Skip to main content

એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ

      શીર્ષકના મુખ્ય શબ્દો કદાચ પૂર્વ પશ્ચિમ જેવા લાગે કે જેને એકબીજા સાથે કંઈજ લેવા દેવા નથી, પણ બંનેના પરિણામો જે મળવાના છે તે કદાચ ભવિષ્યમાં કોઈ એક જ સમયે એક સાથે ત્રાટકશે એ સંભવ છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ વગેરે વગેરે શબ્દોને જેટલો સંબંધ વાતાવરણના સ્વાસ્થ્ય સાથે છે કદાચ એટલો જ સંબંધ પ્રાણીમાત્રના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે ખરો. આપણે આપણા પ્રાકૃતિક વરદાનમય સ્ત્રોતો ને એટલા મલિન બનાવી દીધા છે કે જાણે આખી પૃથ્વી જ હવે હાઈબ્રીડ બનતી જાય છે! નવું નવું બનાવવા જતા જૂનો ઘાટ જ હવે આ દુનિયામાં દેખાતો બંધ થવા લાગ્યો છે. એટલેજ હવે એ સમય દૂર નથી કે નાશપ્રાય જીવોની યાદીમાં મનુષ્યનું નામ જોડાઇ જાય.

      બદલાતા વાતાવરણમાં જીવોની બદલાતી પ્રકૃતિ તેની અનુકૂલન ક્ષમતાનો પુરાવો આપે છે અને આ બદલાવ જ જે તે જીવોને અસ્તિત્વની જંગ માટે તૈયાર કરે છે. એન્ટીમાઇક્રોબીઅલ દવાઓ એટલે એવી દવાઓ જે મનુષ્ય કે પ્રાણીના શરીરમાં રહેલા ચોક્કસ હાનિકારક સુક્ષમજીવો પર હુમલો કરીને તેનો નાશ કરે છે. આવા સૂક્ષ્મજીવો જો બેક્ટેરિયા હોય તો તેના પર અસર કરતી આવી ચોક્કસ દવાઓને એન્ટિબાયોટિક કહેવાય. આ એન્ટિબાયોટિક દવાઓના રાસાયણિક ગુણધર્મો અને બંધારણ એવા હોય છે જે અમુક ચોક્કસ પ્રકારના સુક્ષ્મજીવો ને જ શોધીને તેના પર જ તેની અસર બતાવી શકે અને આવા તોફાની સૂક્ષ્મજીવોને શરીર બહાર કાઢી મૂકે.
      આજે હેલ્થકેર સિસ્ટમમાં કોઈપણ ડોક્ટરનું મુખ્ય હથિયાર એટલે એન્ટિબાયોટિક. કોઈ પણ બીમારી બેક્ટેરીયા દ્વારા જ થતી હશે એવો ગણિતનો એક્સ ધારીને આગળ વધતા લેભાગુ તબીબો અને ઉતાવળી પ્રજાએ એન્ટિબાયોટિક્સનો કચ્ચરઘાણ વાળ્યો છે. એન્ટિબાયોટિક્સ વડે આ બેકટેરિયા સામે લડતા લડતા આપણે આવા બેક્ટેરિયાને ખૂબ જ તાકાતવાન બનાવી દીધા છે. આવા બેક્ટેરિયા એ હોલીવુડની ફિલ્મોમાં વિવિધ પ્રયોગો વડે બનતા દાનવો થી કંઈ કમ નથી. આ તાકાતવાન બેક્ટેરિયાનું એન્ટિબાયોટિક દવાઓના તાબે ના થવું તેને જ મેડિકલ ટર્મિનોલોજીમાં 'એન્ટિબાયોટિક રજીસ્ટન્સ' કહેવાય. ખેતરોમાં વપરાતી કિટનાશક દવાઓ પણ આ જ સિદ્ધાંતના આધારે અસર વિહોણી બનતી જાય છે. જેવી રીતે સતત બે થી ત્રણ વર્ષ સુધી કોઈ ચોક્કસ પ્રકારના કિટકોને મારવા માટે વાપરવામાં આવતી જંતુનાશક દવાઓનું યોગ્ય પ્રમાણ અને પ્રકાર ના જળવાય તો કીટકો મરવાને બદલે આ દવા સાથે અનુકૂલન સાધીને અસ્તિત્વ ટકાવવા માટે પગભર બની જાય છે. એ જ રીતે મનુષ્યના શરીરમાં રોગ પેદા કરતા વિવિધ બેક્ટેરિયા ને જો સારી રીતે સમજ્યા કે ઓળખ્યા વગર એન્ટિબાયોટિક દવાઓનો મારો ચાલવામાં આવે તો બની શકે કે આવા બેક્ટેરિયા મરવાને બદલે આવી દવાઓને અનુકૂળ બની જાય અને પોતાના રૂપરંગ ( રાસાયણિક કોશિય બંધારણ) એવી રીતે બદલાવી નાખે કે કદાચ એન્ટિબાયોટિક દવા તેને ઓળખી જ ન શકે !!
      આ સમસ્યાનું સમાધાન શોધવા આપણે આગળ વધવા માંડયા. જો એક દવા અસર ના કરે તો બદલાયેલા બેક્ટેરિયાની રચનાને આધારે નવી એન્ટિબાયોટિક દવાઓ વિકસાવા માંડ્યા. આજે સેંકડો પ્રકારની એન્ટિબાયોયિકસ નો ઢગલો બનાવીને મનુષ્ય બેસી ગયો છે અને એમ વિચારે છે કે હવે તો જીતી ગયા. પરંતુ દવાની એક પછી એક જનરેશન કાઢવાને બદલે prevention is better than cure ના ન્યાય મુજબ એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ જ મર્યાદિત કરી દઈએ તો કેવું ? બે દિવસ એન્ટિબાયોટિક ખાઈને ઉભા થઇ જતાં અધુરીયા જીવવાળા લોકો અને ખીસ્સોભરી લેતા ડોકટરોને તો બે દિવસમાં જ પરિણામ જોઈએ અને ત્રીજા દિવસે પરિણામ મળે તો દવા બંદ અને ના મળે તો એન્ટિબાયોટિક નંબર બે. આવા માહોલ માં ખાસ કરીને ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં એન્ટિબાયોટિક રજીસ્ટન્સને આગળ વધવામાં કદાચ ગ્લોબલ વોર્મિંગના હુમલાની પણ રાહ જોવાની જરૂર નહીં રહે. ચોક્કસ નિદાન અને એનાથી પણ ચોક્કસ કાઉન્સેલિંગ મળી રહે તે માટે ડોકટર તથા ફાર્મસીસ્ટ (નામ તો સુના હી હોગા!) બંનેએ કમર કસવી પડશે અને એન્ટિબાયોટિક પર કાબુ મેળવવો પડશે. જ્યાં સુધી લોકો એન્ટિબાયોટિક ને બીજી દવાઓથી અલગ નહીં સમજે ત્યાં સુધી એ તેના માટે સામાન્ય ગોળી કે કેપસ્યુલ જ રહેવાની. કદાચ આ કહેવું થોડું યોગ્ય ના ગણાય પણ છતાં હવે દરેક દર્દીને તેને આપવામાં આવતી એન્ટિબાયોટિક જે રોગ માટે છે એ રોગથી થતા નુકશાન કરતા એ એન્ટિબાયોટિકના રજીસ્ટન્સ થી થતાં નુકસાનનો ડર બતાવીને તેનો યોગ્ય ઉપયોગ કરવા વિનંતીપુર્વક નહીં પણ બળપૂર્વક આગ્રહ કરવો જોઈએ. જો આવું થશે તો જ આવનારી પેઢી ટકી શકશે, બાકી એ દિવસો દૂર નથી કે હવે ગ્લોબલ વોર્મિંગ ઇન્ટરનેશનલ સમિટ ની જેમ એન્ટિબાયોટિક રજીસ્ટન્સ ની સમિટ શરૂ થાય અને પછી ડાહી ડાહી વાતો થાય. હજુ સમય છે.

Comments

  1. Thanks For Sharing Nice Article. i received via WhatsApp From Pharmacist. My self is a Pharmacist. 1000 % Agreed with you. Keep it up 👆 ( Writing.)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...