Skip to main content

કોરોનાની વેક્સિન લઉં કે નહીં?


મારે કોરોનાની વેક્સિન લેવી જોઈએ કે નહીં? આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ફરીથી 2020 ના એપ્રિલ મહિનામાં ટાઈમ ટ્રાવેલ કરવું પડે. યાદ કરો એ સમય જ્યારે આપણે પૃથ્વીના વિનાશની કાલીઘેલી વાતો કરતા હતા. નાસ્તિકમાંથી કેટલાય રાતોરાત આસ્તિક પાર્ટીમાં આવી ગયા હતા. ઘરમાં ભરાઈને નિર્બળ થઈ ગયેલા લોકો કલ્કી અવતારની રાહ જોતાં હતા તો કેટલાક પ્રકૃતિના કોપ સામે હાથ જોડીને બેઠા હતા. 


દરેકની જિંદગીમાં અમુક એવી ઘાતક ક્ષણો હોય છે જેને જીવી જનાર પોતાની આગલી પેઢીને પણ આ ક્ષણો સામે કેવી બાથ ભીડી હતી તેની ફાંકા ફોજદારી કરતા હોય છે. પણ એવી ક્ષણો બહુ ઓછી હોય છે જ્યારે સમગ્ર માનવસમાજ એકસાથે પોતાના સંતાનોને ભવિષ્યમાં આવી કપરી ક્ષણોનું સાચું વર્ણન કરે. મારા સમકાલીન તમામની વાત કરું તો અત્યાર સુધીની જીવેલી ડરામણી પળોમાં ઉડીને આંખે વળગે એવું કંઈ હોય તો એ છે 2001નો ભુકંપ અને 2020નો કોરોના.


માર્ચ 2020 મહિનાથી શરૂ કરીએ તો આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોરોનાને નાથવા શક્ય તમામ પ્રયાસો કર્યા. એમાં ઘણા નિષ્ફળ પ્રયાસો પણ હતા. હાઇડ્રોકસી ક્લોરોકવીન, આઈવરમેકટિન, ફેબીફ્લુ, રેમડેસીવીર, ટોસિલિઝુમેબ આ બધા નામો ગામડાના સામાન્ય માણસને પણ કંઠસ્થ થઈ ગયા હતા. કારણ કે દરેક વ્યક્તિને આ તમામ અણુઓમાં પ્રભુના દર્શન થતાં હતા. એક એક દવા અને માસ્કમાંથી ગળાઈને આવતા ઑક્સિજનની કિંમત કરતો થઈ ગયો હતો માણસ. આવા સમયે એક જ આશ હતી કે એક વેક્સિન આવી જાય એટલે બસ આપણે આ જંગ જીતી જશુ. તો શું આપણે આ જંગ જીતી ગયા?


બસ હવે આ ટૂંકા ફ્લેશબેકમાંથી બહાર આવો. હવે સમજાશે કે આપણે તો અત્યારે પણ એવા જ છીએ જેવા ગત 2020ના જાન્યુઆરી માસમાં હતા. હજુ એવા જ ચાલાક, હજુ એવા જ સ્વાર્થી, હજુ એવા જ વિઘ્નસંતોષી, હજુ એટલા જ અશિસ્તના ધણી. બસ ફરક તો વચ્ચેના આઠ મહિના પૂરતો જ હતો. ફરી પાછો આપણો કાંટો ત્યાં જ અટકી ગયો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?



વેક્સિન પ્રત્યે બધા શંકાની નજરોથી જોઈ રહ્યા છે. આજ સુધી આવેલી દરેક વેક્સિન અંગે આપણે ખાસ કશું જાણતા ન હતા. પણ જેવી કોરોનાની વેક્સિન આવી એટલે આપણું અધુરીયું જ્ઞાન મોર બનીને થનગનાટ કરવા માંડ્યું. વેક્સિનની કંપનીથી લઈને તેના કન્ટેન્ટ સુધીની વાતો વોટ્સએપ પર ફરવા માંડી. હજુ ગઈકાલે જ મારા પડોશમાં આ કોરોનાની વેક્સિનને પોપ્યુલેશન કન્ટ્રોલના ઇન્જેક્શન તરીકે આપવામાં આવશે એવી વાત જાણી. ત્યાં સુધી તો ઠીક હતું પણ જ્યારે ફર્સ્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપીને આ રસી આપવામાં આવતી હોય ત્યારે આ હેલ્થ વર્કર્સ પણ જો તેમના પ્રત્યે શંકા ઉપજાવે અને ઉદાસીન બને તો સામાન્ય પ્રજાનું શું થાય? વેક્સિન લેવી કે ના લેવી એ 100 ટકા સ્વૈચ્છિક મુદ્દો છે. તેમાં કોઈ પણ તમારી સાથે બળજબરી ના કરી શકે. પણ તમે વેક્સિન નથી લેતાં એ વાતના હાસ્યાસ્પદ કારણોને  બજારમાં ફેલાવવા એ તમારી નબળી માનસિકતાની નિશાની છે. આ માનસિકતાને એ ડર તો છે જ કે વેક્સિન લેવાથી મને કંઈક થશે તો? સાથે એ ઈર્ષ્યા પણ છે કે બીજા બધા લઈ લેશે અને હું રહી જઈશ તો? 


કેટલાય લોકોનું માનવું છે કે દરેક રસીની શોધ વર્ષોના વર્ષો વીતી ગયા પછી થઈ તો આ કોરોનાની રસી એક વર્ષથી પણ ઓછા સમયમાં બને જ કેવી રીતે? અત્યાર સુધી આપણે કોરોના જેવા વાઇરસનો પણ સામનો નથી કર્યો કે તમે બાકીની રસીના ડેવલપમેન્ટને તેની સાથે સરખાવી શકો. રહી વાત ટેક્નોલોજીની તો આપણે હવે ગત પચાસ વર્ષની સરખામણીએ ખાસ્સા એવા સક્ષમ થઈ ગયા છીએ કે નવી વેક્સિન કે નવી દવાના ડેવલપમેન્ટને વેગ આપી શકીએ. પચાસ પ્રયોગોની ટ્રાયલ એરર હવે એકજ સોફ્ટવેરના ક્લિક પર અલગોરીધમ દ્વારા જાણી શકાતી હોય તો નવાઈ નથી કે નવી વેક્સિન ઝડપથી કેમ બની ગઈ! જરૂરિયાત એ શોધખોળની જનની છે. બસ આ જ એ જરૂરિયાત હતી જેમાં આપણે જીવ રેડીને ઓછા સમયમાં કઈક નવું કરી બતાવ્યું અને 'સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ' ના ચાર્લ્સ ડાર્વિનના લિસ્ટમાં આજે પણ માનવજાત સૌથી ઉપર છે. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવે છે "કુછ ચીજે જિંદગીમે પહેલીબાર ભી હોતી હૈ, મામુ." મતલબ જરૂરી નથી કે કોરોનાની વેક્સિન પણ આપણે પાંચ વર્ષ પછી જ લગાવીએ. 


BCGનું ફુલફોર્મ ન જાણતા આપણે આપણા બાળકને જન્મતાંવેંત જ આ રસી અપાવવાની ડોક્ટરને હા પાડીએ છીએ. પણ કોરોનાની વેક્સિન લેશું તો કંઈક થઈ જશે તો? સમગ્ર દુનિયામાં આ વેકસિનની ટ્રાયલ સાથે જોડાયેલા લાખો લોકો પણ આવો જ ડર મનમાં રાખીને  આગળ ન આવ્યા હોત તો? તો શું આજે આપણે કોરોના સામેની જંગના અંતિમ ચરણમાં પહોંચ્યા હોત? શંકાઓના ખારા સાગરમાં આપણે વિશ્વાસની મીઠી વીરડી ઉલેચવાની છે. દરેક રસી કે દરેક દવાને પોતાની આડઅસર કે જે તે ખાસ પ્રકૃતિના માણસો માટે નાના મોટા એલર્જિક રિએક્શન હોવાના. પણ દવા કે વેક્સિનનું અસ્તિત્વ જ એ શરતને આધીન હોય છે કે તેના ફાયદા સામે તેની આડઅસરો નહિવત હોય. રિસ્ક ટુ બેનિફિટ રેશિયો આ દરેક સંશોધનોમાં જોવામાં આવે જ છે. પણ આપણે એવું રિસ્ક મનમાં ઠસાવી દેશું કે બહાર નિકળીશ તો મારું એક્સિડન્ટ થઈ જાશે તો આપણી જિંદગી ચાર દિવાલ વચ્ચે જ પુરી થઈ જાય. વળી આ દીવાલ પણ ગમે ત્યારે પડી શકે તો મારે ખુલ્લામાં જ રહેવું જોઈએ આવો વિચાર તમે ક્યારેય કર્યો છે? જો ના તો પછી આ વેક્સિનમાં આટલો વિચાર કરવાની કોઈ જરૂર નથી. જેટલી તમારી વાહન લઈને બહાર નિકળવાથી એક્સિડન્ટની શકયતા છે એનાથી ક્યાંય ઓછી શકયતા છે કે તમને વેક્સિનની કોઈ ગંભીર આડઅસર થાય. હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમે આ લડાઈના અંતિમ તબક્કામાં લડવા માંગો છો કે પ્રેક્ષક બનીને માત્ર બીજાને જીતતા જોઈને જ ખુશ થવા માંગો છો? અને હા આ લડાઈમાં ના ઉતરો તો કાંઈ નહિ પણ ઓછામાં ઓછી એક મહેરબાની જરૂર કરજો કે આ લડાઈમાં લડનારાનો ઉત્સાહ તોડીને તેને વિચલિત ના કરતા.


સુપર ઓવર: મોઢામાં માવો (કાઠિયાવાડી પાનમસાલા) ઠુંસતા એક વ્યક્તિએ મને કહ્યું, " ભલે કોરોનાની વેક્સિનથી અત્યારે તમને કાંઈ ના થાય પણ પાંચ વર્ષ પછી તમારું લીવર, કિડની બધું ફેલ થઈ જશે."

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...