Skip to main content

સુપરપાવર ન હોવાનો અફસોસ થયો છે ક્યારેય?



મોટાભાગના નેવુંના દશકમાં જન્મેલા અલ્લાદીન અને તેના ઝીનીના દીવાના હતા. તો વળી એકવીસમી સદીના પહેલા દશકમાં સ્પાઇડર મેન અને ક્રિશ જેવા સુપરહીરોના પગરવ થયા. ત્યારબાદ મારવેલ અને ડિસીએ એટલી ધૂમ મચાવી એમાં પણ મારવેલના એવેન્જર્સ તો મોટાભાગના યુવાનો અને ટીનેજર્સ માટે ફક્ત એક ફિકશન ન રહેતા હકીકતની નજીક બની ગયા. આ બધા વચ્ચે આપણે જે. કે. રોલિંગના હેરી પોટરને થોડો ભૂલી શકીએ? એવી એકાદ જાદુઈ લાકડી આપણા હાથમાં પણ હોય અને બે ત્રણ આડા અવળાં મંત્રો બોલીને આપણે પણ જાદુ કરી શકીએ તો કેવું!

આ બધી ઈચ્છાઓ પણ ધીમે ધીમે ઉંમરની સાથે બદલાતી જાય. પહેલા જે વસ્તુ ફક્ત ટીવી કે સિનેમા માં જોઈને તેનાથી ઘડી વાર અંજાઈ જતા એ ધીમે ધીમે મનમાં ઘર કરવા માંડે. એવું લાગવા માંડે કે આમાંનું કોઈ એકાદ પાત્ર હું પણ હોઉં! પણ શા માટે?

તમને ક્યા સમયે આવો વિચાર આવે છે? જ્યારે તમે તમારી આજુબાજુ અકળામણ અનુભવો, અન્યાય અનુભવો ત્યારે તરત જ તમને થાય કે આવી કોઈ તાકાત મારી પાસે હોત તો બધાને સીધા કરી દેત. જ્યારે કોઈ ચેનલ પર આંતકવાદીના હુમલા ના સમાચાર જોઈને તમારી અંદર રહેલો સુપરમેનનો અવતાર જાગી ઉઠે અને મનમાં જ એ આતંકવાદીઓને પોતાના આંખની લેઝરથી ભષ્મ કરવા હવાઇયાત્રા પર નીકળી પડે. જ્યારે કોઈ સરકારી કચેરીમાં કોઈ ભ્રષ્ટાચાર થતો જુઓ ત્યારે તરત જ ઈચ્છા થાય કે હું પણ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરીને સામે વાળાને એક લાફો મારીને ભાગી જાઉં અથવા તો તેનું છૂપું સ્ટિંગ ઓપરેશન કરીને તેને બધાની સામે લાવું. તમારા પાડોશી સાથેની સામાન્ય રકઝકમાં પણ તમને તમારા સુપરપાવર ઉપયોગ કરવાની તાલાવેલી લાગવા માંડે. કારણ કે સુપર પાવર માટે જરૂરી લાયકાત અને માનસિક શક્તિ આપણી પાસે નથી. આપણે વધી વધીને બસ ઉપરોક્ત કારણ માટે જ આ સુપરપાવર વાપરશું. પણ હકીકતમાં ઉપરોક્ત તમામ બાબતો સામે લડવા દરેકને ઈશ્વરે શક્તિ આપી જ છે અને એ સામાન્ય ઈચ્છાશક્તિ વડે પણ આ બાબતો સુલજાવી શકાય એવી હોય છે.

સ્પાઇડર મેન ફિલ્મનો એક બહુ જ પ્રખ્યાત ડાયલોગ છે કે વિશેષ શક્તિઓની સાથે વિશેષ જવાબદારીઓ પણ આવે છે. આ જવાબદારીઓ ફક્ત આપણી દુનિયા પ્રત્યેની જ નથી રહેતી પણ આપણા પોતાના જીવન માટે પણ લાગુ પડે છે. આ સુપર પાવરનો ઉપયોગ તમે તમારા સ્વાર્થ માટે કરો એમાં આ સુપર પાવરનું કોઈ જ મહત્વ નથી. આપણે દરેક ફિલ્મોમાં મોટા ભાગે આવી શક્તિઓનો ઉપયોગ બદલાની ભાવનાથી જ કરવામાં આવતો હોય એવું જોવા મળે છે. ખરેખર પ્રમાણિકતાથી વિચારો કે તમારી પાસે જો કોઈ સુપરપાવર હોય તેનો ઉપયોગ શું નાના એવા પાડોશીના ઝઘડાઓમાં કર્યા વગર રહી શકો ખરા? શું ખરેખર ક્યાંય નાની વાતમાં તમારું અપમાન થાય તો તેનો બદલો લેવાનું મનમાં ક્યાંક ને ક્યાંક સાચવીને રાખનારા સમય આવ્યે આ સુપર પાવર દ્વારા શું બદલો નથી લેવાના? 

એક વાત ક્યાંક વાંચેલી યાદ આવે છે. એક ગુરુએ તેના શિષ્યને મૃતને પુનર્જીવિત કરવાની વિદ્યા આપી. ત્યારબાદ એ શિષ્ય કોઈ એક ગામમાં ગયો. ત્યાં એ શિષ્યને તેની વિદ્વત્તા માટે લલકારવામાં આવ્યો. એક ગાયને મારીને તેની સામે રાખવામાં આવી અને તેની શક્તિઓ માટે કેટલાકે ઉશ્કેરણી કરી કે જો ખરેખર તું તારા ગુરુનો શિષ્ય હો તો આ ગાયને પુનર્જીવિત કરી બતાવ. શિષ્ય આ મૃત ગાયની કરુણા અને મૂર્ખ લોકો પરના ગુસ્સાનો ભોગ બની ગાયને સજીવન કરી બતાવી અને લોકોને ચૂપ કરી દીધા. આ વાતની જ્યારે ગુરુજીને ખબર પડી તો તેને ખૂબ દુઃખ થયું. તેણે એ શિષ્યને પ્રાયશ્ચિત કરવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા કહ્યું. કારણ કે શિષ્યએ જે ઉદ્દેશ માટે શક્તિ વાપરેલી તે ઉદ્દેશ શુદ્ધ ન હતો. આ વાતમાં આપણને વિચાર થાય કે આમાં પેલી ગાયનો શું વાંક? પણ આ બધું જે થયું એ કોઈ એક વ્યક્તિની નબળી ઇચ્છાશક્તિને પ્રતાપે થયું. ઉશ્કેરણી કરનાર લોકોને જ કદાચ એ શિષ્યની નબળાઈ હાથ લાગી ગઈ અને એમાં જ તેની પરિક્ષા થઈ ગઈ જેમાં તે નાપાસ થયો. 

આવી ઝીણી ઝીણી બાબતોનો વિચાર કરીએ તો ખરેખર સમજાય કે ઈશ્વરે જે કાંઈ આપ્યું છે તે માપી તોલીને જ આપ્યું છે. જેને જેટલી ક્ષમતા છે એટલું જ આપ્યું છે. તેનાથી વધુ ન આપીને પણ ઈશ્વરે માણસજાત ઉપર ઉપકાર જ કર્યો છે. 

માણસને જેટલું આપ્યું છે એ પણ સુપર પાવરથી કાંઈ ઓછું નથી. પણ આ તો દરેકને લગભગ સરખું શરીર આપ્યું છે એટલે આપણે એકબીજાની સાપેક્ષે આપણી શક્તિ કાંઈ જ નથી લાગતી. ક્યારેક કોઈ દિવ્યાંગ વ્યક્તિ પાસે જઈને વિચાર કરજો કે ઈશ્વરે તમને કેટલી શક્તિઓ આપી છે!


સુપર ઓવર: સાચું કહેજો, નામ સ્પાઇડરમેન હોવા છતાં જાળ હાથમાંથી કાઢે એ કેટલું વ્યાજબી છે!?

Comments

  1. વિશેષ શક્તિઓની સાથે વિશેષ જવાબદારીઓ પણ આવે છે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...