"તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે.
🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?
વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર.
😱 જો વિટામિન B12 શરીરને પૂરતું ન મળે તો?
વિચાર કરો જો ઉપરના તમામ કામમાં B12ની ઇજારાશાહી હોય તો પછી તેના વગર કેવા કેવા પ્રોબ્લેમ થઈ શકે!? જો ચેતાતંતુને જ તેનો ડોઝ ન મળે તો પછી ઝણઝણાટી અને ખાલી ચડવા જેવી માથાકૂટ તો રહેવાની જ. વળી માથામાં રહેલ મગજને પણ જો B12 ના મળે એટલે જાણે કે દારૂડિયાને દારૂ ન મળે એવી સ્થિતિ ઊભી થાય. મગજ કહ્યામાં રહે નહીં અને રહે તો સાલું વહેલું થાકી જાય! વળી આ B12ની એક શાખા RBC પ્રોડક્શન હાઉસમાં પણ સ્થપાયેલી છે એટલે સમજો કે B12ની ગેરહાજરીમાં આ શાખાઓના શટર થઈ જાય ડાઉન અને પરિણામે તરત જ એનિમિયા થવાની આગાહી સો ટકા!
પણ મારા વ્હાલાઓ આવા ઉપયોગી VIPને આપણી સાથે બનતું કેમ નથી? શરીરમાં એકવાર જાય તો પડ્યું રહેતું હોય તો ક્યાંક છાનુંમાનું. પણ આ B12 એકદમ ચંચળ. જેવું પાણી જોયું નથી કે તેના પ્રેમમાં ઓગળીને શરીરની બહાર. જેટલો સમય અંદર તેનું કામ લઈ શકો એટલું લઈ લો બાકી શરીરમાં તેનો પ્રવેશ જ કન્ફર્મ રિટર્ન ટિકિટ સાથે થાય છે. પાણીમાં ઓગળે એવા વિટામિન્સનો આ જ વાંધો, જરાય લાંબો સાથ નિભાવે નહીં. એટલે જો તમને તેની ગરજ હોય, કે જે છે જ, તો તેને નિયમિત પણે શરીરમાં ઠુંસવું જ પડે.
🧐 આ વિટામિન B12 કઇ દુકાને મળે હેં?
હવે તો મોઢે મોઢે એવી વાતો સંભળાય છે કે આ માંસાહારી વાળાઓને B12ના ઘટવાની શક્યતા ઓછી છે જ્યારે શાકાહારીને તો આવી તકલીફ રે'વાની જ. માંસ, મટન અને ઈંડામાંથી B12 મળે એવું ક્યાંય ન મળે. તો શું શાકાહારી બધા ગાંડા છે? શું અત્યાર સુધી જે પણ પેઢી દર પેઢી શાકાહારી જ છે તેનો નાશ થઈ ગયો કે થઈ જશે? આ બધી વેવલી વાતો કરીને ડરાવતા લોકોથી દસ ફૂટનું અંતર રાખવું. આપણી પાસે શાકાહારમાં પણ સમતોલ આહાર લેવાની આદત પાડવામાં આવે તો B12 આપણી થાળીમાં જ હજરાહજૂર છે. દૂધ, દહીં, ફણગાવેલા કઠોળ, સોયા, બીટ , પાલક અને બીજું પણ ઘણું કે જે ફરમેન્ટેશન પ્રોસેસથી એટલે કે નેચરલી જેમ આથો આવે તે રીતે બને છે તેમાંથી ભલે વિપુલમાત્રામાં નહીં પણ થોડું થોડું કરીને જરૂરિયાત મુજબનું B12 ઉલેચી શકાય છે. કાનમાં એક વાર કહું, ઈડલી અને ઢોકળાંમાં પણ આ રીતે થોડુંક નામ પૂરતું B12 વિટામિન હોય છે. જો શાકાહારી ભગતના ખાવામાં જ કોઈ નેઠા ન હોય તો પછી ઈંડા અને માંસની ઈર્ષ્યા થવાની જ છે.
😕 વિટામિન B12ની ખામીનું કારણ શું?
આ તો થઈ ખોરાકની વાત. પણ હવે જો તમારામાં જ પાણી ના હોય તો વિટામિન B12 શું કરે? મતલબ કે તમારા પાણીમાં જ વિટામિન B12 ના હોય તો શું કામનું?
અરે.. પાણીમાં કંઇ વિટામિન જેવું થોડું હોય!? હોય ને. જો પાણીને આડી અવળી RO કીટમાંથી પાસ ન કર્યું હોય તો. જી હા. પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોબાલ્ટથી લઈને કેટલાક મિનરલ્સ પણ હોય છે સાથે સાથે કેટલાક સારા બેક્ટેરિયા પણ હોય છે જે વિટામિન B12 બનાવે છે. પણ આપણી RO ની નળીઓમાંથી તો માત્ર H2O જ નીકળે બીજું બધું તો ગંદુ કહેવાય ને! પ્રદૂષિત પાણીને પીવાલાયક કરવાની પળોજણમાં આપણે પાણીને જ પ્રદૂષિતમાંથી કુપોષિત બનાવી દઈએ છીએ. તો શું આ પ્રદૂષિત પાણી પીવું? ના રે ના. ઘણી દેશી પદ્ધતિઓ છે પાણીને પીવા લાયક બનાવવાની ક્યાંક થી ગૂગલ કરી લેજો અને ના મળે તો એટલું તો સમજી જ લેજો કે ભગવાન ઉપરથી આખું ચોમાસું પાણી વરસાવે છે તે આપણા પીવા માટે પણ છે જો સંગ્રહ કરતા આવડે તો.
હવે તો અધૂરામાં પૂરું RO માંથી પાણીમાં વિટામિન B12 દૂર ન થાય તેની અલગ કોલમ પણ આવે છે, બોલો! છે ને બીઝનેશ! ખબર નથી આ કોલમ કેટલી કારગત છે કે કઈ રીતે કામ કરે છે. આ બીઝનેશ આઇડિયા બધા આવા જ હોવાના. પહેલા કહેશે કે તમારા દાંતણ કે નમક દાંતમાં ઘસવા કરતા અમારું ટૂથપેસ્ટ સારું. પછી અમુક વર્ષે એ જ ટૂથપેસ્ટવાળા એમ કહે કે અમારા ટૂથપેસ્ટમાં નમક છે.
એટલે કે મૂળ RO પાણી પીવાવાળાને થોડી ઘણી B12ની પૂરતી જે પ્રોસેસ વગરના કુદરતી પાણી દ્વારા થતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે એટલે શરીરમાં લાંબાગાળે નાનીમોટી તકલીફ તો રહેવાની જ.
હજુ એક પ્રચુર વર્ગ છે કે જે સામે ચાલીને વિટામિન B12 ની ખામીને નોતરે છે. દરરોજ એન્ટાસીડ એટલે કે એસિડિટી ની દવા લેવા વાળા. ખોરાકમાં જરા સરખી બાંધછોડ નહી કરવાની પણ જરૂર પડે તો એક ગોળી ભૂખ્યા પેટે ખાઈ લેવાની એવી માનસિકતા વાળાની જઠરાગ્નિને ઠારવાનું કામ આ એસિડિટીની દવાઓ કરે છે. ખોરાકમાંથી વિટામિન B12 ને અલગ કરવા માટે જરૂરી એસિડિક વાતાવરણ આ દવાઓ બગાડી મૂકે છે. એટલે ખોરાક ભલે B12 વાળો લઈએ તો પણ તેનું શરીરમાં શોષણ થઈ શકતું નથી અને કામમાં લઈ શકાતું નથી. પેટની ગડબડ દૂર કરવાના પણ ઘણા ઉપાય છે. દરરોજ એસિડિટીની દવાઓનો કચરો પેટમાં ઠાલવવાના બદલે થોડું પોતાની કફ, પિત્ત અને વાયુને અનુરૂપ પ્રકૃતિ મુજબ સમતોલ ભોજન લો ને ભલા માણસ!
🙂↔️ શું B12 ની દવા રોજ લઈ શકાય?
લઈ શકાય અને લેવી જોઈએ એ બંને અલગ માથાકૂટ છે. દરરોજ લેવાથી કોઈ લાંબુ નુકશાન નથી જો તમારી પાસે વિટામિન M ની અછત ન હોય તો. પણ લાકડી લઈને ચાલવું કે લાકડી વગર ચાલી શકવું એ બંનેમાંથી તમારે નક્કી કરવાનું છે કે દરરોજ આ ગોળીઓ લઈને જીવવું કે પછી ઉપર કથા કરી એ બાબતો અને ખોરાકનું ધ્યાન રાખીને B12ની પૂર્તિ કરવી.
ઇન્જેક્શન લેવાથી જે તાત્કાલિક ફાયદો નજરે ચડે છે એ કંઇ આજીવન રહેવાનો નથી કારણ કે આ વિટામિન જ પાણી પ્રેમી છે, બે દિવસમાં તો વધ્યું ઘટ્યું બહાર આવી જ જવાનું. એટલે બહુ જ તાતી જરૂરિયાત ન હોય તો આવા ઇન્જેક્ટેબલ સાયનોકોબાલ ની બબાલથી દૂર જ રહેવું સારું.
સુપર ઓવર: આ વિટામિન B12ની ગોળીઓ બનાવવામાં માઇક્રોબાયોલોજિકલ ફરમેન્ટેશન પ્રોસેસ થાય છે એ બરાબર પણ
આ ગોળીઓ વેજમાં આવે કે નોનવેજમાં ?
Well done, great article 👏
ReplyDeleteThanks Ravi
Deleteવાહ..ખૂબ સરસ માહિતી સરળ ભાષા માં..
ReplyDeleteThankyou
DeleteGood one
ReplyDeleteThanks for blog visit
DeleteGreat Article,very good
ReplyDelete👍
DeleteSuperb
ReplyDeleteThanks for Visit
Delete