Skip to main content

જો કોરોનાની વેક્સિન હજુ સુધી શોધાઈ ના હોત તો?

 


ભારતમાં કોરોનાની વેક્સિન જાન્યુઆરીના મધ્યે લોન્ચ કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રાધાન્ય આપીને સૌપ્રથમ તેમને આપવામાં આવી. ત્યારબાદ ધીમે ધીમે 60 વર્ષ 45 વર્ષ અને 18 વર્ષ એમ ક્રમશઃ વેક્સિનના ઉત્પાદન સાથે સમન્વય કરીને દરેકને વારાફરતી આપવામાં આવી. વચ્ચે થોડા દિવસો અથવા તો અઠવાડિયાઓ સુધી વેક્સિનની ડિમાન્ડ તેની સપ્લાયની સરખામણીએ વધી ગયેલી અને એટલે ઘણા પ્રશ્નો પણ ઉદ્દભવેલા પણ ધીમે ધીમે હવે દરેક માટે કોરોનાની વેક્સિન લેવી સરળ બની ગઈ છે.


જેમ જેમ વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યું તેમ તેમ સરકારે પણ વેક્સિન મરજિયાત હોવા છતાં જાહેર સ્થળોએ વેક્સિનના ડોઝ વગર પ્રવેશબંધી કરીને આડકતરી રીતે વેક્સિન મુકાવવી ફરજિયાત કરી દેવામાં આવી. આવો ડિપ્લોમેટિક નિર્ણય લઈને સરકારે તો તેમની ચતુરાઈ બતાવી દીધી પરંતુ સામે વેક્સિન ન લેવા માંગતા લોકો પણ પોતાની ચતુરાઈ અને છટકબારીનો ઉપયોગ ખુબજ સારી રીતે કરી જાણે છે. આમ પણ મેનિપ્યુલેશન (manipulation) પણ હવે એક કળા બની ગઈ છે જેના પર આવતા અઠવાડિયે વાત કરીશું.


ભારતમાં એક નહિ પણ બે બે વેક્સિન બની: કોવેકસીન અને કોવિશિલ્ડ.

જો ભારતને આ વેક્સિન હજુ સુધી ના મળી હોત અથવા તો બીજા દેશોમાંથી આયાત કરવાની ફરજ પડી હોત તો..??

1. વેક્સિન કદાચ મફત ન હોત.

દુનિયાની બીજી સૌથી મોટી આબાદી ધરાવતા દેશને કશુંક મફત આપવું કેટલું અઘરું છે એ કદાચ કોઈ ધારી શકે એમ નથી. ઘરની બનાવેલી વેક્સિન પણ દેશના દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ વગર મફત દેવી એ ખરેખર બહુ મોટી બાબત છે. રાજકીય ફાયદાઓ અને કૂટનીતિને બાદ કરીએ તો પણ આ એક પ્રશંસનીય પગલું છે. કારણ કે બીજા વિકસિત દેશોને મફત આપવું પોષાય એટલે એવું જરૂરી નથી કે આવડી મોટી વસ્તી ધરાવતા કે કોઈ પણ વિકસશીલ દેશને પણ પોષાતું જ હોય. વેક્સિન બીજા દેશોમાંથી આયાત કરવાની જો ફરજ પડત તો તે વેક્સિન ભારત સરકાર માટે હાલના વેક્સિનના ખર્ચ કરતા કદાચ અનેક ગણી વધુ મોંઘી પડત. આવા કિસ્સામાં વેક્સિન દરેક માટે મફત આપવી સરકારને ક્યારેય ના પરવડે. જો આવું થયું હોત તો આજે આપણે જે 100 કરોડ વેક્સિનેશનના આંક નજીક પહોંચ્યા છીએ એ 10 કરોડ પણ ન હોત. આવા કિસ્સામાં વેક્સિન એક નવા ઊંચનીચના અધ્યાયને જન્મ આપત એ અલગ.

2. દુનિયામાં કોઈ એક કે બે દેશોની મોનોપોલી હોત.

જ્યારે વેક્સિન ભારત ન બનાવી શક્યું હોત અને હાલમાં જે વેક્સિન ઉત્પાદક દેશો છે તેની સંખ્યા પણ ઓછી હોત તો ત્યારે સ્વાભાવિક છે કે ગણ્યાગાંઠ્યા વેક્સિન ધરાવતા વિકસિત દેશો આ તકનો લાભ લીધા વગર બેસી ના રહે. આવી પરિસ્થિતિમાં ભારત માટે વેક્સિન ધરાવતા દેશો સામે હાથ જોડવાનો વારો આવે. આ સાથે તે દેશો સાથેના અન્ય રાજકીય અને આર્થિક મુદ્દે પણ ભારતને વેક્સિન મેળવવા માટે સમાધાન કરવું પડે તો નવાઈ નહિ. ભારત પોતાના લોકોને મહામારીમાંથી બચાવવા કદાચ કેટલાક અણગમતા નિર્ણયોમાં જે તે દેશ સાથે સમાધાન કરવા મજબુર થાય એવું પણ થઈ શક્યું હોત. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સેવાઓમાં પણ આ જૂજ વેક્સિન ધરાવતા દેશોની દખલ વધી શકે.

3. અર્થતંત્ર હજુ તળિયે હોત.

2020ના માર્ચથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો કદાચ કોઈ ના ભૂલી શકે. ફક્ત શારીરિક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ ભારતીયો તૂટી પડ્યા હતા. અને આ તૂટેલા ભારતીયોની સાથે ભારતનું અર્થતંત્ર પણ કડડભુસ હતું. વેક્સિનના સંશોધનના સમાચાર બાદ માર્કેટમાં તેમજ વ્યાપાર ધંધામાં થોડી તેજી જોવા મળી જે 2021ની શરૂઆત બાદ ઝડપથી પોતાની ગતિ પકડીને ભારતને શ્વાસ લેતું કર્યું. બીજી લહેર વખતે ફરીથી બ્રેક આવી પણ જેમ જેમ વેક્સિનેશન વધતું ગયું અને બીજી લહેર મંદ પડી કે તરત જ ફરીથી અર્થતંત્ર ધબકવા લાગ્યુ. જો આ પુરા દોઢ વર્ષના ગાળામાંથી વેક્સિનનો લોપ કરવામાં આવે તો અર્થતંત્ર હજુ એ જ માર્ચ2020 માં શરૂ થયેલી ગતિએ સીધી લાઈનમાં નીચે ઉતરતું હોત. કેટલીય પેઢીઓ અને કંપનીઓ પાયમાલ થઈ ગઈ હોત.

4. નાના વેપારીઓ અને મિડલ ક્લાસ પીસાઈ ચુક્યા હોત

કોરોનાની સૌથી ખરાબ અસર ગરીબોને થઈ એ જગજાહેર વાત છે અને સાથે સાથે કેટલીક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ વડે તેમને ટકી રહેવા માટે ફૂલની પાંખડી જેટલી મદદ મળી રહી એ પણ બધાને ખ્યાલ છે. પરંતુ સૌથી કપરી પરિસ્થિતિ એ મિડલ ક્લાસની હતી જે ક્યારેય હાથ લાંબો કરવા ટેવાયેલા હોતા નથી. નાના વેપારીઓના ધંધાઓને લોકડાઉનનો રાક્ષસ ખાઈ ગયો. હજુ પણ કેટલાક ધંધાઓ માંડ માંડ બેઠા થયા છે તે ફક્ત અને ફક્ત વેક્સિનને આભારી જ ગણી શકાય. જે વેપારીના ઘરમાં કોરોના આવ્યો હોય તેની દુકાને મહિનાઓ સુધી લોકો ફરકતા ન હતા. આ જ સિલસિલો આજે પણ ચાલુ હોત. જે મિડલ કલાસ આજે મોંઘવારીમા પીસાઈ રહ્યો છે એ વેક્સિનના અભાવે પીસાઈ ચુક્યો હોત!

5. ઓનલાઇન બિઝનેસ અને આઇટી કંપનીઓનું રાજ હોત

ઓનલાઇન શોપિંગ કોરોના પહેલાનું છે પણ કોરોના બાદ તે વધુ લાઈમલાઈટમાં આવ્યું. પહેલા ઘરબેઠા શોપિંગ ફક્ત આળસને કારણે થતી હવે તેમાં સેફટી પણ સાથે ભળી ગઈ છે. આ કારણે લોકલ વેપારીઓને થોડા અંશે નુકશાન થયું છે. વેક્સિન વગરના ભારતની કલ્પના કરીએ તો આજના દિવસે ઓનલાઇન શોપિંગ દરેક માટે લગભગ ફરજીયાત બની ગયું હોત, કોઈ ડિસ્કઉન્ટના ટેગ વગર. સાથે સાથે શિક્ષણજગતમાં આજની તારીખે ઉપલબ્ધ બાયજુસ અને અનેકેડેમી જેવા કેટલાય ઓનલાઇન માધ્યમો તકનો લાભ લઈને બજારમાં આવેલા એ આજે જે પ્રગતિ પર છે તેના કરતાં અનેક ગણી પ્રગતિ એ કરી ચુક્યા હોત. દેશની આઇટી કંપનીઓ કોરોનાની શરૂઆતથી જ જોરમાં હતી અને આજે પણ છે. પરંતુ વેક્સિન ન હોત તો કદાચ આજે જ્યાં છે તેનાથી ક્યાંય ઉપર તગડી કમાણી કરતી હોત.

6. હર્ડ ઇમ્યુનિટી હોવા છતાં ડરનો માહોલ હોત

જ્યાં સુધી વેક્સિન ન હતી ત્યાં સુધી આપણી પાસે ફક્ત એક જ વિકલ્પ હતો કોરોનામાંથી બહાર આવવાનો: હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી આજે આવશે કે કાલે આવશે અને બધું સમું સુતરું થઈ જશે એવી આશાએ લોકો દિવસો ગણતા હતા. આવી પરિસ્થિતિમાં પણ વેક્સિન વગર હર્ડ ઇમ્યુનિટી વડે કોરોનાને હરાવતા આવડી મોટી વસ્તીને હજુ વર્ષો લાગી ગયા હોત એ નક્કી છે. કદાચ હર્ડ ઇમ્યુનિટી આવી પણ જાય તો પણ જેટલી નિશ્ચિંતતા વેક્સિન લીધા બાદ મળે છે એટલો વિશ્વાસ કદાચ હર્ડ ઇમ્યુનિટી પર ન હોત.

7. ટ્રાન્સપોર્ટેશનમાં મોટા પાયે ફેરફાર થયો હોત

લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં આજે પણ મોટા પાયે ફેરફાર થયેલો છે જ. વેક્સિન આવવાથી એમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી. હા, હજુ આંતરરાષ્ટ્રીય સુવિધાઓમાં કેટલાક નિયમો જેમના તેમ છે. પરંતુ વેક્સિન વગર આંતરરાષ્ટ્રીય ચહલપહલ જ બંદ હોત એ વાત સ્વીકારવી જ રહી. લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં પણ લોકોનો જાહેર ટ્રાન્સપોર્ટના વાહનોમાં વિશ્વાસ ઘટ્યો છે. જોકે વેક્સિન લીધા બાદ હવે ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ચડતા લોકો ડરતા નથી પણ હજુએ એક વર્ગ એવો છે જે પોતાના પર્સનલ વાહનનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવા પ્રેરાયો છે. કદાચ આ તહેવારની સીઝનમાં છેલ્લા બે વર્ષનો વાહનોની ખરીદીનો રેકોર્ડ તૂટે એવી પણ સંભાવના એડવાન્સ બુકિંગ પરથી સેવાઇ રહી છે. બાકી શેરબજારમાં છેલ્લા એક મહિનાની ઓટો સેક્ટરની ચાલ જોઈને જ બધુ સમજી જશો.

8. મેડિકલ સુવિધાઓ આઉટસોર્સિંગ પર ચાલુ હોત

મેડિકલ સુવિધાઓ માટે ઓછા શબ્દોમાં લખવું એ શક્ય નથી. કોરોના કાળમાં જેના ખભા પર પુરેપુરો ભાર હતો એ વ્યવસ્થા એક સાંધો તો તેર તૂટે જેવી હોવા છતાં દોઢ વર્ષથી હજુ પણ દેશનો ભાર વહી રહી છે. કાર્યક્ષમતા અને માનવ સંસાધનની ઉણપ વચ્ચે આ વિભાગ ખડેપગે રહ્યો અને જેમ ધોવાઈ ગયેલા રસ્તાના ગાબડાં ફક્ત ધૂળ અને પથ્થર નાખીને પુરી દેવામાં આવે એમ આઉટસોર્સિંગ વડે યોગ્યતા જોયા વગર બેરોજગારીની મજબૂરીથી ઘેરાયેલા યુવાધનને આ આગમાં ધકેલી દેવામાં આવ્યું. ખાસ કરીને હજુ જેનો અભ્યાસ મેડિકલ ફિલ્ડમાં પૂરો પણ થયો ન હતો એ લોકોને પણ માનવતાની રૂએ સિસ્ટમને થિંગડા મારવા મજબૂર કરવામાં આવ્યા. વેક્સિન આવ્યા બાદ અને ભાર હળવો થયા બાદ આ થિંગડાઓના યોગદાનને ફક્ત તાલીઓથી વધાવીને બરતરફ કરી દેવાયા. મેડિકલ ક્ષેત્રે આજે પણ જો વેક્સિન ન હોત તો કેટલાય વોરિયર્સ આજે પણ હોમાતા હોત અને તેની જગ્યાએ આઉટસોર્સિંગના થિંગડા આજે પણ ચાલુ હોત.

9. કોરોનાના નામે બજારમાં સેંકડો દવાઓ હોત

હાઇડ્રોકસીક્લોરોકવીન યાદ છે? જેના માટે પેલો અમેરિકાનો ભૂરો ભારત પર લાલપીળો થઈ ગયો હતો! ત્યાંથી શરૂ થયેલ આ સફરમાં ટોસિલિઝૂમેબ, રેમડેસીવીર, કોરોનીલ, આર્સેનિક આલ્બમ જેવી દરેક પેથીઓની દવાઓએ પોતાનો સમય બતાવ્યો. વેક્સિન આવ્યા બાદ આમા થોડો બ્રેક આવ્યો છે. કદાચ આ દવાઓ જે તે સમયે માઈબાપ હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આ દવાઓની આડમાં કેટલાય લેભાગુઓએ લોભ અને લાલચની આડમાં લોકો સાથે ઠગાઈ કરી એ પણ જગજાહેર છે. જો આજે વેક્સિન ન હોત તો આજે પણ દર અઠવાડિયે એક નવી દવા લોન્ચ થતી હોત.

10. સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને બાયોટેકને કોઈ જાણતું ન હોત.

એવું નથી કે આ કંપનીઓ પણ કોરોનાકાળમાં જ બજારમાં આવી. વર્ષોથી આ વેક્સિન ઉત્પાદક કંપનીઓ ભારતની શાન રહી છે. પોલિયોથી લઈને રોટા વાઇરસ સહિતની કેટલીયે વેક્સિન આ બન્ને કંપનીઓ વર્ષોથી બનાવે છે. પરંતુ જેવી રીતે આગ લાગે ત્યારે જ પાણીની કદર થાય એમ કોરોના આવ્યા બાદ આ કંપનીઓને એક અલગ જ સંકટમોચકની ઓળખ મળી. જો વૈજ્ઞાનિકોએ હજુ થોડી ઢીલાશ રાખી હોત તો આજે પણ આ કંપનીઓ સામાન્ય લોકો માટે ગુમનામ જ હોત.


સુપર ઓવર: સાલું OTT પ્લેટફોર્મ તો ભુલાઈ જ ગયું.



Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...