Skip to main content

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

 


વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો.

કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે.


SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને સરખી જ થાય એવું જરૂરી નથી. આવા વખતે પોતાની વિવેકબુદ્ધિને કામે લાગવીને પોતાના માટે ઉપયોગી સુચનોને ફિલ્ટર કરીને તેને શ્રધ્ધાપૂર્વક અપનાવવા એ જ ખરી હોશિયારી છે. કોરોનાની મોટાભાગની ટ્રીટમેન્ટ દવાખાનામાં તો ડોકટર જ હેન્ડલ કરતા હોય છે એટલે ત્યાં આ બાબતે મૂંઝવણ થવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જ્યારે ઘરે  સાજા થનાર કેસોની બાબતમાં સારવારની પ્રક્રિયામાં દર્દીનું કન્સેન્ટ જરૂરી બની જતું હોય છે.


આવા સમયે પોતાના શરીરની પૂરતી ઓળખ ધરાવતા વ્યક્તિ બાજી મારી જાય છે. અહીં એ વાત ગૌણ બની જાય છે કે દર્દી કેટલું ભણેલો છે કે પોતાની એનાટોમી ફિઝિયોલોજી જાણે છે કે નહીં. અહીં દર્દીનો પોતાના શરીર પરનો વિશ્વાસ અને તે વિશ્વાસને અનુરૂપ હિતેચ્છુ દ્વારા મળેલ સારવાર કે અનુભવનો ઉપયોગ મહત્વનો હોય છે. પસંદ કરેલ સલાહમાંથી પણ કેટલું ફિલ્ટર કરીને લેવું તે પણ છેલ્લે દર્દી પર જ નિર્ભર હોય છે. 


આ મહામારીમા કદાચ એ લોકો ઓછા હેરાન થયા છે જેણે દરેક પેથીનો પોતાના રોગની તીવ્રતાને આધારે ઉપયોગ કર્યો હોય, નહિ કે કોઈ એક વસ્તુ સાથે જિદ્દી થઈને વળગી રહ્યા હોય. સમયાંતરે રોગની તીવ્રતા મુજબ સારવાર પદ્ધતિમાં ફેરબદલ કરવાનું ટાઇમિંગ જ તમને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવે છે. મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બહારથી શરીરમાં દવાઓને રેડીને ઈશ્વરે આપેલા શરીરને સાજું કરીએ છીએ પણ આ અર્ધસત્ય છે. શરીરનું પોતાનું જ તંત્ર વાઇરસ કે કોઈપણ બીમારીના જંતુ સામે લડે છે જ્યારે બહારથી આપવામાં આવતી દવાઓ તેમાં મદદરૂપ થાય છે. કોવિડની પ્રથમ લહેરથી લાઈમલાઈટમાં આવેલા CRP ટેસ્ટના આંકડા જોઈએ તો ઘણાને તમ્મર ચડી જાય અને ક્યારેક 50 કે 100 ને પાર જતો આ આંકડો શારીરિક કરતા માનસિક તકલીફ વધુ ઉભી કરી દે છે. પરંતુ જો એવું વિચારવામાં આવે કે આ આંકડો એ જંતુઓનો નહિ પણ તેની સામે લડવા માટેની આર્મીનો છે તો મનમાં થોડી હળવાશ થશે. શરીરના આ ઈંફલામેટરી માર્કર્સ ઈંફલામેટારી રિઝોલ્વર પણ છે. 


નાની એવી માખી કે મચ્છર પણ તમારું અભિમાન તોડી શકતા હોય તો આ તો તેનાથી પણ અનેક ગણો સૂક્ષ્મ વાઇરસ છે. તમને પળવારમાં ભોંય ભેગા કરવા થોડી જ કલાકોમાં લાખો વાઇસરની ફૌઝ તૈયાર કરી શકે એમ છે. એટલે જિદ્દી થઈને સામનો કરવામાં બહાદુરી ઓછી અને મુર્ખામી વધુ છે. ડિપ્લોમેટિક થઈને થોડું વાયરસ જતું કરે થોડું તમે કાળજી રાખીને 'મને કાંઈ થાય નહિ'નો અહંમ મૂકીને જતું કરશો તો બન્ને વચ્ચેનો સુખદ માર્ગ જરૂર નીકળશે.


સુપર ઓવર: ભારત દેશમાં બે પેથીઓ વચ્ચે એટલુ વાંકુ છે કે જાણે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય.



Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...