મનોવાંછીત નફો વસુલી રહી છે એમ કહી શકાય. આ નફો વસુલવા માટે ફાર્મા કંપનીનું પહેલું અમોઘ બ્રહ્માસ્ત્ર છે ડોક્ટરો !
આજે સરકારે જ્યારે ડોક્ટરોને જેનેરીક દવાઓ લખવા આગ્રહ કર્યો છે ત્યારે કમિશન મેળવતાં ડોક્ટરો કરતાં ફાર્મા કંપનીઓ ને વધુ ધકકો લાગી રહ્યો છે. દુનિયાની 20 % જેનેરીક દવાઓનું ઉત્પાદન કરતા ભારત દેશમાં જ મોટા ભાગની જેનેરીક દવાઓ નિકાસ પામે છે અને આપણા માટે મોંધીદાટ બ્રાન્ડનો રાફળો ખુલ્લો મુકી દેવામાં આવે છે. આપણે ગળથુથી થી જ બ્રાન્ડેડ દવાઓ થી ટેવાયેલા છીએ અને ઘણી ગેરમાન્યતાઓ નું ઘર ભરીને બેઠા છીએ. જેમ કે જેનેરીક દવાઓની અસરકારકતા બ્રાન્ડેડ દવાઓ જેટલી નથી હોતી, સસ્તું હોય એ હંમેશા સારું નથી હોતું, ડોકટર હંમેશા પોતાના કમિશન નો વિચાર કરીને જ દવા લખે છે, મેડિકલ સ્ટોરને જેનેરીક વેચવામાં રસ નથી... વગેરે વગેરે.
જો જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવા સમાન જ હોય તો પરિણામ માં ફરક શા માટે જોવા મળે છે!? શા માટે ડોકટર બ્રાન્ડેડ ને વધુ મહત્વ આપે છે? મેડિકલ સ્ટોર અને ફાર્મા કંપનીઓ ને નફો જેનેરીક રળી આપે છે કે બ્રાન્ડેડ? આવાં કેટલાય સવાલો બધાના મન માં ઘૂમે છે જેના ઉપર નિષ્પક્ષ ચર્ચા કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. હવે પછીના લેખમાં આ સવાલોનો કોઈ પર આરોપ પ્રત્યારોપ કર્યા વગર જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીશું. જેની ડાયરેકટ લિંક અહીં ઉપલબ્ધ છે. 👉 જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?
(માહિતી સંકલન માટે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ અંકિત કરકર-સુરત અને ભરત વઢવાણા- ચોરવાડ નો આભાર)
The U.S. Food and Drug Administration (FDA) requires generic drugs to have the same performance and quality as brand name drugs. The FDA says: “When a generic drug product is approved, it has met rigorous standards established by the FDA with respect to identity, strength, quality, purity, and potency.”....
ReplyDeleteCost is the main difference between generic and brand name prescription drugs. Unlike brand companies, generic manufacturers compete directly on price, resulting in lower prices for consumers. Generics have saved Americans $1.67 trillion over the last decade.