કોઈ પણ નાની કે મોટી બીમારી વખતે દરેકને સ્વસ્થ શરીરની કિંમત સમજાય છે. જો કે આવી કૃતજ્ઞતા બહુ લાંબી ટકતી નથી. આપણે સ્વસ્થ થવા માટે ચારેબાજુથી તકલાદી ટ્રીક્સ અને ટીપ્સ અપનાવતા હોઈએ છીએ પણ નિભાવતા હોતા નથી. જો કે ઘણા લોકોનું જીવન જ એટલું ડિસિપ્લિનથી ભરેલું હોય છે કે તેની જીવનશૈલીની સાતત્યતા જ તેના સ્વાસ્થ્યની ચાળી ખાટી હોય છે.
તમે બીમાર લાગો છો એવું કહેવાવાળા અને બીમારીના લક્ષણો ઓળખાવવાવાળા તો હજારો મળી જશે પરંતુ તમે સ્વસ્થ લાગો છો એવું કહેવાવાળા બહુ ઓછા હોય છે અને જે કહેતા હોય તે પણ ઉપરછલ્લી રીતે ફક્ત તમારા શરીરના બાંધાને જોઈને જ અનુમાન લગાવતા હોય છે. લોકોની વ્યાખ્યામાં કહીએ તો તાજોમાજો કે મસ્ક્યુલર વ્યક્તિ સ્વસ્થ સમજાય છે જ્યારે દૂબળો પાતળો કે નબળા બાંધાવાળા બીમારની કેટેગરીમાં ઓળખાય છે.
ખરેખર તમે સ્વસ્થ છો કે નહીં એ આ સાત પેરામીટર દ્વારા તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો.
1. સવારે નિશ્ચિત કરેલા સમયે ઊઠવું
સવારમાં વહેલા ઉઠવાનો મહિમા તો તમામને ખબર જ છે. વહેલું ઊઠવું શરીર માટે લાભદાયી છે પણ જો રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ થઈ હોય તો જ. કેટલાક લોકોની કામગીરી જ એવી હોય છે કે રાત્રે વહેલા ન સુઈ શકતા હોય તો પણ ભલે એકદમ વહેલા ન ઉઠાય પરંતુ સવારમાં એક નિશ્ચિત સમયે તમારી આંખ કોઈ પણ બાહ્ય અવાજ વગર ખુલી જાય છે તો એ તમારી બાયોલોજિકલ કલોકની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય. તમારું શરીર એ રીતે ટેવાઈ ગયું છે કે સવારના સાત વાગ્યે વગર એલાર્મ ઊઠી શકો છો તો જિંદા હો તુમ. એ જ રીતે નિશ્ચિત કરેલા સમયે પથારીમાં પડતાની સાથે જ જો દસ મિનિટમાં ઊંઘ આવી જતી હોય તે પણ સારા માનસિક સ્વાસ્થ્યની નિશાની છે.
2. સવાર સવારમાં ભૂખ લાગવી
સવારના ભોજનનું ખૂબ જ મહત્વ છે. જી હા, ભોજન. નાસ્તા જેવો ફેન્સી શબ્દ સવાર સવારમાં તમારી ડિશમાં આવવો ન જોઈએ. જે ભાવે એ ખાઇ શકો અને સવાર સવારમાં ભરપેટ ખાઈ શકો તો સમજી લો કે તમારી બપોર પણ સારી જશે.
ઘણીવાર એવું બને છે કે સવારે લોકો નાસ્તાના નામે ચા પી લેતા હોય છે અને આખી રાત પાંચનનું કામ કરીને સવારે સાફ થયેલું પેટ એમનું એમ ખાલી જ રહે છે. જઠરાગ્નિને ચામાં ડૂબાડીને મંદ કરાય છે પણ બપોર સુધી આપણું પાચનતંત્ર ભૂખ્યું વલોવાય છે. સવારમાં પાચન ક્ષમતા પણ એકદમ ટોચ ઉપર હોય છે. આ સમયે ખાધેલું તમને પૂરા દિવસ દરમિયાન શક્તિથી ભરપૂર રાખવા પૂરતું હોય છે.
પણ વિધિની વક્રતા કહો કે આપણી મૂર્ખાઈ, આપણે નાસ્તાના નામે બે બટકા ચામાં પલાળીને પેટમાં ઠુંસતા હોઈએ છીએ. આમ કરવાથી બપોર સુધીમાં એટલી ભૂખ લાગે છે કે બપોરે આપણે ભરી ભરીને ખાવું પડે છે. પણ બપોર બાદ તો ફરી આપણું પાચનતંત્ર સુરજ માથે ચડે એટલે થોડુંઘણું મેન્ટેનન્સ મોડમાં ચાલ્યું જાય છે. પરિણામે આપણે પણ ઝોકું ખાઈને આળસું મોડમાં જતા રહીએ છીએ.
એટલે સવાર સવારમાં પેટ ભરીને ભાવતું ખાનારાઓએ પોતાની જાતને ભાગ્યશાળી ગણવા.
3. સવારમાં નિશ્ચિત સમયે પેટ સાફ થઈ જાય છે
સવારમાં ખાવું જ મહત્વનું નથી, જાવું પણ એટલું જ મહત્વનું છે. જો તમે દરરોજ નિશ્ચિત કરેલ સમયે જ સવારમાં તમારું પેટ સાફ કરી શકતા હો તો સમજી જજો કે દિવસની અડધી જંગ જીતી ગયા. જી હા, આ કોઈ અતિશયોક્તિ નથી.
જો તમે દરરોજ ઉઠવાની બાયોલોજિકલ કલોકની જેમ કુદરતી હાજતે જવાની બાયોલોજિકલ કલોક પણ સેટ કરી લીધી છે તો દિવસ દરમિયાન તમારા પાચનતંત્ર પર કોઈ લોનનો બોજો રહેશે નહીં.
સવાર સવારમાં સમયસર ચૂકવેલું 'વ્યાજ' આખા દિવસ દરમિયાન તમને નવા સાહસ પેટમાં ઠાલવવા માટે હિંમત પૂરી પાડશે. આ વાત તમને જો સામાન્ય લાગતી હોય તો એક વાર કોઈ કબજિયાતના કાયમી પીડિતને મળી લેજો અને પૂછી લેજો કે તેને પેટ સાફ કરવા માટે પણ કેટલીકવાર લોહી વહાવવું પડે છે!
4. ચળકતી સાફ ત્વચા
જી નહીં. ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમવાળી ત્વચાની વાત નથી. ત્વચાનો એક સરખો રંગ અને તેની સુંવાળપ તેની સ્વસ્થતાની નિશાની છે. સમયાંતરે ત્વચાના મૃત કોષો આપોઆપ દૂર થાય અને નવી ત્વચા પુનર્જીવિત થયા કરે તો જ આ સુંવાળપ જળવાઈ રહે. જો શરીરમાં પાણી અને વિટામિનની ખામી હોય તો તે શુષ્ક અને કરચલીવાળી ત્વચા દ્વારા પ્રદર્શિત થાય છે.
ચળકતી સ્વસ્થ ત્વચા કુદરતી પ્રકાશને સારી રીતે પરાવર્તિત કરે છે જે ત્વચાને ગ્લો આપે છે અને ત્વચામાં લોહીના યોગ્ય પુરતા પરિભ્રમણની ખાતરી આપે છે.
તમારી ત્વચામાં ખેંચાણ, ખંજવાળ કે લાલ ચકામા નથી અને કોઈ પણ પ્રકારની બળતરા કે ઇરિટેશન નથી એટલે તમારી ત્વચા એકદમ જવાન છે. સમયાનુસાર મેલનિનનું ઉત્પાદન કરીને આપણી ત્વચા સૂર્યના UV કિરણોથી આપણી રક્ષા કરે છે. આજકાલ આ મેલેનિનનું પ્રમાણ આપણા સ્ક્રીન ટાઇમને કારણે હોર્મોનલ ઇમ્બેલન્સ વડે પ્રભાવિત થયું છે. તડકામાં ત્વચા કાળી થવાનું કારણ પણ આ મેલેનિનની ડિફેન્સ મિકેનિઝમ જ છે જે તમારી ત્વચાને બચાવે છે. તો હવે તડકે રહેવાથી તમે લાલ થવાને બદલે કાળા થવા માંડો તો મૂંઝાતા નહીં, તમારી ડિફેન્સ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરી રહી છે એમ સમજવું.
5. બીમારીમાંથી ઝડપી બેઠું થવું
બીમાર થવું એ કંઈ ગુનો નથી. બદલાતા વાતાવરણ સાથે કે બદલાતા ખોરાકની ગુણવત્તાને કારણે બીમાર થવું સામાન્ય છે. પરંતુ બીમારીમાંથી ઝડપથી બેઠાં થવું એ પણ એક પ્રકારનો સુપરપાવર જ છે.
ઓછા સમયમાં શરીર રિકવર થઈ શકે એ માટે ઉમદા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. આપણી ઇમ્યુનિટી એ જ આપણી ડિફેન્સ સિસ્ટમ છે જે બીમારીઓના વાઈરસ બેક્ટેરીયા જેવી મિસાઈલોને ચેપ લગાડતા પહેલા જ હવામાં ઉડાવી દે છે અને છેલ્લે જે તેનો કાટમાળ શરીરમાં પડે છે તેને કારણે ખૂબ જ નજીવું નુકશાન થાય છે.
લાંબી માંદગી શરીર અને ખિસ્સા બંનેને નુકશાન પહોચાડે છે. એટલા માટે જ ઝડપી રિકવરી હેલ્થ અને વેલ્થ બંનેને હર્યુંભર્યું રાખે છે. જો તમે પણ વધુ પડતી દવાઓ વગર બે કે ત્રણ દિવસમાં સાજા માજા થઈ જાઓ છો તો અભિનંદન!
6. ઝડપી ચાલ
Walking is a good exercise but brisk walking is the best exercise. ચાલી તો બધા જાણે પણ જલદ ચાલ કરી જાણે એ જ સાચો નરબંકો. દોડવું એ ટૂંકા સમય માટે ઘણું સહેલું છે પણ લાંબા અંતર સુધી ઝડપી ચાલવું એ સ્વસ્થ સ્નાયુઓ અને હૃદયની નિશાની છે.
ચાલતા ચાલતા શ્વાસને કાબૂમાં રાખવાની કલા કાર્ડિયો એક્સરસાઇઝથી ઓછી નથી. જો તમે હાંફ્યા વગર ઝડપથી લાંબુ અંતર ચાલી શકો છો તો તમે મજબૂત દિલના માણસ છો.
7. તમારી સોશિયલ મીડિયા અલ્ગોરીધમ
અલ્ગોરીધમને હેલ્થ સાથે શું સંબંધ? તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે સીધો જ સંબંધ છે. તમારી સોશિયલ મીડિયા ટાઇમલાઇન તમારી માનસિકતાની ભલે સો ટકા નહી પણ પચાસ ટકા ગવાહી તો આપી જ દેશે. તમને શું ગમે છે અને શેમાં રસ છે એ આ ટાઇમલાઇન પરથી આખા જગને ખબર પડે છે.
ટાઇમલાઇન પરની વાહિયાત પોસ્ટ કે પોઝિટિવ પોસ્ટ તરફનું તમારું વલણ, કોઈ પોસ્ટ પર તમારી કમેન્ટનું સ્તર, તમારા ફ્રેન્ડ્સનું લિસ્ટ કે તમે ફોલો કરતાં પેજનું લિસ્ટ તમારો પૂરેપૂરો મેન્ટલ બાયોડેટા આપે છે. તમારા શબ્દો કે દેખાવ હજુ મિસલિડિંગ હોઈ શકે પણ ટાઇમલાઇન ક્યારેય ખોટું બોલતી નથી.
આ ટાઇમલાઇન પર તમારો જેટલો કંટ્રોલ વધુ એટલું તમારું માનસિક સ્વાસ્થ સારું. જો તમે અલ્ગોરિધમને ફોલો કરો એના કરતાં અલ્ગોરિધમને તમારી સ્વસ્થ પસંદ મુજબ કામ કરાવી શકો તો જિંદા હો તુમ.
સુપર ઓવર: એક માન્યતા મુજબ આજકાલ LPG કે પેટ્રોલ ડીઝલની લાઇનમાં તમે ઊભા ન હો તો પણ સ્વસ્થ જ ગણાશો.
Comments
Post a Comment