Skip to main content

સોશિયલ મીડિયા સાથેના મારા છૂટાછેડાની બીજી વર્ષગાંઠ



   સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું!


   ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો.


   આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ.


અલ્ગોરિધમ 



   સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી. 


   તમે બેઠા બેઠા ખાલી એક પ્રયોગ કરજો. કોઈ એક વ્યક્તિ કે પ્રસંગ વિશે વિચારશો તો તરત જ બીજી સેકન્ડે તે વ્યક્તિ કે પ્રસંગ સાથે જોડાયેલ બીજી વ્યક્તિ કે પ્રસંગ પણ મગજમાં તરવરશે. જેવી રીતે કોઈ એક શબ્દ સર્ચ કરો અને એ શબ્દ સાથે જોડાયેલ તમામ ફાઇલ ડિસ્પ્લે થાય એ જ રીતે મગજના કોઈ એક વિચાર સાથે બીજા હજારો વિચારો અને યાદો મગજની અગણિત મેમરીમાં સાયનેપ્સ વચ્ચે જોડાયેલા હોય છે. આ સાયનેપ્સને છંછેડવામાં આવે એટલે એક પછી એક તાણાવાણા ખૂલતાં જાય છે અને જે વિચારવા બેઠાં હો તેને બદલે તેની ભળતી જેનરના અલગ અલગ વિચારોમાંથી પસાર થઈને ક્યારે તમે તમારા વિચારોની જેનર જ બદલી નાખો છો તેનો ખ્યાલ રહેતો નથી. બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે સોશિયલ મિડિયા અલ્ગોરિધમ.


   શું તમે ક્યારેય સોશિયલ મીડિયા પર કંઇ સર્ચ કરો છો? સર્ચ કર્યા પછી તમારે જે જોવું હતું એ જ જુઓ છો કે પીરસાયેલું બધું જ જોઈ નાખવું પડે છે? મોટાભાગે પીરસાયેલું બધું જ આપણે ફેંદતા રહીએ છીએ. આવી રીતે આપણી જેનર કે ટેસ્ટ કેવી રીતે બદલાઈ ગયો તેની જાણ સુદ્ધાં રહેતી નથી. પરિણામે આપણે આપણી જે જિગ્નાસા સંતોષવા મનમાં આકાર પામેલા ઓર્ગેનિક વિચારોને આ મીડિયાના સર્ચબારમાં સર્ચ કરતાની સાથે જ આપણે રેડીમેઇડ પીરસાયેલા કન્ટેન્ટમાં ખોવાઈ જઈએ છીએ.



ટ્રોલિંગ અને એન્ગેજમેન્ટ 


   સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ જેટલું ઘાતક છે તેટલું જ તેને યુઝ કરનારા યુઝર્સની ટોક્સિસિટી પણ ખતરનાક બનતી જાય છે. કોઈ પણ કન્ટેન્ટની નીચે તેના ભાવપ્રતિભાવમાં મગજની ન્યૂનતમ કક્ષાએ પહોંચેલા ઉદાહરણો કમેન્ટ સ્વરૂપે જોવા મળે છે. હવે તો આ ટોક્સિક કમેન્ટ્સની હદ પણ એટલી પાર થઈ ગઈ છે કે આવા ટ્રોલ્સ પણ આપણને સામાન્ય લાગવા માંડે છે અને કન્ટેન્ટની સાથે સાથે આવા ટ્રોલને પણ કમેન્ટબોક્સ વાંચી વાંચીને એન્જોય કરવા માંડ્યા છીએ. 


   જ્યારે કોઈ નેગેટિવ કમેન્ટ કરીને કન્ટેન્ટ પર કુલ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે ટ્રોલરની સાથે સાથે તે ટ્રોલ કમેન્ટને રીએકશન આપવા વાળા લોકો પણ પોતાની એનર્જીનો મહત્વનો ભાગ બર્ન કરીને પોતાની માનસિકતાને છતી કરે છે. 


   સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં ફેસ ટુ ફેસ કંઇ કહેવું નથી પડતું. મતલબ કે આ રણભૂમિમાં તમારે શારીરિક રીતે કાંઇ જ ગુમાવવું પડતું નથી એવી માન્યતાને કારણે કાયર લોકો ટાઈપિંગના થપેડા મારતા ફરે છે. પરંતુ હકીકતમાં આ કાયર લોકો એ નથી જાણતા કે આ ટ્રોલિંગ કરવાથી તેનું પોતાનું મગજ કોઈ ગંદકીથી ખદબદી રહ્યું હોય છે. આ ગંદકી પણ તેના મગજમાં આ સોશિયલ મીડિયા પરથી ભાડાપેટે લીધેલી જ હોય છે. જી હા, તેને ભાડાપેટે જ કહેવાય કારણ કે આ ગંદકીનું ભાડું તમારે લાંબા ગાળે કથળતી મેન્ટલ હેલ્થ સ્વરૂપે ચૂકવવું પડતું હોય છે.


   એવું નથી કે ફક્ત ટ્રોલિંગ જ અસર કરે છે. ક્યારેક જરૂર કરતા વધારે પ્રસંશા પણ રાતોરાત કોઈ વ્યક્તિને વાયરલ કરી દે છે. પણ હકીકતે એ વાયરલ કન્ટેન્ટ પાછળ કંઈ ખાસ પ્રયોજન હોતું નથી. આવી વાયરલ થયેલી વ્યક્તિ થોડા જ સમયમાં ઝડપથી ભુલાઈ જાય છે ત્યારે તે ટૂંક સમયનું સ્ટારડમ ભોગવેલ વ્યક્તિની માનસિક સ્થિતિ પણ પરીક્ષામાં ફેલ થયેલ વિધાર્થી જેવી થઈ જાય છે. કેટલાય ઈન્ફ્લુએન્સર ફોલોઅર્સ અને લાઈક કમેન્ટની લ્હાયમાં ખપી ગયા તેના સમાચારો તો છાશવારે આપણે જોઈએ જ છીએ.


ન્યૂઝ વોચ 


   સોશિયલ મીડિયા યુઝ કરવાનો કોઈ મુખ્ય હેતુ હોય તો એ છે દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણવું. પણ તેના માટે તો ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ એપ્સ છે, વર્તમાનપત્રો છે. હા, એ બધું છે ખરું પણ ન્યૂઝ વાંચ્યા પછી તેનો બળાપો કાઢવાનું કે એની સામે રિએક્ટ કરવાનું એકમાત્ર સાધન તો સોશિયલ મીડિયા જ છે ને! 


   આ ન્યૂઝ સામે ઓપિનીયન આપવો, એ ન્યૂઝ પર સમ્યક વિચારો ધરાવતા કમેન્ટબાજોની કમેન્ટ્સને વધાવવી કે પછી વિરુદ્ધ વિચારોવાળી કમેન્ટ્સ પર લાલ આંખ કરેલું ઇમોજી ઠાલવવું. આ બધું તો સોશિયલ મીડિયા પર જ થાય છે ને! 


   કોઈ ન્યૂઝ પર ઓપિનીયન તર્ક સાથે રજૂ કરવો એ કંઇ ખોટું નથી પણ પછી એ તર્કના પડછાયામાં એ માહિતી કે સમાચાર સાઇડલાઇન થઈ જાય છે અને બીજા જ નવા વાકયુદ્ધ જામી પડે છે જે ન્યૂઝને જ ટોક્સિક બનાવી દે છે. એટલે જો ફક્ત ન્યૂઝના બહાને સોશિયલ મિડિયા પર પડ્યા પાધર્યા રહેતા હો તો તેના માટે બીજા પણ ઘણાં વિકલ્પો છે.


ફ્રેન્ડ વોચ 


   સોશિયલ મીડિયા સાથે જોડાવાનો બીજો એક હેતુ મિત્રો સાથે જોડાવાનું માનીએ છીએ. આપણા મિત્રો અને આસપાસના લોકોની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર સીસીટીવી નજર રાખવા માટેનું સાધન એટલે સોશિયલ મિડિયા !


   ક્યાંક જો હું સોશિયલ મીડિયા નહી વાપરું તો મારા મિત્રો કે સગા સંબંધીઓની દરરોજની જિંદગીમાં શું થઈ રહ્યું છે તેની મને ખબર નહીં રહે તો? એ જે ભાડાનાં ક્વોટ્સ મૂકે છે તેના પરથી તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેનું હું અનુમાન નહીં લગાવી શકું તો? આવા FOMO (Fear of Missing Out)ના કારણે ઘણાં દિવસ રાત સોશિયલ મીડિયા સાથે ચિટકેલા રહે છે. આવી રીતે અજાણતાં જ બીજાના જીવનમાં કારણ વગરનું ડોકિયું કરીને પોતાના જીવનની માનસિક શાંતિ હણી રહ્યા છે. સમજી લો કે પહેલા જે ગામના પાદરે બેસીને કે ઘરના ઓટલે બેસીને પારકી પંચાત થતી એ હવે સોશિયલ મીડિયા સ્ટેટ્સ કે પોસ્ટ વડે ડિજિટલ પંચાતમાં પરિવર્તિત થઈ ગઈ છે!


સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણે કરવો જોઈએ?


   સોશિયલ મીડિયાનો ઉપયોગ ન જ કરવો જોઈએ એવું આ જમાનામાં કહેવું મુશ્કેલ છે. પણ અમુક કિસ્સામાં સોશિયલ મીડિયા જરૂરી બની જાય છે.


   જો તમે કોઈ એવો બિઝનેસ ચલાવો છો જેનો ઓનલાઇન માર્કેટિંગથી ફાયદો થઈ શકે એમ હોય. તમારા બિઝનેસના પ્રચાર પ્રસાર અને વિસ્તાર માટે બિઝનેસ ઓરિએન્ટેડ પોસ્ટ માટે સોશિયલ મિડિયા હંમેશા પહેલી પ્રાયોરીટી છે.


   જો તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર છો અને નિયમિત રીતે બીજાને મદદરૂપ થઈ શકે એવું કોઈ કન્ટેન્ટ આપી શકો એમ છો તો સોશિયલ મીડિયા તમારું પ્રથમ ઠેકાણું હોવું જોઈએ. પણ અહીં કન્ટેન્ટના પ્રકાર પર પણ ઘણા 'જો અને તો' હોઈ શકે જેમાં વિવેકબુદ્ધિ વાપરવી જરૂરી છે. 


   જો તમે આ બે મુદ્દા સિવાય પણ સોશિયલ મીડિયા પર હયાત છો તો તમે ઝુકરુ ભાઈ અને મસ્કાબુન જેવા મોટા માથાના કન્ઝ્યુમર છો. એટલે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરી રહ્યા પણ સોશિયલ મિડિયા તમારો ઉપયોગ કરી રહ્યું છે.


   જો તમે સોશિયલ મીડિયા છોડીને તે સમયને બીજા કોઈ કામ માટે ઉપયોગમાં લઈ શકો એમ છો તો ખુશી ખુશી સોશિયલ મીડિયા આજે જ છોડી દો. પણ જો તમારે સોશિયલ મીડિયાને બીજી કોઈ ગેમિંગ એપ્સથી કે યુટ્યુબના શોર્ટ્સથી જ રિપ્લેસ કરવાની હોય તો સોશિયલ મીડિયા છોડવાનો કોઈ મતલબ નથી જે છે એ શરૂ રાખો.


મેં સોશિયલ મીડિયા શા માટે છોડ્યું?


  જી હા વોટ્સએપ અને યુટ્યુબ પણ સોશિયલ મીડિયા જ છે જેને હું કન્ટેન્ટ એપને બદલે કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એપ તરીકે વાપરું છું એટલે એ દ્રષ્ટિએ સોશિયલ મીડિયા મેં સો ટકા છોડી દીધું એવું ટેકનિકલી કહી શકું નહીં. પણ બાકી રહેલા તમામ સોશિયલ મીડિયા એપ્સ પરથી રાજીનામું આપ્યાને બે વર્ષ થયા જેમાં ઘણી શાંતિનો અહેસાસ થાય છે. 


   શરૂઆતમાં વિથડ્રોઅલ સિન્ડ્રોમ આવતા. જેમ કે ખાલી પડેલા સમયમાં શું કરવું એ સમજવું અઘરું હતું. મેં જ્યાં સુધી એ સમયનો સદુપયોગ શરૂ ન કર્યો ત્યાં સુધી એ સમયને ઊંઘમાં પરિવર્તિત કરી દીધો અને ત્યારબાદ ધીમે ધીમે બાયોલોજિકલ કલોક સેટ થઈ. અવનવું વાંચન, યુટ્યુબ પર લોંગ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ, પોડકાસ્ટ અને ઓડિયોબૂક વડે આ ખાલી પડેલ સમયનું મારી બાયોલોજિકલ કલોક સાથે સંધાન થયું. 


   પણ મારે છોડવું શા માટે પડ્યું એ જાણવાની તમારી પર્સનલ ઈચ્છા હોય તો આ બ્લોગ ફરીથી શરૂઆતથી વાંચો.


   અલગોરિધમે મને ભટકાવી ભટકાવીને માનસિક મૂર્છિત કરી દીધો હતો. પ્રાઈવસી પણ મારી એક ચિંતા હતી. સોશિયલ મીડિયા જાણે મારા અંગત જીવનમાં ડોકિયું કરીને મારા માટે ટાઇમલાઇન ફીડ કરવા લાગતું હોય એવું લાગ્યું. કઠપૂતળી બનતા પહેલા જ આ કઠપૂતળીની દોરીઓ તોડવી જરૂરી હતી.


   ટ્રોલિંગમાં તો એવી હથોટી આવી ગઈ હતી કે શરૂ શરૂમાં તો મને શબ્દબાણ છોડવા બહુ જ વ્હાલા લાગતા હતા પણ ક્યારેક કેટલાક સામે આવતા તીર મારી આસ્થા, મારી માન્યતા અને મારા વિચારોને પણ ચીરી નાખીને મને વધુ મોટો કાયર ટ્રોલર બનાવી રહ્યા હતા જે વિષચક્રમાંથી મુક્ત થવું જરૂરી હતું.


   ન્યૂઝના નામે ખોટા સમાચારોમાં મગજની ઊર્જાનો બગાડ અને કહેવાતા સ્ટિંગના નામે લોકોના એકતરફી વિડિઓ ઉતારીને સોશિયલ મીડિયામાં લાઈક કમેન્ટની લ્હાણી મેળવવાની ઘેલછાએ આ મીડિયા દ્વારા મળતી સમાચારો અને માહિતી પરથી મારો વિશ્વાસ ઉડાવી દીધો. આજે પણ ન્યૂઝ માટે સૌથી વિશ્વાસપત્ર ફક્ત પ્રિન્ટ મીડિયા જ રહ્યું છે.


   અને રહી વાત મિત્રોની તો ફોનમાં કોન્ટેક્ટ લિસ્ટ બહુ જ મોટું છે. ક્યારેક મેસેજથી તો ક્યારેક કોલથી હાલ ચાલ મળી જ રહ્યા છે. ઊલટાનો વધુ સારી રીતે સંપર્ક સેતુ સ્થપાઈ રહ્યો છે. લાઈકના વાટકી વ્યવહારના બદલે વૈચારિક સામ્યતાઓને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. જો આ બધું છે તો મિત્રોના નામે સોશિયલ મિડિયા પર પડ્યા પધાર્યા રહેવાનું કોઈ કારણ નથી મારી પાસે. ક્વોન્ટિટી ભલે ઓછી છે આ પ્લેટફોર્મની સરખામણીએ પણ કવોલિટીમાં કાંઇ ના ઘટે!


   સોશિયલ મીડિયાના મુખ્ય ટ્રિગર કે ટાર્ગેટ એવા ડોપામાઇનની વાત કરીએ તો હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ મારા ડોપામાઇન લેવલને નાચતું કરી દે છે એટલે કે રજિસ્ટન્ટ રીસેપ્ટર્સ ફરી પાછા સેન્સિટિવ થઈ ગયા છે!


સુપર ઓવર: 

એક વણમાંગી સલાહ આપુ છું. સોશિયલ મીડિયા મૂકો કે ના મૂકો પણ તમારા અંગત જીવનને ઝુકરુ અને મસ્કુ જેવા ડાકુઓના હાથમાં આપતા પહેલા સાવચેતી રાખજો.




Comments

Popular posts from this blog

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....

કાન અને ખભા વચ્ચે દબાયેલા મોબાઈલ ફોનની આપવીતી

  ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?  સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!  આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ

દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.  ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.  કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે. 1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા! આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું ...

એક જિદ્દી છોકરી Wednesday

                              સિરીઝ : Wednesday     પાત્ર : Wednesday   એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday. સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો. જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard . એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે. આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈ...

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...