Skip to main content

જીવહિંસા તો કાયમી છે પણ લોકજુવાળ તકલાદી છે



#KeralaElephantMurder આ હેશટેગ અને આવા બીજા ઘણા હેશટેગ છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સ્તરે ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ પોતે જ એટલો તકલાદી શબ્દ છે કે તેની શરૂઆત સાથે જ તેનો અંત પણ નક્કી જ હોય છે. ટેમ્પરરી વૈરાગ્ય, ટેમ્પરરી ગુસ્સો અને ટેમ્પરરી લોકજુવાળ આ ડિજિટલ દુનિયામાં તરત આંખે ઉડીને સામે આવે છે. થોડાક દિવસ ધૂમ મચાવે છે અને પછી તો ક્યાં સ્વાહા થઈ જાય છે કે શોધ્યા પણ જડતા નથી. આજે પણ આપણે એવા જ એક લોકજુવાળના સાક્ષી બની રહ્યા છીએ.


વોટ્સએપના સ્ટેટ્સમાં મુકેલ વિચાર પણ ફક્ત ચોવીસ કલાકની જ વેલીડિટી ધરાવે છે, ત્યારબાદ ફરીથી એ વિચારને પ્રાણ ફૂંકવા પડે છે. આવું જ આપણા ક્ષણિક આવેશનું છે. જ્યારે લાગણીઓ કાબુ બહાર જાય એટલે સૌથી સરળ રસ્તે તેને વહેતી કરવા એક ઓનલાઈન બેસણું શરૂ થાય છે. જીવહિંસા એ કોઈ નવી બાબત નથી, દરરોજ નાના મોટા પ્રાણીઓ અને પંખીઓ માનવજાતની માવજતમાં કપાઈ મરે છે, પણ આ તો એક મહાકાય પ્રાણી નજરે આવ્યું અને તેમાં પણ તે હાથણીના પેટમાં ધબકારા લેતું તેનું મૃતબાળ નજરે ચડે એટલે પથ્થર દિલમાં થોડી ઝણઝણાટી આવે જ. પણ આખરે તો થોડા દિવસ દિલસોજીની થોડી વાતો થશે, થોડીક મીણબત્તીઓમાંથી મીણ ટપકશે અને પછી ફરીથી આપણે વધેલી મીણબત્તીઓ બીજા આવા દુઃખદ પ્રસંગો માટે સાચવીને મૂકી દેશું.


નાના બાળકોને ઘણીવાર દિવાળી પર કુતરાની પૂંછડીમાં ફટાકડા બાંધીને તેની મજા લેતા જોયા છે. પણ ત્યારે એ મનોરંજન એટલું ગંભીર ના લાગ્યું. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતો જીવંત વિજળીના તાર ખેતર ફરતે પાથરીને પોતાના પાકનું પ્રાણીઓથી રક્ષણ કરે છે. આ કિસ્સામાં પણ ઘણા પ્રાણીઓ ભોગ બન્યા છે, તો શુ ખેડૂતો પોતાના ખેતરો ખુલ્લા મૂકી દે આવા પશુઓ માટે? જીવનનિર્વાહ ની વાત સામે તમે અહિંસાની વાત મુકશો તો તરત જ માછીમારી કરતા લોકો નજર સામે આવશે. આ લોકો શું કરી રહ્યા છે? શું તેમની પાસે આ જીવનનિર્વાહ સિવાયના ઉપયુક્ત રસ્તાઓ છે કે જે અપનાવી શકાય? ના, જ્યાં સુધી માનવ પોતે જ આ પ્રકૃતિના અંશોને પોતાના માટે ભોગ્ય સમજે છે ત્યાં સુધી તો આ બધી વાતો બેકાર છે.


હિંદુ સંસ્કૃતિમાં મોટા ભાગના પ્રાણી પશુઓને જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે જોડીને તેનો આદર કરવાનો એક રસ્તો માનવજાતને બતાવવા પ્રયત્ન થયો છે. કેટલાક પશુઓને તો ભગવાન માનીને તેની સીધી પૂજા કરવાની પ્રથા પણ આવા જ સંસ્કારોમાંથી અવતરી છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું નાનકડું ગામ ચુડવા એ મારુ મોસાળ, ત્યાં વર્ષોથી શ્રદ્ધાપૂર્વક હાથણી માતાની પૂજા થાય છે અને તેની વિશાળ મૂર્તિ પણ પ્રતિષ્ઠિત કરી છે.

આવો જ આદર રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના ઘોડા ચેતકને તેની સમાધિ સાથે મળ્યો છે તો કચ્છમાં મેકરણ દાદાના લાલીયા ગધેડા અને મોતિયા કૂતરાની સમાધિ પણ આપણો પશુપ્રેમ પ્રદર્શિત કરે છે. પણ શું આવા સંસ્કારોને આપણે ગર્વ સાથે આજે ગળે વળગાળી શકીએ એટલા લાયક છીએ?
શુ આપણે આ સંસ્કારોને ક્યાંય પાછળ છોડીને તો નથી આવ્યા ને? તહેવારોના આનંદ અને ઉન્માદમાં ચડાવાતી બકરાઓની બલી કે પછી ભુવાઓના પાખંડી ઉપચારોમાં નિર્દોષ પશુ પંખીઓના બલિદાનમાં પોતાનું ભાગ્ય શોધતા મૂર્ખ માણસ માટે એવો જ શ્રાપ નીકળે કે આવી માનવજાતને કોરોના જેવી કે તેનાથી પણ ભયંકર મહામારી જ ખપે.


અશ્વેતો સામેની રંગભેદની નીતિનો વિરોધ શું આજકાલનો છે? પેઢીઓની પેઢીઓ આખી દુનિયામાં આ વિચાર અર્થે ખપી ગઈ પણ વત્તે ઓછે આ વિચાર હજુ ક્યાંય દિલના ખૂણેથી ઓગળ્યો નથી એ વાત આપણે અત્યારે અમેરિકામાં બનેલા જ્યોર્જ ફ્લોયડના અહિંસક બનાવો પરથી લાગે છે. જે દેશમાં અશ્વેત પ્રેસિડેન્ટ દસ વર્ષ સુધી આદર્શ રીતે પોતાનો કાર્યકાળ પૂરો કરે એવા ગૌરવવંતા દેશમાં ફરીથી હતા ત્યાં ને ત્યાં જ ના પ્રશ્નો સામે આવે એ શું સૂચવે છે? એ બસ એક જ વાત સૂચવે છે કે કોઈ પણ પરિવર્તન તકલાદી હોય છે. થોડા સમય બાદ બધું હતું તેમ નું તેમ જ રહે છે. માનવસહજ દુર્ગુણ કહો કે માનવને કૂતરાની પૂંછડી કહો, ફરક કઈ નથી.


ગાંધીજીના મતે મનમાં બીજા માટે હિંસક વિચાર કરવો એ પણ એક હિંસા જ છે. પણ આવી પ્રો-અહિંસા ના લેવલથી આપણે હજુ ઘણા દૂર છીએ તો તેના માટે વિચારવું પણ હાસ્યાસ્પદ થશે. જૈન ધર્મનો ઉડીને આંખે વળગે એવો કોઈ વિચાર હોય તો એ અહિંસા છે. બીજા ધર્મોમાં પણ દરેક જીવોનો આદર કરવાની વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કહેવામાં આવી જ છે.  પણ આપણે આ દરેક વાતોને આપણા કુતર્કોથી હરાવીને આપણું ધાર્યું જ કરીયે છીએ. માંસાહારથી પીડાતો માણસ ફક્ત આવી વાતો જ કરી શકે અને ટ્રેન્ડ ચલાવી શકે. આવેશમાં આવીને કદાચ બે દિવસ ચીકનને હાથ ના પણ લગાવે પણ છેલ્લે સહનશક્તિની હદ આવશે એટલે આમલેટથી કામ ચલાવતો થઈ જશે. થોડા મહિનાઓ પહેલા હૈદરાબાદમાં વેટરનરી ડોકટર પર થયેલ ગેંગરેપ બાદ જુવાળ ફાટી નીકળેલો. થોડા જ દિવસોમાં એન્કાઉન્ટર દ્વારા એ જુવાળને શાંત કરવાનો પ્રયત્ન થયો. પણ શું ત્યારબાદ કોઈ રેપ થયો જ નથી અને થયો તો પછી દરેક રેપ ટ્રેન્ડ પર કેમ નથી આવતો? સમસ્યાઓને પણ હવે આપણે ચૂંટી ચૂંટીને સ્વીકારતા થયા છીએ. ટોળાંને જે ગમ્યું એ ન્યાય, ટોળાંને જે દુખ્યું એ દર્દ અને ટોળાંને જે  ચુભ્યું એ કાંટો. અહીં એક જ વહેણમાં બધું ધોવાઈ જાય છે અને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં જ.


સુપર ઓવર: એક દેશભક્ત યુવાને પોતાના રેડમી મોબાઈલ ફોનમાંથી ચાઈનીઝ એપ્સ ઓળખીને દૂર કરતી એક એપ ચલાવીને ચાઈનીઝ એપ્સથી સ્વચ્છ ફોનનો સ્ક્રીનશોટ સોસીયલ મીડિયામાં મુક્યો. નીચે આજકાલ ચાલતો ટ્રેન્ડ હેશટેગ કરીને મુક્યો. #BoycottChina 


અહીં આ વિષયના અનુસંધાને થોડા સમય પહેલા લખાયેલા વાંચવા અને વિચારવા લાયક બે આર્ટિકલ મુકુ છું જેને આર્ટિકલના નામ પર ક્લિક કરીને વાંચી શકો છો. એક છે અભિમન્યુ મોદી દ્વારા લખાયેલો "મનુષ્યો કે માનવર?: કાળા પાણીની સજા ભોગવતી મહાકાય માછલીઓ" અને બીજો શિશિર રામાવતની કલમે "અનર્થઘટન: લોટમાં પાણી નાખીને માંસ પકાવવાની કળા". જરૂર વાંચજો.



Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...