Sunday, March 15, 2020

શીશશશ... કોરોના મના હૈ...

(નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે.)


પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે.

કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે.  ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું.  કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન  હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ્રકારના વાઇરસ છે. પણ સવાલ એ છે કે આ બધા આપણા શરીરમાં પ્રવેશીને રોગ ફેલાવી શકે કે કેમ? તો જવાબ એ છે કે હા..જો આપણી રોગપ્રિકારકશક્તિ ઓછી કે નબળી હોય કે આપણે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડે એવી દવા લેતા હોઈએ (શરીર ના કોઈ અંગ ના પ્રત્યારોપણ પછી આવી દવાઓ લેવી પડતી હોય છે)  તો સંભવ છે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાઇરસ આપણા શરીરમાં પોતાનું ઘર કરી લે અને આપણે બીમાર થઈ શકીએ.

હવે સવાલ એ છે કે આપણે રોગપ્રિકારકશક્તિ કોને કહી શકીએ? અને એ કઈ રીતે વધે? 

આપણા શરીરની નાડીઓમાં ત્રણ પ્રકારના કણો હોય છે. રક્ત કણ, શ્વેત કણ, ત્રાક કણ. લસિકાતંત્રના પ્રવાહી માં આ ત્રણેય વસ્તુઓ માપસર હોવી જરૂરી છે. જો બધા કણો નું પ્રમાણ બરાબર હોય તો જ શરીર ની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે. આમાંથી શ્વેત કણ સૌથી વધારે રોગ પ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે. શ્વેત કણ આપણા શરીર માટે બોર્ડર પર ના સિપાહી જેવું કામ કરે છે. જેમ સરહદ પર કોઈ ઘૂસણખોર ને આપણા સિપાહીઓ દેશમાં ઘૂસવા ના દે ને ત્યાં ને ત્યાં જ પૂરો કરે અથવા બાર ફેકી દે એમ જ આપણા શ્વેત કણો કોઈ પણ બહાર ના પ્રોટીન ને આપણા શરીર માં દાખલ થવાની અનુમતિ આપતા નથી જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કોઈ પણ બેક્ટેરિયા કે વાઇરસ માં રહેલું જીનેટિક મટીરિયલ એટલે કે આનુવંશિક પરિબળો આપણા શરીર ના કોષ માટે અજાણ્યા પ્રોટીન તરીકે વર્તે છે જેથી કરીને આપણા શ્વેત કણો એમને ઓળખીને ખતમ કરી દે છે. આ તો થઈ શરીરના અંદરના દુશ્મનો સામે લડવાની વાત. શરીરની બહારનું વાતાવરણ પણ આવા વાઇરસ-બેક્ટેરિયાથી ભરેલું છે તેના માટે શું કરશુ? પુરાતનકાળમાં આપણા ૠષિઓ દ્વારા ઘર આંગણે થતા હોમ હવન એ માત્ર ક્રિયાકાંડ ન હતા પણ નેચરલ ફ્યુમીગેશનની જ એક ટેકનિક હતી.  દેશી ગાયના મળમાંથી બનાવેલ છાણાની સાથે કપૂર અને ઘી મેળવી ધૂપ કરવાથી ઘરમાંથી બધા વાઇરસ નો નાશ થાય છે આ વાતનો તર્ક પણ આયુર્વેદના જાણકાર પાસેથી તમને પચે તેવી ભાષામાં મેળવી શકો છો. ગાયના મળની જેમ જ તેનુ મૂત્ર પણ એટલું જ રોગપ્રતિરોધક ક્ષમતા માટે જાણીતું છે એટલે જ તો તેને હિન્દૂ સંસ્કૃતિમાં પંચામૃતમાં સ્થાન આપ્યું છે.

હવે જોઈએ આહાર વ્યવહાર ને લીધે આવતી રોગપ્રતિકારકશક્તિ. કોઈ પણ વાઇરસ થી રક્ષણ માટે રોગપ્રતિકારકશક્તિ વધારવા ૩ દિવસનો એક પ્રયોગ કરવા જેવો ખરો. 
પહેલા દિવસે તમારા શરીર ના વજન ને કિલો માં તોલી ને એને ૧૦ થી ભાગો ત્યારે જે સંખ્યા મળે 
ઉદાહરરૂપે, ૬૦ કિલો વજન વાળા વ્યક્તિ માટે ...
૬૦/૧૦= ૬
૬ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૬ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા)  નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. એ સિવાય કઈ ખાવું નહિ. સાદુ પાણી પી શકાય. (અહીં એક ગ્લાસ એટલે 200 મિલી)
હવે બીજા દિવસે શરીર ના વજન ને ૨૦ થી ભાગો ...૬૦/૨૦=૩
તો ૩ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૩ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા)  નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. સાથે સાથે શરીર નું વજન ગુણ્યા ૫ .....
એટલે કે ૬૦*૫=૩૦૦ 
૩૦૦ ગ્રામ ટામેટા ને કાકડી નું સલાડ ખાવું. બીજું કશું ખાવું નહિ. સાદુ પાણી પી શકાય.
હવે ત્રીજા દિવસે શરીર ના વજન ને ૩૦ થી ભાગો....૬૦/૩૦=૨
તો ૨ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૨ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા)  નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. સાથે સાથે શરીર નું વજન ગુણ્યા ૫ .....
એટલે કે ૬૦*૫=૩૦૦ 
૩૦૦ ગ્રામ ટામેટા ને કાકડી નું સલાડ ખાવું ને સાંજે ખીચડી જેવું પકાવેલું હળવુ સાત્વિક ભોજન લેવું.
આવી રીતે ત્રણ દિવસ ની આહાર પધ્ધતિ કરવાથી, તમારા શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ને એને કારણે કોરોના તો શું, કોઈ પણ વાઇરસ તમારા શરીર માં ઘુસી શકતો નથી.

આ સિવાય સવારમાં સૂર્યનો કુમળો તડકો રેડીયોએક્ટિવ સેનીટાઇઝેશનનું કામ કરે છે અને જેવા તેવા વાઇરસ-બેકટેરિયા તો સૂર્યના અલ્ટ્રાવ્યોલેટ કિરણોમાં જ અલવિદા થઈ જાય છે. ટીબી જેવા જિદ્દી સ્વભાવના બેક્ટેરિયા પણ તડકા માં રહેવાથી મરી જાય છે. એટલે આપણે પણ આપણા પૂર્વજો ને અનુસરીને સૂર્ય નારાયણ ને સવારમાં જલ ચડાવવું જોઈએ. આ ઉપરાંત આપણને વિટામિન ડી મફત મળે છે ને આપણે જીવાણુ વિષાણુ રહિત થઇએ છીએ. એટલે રોગપરતિકારકશક્તિ વધે છે. આટલા ફાયદા ફક્ત સવારનો ૨૦ મિનીટ નો સમય સૂર્ય ના ખુલ્લા તડકા માં રેહવાંથી મળે છે. સવારમાં સૂર્યનમસ્કાર સાથે સૂર્યને જળ અર્પણ કરનારા આપણા પૂર્વજો કાંઈ બેવકૂફ ન હતા કે આવી પ્રણાલી શરૂ કરીને સ્વાસ્થ્યને શ્રદ્ધા સાથે જોડવાનું અમૂલ્ય કાર્ય કર્યું જે આગળ વાત કરી એમ મદમાં મદમસ્ત માનવ ધીમેધીમે વિસરતો જાય છે. પાણી પહેલાં પાળ બાંધવાની કળા આપણે થોડું પાછું વળીને શીખવા જેવી ખરી.

હવે જોઈએ કે કોરોના વાઇરસ આટલો ભયંકર કેમ લાગે છે? છે શું આ કોરોના? કોરોના એક પોઝિટિવ સ્ટ્રેન્ડ RNA વાઇરસ છે, જેનું જીનોમ એટલે કે જનીનિક બંધારણ 27-32 kb જેટલું હોય છે. જે ત્રણ પ્રકારની દીવાલોમાં વિંટાયેલું હોય છે. જેને કારણે તે સસ્તન અને ખેચરમાં સંક્રમણ કરી શકે છે. કોરોના એક ઝૂનોટિક વાઇરસ છે, એટલે કે પ્રાણીઓ અને મનુષ્યોમાં અરસપરસ ચેપ ફેલાવી શકે છે. આ વાઇરસ નું કદ 400-500 માઇક્રોન જેટલું હોય છે જેથી કરીને એ સુતરાઉ કપડાં ના તાણાવાણા ના છિદ્રોમાંથી પસાર થઈ શકતો નથી. એટલે ખર્ચાળ માસ્ક લેવાની જરૂરીયાત નથી. સાદા હાથરૂમાલ કે કપડાં થી કામ ચલાવી શકાય. આ વાઇરસ હવામાં રહીને ઉડી કે ફેલાઈ શકતો નથી. તે કોઈ પણ સપાટીની સાથે ચોંટી જાય છે, અથવા કોઈ મનુષ્ય કે પ્રાણીના શરીરની ચામડી પર કે અંદર જીવે છે. જેથી કરીને કોઈ પણ સપાટી સુરક્ષિત ના હોય, કોઈ પણ વ્યક્તિ કે સપાટી ને સ્પર્શ કર્યા પછી સાબુ પાણી થી હાથ સરસથી ધોઈ લેવા જોઈએ. કપડાં પર કોરોના વાઇરસ ૯ કલાક સુધી જીવે છે, એટલે કપડાં વ્યવસ્થિત ધોઈને તડકે સૂકવવા. હાથ પર કોરોના ૧૦ મિનીટ સુધી જીવે છે એટલે હાથ પર આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર લગાડવું અથવા સાબુ પાણી થી હાથ વારંવાર વ્યવસ્થિત રીતે ધોવા. 26-27 ડિગ્રી સેલ્શિયસ તાપમાને આ વાઇરસ નાશ પામે છે, એટલે સવારમાં તડકે બેસવું, આઇસ્ક્રીમ કે ઠંડા પીણાંના ખાવા પીવા તથા ગરમ પાણી પીવું ને હળદર- મીઠાં વાળા ગરમ પાણી ના કોગળા કરવા.

આમ તો કોરોના ના મુખ્ય ચાર પ્રકાર છે...
આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા

આલ્ફા અને બીટા કોરોના વાઇરસ સસ્તન પ્રાણીઓ માં સંક્રમણ માટે જવાબદાર છે.
આલ્ફા કોરોના વાઇરસ ના ઉદાહણરૂપે, human Corona virus NL63,
Porcine epidemic diarrhoea Corona virus,
Transmissible gastroenteritis Corona virus,
Porcine respiratory Corona virus.

બીટા કોરોના વાઇરસ ખેચરમા સંક્રમણ માટે જવાબદાર છે.
ઉદાહરરૂપ...SARS CoV means severe acute respiratory syndrome,
MERS-CoV means middle East respiratory syndrome,
HKU4 means Bat Corona virus,
Mouse hepatitis Corona virus,
Bovine Corona virus,
OC43-human Corona virus.

ગામા કોરોના વાઇરસ ખેચર પ્રાણીઓમાં સંક્રમણ માટે જવાબદાર છે.
Infectious bronchitis Corona virus.

ડેલ્ટા કોરોના વાઇરસ ખેચર તેમજ સસ્તન પ્રાણીઓમાં સંક્રમણ માટે જવાબદાર છે.
ઉદાહણરૂપે porcine delta Corona virus.

કોરોના વાઇરસના લક્ષણો પણ મોટેભાગે બીજા વાઇરલ ફિવરને મળતાં જ આવે છે આમ છતાં તેને નજર અંદાજ કર્યા વગર ધ્યાનમાં લેવા જરૂરી છે. તાવ, શરદી, કફ, નાકમાંથી પાણી વેહવું, ગળા માં દુઃખાવો, શ્વાસમાં તકલીફ, શ્વાસ લેવામાં મૂશ્કેલી, ધ્રુજારી વગેરે હોય તો કદાચ કોરોનાનો ચેપ હોય શકે એટલે ડોક્ટરને જરૂર બતાવવું. જો કે સામાન્ય તાવ શરદીના પણ આ જ લક્ષણો હોય છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી. નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. ગંભીર કેસ માં જોવા મળતા લક્ષણોમાં ન્યુમોનીયા, શ્વાસ ની ગંભીર તકલીફ, કિડની ફેલ કે મરણ થઈ શકે.

કોરોના ને દૂર રાખવા આપણે શું કરવું જોઈએ?
  • ભીડભાડ વાળી જગ્યાઓ પર જવું નહિ.
  • શાકાહાર જ કરવો. માંસાહાર ત્યાગવો.
  • વારંવાર વ્યવસ્થિત સાબુ પાણીથી  હાથ ધોવા.
  • આલ્કોહોલ આધારિત સેનીતાઇઝેર કે સ્પિરિત થી પણ હાથ સાફ કરી શકાય.
  • ખાંસતી/છિકતી વખતે મોં- નાક આડે રૂમાલ કે કપડું રાખવું.
  • વાપરેલ ટિસ્યુ પેપર તરત જ કચરાટોપલીમાં નાખવું.
  • જાહેરમાં જ્યાં ત્યાં થુંકવું નહિ.
  • જીવંત પ્રાણીઓ ના સંપર્ક માં રેહવાનું થાય તો ત્યારપછી તરત જ નહાઈ લેવું અથવા હાથ પગ મોં વ્યવસ્થિત સાબુ પાણી થી ધોઈ લેવા.
  • જે વ્યક્તિ બીમાર દેખાતી હોય, ખાંસતી કે છીંકતી હોય તેનાથી ૧ મીટર કે ૩ ફૂટ દૂર રહેવું. ઉધરસ કે છીંકથી નાના નાના થૂંકના ડ્રોપલેટ્સ આજુ બાજુ ઉડે છે ને સંક્રમિત વ્યક્તિ દ્વારા આવી જ રીતે ચેપ ફેલાય છે. આ ઉડેલા ડ્રોપલેટ્સમાં કોરોના વાઇરસ હોઇ શકે, જે કોઈ પણ દીવાલ, ખુરશી, હેન્ડલ કે દરવાજા પર ચોંટી રહી શકે. જ્યારે તે જગ્યા પર બીજા કોઈનો હાથ પડે ત્યારે તેના હાથ પર ચોંટીને તેને પણ ચેપ લગાડી શકે. કેમ કે એવા જ હાથે એ વ્યક્તિ પોતાના મોં નાક કાન કે આંખ ને હાથ લગાડશે, જેથી કરીને વાઇરસ ત્યાં બધે જ પહોંચી જાય છે, અને ત્યાંથી ચેપ લગાડે છે. તો બીજા કોઈ પણ જોડે હાથ મિલાવવા નું ટાળો અને દૂરથી નમસ્તે કરો, જે વરસોથી ભારતીય સંસ્કૃતિ ની સભ્યતા રહી છે.
  • કાચા કે રંધાયેલ માંસ નું સેવન ના કરવું.
  • મરઘાં ઉછેર કેન્દ્ર, પશુ બજાર કે કતલખાના ની મુલાકાત ના લેવી.


આવી છોટી છોટી મગર મોટી બાતેં યાદ રાખશું તો જ કોરોના આપણો કોલર છોડશે અને કોલર ટ્યુન પણ છોડશે.

સંભાળ રાખો,  સ્વસ્થ રહો.
ગભરાહટ નહિ સમજદારી
સતર્કતા આપણી જવાબદારી.

Friday, March 13, 2020

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ


      

80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા.

એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને 1000 ક્રૂ મેમ્બર્સ સાથે જાપાનના  યોકોહામા ના કાંઠે જેલ બનીને ઉભું રહી ગયું. 3 ફેબ્રુઆરીથી લોકોને કોરોનાની બીકે ગોંધી રાખવામાં આવ્યા. અત્યાર સુધીમાં 696 કોરોના પોઝિટિવ કેસ અને 7 મૃતઆંક સાથે આ ક્રુઝ જાણે એક સ્વતંત્ર કોરોના સંક્રમિત દેશની જેમ દુનિયાના નકશા પર ઉભરી રહ્યો છે.

3 ફેબ્રુઆરી 2020 પછી એક જ દિવસમાં 10 લોકો સર્વપ્રથમ કોરોના પોઝિટિવ બન્યા જેના પરિણામે જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ 14 દિવસ માટે શિપને કિનારા પર જ ક્વોરોન્ટાઇન સ્ટેટમાં રાખવા આદેશ આપ્યો અને એ સાથે જ અંદરના બધા જ લોકો માટે કિનારા પર ઉતરવાની મનાઈ ફરમાવાઈ. 

જોકે હવે પુરી શિપને ક્વોરોન્ટાઈન કરવામાં પણ ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે દરેક લોકો છેલ્લા 15 દિવસથી ક્રુઝ પર એક યા બીજી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા જ હતા. ઓપેરા, પાર્ટીઝ, સ્વિમિંગ પૂલ્સ અને એવી દરેક મનોરંજનની જગ્યા પર કોઈ જ પ્રતિબંધ શિપ પર હતો નહિ. 

ધીમે ધીમે જાપાનની હેલ્થ ફેસિલિટીએ બીજા  શંકાસ્પદ પેસેન્જર્સના પણ વારાફરતી ટેસ્ટ કર્યા અને જે લોકો પોઝિટિવ આવે તેને યોકોહામામાં નજીકની હેલ્થ ફેસિલિટીમાં ટ્રાન્સફર કરવામાં આવતા ગયા.

સ્પેન્સર નામના એક અમેરિકન ગ્રેજયુએટ વિદ્યાર્થીએ મીડિયા સાથે જે વાતચીત શેર કરી એ મુજબ તેણે ખૂબ જ અસંતોષ વ્યક્ત કર્યો. તેણે જણાવ્યું કે મારા પોતાના રિપોર્ટ માટે મારે બે દિવસ રાહ જોવી પડી હતી અને આ દરમિયાન હું ક્રુઝ પર જ હતો. આ સમય દરમિયાન હું ક્રુઝ પર જાહેર જગ્યાએ દરેક સાથે સંપર્કમાં હતો. તો આ સમયગાળા દરમિયાન કોઈને પણ ચેપ લાગી શકે. શિપ પર રહેલા દરેક લોકો એકદમ કન્ફ્યુઝડ હતા અને તેઓ પાસે કોઈ પણ પ્રકારની પ્રાયમરી ઇન્ફોર્મેશન પણ ન હતી કે કઈ રીતે પ્રિવેંટિવ એક્શન લઈ શકાય. એમ્બ્યુલન્સમાં પેસેન્જરને ટ્રાન્સફર કરતા બધા જોઈ રહ્યા હતા પણ કોઈને ફાઇનલ આંકડો જણાવાયો ન હતો. કેટલાક પેસેન્જર્સની ફરિયાદ એ પણ હતી કે અમારું સ્ક્રીનીંગ વ્યવસ્થિત કરાયું નથી. સરખી રીતે થર્મોમીટર મુકયા વગર અમારા ચેક અપ કરવામાં આવી રહ્યા હતા, જેનાથી કેટલાક લોકો ખરેખર અસંતૃષ્ટ હતા. 

11 ફેબ્રુઆરી 2020 ના રોજ એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે 1850 જેટલા લોકોને હાલમાં દવાની જરૂરિયાત છે અને શિપ પર હવે આટલા લાંબા ગાળા માટે દવાનો જથ્થો ટકી શકે એમ નથી. કેટલાક લોકોએ જાપાનના રાષ્ટ્રધ્વજ પર 'દવાની અછત' અને 'થેંક્યું મીડિયા' જેવા સૂત્રો લખીને કિનારા પર લહેરાવ્યા. 

એલન સ્ટીલ નામના એક મુસાફરે જણાવ્યુ કે અમને એક કેદી જેવો અનુભવ થઈ રહ્યો હતો જેને પોતાના ગુનાની જ ખબર ના હોય. ધીમે ધીમે પેસેન્જર્સ પોતાને મળતા ફૂડ થી લઈને માસ્ક સુધીના બધા જ ફોટા ટ્વીટર અને અન્ય સોશિઅલ મીડિયા દ્વારા વહેતા કરવા માંડ્યા. શરૂઆતના દિવસોમાં ખરેખર કોની ગફલત થઈ એ જવાબદારી નક્કી કરવામાં જાપાન સરકાર થાપ ખાઈ ગઈ. દરેક પેસેન્જર્સને એકબીજાથી મિનિમમ 6 ફુટ દૂર રહેવાની સૂચના આપાઈ હતી. કેટલાક બાયોએથીસ્ટ અને અન્ય એક્સપર્ટના મત મુજબ લોકોને ગોંધી રાખવા એ વધુ ભયજનક હતું. કારણ કે આખેઆખું શિપ પોતે એક કોરોના વાઇરસ ઈંક્યુબેટર તરીકે કામ કરી રહ્યું હતું. વાઇરસને એક લિમિટેડ જગ્યામાં ફેલાવા માટે વધુ લોકોની ગીચતા મળી રહી હતી. ટોરેંટો યુનિવર્સિટીના એપિડેમીઓલોજીના પ્રોફેસર ડેવિડ ફિશમેનના મતે આ શિપ એક વાઇરસ કન્ટેનર બની ગયું છે જેમાં લોકોને પણ સાથે રાખવામાં આવ્યા છે. કેલી હિલ્સ નામના બાયોએથીસ્ટના મતે ક્રૂઝની સપાટી વાઇરસના ચિપકવા માટે એકદમ અનુકૂળ છે. જે વાઇરસને આ શિપ પર જ જકડી રાખે છે. ઇન્ફેક્શન ડીસિઝ સ્પેસિયાલિસ્ટ કેન્ટારો ઈવાટાએ એક યુટ્યુબ વિડિયો દ્વારા શિપની પોલ ખોલી. જેમાં તેણે કહ્યું કે ઇન્ફેક્શન કંટ્રોલને લગતા કોઈ જ સ્ટાન્ડર્ડ આ ક્રુઝમાં જળવાતા નથી. ગ્રીન ઝોન અને રેડ ઝોન વચ્ચે કોઈ જ સ્પેસિફિક અંતર રાખવામાં આવ્યું નથી. આ શિપ પરના કેટલાક યાત્રીઓ કે જે ખરેખર કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ પણ નથી તેઓએ નારાજગી વ્યક્ત કરી કે તેમને શા માટે આટલા દિવસો સુધી કેદી બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોને ક્રૂ મેમ્બર્સ તેના રૂમમાં જ સર્વ કરી રહયા હતા, પરંતુ દરેક માટે એક જ ગ્લોવ્ઝ પહેરીને આ કામ કરી રહ્યા હતા. વળી, આ લોકો આખા શિપની સેવા કરીને પોતે પાછા ભેગા મળીને જમતા હતા. સોનાલી ઠક્કર નામની એક ભારતીય ક્રુઝ વર્કરના જણાવ્યા મુજબ પ્રથમ સપ્તાહે નીકળેલા કોરોના પોઝિટિવ કેસોમાં 140 જેટલા તો ક્રૂ વર્કર્સ જ હતા.

જાપાનના ડીસીઝ કન્ટ્રોલ અને પ્રિવેંશન સેન્ટરના ડિરેક્ટર ડો. નોરીઓ ઓહમાગરીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે માનવાધિકાર અને અન્ય લોકોની નારાજગી છતાં આ કઠોર નિર્ણય લેવો એકદમ જરૂરી હતો અને એટલા માટે જ આ ક્રુઝને ત્યાં ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. જ્યારે પોઝિટિવ આંકડો 200 ને પાર થયો ત્યારે કેટલાક લોકો ક્રુઝને જ પોતાનો અંતિમ પડાવ માની રહયા હતા. હવે એ લોકોને જમીન નસીબ થશે કે કેમ એ જ એક કોયડો બની ગયો હતો. આખરે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ જાપાનની મિનિસ્ટ્રીએ એક નિર્ણય લીધો. 80 વર્ષથી ઉપરના લોકો પોતાનો ક્વોરોન્ટાઇન પિરિયડ જમીન પર તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં પૂરો કરી શકે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે જાપાનની મિનિસ્ટ્રીએ ક્રુઝ પર ફૂલોના ગુલદસ્તાઓ અને ચોકલેટ્સ પણ મોકલ્યા. તે ગમે તેમ કરીને લોકોના હમદર્દ બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શિપ પરથી જમીન પર ટ્રાન્સફર કરાયેલા પોઝિટિવ કેસોમાંથી પ્રથમ મૃત્યુ 18 ફેબ્રુઆરી 2020 ના રોજ થયું. એક સાથે બે વ્યક્તિએ દમ તોડ્યો. તે પછી 5 દિવસના ગાળામાં બીજા 4 લોકોએ પણ દમ તોડ્યો. આ તમામ 6 મૃતકોમાંથી 5ની ઉંમર 70 વર્ષથી પણ વધારે હતી. પછીના અઠવાડિયામાં 240 ક્રૂ મેમ્બર્સને પણ ટ્રાન્સફર કરીને ટોક્યો શહેરની બહાર બનાવાયેલા ક્વોરોન્ટાઈન એરિયામાં બીજા 14 દિવસ માટે નજર કેદ કરવામાં આવ્યા. બહાર નીકળેલા બધા જ પેસેન્જરોમાંથી કેટલાય લોકો પોતાના ઘરે કે પોતાના દેશમાં પહોંચીને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

જાપાન સરકાર માટે ના ગળાય કે ના થૂંકાય એવી રીતે માથાનો દુખાવો બની ગયેલું આ શિપ હજુ ખાલી થાય એ પહેલા તો પ્રિન્સેસ કાર્નિવલ કંપનીનું જ બીજું એક ક્રુઝ આવી જ રીતે સાન્ફ્રાન્સિસ્કોના કાંઠે ક્વોરોન્ટાઈન થઈને તૈયાર પડ્યુ છે. ગ્રાન્ડ પ્રિન્સેસ નામના આ જહાજ પર પણ અત્યાર સુધીમાં 21 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે અને 45 લોકોના ટેસ્ટ રિઝલ્ટ હજુ આવવાના બાકી છે. ભગવાનની દયાથી હજુ કોઈ મૃત્યુ થયું નથી પરંતુ યોકોહામાના કાંઠે જે ટ્રેજેડી બની ગઈ તેના પરથી શીખીને તેવી જ ભુલોનું પુનરાવર્તન આ ક્રુઝ પર ના થાય એવી જ પ્રભુને પ્રાર્થના.
 

(નોંધ: આ લેખ ન્યુયોર્ક ટાઈમ્સ, બિઝનેશ ઇનસાઈડર, સીએનએન ન્યૂઝલેટર્સ, સાયન્સન્યુઝ તેમજ જાપાન ટાઈમ્સ જેવા પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્કમાંથી સંકલિત કરેલ છે.)


સુપર ઓવર: કોરોના વાઇરસ માટે ન્યુયોર્કમાં એક કોંફરન્સ યોજાવાની હતી જે હવે કોરોનાને કારણે જ બંદ રહી છે.

Monday, December 23, 2019

હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?



"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ." 

આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ તેને પોતાની ફરજમાં રુકાવટ કરવા માટે રોકી શકે ખરી? એક ફાર્મસિસ્ટ તરીકે હું જ્યારે દિવસમાં સેંકડો લોકોને દવાઓ આપતો હોવ ત્યારે જે વિશ્વાસ અને સલાહ હું દર્દીને આપતો હોવ એ જ દવાને જ્યારે હું કોઈ સંબંધીઓને કે ઘરમાં ઉપયોગમાં લેવાની થાય ત્યારે એ દવા વિશે મિત્ર ડોકટરની સલાહ લેવાનું અનિવાર્ય સમજુ છું. આવું કેમ થાય છે? શું પોતાના પર અજમાઈશ કરવામાં નિષ્ફળ જવાથી ડરીએ છીએ કે પછી પોતાના પર વિશ્વાસનો અભાવ હોય છે? ના, પોતાના શિક્ષણ કે નોલેજ ઉપર જરાય શંકા નથી હોતી. એક રીતે આ તરફથી કોઈ વાંધો નથી હોતો. પણ આપણી સાથે જેનો તાર જોડાયેલો છે એ સામે છેડે થોડીઘણી લાગણીઓ જન્મે છે એ આ તાર વાટે આપણા સુધી પહોંચીને આપણા મનોબળમાં ખચકાટ પેદા કરે છે. આવા સમયે ટ્રીટમેન્ટ મેળવનારનો રિસ્પોન્સ આપણી લાગણીઓ અને આપણા વર્તન સાથે સીધો જ વણાઈ જાય છે. એ રિસ્પોન્સ સારો હોય કે નરસો હોય, થોડી ઘણી અજાણતાં અસર તો પહોચાડે જ છે. પરંતુ આવું દરેક માટે સાચું હોય એમ બ્રહ્મવાક્ય માની લેવાની જરૂર પણ નથી. મેં એવા ડોક્ટરના કિસ્સા સાંભળ્યા છે કે જેણે પોતાની જ પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરીને પ્રસુતિ કરાવી હોય. ત્યારે તેનો હાથ ધ્રુજયો કે નહિ એ વાત ગૌણ બની જાય છે, મહત્વનું એ છે કે પોતે એ કરવા માનસિક રીતે તૈયાર કઇ રીતે થઈ શક્યા હશે?

આ વાત ફક્ત ડોક્ટર સુધી સીમિત ન રહેતા દવાખાનામાં કામ કરતા નર્સિંગ તેમજ અન્ય પેરા મેડીકલ્સને પણ સરખી રીતે જ લાગુ પડે છે. નર્સિંગ સ્ટાફ સ્કિલ્સની સાથે સાથે લાગણી અને મમતા માટે પણ જાણીતો છે. હા, ક્યારેક ખાનગી કે (ખાસ કરીને) સરકારી દવાખાનામાં ચીસો પાડીને દર્દીઓને ધમકાવીને સાજા કરતી નર્સ પણ જોવા મળે છે પરંતુ આ માટે શું તેનો આવેશ કે કટુતા હંમેશા એવી જ હોય છે કે પછી અમુક કડવા અનુભવો તેમને આવું બનવા માટે મજબૂર કરે છે? આજકાલ દવાખાનામાં અને તેમાં પણ ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં વધી રહેલી હિંસા તો આવું થવા પ્રેરતી નહિ હોઈને? કદાચ કડવા અનુભવોએ તેને એટલા લાગણીવિહીન તો નથી બનાવી દીધાને કે જ્યાં ખરેખર દર્દીને વિશ્વાસ અને હૂંફની સાથે પોતાની માંદગીમાંથી ઉભા થવા માટે જે પ્રેરણાની જરૂર હોય છે તેનો જ દુષ્કાળ પડવા માંડ્યો હોય. દૂધનો દાઝયો છાસ પણ ફૂંકીને પીવે એ કહેવત અનુસાર કદાચ હવે દર્દીઓના દર્દથી વૈરાગ્ય આવી ગયો હોય એવું પણ બને. આજકાલ દર્દીઓની ટ્રીટમેન્ટ સાથે તેના કન્સેન્ટ પર ડોક્ટરનું વધુ ધ્યાન હોય છે. જોકે દર્દીઓની તોફાની લાગણીઓના ઘોડાપુર સામે આ કન્સેન્ટ ફોર્મની કોઈ જ વિસાત રહેતી નથી. આમ દવાખાનું એ હરખ, દુઃખ, ગુસ્સો, શરમ, ડર, ઘૃણા, આશ્ચર્ય, સંતોષ, રાહત એમ હાસ્યથી લઈને રુદન સુધીના તમામ આવેગોનો ઘાટ છે.



જુદા જુદા દર્દીઓ સાથે એક જ પ્રકારનું વર્તન અને એક જ પ્રકારની સારવાર શક્ય જ નથી. કૃત્રિમ રીતે પણ કદાચ તમે થોડા દિવસ અજમાવી શકો પરંતુ ત્યારબાદ કસ્ટમર કોલ એક્ઝિક્યુટિવ જેવી નકલી કૃત્રિમતા વધુ સમય તમને ચલાવી શકતી નથી. દરેક દર્દી સાથે ફ્રિકવન્સી મેચ કરવાની લ્હાયમાં ક્યાંક પોતાની મૂળ ફ્રિકવન્સી જ ખોવાઈ ના જાય એ પણ જરૂરી બની રહે છે. તો શું ડો. અસ્થાનાની વાત એકદમ સાચી કે દર્દીઓ જોડે હમદર્દીને કોઈ સ્થાન નથી? કેટલાક અસાધ્ય રોગો કે કેટલાક માનસિક રોગો કે જેમાં ફક્ત હિંમત અને પ્રેરણા તથા હોસ્પિટલનું વાતાવરણ જ દર્દી માટે જીવવાનો એકમાત્ર વિકલ્પ છે ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં દવા કરતા લાગણીનું લિસ્ટ વધી જાય છે. રહી વાત કબીરસિંધ જેવા માથા ફરેલ ડોકટરોની તો તેઓ પણ પોતાની લાગણીઓને આધીન છે અને આ લાગણીઓ જ્યાં સુધી પોતાના સુધી સીમિત રાખીને પોતાની અંદરના ડોકટરને પોતાનું કામ કરવા દે ત્યાં સુધી કોઈની સીમાઓનું ઉલ્લંઘન થાય એવું લાગતું નથી. પોતાના આવેગો પર કાબુ રાખ્યા વગર કામ કરનાર કોઈપણનો ગુનો અક્ષમ્ય બને છે પછી તે મેડિકલ સિવાયનો કોઈ પણ પ્રોફેશન કેમ ના હોય. આવેગોને પોતાના ઓફિસના ટેબલ પર ઓગાળતા સૌથી વધુ ઉદાહરણો કોર્પોરેટ વર્લ્ડમાં મળે છે. પણ અહીં લાગણીઓને પોતાના પર હાવી કરી દેવામાં જે નુકશાન છે તેની સાપેક્ષે માનવદેહ સાથે પ્રત્યક્ષ કામ પાર પાડનારા લોકોની લાગણીસહજ ભૂલો વધુ ઝડપથી અને વધુ સારી રીતે દ્રષ્ટિગોચર થાય છે અને તેના કારણે જ આવી જગ્યાઓ પર ઇમોશનલ અત્યાચારો થવાની શક્યતાઓ પણ હજાર ગણી વધી જાય છે. આ લેખમાં દર પાંચમી લાઈનમાં આવતો લાગણી શબ્દ ખરેખર બે ધારની તલવાર જેવો છે, તમારી પોતાની લાગણીઓને કાબુમાં રાખી તમે બચી નહીં શકો, સામેના લોકોની લાગણીઓ પણ એટલી જ મહત્વની છે. એક્સિડન્ટ ન થવા માટે એકલા તમને જ વાહન ચલાવતા આવડે એવું અભિમાન રાખવું પૂરતું નથી, સામેથી કે પાછળથી આવતા કરતબકારો પણ તમને આ બાબતે ખોટા પાડી શકે છે.


સુપર ઓવર: મારામારીની ઘટના બાદ  પોસ્ટમોર્ટમ માટે આવેલા મૃતદેહ પાસે ઉભેલા ડોકટરને બહારથી આદેશ આવ્યો, "રિપોર્ટમાં હાર્ટએટેક જ લખવાનું છે, હો." પછી શું? બીજું તો કાઈ કરી શકે એમ ન હોઈ ડોકટરે બધો જ ગુસ્સો સ્કાલપેલ વડે મૃતદેહ પર કાઢ્યો.

Sunday, August 4, 2019

NMC બિલ: કેટલી ખેંચ કેટલી ઢીલ?


"આજે સાંજે આઠ વાગ્યાથી હવે પછી કોલેજમાંથી બહાર આવનારા MBBSની ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ માટે રદ કરવામાં આવે છે...."☺️☺️☺️
કંઈક આવું જ જાણે થવા જઈ રહ્યું હોય એવો માહોલ ઉભો થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડીમોનિટાઇઝેશનની હાકલ પડી હોય એવું લાગે છે. નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં પાસ થયું ત્યારથી અથવા કહો કે એ પહેલાથી જ વાતાવરણ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથો સાથે ગુંજી રહ્યું હતું. કાનપુર મેડિકલ કોલેજમાં લગભગ એક દશકો વિતાવીને ભણેલા ઇએનટી સર્જન ડૉ.હર્ષવર્ધન જ્યારે હેલ્થમિનિસ્ટર તરીકે સંસદમાં આ બિલનું વર્ણન કરતા હોય ત્યારે બધા ડોકટરોને જાણે આ મંત્રી પોતાના પ્રોફેશનનો ગદ્દાર હોય એવું લાગવા માંડ્યું. જોકે આ બિલના પડઘમ તો એક વર્ષ પહેલાથી જ વાગવા માંડ્યા હતા, આ તો નવી ટર્મમાં ડૉ.હર્ષવર્ધનનું બેસવું અને NMC નું પડવું એવું થયું.


👉 NMC બિલ લાવવાનું કારણ શું?

NMC બિલ મુખ્યત્વે બે બાબતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
  • MCIમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર દૂર કરવો.
  • ગ્રામ્ય વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવી.

MCI વર્ષોથી આપણા દેશમાં મેડિકલ એજ્યુકેશનને રેગ્યુલેટ કરતી આવી છે. કોઈ એક IAS ઓફિસર પણ એક જગ્યાએ પગ જમાવે તો એ ધીમે ધીમે ભ્રષ્ટાચારનો રોટલો ચાખતો થઈ શકે અને આ તો વર્ષોથી 'જૈસે થે જય હિન્દ' વાળી કાઉન્સિલ એટલે પેઘી જાય એ તો વ્યાજબી છે. થોડા થોડા સમયે તેનું વેલીડેશન અને કેલિબ્રેશન તો થવું જ જોઈએ. તો સમજો કે આ NMC એ એક આવી જ પ્રોસેસ છે. સાત થી આઠ વર્ષ પહેલા કેતન દેસાઈ કાંડ બહાર આવ્યું હતું એ આપણે સૌ જાણીએ છીએ. પણ ફક્ત આ એકાદ કાંડને ધ્યાને લઈને સોટી ઉપાડવામાં આવી એવું નથી. ખર્ચાળ મેડિકલ એજ્યુકેશન, પ્રાઇવેટ યુનિવર્સીટીઓની જોહુકમી, જુદી જુદી સંસ્થામાંથી બહાર નીકળતા નવા ડોકટરો વચ્ચે જોવા મળતો જમીન આસમાનનો ફરક આ દરેક વાતને ધ્યાને લઈને કંઈક નવું કરવાની કોશિશ થઈ રહી છે.

વળી, ડોકટરોની ગ્રામ્ય કક્ષાએ સેવા આપવામાં જોવા મળતી ઉદાસીનતા પણ અંતે NMCમાં પરિણમી હોય એવું લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના માણસ સુધી આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં ડોકટરને પહોચાડવો એ એક અઘરું કામ છે અને આ કામને હાથમાં લઈને સરકાર કદાચ ઘણા જુના કોડ અને એકટને એકબાજુ મૂકીને (દુઃ)સાહસી પગલું ભરી રહી છે.

👉 NMC બિલ ઊડતી નજરે

નેશનલ મેડિકલ કમિશન એક એવું કમિશન બનશે કે જેનો હાથ હમેંશા MCIની ઉપર જ રહેશે. મોટાભાગના નિર્ણયો લેવાની સતા આ કમિશનના સભ્યો પાસે જ રહેશે, જેમાં રોટેશન પોલિસી મુજબ જુદા જુદા રાજ્યોમાંથી 11 સભ્યો, MCIના 5 સભ્યો, જુદી જુદી યુનિવર્સિટીના 6 વાઇસ ચાન્સેલર, 2 સભ્યો કોઇપણ ઓટોનોમસ બોર્ડના અને 1 સભ્ય સર્ચ કમિટી નક્કી કરે એ. આમ કુલ 25 સભ્યો આ કમિશનના કર્તાહર્તા બનશે. જોકે લાંબી સંસદીય ચર્ચાઓ બાદ આ બિલના નવા અમેન્ડમેન્ટમાં MCIના 5ને બદલે 9 અને વાઇસ ચાન્સેલર 6 માંથી 10 સભ્યો કરવામાં આવશે એવી સરકારે ખાતરી આપી છે. આવી રીતે MCIના એકચક્રીય શાસનનો અંત આવશે એવું લાગી રહ્યુ છે.


આ સિવાય NMC મેડિકલ એજ્યુકેશનમાં એક નવો યુગ લાવવા માંગે છે એવું લાગે છે. હજુ તો NEET ને માંડ પચાવતા શીખ્યા હતા, ત્યાંજ આગળ જતા NEXT નું કડવું કારેલું સામે ધરી દેવામાં આવ્યું. નેશનલ એક્ઝીટ ટેસ્ટના રૂપે હવે એક વધારાનું લેવલ નવા બહાર આવનારા MBBS વિદ્યાર્થીઓએ એકેડેમિક ફાઇનલ એક્ઝામની સાથે પાર કરવું પડશે. NEXT પાસ કરેલ વ્યક્તિને જ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ માટે લાઇસન્સ આપવામાં આવશે. વળી વિદેશથી લાખેરી MBBSની ડિગ્રી લઈને આવતા દેશી પંખીડાઓને પણ હવે MCIની ટેસ્ટને બદલે NEXT જ આપવી પડશે. મતલબ કે હવે બધા માટે એક જ ફિલ્ટરમાંથી પસાર થવાનું રહેશે. જેવી રીતે સીતાએ સીતા હોવાનું પ્રમાણ આપવા અગ્નિપરીક્ષા આપેલી એવી જ રીતે હવે ડોકટરોએ ડોકટર હોવાનું પ્રમાણ આપવા આ અગનખેલ ખેલવો જ રહ્યો.

આગળ વાત કરી એમ MCIના ભ્રષ્ટાચારને ડામવા હવે  ફી નિયમનની પ્રક્રિયા પણ NMC પોતાના હાથમાં લેવા જઇ રહી છે. આપણા દેશમાં આશરે કુલ મળીને 80000 ની આસપાસ મેડિકલ સીટ અવેલેબલ છે, જેમાંથી આશરે 40000 જેટલી સીટ ગવર્નમેન્ટ કોલેજોની છે અને બાકીની 40000 પ્રાઇવેટ કોલેજોની છે. આ પ્રાઇવેટ કોલેજનું ફી માળખું હવે પછી 50% બેઠકો પર NMC નક્કી કરશે અને બાકીની 50% બેઠકો રાજ્ય સરકાર કેન્દ્રના નિયમોની મર્યાદામાં નક્કી કરશે. જોઈએ હવે આ નવું સ્ટ્રક્ચર કેટલું ખિસ્સાને માફક આવે!

સૌથી કોન્ટ્રોવર્સીલ મુદ્દો આ બીલનો એ છે કે હવે ગ્રામ્ય કક્ષાએ નવા મિડલાઈન હેલ્થ પ્રોવાઇડર ઉભા કરવામાં આવશે, જેને કેટલીક દવા પ્રિસ્ક્રાઇબ કરવાનું વરદાન આપવામાં આવશે અને ધીમે ધીમે એ હેલ્થ પ્રોવાઇડર તરીકે બીએસસી નર્સિંગ કે આયુષ ડોકટરોને હોડમાં મુકવામાં આવશે. જોકે હજુ આ પોસ્ટ માટે ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવી નથી. ફક્ત ઉદાહરણ રૂપે નર્સિંગ કેડરને મુકવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટર આ અંગે સંસદમાં પોતાની સ્પીચમાં સફાઈ પણ આપી ચુક્યા છે કે આ મિડ હેલ્થ પ્રોવાઇડર માટે જરૂરી કોર્ષનું સ્ટ્રક્ચર આગામી સમયમાં નક્કી કરવામાં આવશે જેમાં અત્યારે ચાલી રહેલા છ મહિનાના બ્રિજવાસી કોર્ષનો આઈડિયા પડતો મુકવામાં આવશે અને એક નવો જ કોર્ષ જરૂરિયાતને અનુરૂપ સમયસીમા નક્કી કરીને આગામી નવ મહિનામાં NMC નક્કી કરશે. એટલે કે કોર્ષનો સમયગાળો, તેના માટે એલિજીબલ કેન્ડીડેટ્સ હજુ કમિશન નક્કી કરશે. આ ઉપરાંત NEXT નું સ્ટ્રક્ચર પણ ઘડતા આગામી 3 વર્ષ લાગશે એવું સરકાર માની રહી છે. સો જસ્ટ ટેક અ ચિલ પિલ ફોર અ વ્હાઇલ.

👉 ડોકટર કેમ નારાજ છે?


અહીં નારાજની યાદીમાં ફક્ત MBBS ડોકટરને જ ગણવા. કારણકે બીજા નોન એલોપેથી ડોકટરો કદાચ ખુશ હશે કે તેને પણ એલોપેથી ડોકટરો જેવો દરજ્જો મળવા જઈ રહ્યો છે. અરે આયુષ અને હોમિયોની સાથે કેટલોક પેરામેડીકલ સ્ટાફ પણ હવે ધીમે ધીમે મલકાઈ રહ્યો છે, જે તેની ઉતાવળ છે. વર્ષોની મહેનત બાદ બનતા MBBS ડોકટરો કઈ રીતે સહન કરી લે કે કોઈ નોન એલોપેથી ક્રિએચર આવીને તેનો ઇજારો લઈ જાય. એક માનવસહજ લાગણી કહો કે ખામી પણ બીજાને આગળ આવતા જોઈને આપણે પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂસવામાં વધુ શક્તિ વાપરીએ છીએ. આપણે ત્યાં એક સંસ્કૃતિ ઉભી થઈ છે કે ભણીગણીને સેટ તો એવા જ શહેરમાં થવું જ્યાં સુખસગવડ ઉપરાંતની વૈભવી જીવનશૈલી મળી રહે. બસ આ માનsickતાએ ડોકટરોને આજે રસ્તા પર લાવી દીધા છે. વર્ષોની મહેનત બાદ આ લોકો ખરેખર હકથી પોતાનો વૈભવ અને સ્થાન નક્કી કરી શકે એમાં કોઈ તેની સ્વતંત્રતા છીનવી ના શકે, પરંતુ આને કારણે વ્યવસ્થામાં જે છીંડું પડી રહ્યું છે તેને થિંગડું પણ ના મારવા દેવું એ વળી ક્યાંની દાદાગીરી? ઉપરથી પોતાના સુપિરિયારીટી કોમ્પ્લેક્સને પોષીને બીજા ડોકટરોને જોલાછાપ અને અણઘડ કહીને તેને ઉતારી પાડવામાં આવે છે, જે ખરેખર નિંદનીય છે. જો MBBS એવું માની રહ્યા હોય કે આ લોકોને લીગલાઈઝ કરવાથી દર્દીઓની હાલાકીમાં વધારો થશે તો જાણી લેવું કે હાલમાં પણ દસ નાપાસ ડેક્ષાપેથી ડૉક્ટરોની કોઈ અછત નથી. જો એ લોકો આ પ્રેક્ટિસ બિન્દાસ કરતા હોય તો તેના કરતા આ વિષયને ભલે અધુરો તો અધુરો પણ જાણનાર વ્યક્તિ કામ કરે તો આ કહેવાતા જોલાછાપની દુકાન બંદ થઈ શકે એવી આશા રાખી શકાય. જોકે આમાં નોન એલોપેથી ડોકટરો પણ પોતાની ખામીઓ સામે ચાલીને સ્વીકારતા હોય એવું લાગે છે. શું તમને તમારી પોતાની પેથી ઉપર વિશ્વાસ નથી કે તમારે બીજાની પેથી ઉછીની લઈને હરખાવુ પડે છે. જો વિશ્વાસ જ નથી તો આ ફિલ્ડમાં આવીને તમે એવી જ આકાંક્ષા રાખી હશે કે કોઈપણ પેથી હોય આપણે તો પેરાસીટામોલ જ દેવાની છે ને ! વળી, હાલમાં ગ્રામ્ય કક્ષાએ કામ કરતા હેલ્થ વર્કરો જ ઓલરેડી મોટાભાગની દવાઓ બિન્દાસ વાપરી રહ્યા છે, તો હવે જે થવાનું છે તેમાં નવું શું છે?


હા, એક વસ્તુ નવી છે જે ખરેખર ધ્યાને આવે એવી છે. વિદેશથી આવીને NEXT આપનાર અને ભારતમાં ભણીને NEXT આપનાર બંને જો ફેલ થાય તો વિદેશી MBBS લોકલ કરતા એક પગથિયું આગળ કહેવાય. કારણ કે તેની પાસે જે તે દેશની પ્રેક્ટિસ માટેની જોગવાઈ અકબંધ છે કારણકે એ ત્યાંનું લાઇસન્સ ઓલરેડી ધરાવે છે જો એ ત્યાં સેટલ થવા માંગતો હોય તો પછી ભલે તે ભારતમાં એલિજીબલ ના ગણાય પરંતુ આપણો ભારતીય બેચલર ના ઘરનો ના ઘાટનો. આ બાબતમાં ચોખ્ખો વાંધો ઉપાડવાનો અધિકાર ખરો.

👉 અંતિમ ચિંતા

MBBS ડોકટરોની ચિંતા અસ્થાને જરાય નથી, પણ સાથે આ છીંડાને થિંગડું મારવા પોતે શુ કરી શકે એ પ્રયાસ સામે ચાલીને કરે તો કદાચ વ્યવસ્થાને નિયમો મુજબ ગોઠવી શકાય. સરકાર પોતે જ કહે છે કે અમે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ, 1956 ને નેવે મૂકી રહ્યા છીએ તો નારાજગી વ્યાજબી છે. જોકે ડ્રગ એન્ડ કોસ્મેટિક એકટ,1948 જેવા ધારાધોરણો હયાત હોવા છતાં તેનું વાયોલેશન જો ખુલ્લેઆમ થતું હોય તો આ કાઈ નવી વાત નથી. વળી નવા બિલ પ્રમાણે સરકાર એ પણ ખાતરી આપે છે કે ડિગ્રી વગરના અણઘડ ડોકટરોની સજા 1લાખ થી વધારીને 5 લાખ અને 1 વર્ષની કેદ કરવામાં આવી છે, પણ અત્યાર સુધીમાં જુના નિયમ મુજબ કેટલા ટકા પાસેથી 1 લાખ લેવામાં આવ્યા છે તેનો કોઈ હિસાબ ખરો? પરિવર્તન સંસારનો નિયમ છે એ કદાચ સારા માટે હોય કે ખરાબ માટે પણ ઇતિહાસ હંમેશા સાક્ષી રહ્યો છે કે દરેક પરિવર્તન સામે નવી ક્રાંતિ કે વિરોધ તો થવાનો જ અને જો પરિવર્તન ખરેખર બહુ જન હિતાય બહુ જન સુખાય હશે તો જરૂર આ વિરોધના વંટોળ સામે ટકી શકશે. ઘણા વર્ષો સુધી સાઉથ ઇસ્ટ રિજનમાં WHO ના મુખ્ય સલાહકાર રહી ચૂકેલા ડૉ. હર્ષવર્ધન મિડલાઈન હેલ્થ પ્રોવાઇડર માટે ચીન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સંદર્ભ અને WHO ની ગાઈડલાઈનને ભલે આગળ ધરતા હોય પણ એવી જ બીજી ઘણી ગાઈડલાઇન્સ મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફના લાભાર્થે પણ હોય છે જેને સરકાર જાણી જોઈને અવગણી રહી છે. બસ ગમતાનો ગુલાલ કરીને જ ઉડાડવામાં આવી રહ્યો છે. અત્યારે તો આ બિલને 'નરો વા કુંજરો વા' જ કહેવુ રહ્યું. સમય જ નક્કી કરશે કે નવા અમેન્ડમેન્ટ્સ ઉમેરાઈને આવતું તાજું બિલ કોના માટે કેટલું સ્વાદિષ્ટ રહેશે!

સુપર ઓવર: મને ચાની પ્યાલી પકડાવતા છોટુને મેં મજાકમાં પૂછી નાખ્યું,"છોટુ, આ ડોકટરો માટે NEXT ની ટેસ્ટ કેટલી વ્યાજબી છે?" છોટુએ પોતાની આગવી અદામાં કહ્યું," સા'બ, પેલા કોહલી જેવા કોહલીને ભી જો રમવા માટે યો યો ટેસ્ટ આલવી પડતી હોય તો આ ડોકટર લોકોએ તો આલવી જ પડે."

Saturday, June 29, 2019

ફાર્માસિસ્ટ -અ ફરગોટન હીરો



“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...”
“પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી એટલી મેં આપી દીધી.”
“તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે”
આખરે કંટાળીને સરકારી દવાખાનાનો ફાર્માસિસ્ટ બે વધુ ગોળી કાપીને આપે છે એ દર્દીને અને લાઈનમાં તેના પછી ઉભેલો બીજો દર્દી- એ જ સંવાદ અને એજ માંગણી સાથે.

આ સંવાદ કોઈ કરીયાણા ની દુકાન નો હોય એવું લાગે પહેલા તો, પણ લગભગ બધાજ સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ (ઓહ સોરી, તમે ના ઓળખ્યા? પેલો દવાવાળો)ની હાલત આવી જ છે, આખા ભારતભરમાં. ક્યારેક ફાર્માસિસ્ટ શબ્દ સાંભળીને અજુગતું લાગે કે આ વ્યક્તિ નક્કી કોઈ ખેતીના બિઝનેશ સાથે સંકળાયેલો હશે, ખાસ કરીને અધુરો ઘડો માથા પર રાખીને ચાલતા કહેવાતા અંગ્રેજી વિવેચકોને આવું વધુ લાગશે. આમ પણ આપણા દેશમાં ફાર્માસિસ્ટના કાર્યને અને તેની કાબેલીયતને સમજનારા એટલા જ છે જેટલા અમાસની રાત્રે આકાશમાં ચંદ્રદર્શન કરનારા. લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારા બે જ ફાર્માસિસ્ટ છે, એક સરકારી દવાખાનાની દવાની બારીએ જોવા મળતા નાશપ્રાય: જીવો અને બીજા પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ખુબ જ ઓછા અને ભાગ્યે જ જોવા મળતા દુર્લભ જીવો. જેવી રીતે કેટલાક ડોકટરો ફક્ત ખીસ્સો ખાલી કરવામાં જ હોશિયાર હોય છે, તો આ જ ખિસ્સામાં ભાગ પડાવનારા મેડીકલ સ્ટોર હવે સ્વાસ્થ્ય જેવી ગંભીર બાબતોમાં પણ નૈતિક મુલ્યોને નેવે મુકીને લોકોને લુંટવામાં ભાગીદાર બની રહ્યા છે. મેડીકલ સ્ટોરનો આ ટ્રેન્ડ તેના વ્યવસાયિક વલણ ને કારણેજ સામે આવ્યો છે અને તેનું પરિણામ આજે એ આવ્યું છે કે મેડીકલ સ્ટોર માટે જવાબદાર ફાર્માસિસ્ટ, કે જેના ખભા ઉપર જ દવાની જવાબદારી હોય છે એ જ ગાયબ થઇ ગયો છે. મેડીકલ સ્ટોરમા આજે જવલ્લે જ ફાર્માસિસ્ટ જોવા મળે છે, બાકી તો ‘કે’ થી કેમેસ્ટ્રી નો સ્પેલીંગ શરુ કરનારા કેમિસ્ટ જ મળશે. આ કહેવાતા ‘કે’ ફોર કેમિસ્ટ લોકોએ જ આજે ક્વોલીફાઈડ અને રજીસ્ટ્રેશન ધરાવતા ફાર્માસિસ્ટની જરૂરીયાતને ઓલવી નાખીને તેને દુર્લભ બનાવી દીધા છે.

હજુ દવાના સંશોધન થી માંડીને દવાની બનાવટ અને ટેસ્ટીંગ કરતો વ્યક્તિ પોતાની જાતને ફાર્માસિસ્ટ માની શકે છે, પરંતુ એ જ દવાને લોકો સુધી પ્રત્યક્ષ રીતે પહોચાડતા વ્યક્તિની ઓળખ હવે ફક્ત દવા દેવાવાળા તરીકે જ સીમિત થઇ ગઈ છે. સરકારી દવાખાનામા ફાર્માસિસ્ટની હાલત માટે હવે આપણે કોને ગુનેગાર ઠેરવશું? આપણી હેલ્થ સીસ્ટમને; લોકોની મફત મનોવૃતીને; ગર્વનો ઘડો છલકાવી દે એવી ભારતની વસ્તીને કે ફાર્માસિસ્ટની પોતાની નિષ્ક્રિયતાને?

દેવોના વૈધ ધન્વન્તરીને કેટલાક લોકો પ્રથમ ડોક્ટર માને છે તો કેટલાક (ખરેખર તો બહુ ઓછા) ફાર્માસિસ્ટ માને છે. બંને સાચા છે. ધન્વન્તરી પોતે જ ઔષધિની શોધખોળ કરતા, તૈયાર કરતા અને નક્કી પણ પોતે જ કરતા કે ક્યારે કઈ ઔષધિનો ઉપયોગ કરવો. સમય જતા આજના આ  કાળમાં ધન્વન્તરીની એ જવાબદારીઓના બીજ  બે જુદી જુદી જમીનમાં રોપવામાં આવ્યા. એક બીજમાંથી અંકુર ફૂટ્યું અને સમય જતા એક મોટું વટવૃક્ષ બની ગયું. તો બીજા બીજમાંથી વૃક્ષ થવાને બદલે એક વેલનો જન્મ થયો, જેને વૃક્ષના સહારે જ ઉપર ચડવું શક્ય હતું. જોકે વેલના ફળ એટલા જ મીઠા હતા, જેટલા પેલા વૃક્ષના. કંઇક અંશે બંને ફળના ગુણ પણ લગભગ સરખા જ હતા. આ કરોડરજ્જુ વગરની વેલ એ જ ફાર્માસિસ્ટ.

થોડા સમય પહેલાજ એક ફાર્માસિસ્ટ વિશે સોશિઅલ મીડિયામાં સમાચાર વાંચેલા. સમાચાર કોઈ એક હિન્દી ન્યૂઝપેપરના જ હતા પણ સોશિઅલ મીડિયા પર સવાર થઈને મારા સુધી પહોંચ્યા હતા. કોઈ અંતરિયાળ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ્ટે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના પાડતા દર્દીએ ફાર્મસીસ્ટના હાથપગ તોડી નાખ્યા. ફાર્માસિસ્ટ તો તેના નિયમ મુજબ સાચો હતો કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન અપાય, પણ સામે પક્ષે દર્દી પોતે જ પોતાની દવા નક્કી કરીને ફાર્માસિસ્ટ પાસે માંગવા આવ્યો હતો. આખરે એ 'નિર્દોષ' દર્દીએ લાગણીમાં તણાઈને માંગણી મૂકી દીધી અને માંગણીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પછી શું થયું એ બધું વાંચવાની જરૂર નથી કારણકે એ ન્યૂઝપેપરમાં એ ફાર્માસિસ્ટ ભાઈનો પ્લાસ્ટરથી મઢેલો ફોટો જોઈને બધો અંદાજ આવી જશે.

આ વાંચીને આપણને થશે કે આમાં વળી નવું શું છે? ડોકટરોને પણ તાજેતરમાં આવીજ હિંસાઓ નો ભોગ બનવું પડ્યું છે અને છતાં 'પડ્યા પર પાટું મારે' તેમ કોર્ટે ડોકટરોને લપડાક લગાવી કે આવા બનાવોથી તમે હડતાળ પર ના ઉતરી શકો. તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો નથી પણ તમારો વ્યવસાય લોકોની જિંદગી અને માનવતા સાથે સંકળાયેલો છે.

ફરી આપણે આપણા ભુલાયેલા નાયક તરફ પાછા ફરીએ. કદાચ આપણો નાયક પણ આમાંજ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. કદાચ આપણા દેશની વ્યવસ્થા જ આ ફાર્માસિસ્ટ નામના ફોરેન બોડીને સ્વીકારવા તૈયાર ન હોય એમ તેને દેશની ઇમ્યુન સિસ્ટમ માંથી બહાર કાઢી નાખે છે અને એટલે જ આ સ્વાસ્થ્યનો સેનાની આજે ચીમડાયેલા ફૂલ જેવો થઈ ગયો છે. એવા તો કેટકેટલાય મુદ્દાઓ ને આપણે જવાબદાર ઠેરવી શકીયે પણ પહેલા કેટલાંક ઉડીને આંખે વળગે એવા મુદ્દાઓ જોઈએ.

1. ભારતની વસ્તી

ગર્વથી છાતી ફુલાઈ જાય એવી વસ્તી ધરાવતો આપનો ભારત દેશ. આ વિશાળ વસ્તીને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટેનું મેનેજમેન્ટ પણ હજુ ભારતની જેમ જ વિકાસશીલ છે અને વિકસિત થવાની રાહમાં છે. WHO ના 2016 ના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર એક લાખે 80 ડોકટરો છે અને 50 ફાર્માસિસ્ટ છે. હવે આ 80 ડૉક્ટરોમાં એલોપથી રજીસ્ટર્ડ ડોકટરોની સંખ્યા માત્ર 36 જ છે. બાકીના 44 ડૉક્ટરોમાં  'અડધી કેપસ્યુલ સવારે અને અડધી કેપસ્યુલ સાંજે' લખતા નોન એલોપેથી ડૉક્ટરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામેગામ જનધનને સ્વાસ્થ્ય દુવિધાઓ પુરી પાડતા નોનમેટ્રિક પાસ ડેક્ષાપેથી ડોકટરો તો ખરાં જ. હવે વાત કરીએ પેલા 50 ફાર્મસીસ્ટની તો આ 50 રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ માંથી કેટલાક ઇન્ડસ્ટ્રીયલ તો કેટલાક રિસર્ચ સાથે સંકળાયેલા છે. લોકોના સીધા સંપર્કમાં આવતા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ ની સંખ્યા ખૂબ જ ઓછી છે.

એ તો માનવું જ રહ્યું કે ભારતભરમાં સરકારી દવાખાના કરતા પ્રાઇવેટ દવાખાનાની સંખ્યા અને બોલબાલા વધુ છે. પણ હકીકતમાં ભારતની મોટાભાગની વસ્તી આ સરકારી દવાખાનાઓના સંપર્કમાં જ આવે છે અથવા બીજી રીતે કહીએ તો તેને સરકારી જ પરવડે એમ છે. અમેરિકાની ખોબા જેટલી (ભવ્ય ભારતની સાપેક્ષે) વસ્તીને સાચવવા પણ નિદાન કરતો ડોકટર અલગ અને દવા લખતો ફાર્માસિસ્ટ અલગ હોય છે તો તેની સામે આપણા દેશ માં એક હાથેથી વેકસીનની કોલ્ડ ચેઇન ને ખેંચતો અને બીજા હાથે દર્દીને દવા પુરી પડતો અને વધેલા હાથે સરકારને આંકડા પુરા પાડતા ફાર્માસિસ્ટ પાસે શુ અપેક્ષા રાખી શકાય? ધારોકે આ સરકારી દવાખાના નો ફાર્માસિસ્ટ બાંયો ચડાવીને દર્દીને દવાની આડઅસરો કે દવા લેવાની પદ્ધતિને વિગતવાર સમજાવી પણ દે તો એટલા સમયમાં લાંબી કતારમાં ઉભેલા પાછળના દર્દી ધીરજ ગુમાવીને પોતાની બાંયો ના ચડાવે તેની શું ખાતરી?

2. શિક્ષણ પ્રણાલી

ભવ્ય ભારતની ભવ્ય વસ્તીને ભવ્ય રોજગાર (હકીકતમાં તો બેરોજગાર) પૂરો પાડવા માટે આપણા ભવ્ય નેતાઓએ ભવ્ય સંખ્યામાં કોલેજોની રિબન કાપી નાખી અને આ ભવ્ય કોલેજોમાંથી બહાર નીકળતી ભવ્ય યુવાની આ જ કેરિયર માં આગળ પેટનો ખાડો પૂરવા માટે વલખાં મારે છે. ફાર્મસીની કોલેજોનો રાફળો પણ છેલ્લા અમુક વર્ષોમાં એવી રીતે ફાટ્યો કે કદાચ બધા જ યુવાનો પ્રવેશ મેળવી લે તો પણ જગ્યાઓ ખાલી પડે અને પછી એ ખાલી પડેલી જગ્યાની 'હરાજી' થાય એ તો નક્કી છે. ક્વોન્ટીટી ની ભીડમાં એટલે જ શિક્ષણની અને શિક્ષણ મેળવતા ફાર્માસિસ્ટ ની ક્વોલિટી સાથે ચેડાં શરૂ થયા. વાત કરીએ આ શિક્ષણ સંસ્થામાં ભણાવાતા અભ્યાસક્રમની તો એ અભ્યાસક્રમ જોયા પછી એમ જ લાગે કે દરેક વિદ્યાર્થી કોઈને કોઈ દવાનું સંશોધન તો જરૂર કરશે. પણ દવાના સંશોધન અને તેના ઔદ્યોગિકરણ ને સમજાવતો અભ્યાસક્રમ કોમ્યુનીટી માં ફાર્માસિસ્ટ ની ફરજો શીખવવામાં નિષ્ફળ રહ્યો છે. વળી, દવાના જન્મથી મરણ સુધીની બાયોગ્રાફી જાણતો ફાર્માસિસ્ટ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માં પણ કોઈક બીજી જ પ્રજાતિ ( કદાચ તમે ઓળખતા હશો)ના માણસો સાથે સીધો હરીફાઈ માં આવે છે. શું ખબર એ પ્રજાતિ ને પણ આવો જ કોઈ અભ્યાસક્રમ બીજું કોઈ લેબલ મારીને ભણાવી દેવાયો હશે. કદાચ એટલે જ ભારતની વિવિધતામાં એકતા જગ જાહેર છે.

ભૂલવા માટે પહેલા યાદ હોવું જરૂરી છે. પણ જો ભુલાયેલું યાદ ન આવતું હોય તો સમજી લેવું કે આ યાદ પહેલા જ આપણા માનસપટ પર ક્યારેય છાપ પાડી શકી નથી. આવું જ કંઈક આપણા નાયકનું છે. ભારતની વસ્તી અને શિક્ષણ પ્રણાલી ઉપરાંત જે મુદ્દા આજે ફાર્માસિસ્ટને આરોગ્ય સેનામાંથી નાત બહાર મુકવા માટે કારણભૂત છે એ છે:

3. ફાર્માસિસ્ટની ઉપેક્ષા
      
ભારતદેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર આ ફાર્માસિસ્ટ નામક નાયક ખરેખર પોતાની કામગીરીનો યશ લેવામાં ઉણો ઉતર્યો છે. આજે પોલિયો જેવો અસાધ્ય રોગ નાબૂદ થયો એમાં સરકારથી લઈને છેવાડાના આશા બહેનો અને હેલ્થવર્કરો સુધીના  આરોગ્યકર્મીઓની પીઠ થપથપાવામાં આવી. પણ આ પોલીયો રસીને બનાવટથી બાળકના મુખ સુધી લઇ જતા પહેલા ફિક્સ ડિપોઝીટ તરીકે સાચવી રાખનાર ફાર્માસિસ્ટ ને વ્યાજના નામે શૂન્ય મળ્યું. આરોગ્યકર્મી સિવાયના આ અભિયાનના સિપાહીઓ એવા શિક્ષકો પણ આ અભિયાનની સફળતાનો યશ લેવામાં ચુકતા નથી, પણ પેલો 'દો બુંદ' ને સાચવવા વાળો જ અદ્રશ્ય થઈ ગયો. 

ટીબી જેવી મહામારીમાં સફળતાપૂર્વક યોગ્ય કાઉન્સેલિંગ કરી જાણતો ફાર્માસિસ્ટ આજે ફક્ત આંકડાકીય વિગતો માટે જ મર્યાદિત થઈ ગયો છે. ફાર્માસિસ્ટ કદાચ આ વાત વર્ષોથી જાણતો હતો (તો કીધું કેમ નહીં?) કે ટીબીની એકાંતરે મળતી દવાની સારવાર કરતા ડેઇલી ફિક્સ ડોઝ સારવારની પોલિસિ દર્દીની સરળતા વધારી શકે અને ડ્રગ રજીસ્ટન્સ ના કિસ્સાઓ ઓછા કરી શકે છે. પણ આ વાત આપણી ભવ્ય ભારતની સરકારના કાને ત્યારે જ ગઈ જ્યારે સુપ્રીમ કોર્ટે તેનો કાન મરોડયો. આજે ભારતના અર્થતંત્ર નો એક નોંધપાત્ર ભાગ ફાર્માસ્યુટિકલ સેકટર પર આધારિત છે. પણ આ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કામ કરનારો જીવ ફાર્માસિસ્ટ કહેવાય અને તેની ક્વોલિફિકેશન શુ છે તેની બહુ ઓછાને ખબર છે!

4. ફાર્માસિસ્ટની નિષ્ક્રિયતા

આજે શુ ફાર્માસિસ્ટ પોતે એવુ માને છે કે પોતે એક નાયક છે કે હતો? પોતાની જાતને નાયક માનવું એ થોડું અતિશયોક્તિ ભર્યું લાગે પણ આ અતિશયોક્તિથી જ બે પગથિયાં નીચે ઉતારતાં સ્વમાનનો વિસ્તાર શરૂ થાય છે જેમાં  ફાર્માસિસ્ટ પોતે પણ પગ નથી મૂકી શક્યો. અભિમાન અને સ્વમાન વચ્ચે એક નાનકડી ભેદરેખા હોય છે. વળી બીજા પાસેથી તમે માનની અપેક્ષા પણ તો જ રાખી શકો જો તમારી પાસે તમારું પોતાનું સ્વમાન હોય. શુ ફાર્માસિસ્ટ પોતે એવું માને છે કે એ આરોગ્યવિભાગની એક મહત્વની કડી છે? જો ફાર્માસિસ્ટ આવું વિચારે તો તરત જ મનમાં હસી કાઢશે, અરે ભાઈ દવાખાનામાં હું નહીં તો ડોકટર છે નર્સ છે એ લોકો આવડત કેળવી લેશે અને દવા આપશે. મારી શુ જરૂર છે! હું તો બસ ઉપરવાળાએ 60-70 વર્ષનું પેકેજ આપ્યું છે એ પૂરું કરવા આવ્યો છું. ફાર્માસિસ્ટે ક્યારેય પોતાની જરૂરિયાત ઉભી થવા જ નથી દીધી, ઉલટાનું ફાર્મસીસ્ટના વિકલ્પો મળી રહે એવા ઘણાં મૂર્ખ પગલાંઓ ભરી બેઠો છે.
આજે કોઈ પણ સરકારી દવાખાનામાં જશો તો બિચારો ફાર્માસિસ્ટ એક બારીના ઝરૂખે નિસ્તેજ ચહેરે દેખાશે. હા, તમે બારી પરના બોર્ડને વાંચીને જરૂર ઓળખી શકશો કે આ ફાર્માસિસ્ટ છે પણ ભૂલથી જો તમે તેને કોઈ દવાનું 'પોસ્ટમોર્ટમ' કરવાનું કહેશો તો તરત જ અચકાઇ જશે. કારણ તેની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે અને આ બુઠ્ઠી ધારને કારણે જ તેના ચહેરા પરની તેજસ્વીતા ઓલવાઈ ગઈ છે. આજે કયો ફાર્માસિસ્ટ પોતાના પહેરવેશ પરથી અલગ પડે છે? કેટલા ફાર્માસિસ્ટ ડ્રગ ડીસ્પેનસિંગ વખતે પોતાની ઓળખ બતાવતો એપ્રોન પહેરે છે? ક્યા ફાર્માસિસ્ટની ભાષા અભિવ્યક્તિ કે કાઉન્સેલિંગ પાવર તમને દવા નિયમિત અને યોગ્ય પ્રમાણમાં લેવા પ્રેરે છે? લગભગ નહિવત. ચાર રસ્તા પર ઉભેલો ટ્રાફિક કંટ્રોલર પણ પોતાના ડ્રેસકોડ ના જોરે ધાક જમાવે છે, તો ફાર્માસિસ્ટ કેમ ડોકટર અને નર્સ સ્ટાફથી અલાયદો લાગીને પોતાની ઓળખ ગુમાવે છે?  કારણ ફાર્માસિસ્ટ આજે પોતે જ પોતાની જાતને ભૂલી ચુક્યો છે.  પોતે જ ભૂલી ગયો છે કે આ સિસ્ટમમાં તે નાયક હતો કે હજુ પણ બની શકે એમ છે. આજે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ફાર્મસીસ્ટ પોતાનાથી ઓછા ક્વોલિફાય લોકોની જીહુજુરી કરતો જોવા મળે છે તો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખાતો માર્કેટિંગ એક્સપર્ટ ફાર્માસિસ્ટ પણ જેવા તેવા ડોક્ટરોના અપમાનનો ભોગ બનીને ઝેરના પ્યાલા હસતા મોઢે ગળે ઉતારે છે. હરખ તો હવે બસ એ જ વાતનો છે કે આટઆટલા સંઘર્ષો છતાં ફાર્માસિસ્ટ નિષ્ક્રિય તો નિષ્ક્રિય પણ અસ્તિત્વ ધરાવે છે. આ નાયક ક્યારે પોતાની સુષુપ્ત શક્તિઓને ઓળખશે અને ક્યારે નાયક બનીને ગર્વભેર આગળ આવશે એ તો આવનારો સમય જ કહેશે.




Tuesday, April 9, 2019

મેદસ્વિતાએ માજા મુકી



બાળપણમાં ગાંધીજીનો એક પ્રસંગ ભણવામાં આવતો જેમાં ગાંધીજી કહેતા કે ખપ પૂરતું જ પાણી વાપરો. હવે એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. ગાંધીજી જો આ સમયે હયાત હોત તો વધુમાં ઉમેરતા જાત કે ખપ પૂરતું જ ખાઓ. Eat, Drink and be Merry ની ફિલોસોફીને ગળે વળગાળીને ગમતું કરવાની આપણી ટેવ છેલ્લા બે ત્રણ દસકામાં વધુ પડતી ઉભરાઈ ગઈ હોય એવું લાગે છે.

આજે પણ સુકલકડી હોવું એ સ્ત્રીઓ માટે સન્માનની બાબત છે તો પુરુષો માટે શરમની શરવાણી. વધુ પડતી મેદસ્વિતા એ જાહોજલાલીની નિશાની તથા પાંસળીઓ દેખાવી એ ગરીબીની નિશાની - આ સર્વે ખૂબ જ જુના સમયથી અમલમાં છે. રૂપક તરીકે લઈએ તો સાચો પણ છે. પરંતુ જ્યારે મેદસ્વિતાના માઠાં પરિણામો ભોગવવાનો વારો આવે ત્યારે એકેય જાહોજલાલી કામ નથી લાગતી. સવારના પહોરમાં પોતાની ફાંદ લઈને રોડ પર કે ગાર્ડનમાં નીકળતા લોકો કદાચ આ વાત સારી રીતે સમજતા હશે. પશ્ચિમી દેશોએ મેદસ્વિતા(obesity)ને એક મોટી બીમારી તરીકે બઢતી આપી છે અને માન્યું છે કે આ એક એવો મીઠો રોગ છે જે સમય જતાં કડવો અનુભવ કરાવે છે. 2016 ના એક સર્વે મુજબ ભારતની 3.9% વસ્તી મેદસ્વિતાની ઝપેટમાં છે જે ભારતને વિશ્વમાં હાલમાં તો 187 મા ક્રમે સાપેક્ષ રીતે ગૌરવ અપાવે  છે એમ કહી શકાય પરંતુ જો આમ ને આમ સવારમાં જિમ અને વોકિંગમાં પરસેવો પાડતી આપણી આન્ટીઓ સાંજે કિટ્ટીપાર્ટીમા મિજબાની માણ્યા કરશે તો થોડાક વર્ષોમાં જ આપણે ટોચના 100 દેશોમાં સામેલ થઈ જશું!

શ્રમવિહીન જીવનધોરણ કદાચ આપને સૌને માફક આવતું હશે પણ આપણું શરીર ધીમેધીમે આ જીવનધોરણ વિરૂદ્ધ બંધાતુ જાય છે. પરિણામે તેને નાથવા માટે કરવામાં આવતો અને તમારા સિવાય કોઈને પણ ઉપયોગી ના થઇ શકે એવો બળજબરીપૂર્વકનો શ્રમ જીમખાનામાં વેડફાઈ રહ્યો છે. આટલો જ શ્રમ જો ઘરને સાચવવામાં કરવામાં આવે તો? ક્યારેક સાવરણી તો ક્યારેક ધોબીઘાટનો ધોકો જો વપરાય તો આપોઆપ ચરબી શરમાઈને બહાર આવે. અડધી કલાકના અંતરે આવેલી ઓફિસને જો પૈડાંના સહારા વગર સર કરવામાં આવે તો આપોઆપ વરુણદેવ પરસેવે નવડાવે. પણ ના આપણે તો મેદસ્વિતાને હરાવવી છે ફક્ત શ્રમના વેડફાટથી.

એકબાજુ ભારત કુપોષણ સામે લડી રહ્યો છે તો સામે છેડે મેદસ્વિતાનો રાક્ષસ અટ્ટહાસ્ય કરી રહ્યો છે. આવો વિરોધાભાસ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. ક્યાંક એક ટંક ખાવા માટેના ફાંફાં છે તો ક્યાંક ખાઈને તેને પચાવવા માટેનો શ્રમ ઘટે છે. આવી વાસ્તવિકતાને નજર સામે જોઈ રહેલા આપણે આંખ આડી ફાંદ કરીને બેઠા છીએ. ચિત્રમાં દેખાતું પાટિયું ક્યાં સુધી આ ભાર ઉપાડી શકે છે એ જ જોવું રહ્યું હવે તો!

Thursday, March 28, 2019

મત ના મતાંતર


મારા મતે મારુ ને તારા મતે તારું,
મને લાગે મીઠું એ તને લાગે ખારું.


દરેક મનુષ્યના આંગળાની રેખાઓ જેમ અલગ હોય એવી જ રીતે મસ્તકની અંદર ના વિચારો પણ તદ્દન અલગ જ હોવાના. મારો કોઈ વિચાર તરંગ તારા કોઈ વિચાર તરંગ સાથે મળી જાય તો તેનો મતલબ એ નથી કે બંને એક જ રેખામાં સમાંતર દોડશે. ક્યાંક તો એ રેખાઓ એકબીજાને છેદશે જ અને આ છેદનબિંદુએ જ બંનેના મત અલગ પડી જશે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણીમાં બસ આવી જ રેખાઓ એકબીજાને છેદી છેદીને આગળ વધતી હોય છે.


આજે આપણે અનેક અંગત, સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય પ્રશ્નોથી ઘેરાયેલા છીએ, છતાં સમયાંતરે આવતો ચૂંટણી પર્વ એક નવી જ આશાનું કિરણ લઈને આવે છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આ તક આપણે અજમાવી શકીએ છીએ. હા, કદાચ હતાશ થયેલા અને દેશની પરિસ્થિતિ પર રડતા લોકોને આ અતિશયોક્તિ લાગે પણ જ્યારે આપણે આપણા મતની તાકાતની સરખામણી કોઈ બિનલોકશાહી રાષ્ટ્ર સાથે કરવા જઈએ ત્યારે સમજાશે કે આપણા હાથમાં કેટલી સતા છે. પણ આપણે શું આ સત્તા નો યોગ્ય ઉપયોગ કરી જાણીએ છીએ?


ફલાણાના વિચારોમાં દોરવાઈ જઈને આપણે ફક્ત આપણો મત બીજાને નથી આપતા પણ આપણે એ વિચારધારામાં સહમતી પુરાવીએ છીએ. આગળ વાત કરી એમ બની શકે કે આપણી વિચારધારા સાંગોપાંગ સામ્ય ના પણ ધરાવતી હોય. પણ આપણે આપણા અભિમાનને પોષવા માટે આપણો મત બીજા પર થોપીને બીજો પણ આજ મત અપનાવે તેનો આનંદ લઈએ છીએ. મારા મતે હું સાચો હોઈ શકું મારી વિચારશૈલી મુજબ હું અલગ દ્રષ્ટિકોણથી જોતો હોઉં એવું બની શકે અને એવું જ તમારા મતની બાબતમાં પણ બની શકે. બંધારણે 18 વર્ષથી ઉપરના લોકોને વૈચારિક પુખ્ત સમજીને તક આપી છે કે પોતાના વિચારને રાષ્ટ્ર સમક્ષ મૂકી શકે. વૈચારિક પુખ્તતાને કદાચ ઉંમર સાથે સાંકળી ના શકાય કારણ કે 50 વર્ષના પીઢને પણ એક 'બ્રેકીંગ ન્યુઝ' પોતાનો મત બદલવા માટે  મજબૂર કરી શકે તેમજ 20 વર્ષના નવલોહીયાને પણ 'પીરસાયેલો' ભૂતકાળ પ્રવર્તમાન પ્રવાહને બદલવાનું જુનૂન ચડાવી શકે. તો શું ચુંટણીના મહિના અગાઉ ટીવી અને સોશિઅલ મીડિયા ની સાથે મગજ પણ બંદ કરી દેવું? 


પરિક્ષા અગાઉ જેમ છેલ્લી ઘડીનું વાંચન કરીને ઝડપથી પરિક્ષાખંડમાં ઓકવાની તાલાવેલી લાગે એવી જ તાલાવેલીથી આપણે આ પર્વને જોઈએ છીએ. અધ્યયન કરવું છે તો વર્ષના શરૂઆતથી કરેલું જ પરિક્ષા પછી પણ સાથે આવશે. પરીક્ષા સમયે આરોગેલું પરિક્ષાખંડ સુધી જ સાથે રહેશે. આવું જ લાંબા ગાળાનું અધ્યયન અને અવલોકન કરીને જો મતદાતા પોતાનો વિચાર પોતાની આંગળીને રજૂ કરવા દે તો જ આ પર્વ સાર્થક બનશે.

આપના પગરવ

Search This Blog

Sandip Herma

My photo
ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.

Contact Form

Name

Email *

Message *

Followers