Skip to main content

સાતત્યતાથી દુર દવા થઈ દારુણ: Drug Adherence


"Keep a watch... on the faults of the patients, which often make them lie about the taking of things prescribed."
-Hippocrates

          મેડિસિન ના ભીષ્મ એવા હિપોક્રેટ્સ ઉપરની ભવિષ્યવાણી એવા સમયે કરી ગયા જ્યારે ઈશુ નો જન્મ પણ થયો ન હતો. એમને ખબર હતી કે મારા વાલીડાઓ એટલા સીધા તો નહીં જ હોય કે કીધું કરે. અહીં 'કવિ' હિપોક્રેટ્સ દર્દીઓને રૂપક બનાવીને સમજાવે છે કે દવાને કહ્યા પ્રમાણે ન લેનારો દર્દી ડોકટર પાસે જઈને તો ખોટું ડહાપણ કરશે જ  કે તમારી દવા બધી બરાબર ખાધી પણ કાંઈ ફેર પડ્યો નહીં.

          દવા ખાવી એ જ ઘણી વાર પૂરતું નથી હોતું આપણી બીમારીને ડામવા માટે; સાથે સાથે એ દવા ક્યારે, કેટલી, કોની સાથે, કેટલી વાર અને કેટલા દિવસ લેવી એ પણ પુરેપુરો ખ્યાલ હોવો જરૂરી છે. દવા કે સારવાર પ્રત્યે આપણી સાતત્યતા અને ડોકટર કે ફાર્માસીસ્ટ દ્વારા એના માટે અપાયેલ તમામ સુચનોનું પાલન એટલે જ Drug adherence. અહીં દવા કે સારવાર પૂરતું મર્યાદિત ન રાખતા WHO સારવારને અનુકૂળ જીવનશૈલીમાં પરિવર્તન અને ખોરાક માં નિયમિત કહ્યા મુજબ નું અનુસરણ ને પણ Drug adherence ની વ્યાખ્યામાં જોડે છે. WHO ના એક રિપોર્ટ મુજબ આશરે 50% થી વધુ દર્દીઓ સારવાર સંબંધી સુચનોનું પાલન કરવામાં ઉણા ઉતરે છે. મતલબ એ થયો કે અડધા દર્દીઓ તો ડોકટરના કહ્યામાં જ નથી તો પછી ધાર્યું પરિણામ કઈ રીતે મેળવી શકાય. આજ્ઞાનું પાલન તો આપણે આપણા વડીલોનું પણ નથી કરતા તો પછી આ ડોકટર-ફાર્માસીસ્ટ શુ ચીજ છે! ક્યારેક એવું વિચારજો કે જે સારવાર કે દવા માટે લાખો રૂપિયા બગાડીને પણ તમે એ જ સારવારનો કે દવા નો સાચો લાભ ના લઈ શકો તો સૌથી મોટું મૂર્ખ કોણ? એમાં પણ હવે તો ગુગલ યુગમાં સામાન્ય સારવાર તો આપણે મેડિકલ સ્ટોર પાસે થી જ મેળવી લઈએ છીએ અને એમ માનતા હોઈએ છીએ કે આપણે ડોકટરની કન્સલ્ટન્ટ ફી બચાવી લીધી. પણ હે મહાનુભાવો ! આ દવા તમારા માટે યોગ્ય છે કે નહીં અને યોગ્ય ન હોય તો શું કરશો એ જવાબ બધા ગૂગલમાંથી નહી મળે.
          Drug adherence એટલું જ જરૂરી છે જેટલું સવાર બપોર સાંજ નિયમિત જમવું અને દરરોજ સવારે નહાવું.(જો લાગુ પડતું હોય તો!) નબળા Drug adherence નું સૌથી વધુ ખરાબ પરિણામ આપણે ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતા દર્દીઓમાં જોઈ શકીએ છીએ. આ દર્દીઓ માટે Drug adherence એટલું જ જરૂરી છે જેટલો જીવવા માટે ઓક્સિજન. બ્લડપ્રેસર ની ગોળી લેતા દર્દી જો એક થી વધુ વાર ગોળી લેતા ભૂલે એટલે તરત જ તેનું પરિણામ તેના બ્લડ પ્રેસરમાં જોવા મળશે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ જ વસ્તુ જોઈ શકાય. આવા દર્દીઓ માટે ગોળી લેવાનો નિયમિત સમય પણ એટલો જ મહત્વનો બની જાય છે. આ સમયમાં એક કલાક થી વધુનો ફેરફાર પણ ક્યારેક માઠા પરિણામો લાવી શકે છે. આ ઉપરાંત ટૂંકા સમયની સારવારમાં પણ Drug adherence એટલું જ મહત્વનું બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત આવે એન્ટિબાયોટિક દવાઓની. ચણા મમરાની જેમ આજે દેવામાં આવતી એન્ટિબાયોટિક્સ તેના સેવનમાં એટલી સાવધાની માંગી લે છે કે જેની આપને સૌને કોઈ ગંભીરતા જ નથી. એન્ટિબાયોટિક્સને સાથે આપેલી બીજી દવાઓની સાપેક્ષે થોડી વીઆઇપી સગવડ આપીને માન આપવું જરૂરી છે. કારણ તમે એક એવો ટાઈમબૉમ્બ તમારા પેટમાં મુકવા જઈ રહયા છો જેના છેડા બરાબર સમયસર નહીં જોડાઈ તો ભવિષ્ય માં ગમેત્યારે એન્ટિબાયોટિક રજીસ્ટન્સ ના રૂપમાં ફૂટી શકે છે. જો સૂચિત ડોઝ અને સમયગાળા સુધી એન્ટિબાયોટિકસ ન લેવામાં આવે તો આપણા શરીર માટે તે ભવિષ્યમાં બિનઉપયોગી પુરવાર થઇ શકે છે. ભારત જેવા દેશમાં નબળું Drug adherence એ એન્ટિબાયોટિક રજીસ્ટન્સ જેવી મોટી મહામારી માટે સૌથી મોટું કારણ છે.
          દર્દીની સારવાર પ્રત્યેની અનિયમિતતા માટે દર્દીને કદાચ એકલો જવાબદાર ના પણ ગણી શકાય. દર્દીને આપવામાં આવતી એક કરતાં વધુ દવાઓ દર્દીને કન્ફ્યુઝ કરી મૂકે છે. આ પોલીફાર્મસી પ્રેક્ટિસ ની જગ્યાએ જો ડોકટર ઓછી અથવા કોમ્બિનેશન વાળી તેમજ જરૂરી દવા જ પ્રિસ્ક્રાઇબ કરે અને વધારાની કમિશનયુક્ત દવાઓને અવગણે તો જ દર્દીને માનસિક અને આર્થિક કન્ફ્યુઝ થતો બચાવી શકાય. સવાસો કરોડના દેશમાં ડોકટર કે ફાર્મસીસ્ટ દ્વારા તેની આગળ લાગેલી લાંબી લાઈનને પૂરતો સમય ફાળવી દવાઓનું મહત્વ સમજાવવાનો સવાલ જ ઉભો નથી થતો. અમેરિકા જેવા વિકસિત દેશોમાં જ્યાં એક દર્દી દીઠ ડોકટર સરેરાશ 15મિનિટ ઓપીડી સમય ફાળવે છે એની સાપેક્ષે આપણાં કિસ્સામાં માત્ર દોઢ મિનિટથી કામ ચલાવી લેવું પડે છે. વળી આપણા હેલ્થ વર્કરોની સર્વિસ પણ એટલી પાણિયારી નથી કે અમુક દર્દીને ઘટતી માહિતી સીંચી આપે. ઘર ઘર ફરતા આ હેલ્થ વર્કરો આ સાંકળ ને પુરી કરવામાં અસમર્થ રહયા છે, તો બીજી બાજુ જે લોકો આ માહિતી આપવા સમર્થ છે એવા ફાર્માસિસ્ટના ફાળામાં પણ આ બાબતે ખાસ કંઈ કરવાનું આવતું નથી જે આપણા સિસ્ટમની નબળા મેનેજમેન્ટની સૂચક છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય સાક્ષરતા નહીં આવે ત્યાં સુધી આપણે Drug adherence ને મજબૂત નહીં બનાવી શકીએ. આ માટે દર્દીને દવા લક્ષી એટલી  સમજ તો હોવી જ જોઈએ કે જે તેને સાતત્ય સારવાર માટે મજબૂર કરે. ઘણીવાર કોઈ દવાઓની સામાન્ય સાઈડફેક્ટ દર્દીઓથી છુપાવાય છે અથવા સમયના અભાવે જણાવવામાં આવતી નથી જેના પરિણામે આ સામાન્ય સાઈડ ઇફેક્ટને કારણે દર્દી સારવાર પુરી કરતું નથી. ટીબી ની સારવાર માં વપરાતી રિફામ્પીસીન દવાનું મેટાબોલિઝમ થયા બાદ એ પેશાબ વાટે બહાર નીકળે ત્યારે પેશાબનો રંગ લાલ થઈ જાય છે પણ દર્દી પેશાબ માં લોહી નીકળે છે એવું સમજીને સારવાર વચ્ચે જ છોડી દે છે અને એટલે જ આપણા દેશ માં આજે ડ્રગ રજીસ્ટન્સ ટીબી ના કેસ વધ્યા છે. ટીબી ની સારવાર માટે ડોટ્સ નામની પદ્ધતિ ભારત દેશમાં અપનાવવામાં આવી જેમાં દર્દીને ફરજીયાતપણે નિશ્ચિત કરેલ વ્યક્તિની હાજરીમાં જ દવા ગળવી પડે છે. આવી પદ્ધતિ હવે ઇલેક્ટ્રોનિક મીડિયા રેકોર્ડ દ્વારા પણ ટૂંક સમયમાં પ્રચલિત થવાની છે જેમાં દર્દીએ દવા ગળ્યા પછી ફરજીયાત પણે અમુક ચોક્કસ નંબર પર મિસ્કોલ કરીને ખાતરી આપવી પડશે કે દવા સમયસર લીધેલી છે જેનો ઓટોમેટિક રેકોર્ડ ઇલેક્ટ્રોનિકલી સચવાશે અને સમયાંતરે દર્દીની પ્રત્યક્ષ ચકાસણી પણ કરાશે.
          ઘણીવાર દર્દી એક ડોકટરની દવા પુરી કર્યા વગર અધીરા બનીને કોઈ બીજા જ ડોકટર પાસે જઈ ચડે છે અને ત્યાંથી પણ એક બે દિવસ માં પરિણામ ન મળતા ત્રીજા ડોકટરને ફેંદે છે, આ પણ એક નબળા Drug adherence નું જ કારણ છે. અધીરા અને લાગણીશીલ દર્દીને આત્મીયતા થી સમજાવી શકાય અને દવા સમયસર ન લેવાના ગેરફાયદાઓથી વાકેફ કરાવી શકાય. ઘણી વાર દર્દીઓની પોતાની માન્યતાઓ પણ તેને અમુક દવાથી દૂર રહેવા માટે પ્રેરે છે. જેમેકે કોઈ હર્બલ મેડીસીનમાં માનતા દર્દી ક્યારેય એલોપેથી ટ્રીટમેન્ટને સહકાર નહીં આપે. પરંતુ જો આવા દર્દીને એક યા બીજી રીતે સમજાવીને વાત ગળે ઉતારવામાં આવે તો Drug adherence વધારી શકાય છે. જેમ કે ડાયાબિટીસનો આવો કોઈ દર્દી હોય તેને સમજાવી શકાય કે તમે જે મેટફોર્મિન દવા લો છો એ ફ્રેન્ચ લીલીએક નામના એક હર્બમાંથી જ મેળવાય છે. આવી જ રીતે દર્દીઓની બીજી કેટલીક અંધશ્રદ્ધા પણ હોઈ શકે જેને વિવેકપૂર્ણ રીતે ઉકેલવી એ દરેક હેલ્થ પ્રોફેશનલની જવાબદારી છે.
          મોટા ભાગની લાંબા ગાળાની સારવાર એ પહેલાના  ટૂંકા ગાળાના નબળા Drug adherence નું જ પરિણામ છે. સફળ સારવાર માટે દર્દી દવાને પોતાની શક્તિ મુજબ વર્તવાનો પુરેપુરો સમય અને તક આપે એ ખૂબ જ જરૂરી છે. નહીં તો એક એક ને નાના બાળક ની જેમ નાક દબાવીને ફરજીયાત દવા પીવડાવાનો સમય પાછો ફરે તો નવાઈ નહીં.


Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...