Skip to main content

સ્વ સાથે સંવાદ



એકલતા પણ કેવી ખતરનાક વસ્તુ છે! જિંદગીમાં એકલું હોવું કે સિંગલ હોવું એ અર્થમાં નહિ પરંતુ ખરેખર ચાર દીવાલ વચ્ચે જેમ જેલમાં વીર સાવરકર રહ્યા હતા તે એકલતાની વાત કરું છું.

આ એકલતાના બે પાસા છે, એક તો દુન્વયી વાતોથી દૂર થવાનો એક આસાન મોકો અને બીજો પોતાની જાતને દુન્વયી બાબતોથી દૂર લઈ જવામાં અનુભવાતી અકળામણ. જેવી રીતે વ્યસનીને વ્યસન છોડવામાં તકલીફ પડે તેવી જ રીતે આ ચાર દીવાલો વચ્ચે દુનિયાને ભૂલીને 'સ્વ' સાથે મળવામાં તકલીફ પડે છે. 
'સ્વ' સાથે મળવું આટલું અઘરું હશે એવું કોઈએ સ્વપ્નેય નહિ વિચાર્યું હોય! પોતાની સાથે સંવાદ કરવો એ જેટલું ફિલ્મોમાં બતાવાય છે એટલું સહેલું હોતું નથી. માથું ઓળતા ઓળતા અરીસામાં જોઈને કહેવું કે "વાહ, આજે તું મસ્ત લાગે છે." એ કાંઈ સ્વ સાથેનો સંવાદ નથી. પોતાના મતને સર્વોપરી ગણીને તેનો જ કક્કો ઘૂંટવો એ દરેક વિકસિત મનુષ્યનો દુર્ગુણ છે. આ કક્કો સાચો હોય તો પણ તેને પોતાના સ્વ પાસે જ્યા સુધી સર્ટિફાઇડ ના કરાવીએ ત્યાં સુધી બધુ મિથ્યા છે. આ સ્વ સાથે સર્ટિફિકેશનની પ્રોસેસમાં પહોચવા માટે સ્વ ને પૂરેપૂરી સમાનતા આપવી પડે. કહેવા ખાતર તો આપણે કહી દઈએ છીએ કે દિલને પૂછીને કામ કરવું પણ શું ખરેખર દિલને બોલવાનો મોકો આપ્યો છે? કદાચ આપ્યો હોય તો પણ એ દિલ શબ્દો તો તમને સારા લાગે એવા જ બોલશે. દિલ સાથેની પ્રામાણિક વાતો એટલે સ્વ સાથેનો સાક્ષાત્કાર.

સ્વ ને પૂછીને તેને દરેક દિશામાં વિચારવા દો. જ્યારે દરેક શક્ય પોસીબીલીટી પર નજર ફેરવીને સૌથી બેસ્ટ તર્ક પર સ્વ તમને લઈ જશે, ત્યારે જ સ્વ ને તમે પ્રામાણિક તક આપી ગણાશે. સ્વ સાથેનો સંવાદ તમને મંદિરમાં પ્રભુ સામે થતા કન્ફેસન (ભૂલ સ્વીકાર) જેવો લાગશે. એક પછી એક તમારા ચહેરા પર રહેલા માસ્ક તમે પોતે જ ઉતારવા માંડશો. સ્વ તમને તમારું સાચું રૂપ બતાવીને તમને ઉતરતો સાબિત નહીં કરે, પણ તમારી સાથે અનુકંપા રાખીને તમારો હાથ પકડીને બેઠો કરશે. ઉભા થવામાં જે દંભનો વજન નડતો હતો તેને દૂર કરશે જેથી તમે બાળપણમાં ભરેલી પાપા પગલીની જેમ જ ફરીથી નવી દોડ લગાવી શકો. 

બસ આ હમદોસ્ત સ્વ ને ઓળખ્યો અને અનુભવ્યો એટલે મોટાભાગની પળોજણ અને ઝંઝાળ છૂટી જશે. આ હમદોસ્ત સ્વ એટલે જ આપણી માંહ્યલો ઈશ્વર.

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...